બાપુનાં પારણાં/જન્મભોમના અનુતાપ

જન્મભોમના અનુતાપ
૧૯૩૯ રાજકોટ-અનશનમા પારણા વખતે કાઠિયાવાડની ધરતીના ઉદગારો

ભજનનો ઢાળ

જી રે બાપુ! તમને કરાવી-પારણિયાં,
હું થઈ ઉપવાસણી રે જી.
જી રે બાપુ! ગોઝારા અમારા આંગણિયાં,
હું દેવી થઈ છું ડાકણી હો જી.

જી રે બાપુ! નુગરી મને આપે માનેલી, ૫
મેં સંઘર્યાતા ઓરતા રે જી.
જી રે બાપુ! જાતને જ નહિ મેં તો જાણેલી,
ધોખા એ હિયે ધીકતા હો જી.
​જી રે બાપુ! મેણલાં દઈને બૌ બાળેલો
હો! તું વણતેડ્યો આવિયો રે જી, ૧૦
જી રે બાપુ! પગલે ને પગલે પરઝાળેલો,
જાકારો સામો કા'વિયો હો જી.

જી રે બાપુ! હીરલાના પરખુ હોંશીલા!
હસતો ને રમતો ઊતર્યો રે જી;
જી રે બાપુ! કોયલાનાં આંહીં તો દલાલાં ૧૫
હો! ભરોંસે તું ભૂલો પડ્યો હો જી.

જી રે બાપુ! ચુમિયું ભરીને ચાટી લીધાં
હો! લોહીઆાળાં જેનાં મોઢડાં રે જી,
જી રે બાપુ! દૂધ પી કરીને ડંખ દીધા
હો! વશિયલ એ ભોરીંગડા હો જી. ૨૦

જી રે બાપુ! તમે રે સંભારી જ્યાં સમાધ
હો! ખાંપણ ત્યાં તો સાબદાં રે જી,
જી રે બાપુ! તમે કીધા અલખના આરાધ
હો! પડઘા મેં દીધા પાપના હો જી.

જી રે બાપુ! મેણલાંની દિજે બાપ માફી ૨૫
હું પાપિણી ખોળા પાથરું રે જી.
​જી રે બાપુ! જતિ ને સતીનાં સત માપી,
હું પાને પાને પરઝળું હો જી. ૨૦

ટીપ્પણ: ગાંધીજી રાજકોટના પ્રભસ ગ્રામમાં ઊતર્યા; રાજ–કોલ ૫ળાવવા ઉપવાસ કર્યા, એ પ્રતાપ ગાંધી તો દેશી રાજ્યોની પ્રજાના યુદ્ધોમાં સાથ નથી પૂરતા એવાં મેણાંટોણાંને હતો. નુગરી=ગુરુ વગરની, એ શબ્દમાં પ્રજાનું શ્રધ્ધાહીન માનસ ધ્વનિત થાય છે. ઓરતા = ન બની શક્યું હોય તેના અફસોસ 'જાકારો સામે કહી વધો...'=અહીં આવશો નહિ.' એવું અધિકારીએ કહાવી દીધેલું. 'વશિયલ ભોરીંગડા'–વિષધર નાગો. સમાધ=દેહપાત. ખાપણ–કોઈક બોલેલું કે ગાંધી રાજકોટને ટીંબે દેહ પાડશે તો ખાંપણ તૈયાર છે અલખના આરાધ-અલક્ષ્ય (ઈશ્વર)નું સ્વજન