ભારતીયકથાવિશ્વ−૪/માર્કણ્ડેયપુરાણ/અવિક્ષિતની કથા

From Ekatra Wiki
Revision as of 15:56, 20 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અવિક્ષિતની કથા}} {{Poem2Open}} વીર્યચંદ્રની પુત્રી વીરા સ્વયંવરમાં કરન્ધમ રાજાને પરણી હતી. યોગ્ય સમયે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. તે વેળા રાજાએ જ્યોતિષીઓને બોલાવી પોતાના પુત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અવિક્ષિતની કથા

વીર્યચંદ્રની પુત્રી વીરા સ્વયંવરમાં કરન્ધમ રાજાને પરણી હતી. યોગ્ય સમયે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. તે વેળા રાજાએ જ્યોતિષીઓને બોલાવી પોતાના પુત્રના જન્માક્ષર વિશે માહિતી માગી. જ્યોતિષીઓએ કહ્યું, ‘તમારો પુત્ર ઉત્તમ મૂરતમાં, ઉત્તમ નક્ષત્રમાં અને ઉત્તમ લગ્નમાં જન્મ્યો છે. તે મહા પરાક્રમી, ભાગ્યશાળી અને બળવાન રાજા થશે.’

તેમની વાત સાંભળીને રાજાએ આનંદિત થઈ કહ્યું, ‘તમે અવૈક્ષત(જુએ છે) એમ એકાધિક વાર બોલ્યા છો તો તેનું નામ અવિક્ષિત. પછી તે પુત્ર કણ્વમુનિના પુત્ર પાસે સમગ્ર અસ્ત્રવિદ્યા શીખ્યો. તે રૂપમાં અશ્વિનીકુમારોને, બુદ્ધિમાં વાચસ્પતિને, કાંતિમાં ચંદ્રને, તેજમાં સૂર્યને, ધૈર્યમાં સમુદ્રને અને સહનશીલતામાં પૃથ્વીને અતિક્રમી ગયો હતો.

સ્વયંવરમાં હેમધર્મરાજાની પુત્રી વરા, સુદેવની પુત્રી ગૌરી, બલિની પુત્રી સુભદ્રા, વીરરાજાની પુત્રી લીલાવતી, વીરભદ્ર રાજાની પુત્રી નિભા, ભીમરાજની પુત્રી માન્યવતી અને દમ્ભ રાજાની પુત્રી કુમુદ્વતી તે રાજકુમારને વરી હતી. આ ઉપરાંત સ્વયંવરમાં જે રાજકન્યાઓએ તેને પસંદ કર્યો ન હતો તે રાજકન્યાઓનું હરણ બધા રાજાઓનો અને તે કન્યાઓના પિતૃકુળનો પરાજય કરી લાવ્યો હતો. આ ઉપરાંત વિશાલ રાજાની કન્યા વૈશાલિનીને પણ હરી લાવ્યો હતો. ત્યાર પછી પરાજિત થયેલા રાજાઓ અકળાઈને કહેવા લાગ્યા, ‘આપણે બળવાન અને છતાં એક રાજપુત્રથી પરાજિત થઈને બેસી રહ્યા છીએ. માટે ઊઠો અને યુદ્ધ કરો.’

આમ બધા રાજા યુદ્ધ કરવા તૈયાર થયા. અવિક્ષિત અને તે રાજાઓ સાથે ભયાનક યુદ્ધ થયું. ઘણા બધા સૈનિકોને અવિક્ષિતે મારી નાખ્યા, છેવટે માત્ર સાતસો વીર જ બાકી રહ્યા. અવિક્ષિત તેમને પરાજિત કરવા મથ્યો. ત્યારે તે સૈનિકોએ અધર્મથી યુદ્ધ કરવા ગયા. કોઈએ તેનું ધનુષ છેદી નાખ્યું, તો કોઈએ તેના ધ્વજને નીચે નાખી દીધો. તેની તલવાર અને ઢાલ પણ છેદી નાખી. તેના પર અસંખ્ય બાણવર્ષા કરી, પરિણામે તે ધરતી પર પડી ગયો અને શત્રુઓએ તે બાંધી દીધો. તે રાજપુત્રની સ્વયંવરા કન્યા પણ આણી અને તે કન્યાને બધા રાજાઓમાંથી કોઈ એક રાજાને પસંદ કરવા કહ્યું, પણ તેણે કોઈનીય પસંદગી ન કરી. જ્યોતિષીઓએ તે કન્યાના લગ્ન માટેનું મૂરત હમણાં નથી એમ જણાવ્યું.

