ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સુઘરી અને વાંદરો

From Ekatra Wiki
Revision as of 01:05, 16 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ

કોઈ એક દેશમાં ધર્મબુદ્ધિ એ પાપબુદ્ધિ એ બે મિત્રો રહેતા હતા. હવે એક વાર પાપબુદ્ધિએ વિચાર્યું કે ‘હું મૂર્ખ અને દરિદ્ર છું, માટે આ ધર્મબુદ્ધિને સાથે લઈ દેશાન્તરમાં જઈ તેના આશ્રયથી ધન પેદા કર્યા પછી એને છેતરીને હું સુખી થાઉં.’ પછી એક દિવસ પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું, ‘હે મિત્ર! વૃદ્ધાવસ્થામાં તું તારાં ક્યાં ચરિત્રને સંભારીશ? દેશાન્તર જોયા સિવાય શિષ્ટજનોને લગતી શી વાતો તું કહીશ?

કહ્યું છે કે ધરતીના પટ ઉપર દેશાન્તરોમાં ભ્રમણ કરીને જેણે અનેક પ્રકારની ભાષાઓ અને પહેરવેશો વિશે જાણ્યું નથી તેના જન્મનું ફળ વ્યર્થ છે.

તેમ જ

જ્યાં સુધી માણસ આ પૃથ્વી ઉપર હર્ષપૂર્વક એક દેશમાંથી બીજા દેશમાં પર્યટન કરતો નથી ત્યાં સુધી તે વિદ્યા, ધન કે કળાને સારી રીતે પ્રાપ્ત કરી શકતો નથી.’

એટલે તેનું વચન સાંભળીને હર્ષિત મનવાળો ધર્મબુદ્ધિ વડીલોની આજ્ઞા લઈને એની સાથે શુભ દિવસે દેશાન્તરમાં જવા નીકળ્યો. ત્યાં ભ્રમણ કરતાં પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિના પ્રભાવથી ઘણું ધન ઉપાર્જન કર્યું. પછી જેમણે ઘણું ધન મેળવ્યું છે એવા તથા હર્ષ પામેલા તે બન્ને જણા ઉત્સુકતાપૂર્વક પોતાને ઘેર આવવા નીકળ્યા. કહ્યું છે કે

દેશાન્તરમાં નિવાસ કરનારાઓેને માટે વિદ્યા, ધન અને કળા સંપાદન કર્યા પછી એક કોસ જેટલો ભૂમિભાગ પણ સો યોજન જેટલો થઈ પડે છે.

પછી તેઓ પોતાના સ્થાનની નજીક આવી પહોંચ્યા, એટલે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું, ‘ભદ્ર! આ બધું ધન ઘેર લઈ જવું યોગ્ય નથી, કારણ કે કુટુંબીઓ અને બંધુજનો તેની માગણી કરશે. માટે અહીં જ, આ ગાઢ વનમાં કોઈક સ્થળે તે દાટીને, થોડુંક ધન સાથે લઈને આપણે ઘેર જઈએ. ફરી વાર જરૂર પડતાં આ સ્થાનેથી ધન લઈ જઈશું. કહ્યું છે કે

બુદ્ધિશાળી મનુષ્યે થોડુંક પણ ધન કોઈને દેખાડવું નહિ, કારણ કે ધનના દર્શનથી મુનિનું મન પણ ચલિત થાય છે.

તેમ જ

જેવી રીતે પાણીમાં માંસનુંમાછલાંઓ દ્વારા ભક્ષણ થાય છે, પૃથ્વી ઉપર હિંસક પશુઓ દ્વારા ભક્ષણ થાય છે, અને આકાશમાં પક્ષીઓ દ્વારા ભક્ષણ થાય છે તેમ ધનવાનનું સર્વત્ર ભક્ષણ થાય છે.’

તે સાંભળીને ધર્મબુદ્ધિ બોલ્યો, ‘ભદ્ર! એમ કરો.’ એ પ્રમાણે વ્યવસ્થા કર્યા પછી તે બન્ને જણ પોતાને ઘેર જઈને સુખપૂર્વક રહ્યા. એક વાર પાપબુદ્ધિ મધ્યરાત્રિએ ત્યાં આવીને તે સર્વ ધન લઈને તથા ખાડો પાછો પૂરીને પોતાને ઘેર ગયો. પછી એક દિવસે તે ધર્મબુદ્ધિને આવી કહેવા લાગ્યો. ‘હે મિત્ર! મોટા કુટુંબવાળા આપણે ધનના અભાવે દુઃખી થઈએ છીએ. માટે જઈને તે સ્થાનેથી કેટલુંક ધન લાવીએ.’ ધર્મબુદ્ધિ બોલ્યો, ‘ભદ્ર! ભલે, એમ કરો.’ પછી બન્ને જણાએ જઈને તે સ્થાન ખોદ્યું ત્યારે ખાલી વાસણ જોયું, તે સમયે પાપબુદ્ધિ પોતાનું માથું કૂટીને બોલ્યો, ‘હે ધર્મબુદ્ધિ! બીજા કોઈએ નહિ પણ તેં જ આ ધન હરી લીધું છે, કારણ કે ખાડો પણ ફરી વાર પૂરી નાખેલો છે. માટે એ ધનનો અર્ધ ભાગ મને આપ; નહિ તો આ વસ્તુ હું રાજદરબારમાં નિવેદન કરું છું.’ ધર્મબુદ્ધિએ કહ્યું, ‘હે દુરાત્મા! એમ ન બોલ. હું ધર્મબુદ્ધિ છું; આવું ચોરકર્મ હું ન કરું.