અવિક્ષિતના માતાપિતાને આ ઘટનાની જાણ થઈ, બીજા રાજાઓએ કહ્યું, ‘અવિક્ષિતને અધર્મથી બાંધ્યો છે તો તે રાજાઓને મારી નાખવા જોઈએ.’ બીજાઓએ કહ્યું, ‘અવિક્ષિતે બળાત્કારે તે કન્યા ગ્રહણ કરી છે એટલે અધર્મ તેણે કર્યો કહેવાય. તે સમયે તેણે બધા રાજપુત્રોને બધા સ્વયંવરોમાં પરાજિત કર્યા હતા એટલે અત્યારે તેમણે અવિક્ષિતને બાંધ્યો છે.’

આ બધી વાત સાંભળી અવિક્ષિતની માતા વીરાએ પોતાના પતિની તથા બીજા રાજાઓની સામે કહેવા લાગી, ‘મારા પુત્રે બધા રાજાઓને જીતીને કન્યા ગ્રહણ કરી છે તે યોગ્ય જ છે. તે કન્યાને માટે રણભૂમિમાં એકલો યુદ્ધ કરવા જતાં તેને બંદી બનાવ્યો છે તેને હું મારા પુત્રની અધોગતિ માનતી નથી. સ્વયંવર કરનારી ઘણી કન્યાઓને મારા પુત્રે બધા રાજાઓનાં દેખતાં ગ્રહણ કરી છે. માટે તમે બધા સજ્જ થઈ યુદ્ધ કરો.’

આમ વીરાએ બધાને યુદ્ધ માટે તૈયાર કર્યા અને ત્રણ દિવસ સુધી તે યુદ્ધ ચાલ્યું. કરન્ધમ રાજાએ બધાને જ્યારે હરાવ્યા ત્યારે વિશાલ રાજા વિજેતા પાસે આવ્યો, તેમની પૂજા કરીને અવિક્ષિતને છોડી મૂક્યો. તથા પોતાની કન્યા લઈને આવ્યો. પણ અવિક્ષિતે તે કન્યા સાથે લગ્ન કરવાની ના પાડી. ‘હું શત્રુઓથી પરાજિત થયેલો છું તેથી હું મારી જાતને સ્ત્રી જ માનું છું. પુરુષો સ્વતંત્ર હોય છે અને સ્ત્રીઓ પરતંત્ર. પરતંત્ર પુરુષમાં પૌરુષ ક્યાંથી?’

આ સાંભળી વિશાલ રાજાએ પોતાની કન્યાને કોઈ બીજો રાજા પસંદ કરવા કહ્યું ત્યારે તે કન્યાએ કહ્યું, ‘ધર્મનું આચરણ કરતા આ રાજપુત્રનો પરાજય રાજાઓએ ધર્મથી કર્યો નથી. એટલે તેનો યશ ઝાંખો થયો નથી. આ રાજપુત્રે અનેક વાર બધા રાજાઓને જીત્યા છે. હું એના રૂપ પર મોહ પામી નથી પણ એના શૌર્ય, પરાક્રમથી અંજાઈ છું. આ રાજપુત્ર સિવાય બીજા કોઈને હું પતિ તરીકે સ્વીકારવાની નથી.’

આ સાંભળી વિશાલ રાજાએ રાજપુત્રને કહ્યું, ‘મારી કન્યાએ જે કહ્યું તે ઉત્તમ છે. તમારા જેવો રાજપુત્ર આ જગતમાં નથી. માટે મારી કન્યાનો સ્વીકાર કરો.’

પણ અવિક્ષિતે તે વાતની ના પાડી, તે તો કોઈ પણ કન્યાને સ્વીકારવા તૈયાર ન હતો. તેના પિતાએ બહુ સમજાવ્યો પણ તે ન જ માન્યો.

છેવટે તે કન્યાએ કહ્યું, ‘જો આ રાજપુત્ર મને સ્વીકારતો ન હોય તો હું બીજો વર સ્વીકારીશ અને તે વર એટલે મારું તપ. તપ વિના મારો બીજો કોઈ પતિ થશે નહીં. તપ કરીને જ હું મારો જન્મ પૂરો કરીશ.’

પછી કરન્ધમ રાજા વિશાલ રાજાની સાથે ત્રણેક દિવસ રહી પોતાના પાટનગરમાં ગયા. અવિક્ષિત પણ નગર બાજુ ગયો. તે કન્યા સ્વજનોની સંમતિ લઈ વનમાં તપ કરવા ગઈ. ત્રણ માસ તે નિરાહાર રહી. તેનું શરીર સાવ સુકાઈ ગયું. તેનો ઉત્સાહ આછો થયો. તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. દેવતાઓએ ભેગા થઈને એક દેવદૂતને મોકલ્યો. ‘હે રાજકન્યા, મને દેવતાઓએ મોકલ્યો છે, તારે આ વિરલ કાયાનો ત્યાગ નથી કરવાનો. ભવિષ્યમાં તું ચક્રવર્તી રાજાની માતા બનવાની છે. તારો પુત્ર શત્રુઓનો નાશ કરશે અને લાંબા સમય સુધી તે પૃથ્વીને ભોગવશે. દેવોના શત્રુઓને પણ મારશે.’

આ સાંભળી તે કન્યાએ કહ્યું, ‘સ્વર્ગમાંથી આવેલા દેવદૂત, તમારી વાત સાચી પણ પતિ વિના મને પુત્ર થશે કેવી રીતે? હું અવિક્ષિત સિવાય કોઈને પણ પતિ માનવાની નથી અને બધાની ઇચ્છા હોવા છતાં તે મારી સાથે લગ્ન કરવા માગતો નથી.’

દેવદૂતે કહ્યું, ‘તને વધારે તો શું કહું? તને પુત્ર થશે જ, તું આત્મહત્યા ન કરીશ. તું આ વનમાં જ રહી તારા શરીરનું પોષણ કર. તારા તપના પ્રભાવે બધું સારું થશે.’

આમ કહી દેવદૂત ચાલ્યો ગયો અને તે કન્યા પોતાના શરીરને પોષવા લાગી.

પછી એક દિવસ વીરા અવિક્ષિતને બોલાવી કહેવા લાગી, ‘તારા પિતાની સંમતિથી હું કિમિચ્છક નામનું વ્રત કરવાની છું. તે વ્રત ત્રણને — તારા પિતાને, મને અને તને આધીન છે. તું જ્યારે પ્રતિજ્ઞા કરીશ ત્યારે હું એને માટે પ્રયત્ન કરીશ. હું તને રાજકોશમાંથી અર્ધું દ્રવ્ય આપીશ. તે દ્રવ્ય તારા પિતાના અંકુશમાં છે પણ તેમણે સંમતિ આપી છે. જે ક્લેશસાધ્ય છે તે મારે કરવાનું, જે કંઈ સુસાધ્ય છે તે તારાં બળ અને પરાક્રમથી બની શકશે. અને તે તારાથી ન પણ થાય, થાય પણ, અથવા દુઃખથી થાય. પણ તું જો પ્રતિજ્ઞા કરે તો જ હું એ વ્રત કરું. તો કહે, તું હા પાડે છે?’

અવિક્ષિતે કહ્યું, ‘દ્રવ્ય તો પિતાના હાથમાં, મારાથી જે થશે તે હું તમારા કહેવા પ્રમાણે કરીશ. તમને જો પિતાએ સંમતિ આપી હોય તો તમે એ વ્રત કરો.’

પછી તે રાણીએ એ વ્રત કરવા માંડ્યું. તેમણે કુબેરનું, સમગ્ર નિધિઓનું, તે નિધિઓના પાલક ગણોનું અને લક્ષ્મીનું પૂજન કર્યું. હવે રાજાના મંત્રીઓએ એકાંતમાં રાજાને કહ્યું, ‘હે રાજન્, રાજ કરતાં કરતાં તમારી ઉમર પણ ખાસ્સી થઈ છે. તમારા પુત્રે લગ્નની ના પાડી છે. તે પણ જ્યારે વૃદ્ધ થશે ત્યારે આ રાજ્ય શત્રુઓના હાથમાં જશે. તમારા વંશનો ક્ષય થશે અને શત્રુઓ ઘેરી વળશે. એટલે તમે અવિક્ષિત લગ્નની હા પાડે તેવો પ્રયત્ન કરો.’