કહ્યું છે કે જે પરસ્ત્રીઓને માતા સમાન અને પરદ્રવ્યને માટીના ઢેફા સમાન દેખે છે તેને જ ખરેખર દેખતો જાણવો.’

એ પ્રમાણે વિવાદ કરતા તથા પરસ્પરને દોષ દેતા તે બન્ને જણે ધર્માધિકારી — ન્યાયાધીશ પાસે જઈને આ બાબતમાં ફરિયાદ કરી. પછી ન્યાયાસનના અધિકારી પુરુષોએ તેમને દિવ્ય દેવા માટે યોજના કરી ત્યારે પાપબુદ્ધિ બોલ્યો, ‘અહીં તમે યથાર્થ ન્યાય કર્યો નહિ. કહ્યું છે કે

વિવાદમાં વાદી અને પ્રતિવાદી વચ્ચે તકરાર ચાલે ત્યારે લેખપત્ર શોધવામાં આવે છે, લેખપત્ર ન હોય તો સાક્ષીને પૂછવામાં આવે છે, અને સાક્ષી પણ ન હોય ત્યારે દિવ્ય દેવામાં આવે છે, એમ વિદ્વાનો કહે છે.

આ વિષયમાં વૃક્ષદેવતાઓ મારા સાક્ષી તરીકે છે. માટે તેઓ જ અમો બે પૈકી એકને ચોર અથવા શાહુકાર ઠરાવશે.’ એટલે તેઓ સર્વે બોલ્યા,‘અરે! તેં યોગ્ય કહ્યું.

કહ્યું છે કે જે વિવાદમાં અંત્યજ સાક્ષી હોય તેમાં પણ દિવ્યની જરૂર નથી, તો પછી જેમાં દેવતાઓ સાક્ષી હોય તેમાં તો દિવ્યની જરૂર જ ક્યાં રહી?

વળી આ વિષયમાં અમને પણ મોટું કુતૂહલ છે. માટે પ્રભાતે તમારે બન્નેએ અમારી સાથે તે વનપ્રદેશમાં આવવું.’

પછી પાપબુદ્ધિએ પોતાને ઘેર જઈને પોતાના પિતાને કહ્યું, ‘હે તાત! મેં ધર્મબુદ્ધિનું ઘણું ધન ચોરેલું છે. તે તમારા વચનથી મને પચી જશે, અથવા તે મારા પ્રાણોની સાથે મારી પાસેથી ચાલ્યું જશે.’ એટલે તે બોલ્યો, ‘વત્સ! જલદી બોલ, જેથી તે પ્રમાણે કરીને એ ધન તારી પાસે સ્થિર કરું.’ પાપબુદ્ધિ બોલ્યો, ‘તાત! તે પ્રદેશમાં એક મોટું શમીવૃક્ષ છે, એમાં એક મોટું કોટર છે, એમાં તમે અત્યારે જ પ્રવેશ કરો. પછી પ્રભાતે જ્યારે હું સત્ય જાહેર કરું તે સમયે તમારે કહેવું કે ધર્મબુદ્ધિ ચોર છે.’ એ પ્રમાણે વ્યવસ્થા થઈ ગયા પછી પ્રભાતમાં સ્નાન કરીને તથા ધર્મબુદ્ધિને આગળ કરીને પાપબુદ્ધિ રાજપુરુષોની સાથે તે શમીવૃક્ષ પાસે જઈને ઊંચે સ્વરે બોલ્યો,

‘સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, હૃદય, યમ, દિવસ અને રાત્રિ, બન્ને સંધ્યાઓ તથા ધર્મ — આટલાં તત્ત્વો મનુષ્યનું આચરણ જાણે છે.

માટે હે વનદેવતાઓ! અમો બે પૈકી કોણ ચોર છે તે કહો.’ એટલે શમીવૃક્ષના કોટરમાં રહેલો પાપબુદ્ધિનો પિતા બોલ્યો, ‘અરે! ધર્મબુદ્ધિએ આ ધન હરી લીધેલું છે.’ એ સાંભળીને વિસ્મયથી વિકસિત થયેલાં લોચનવાળા રાજપુરુષો ધર્મબુદ્ધિને ધનની ચોરી માટે યોગ્ય શિક્ષા કરવા માટે શાસ્ત્રદૃષ્ટિએ વિચાર કરતા હતા ત્યાં તો ધર્મબુદ્ધિએ સળગી ઊઠે તેવાં (લાકડાં વગેરે) દ્રવ્યો તે શમીવૃક્ષના કોટરની આસપાસ મૂકીને અગ્નિ સળગાવ્યો. પછી શમીનું એ કોટર બળવા લાગ્યું, એટલે અર્ધદગ્ધ શરીરવાળો તથા જેની આંખો ફૂટી ગઈ હતી એવો પાપબુદ્ધિનો પિતા કરુણ વિલાપ કરતો બહાર નીકળ્યો. પછી તે સર્વેએ પૂછ્યું, એટલે પાપબુદ્ધિનું બધું ચરિત્ર તેણે નિવેદન કર્યું. પછી તે રાજપુરુષો પાપબુદ્ધિને શમીવૃક્ષની શાખા ઉપર લટકાવીને તથા ધર્મબુદ્ધિની પ્રશંસા કરીને આ પ્રમાણે બોલ્યા, ‘અહો! આ ખરું કહ્યું છે.

બુદ્ધિશાળી મનુષ્યે ઉપાયનો તેમ જ અપાય(વિઘ્ન)નો વિચાર કરવો જોઈએ; મૂર્ખ બગલો જોતો રહ્યો અને નોળિયાએ બગલાને મારી નાખ્યાં.’

ધર્મબુદ્ધિ બોલ્યો, ‘એ કેવી રીતે?’ તેઓ કહેવા લાગ્યા —