‘વીરા રાણી કિમિચ્છક વ્રત કરે છે તો કોને શું જોઈએ છે અથવા કોનું કેવું દુ:સાધ્ય કર્મ કરવાનું છે તે કહો.’

પુરોહિતના આ શબ્દો સાંભળી અવિક્ષિતે બધાને કહ્યું, ‘મારી માતા આ વ્રત કરે છે એટલે મારાથી થઈ શકે એવું કાર્ય કહો. મેં તે સમયે પ્રતિજ્ઞા કરી હતી કે તમે જે માગશો તે હું આપીશ.’

તેની વાત સાંભળી રાજાએ કહ્યું, ‘હું યાચક છું તો મારે જે જોઈએ છે તે તું મને આપ.’

અવિક્ષિતે તેના પિતાને કહ્યું, ‘તમે જે માગશો તે હું આપીશ. સાધ્ય, દુ:સાધ્ય હશે તો પણ આપીશ.’

રાજાએ કહ્યુું, ‘તું જો સત્યવાદી હોય અને આપવાની ઇચ્છા રાખતો હોય તો મારા ખોળામાં બેઠેલા મારા પૌત્રનું મોં મને બતાવ.’

‘પિતાજી, હું તમારો એક જ પુત્ર છું, અને હું બ્રહ્મચારી છું તો પૌત્રનું મોં કેવી રીતે બતાવી શકું?’

‘તારું બ્રહ્મચર્ય પાપ છે, તું પૌત્રનું મોં બતાવી પાપમુક્ત થા.’

અવિક્ષિતે કહ્યું, ‘એ બહુ કઠિન કાર્ય છે. એના સિવાય બીજી કોઈ આજ્ઞા કરો. હું મારા બ્રહ્મચર્યનો ભંગ કરવા માગતો નથી.’

રાજાએ કહ્યું, ‘ઘણાની સાથે યુદ્ધ કરીને વિજય મેળવેલો મેં તને જોયો છે એટલે તું આ બ્રહ્મચર્યનો ત્યાગ કરી મને પૌત્રનું મોં બતાવ.’

અવિક્ષિતે પિતાને ઘણું કહ્યું છતાં પિતાએ બીજું કશું માગ્યું જ નહીં ત્યારે તેણે કહ્યું, ‘હું તમને જે જોઈએ છે તે આપીશ. સ્ત્રીની પાસે જ પરાજિત થયેલા મારા માટે સ્ત્રીના પતિ થવાનું બહુ અઘરું છે છતાં સત્યવાદી છું એટલે હું એમ કરીશ.’

કોઈ એક સમયે તે રાજપુત્ર વનમાં મૃગયા રમતો હતો ત્યારે તેણે કોઈ આક્રંદ કરતી સ્ત્રીનો અવાજ સાંભળ્યો. ‘મને બચાવો, મને બચાવો.’

‘બીતા નહીં, બીતા નહીં’ એમ બોલી રાજપુત્રે એ અવાજની દિશામાં ઘોડાને હંકાર્યો. દૃઢકેશ નામના દાનવે કોઈ એક માનિનીને પકડી હતી, તે રુદન કરતી હતી, ‘હું કરન્ધમ રાજાના પુત્ર અવિક્ષિતની પત્ની છું અને આ દુષ્ટ મને ઉપાડી જાય છે. કોઈ કરતાં કોઈનાથી પરાજિત ન થાય એવા રાજપુત્રની પત્નીનું આ હરણ કરી જાય છે.’

આ સાંભળી તે રાજપુત્ર વિચારે ચઢ્યો. ‘આ વનમાં મારી સ્ત્રી એટલે શું વળી? ખરેખર આ રાક્ષસોની માયા જ હોવી જોઈએ. હું ત્યાં જઈને કારણ જાણીશ.’

તે રાજપુત્ર તરત જ ત્યાં ગયો, જોયું તો અલંકારમંડિત અને દંડધારી દૈત્યે પકડેલી ‘બચાવો, બચાવો’ એમ બોલતી અતિ સુંદર કન્યા જોઈ. તેને બીશ નહીં એમ કહી તે રાક્ષસને કહેવા લાગ્યો. ‘આખી દુનિયાને નમાવતા રાજા કરન્ધમના રાજમાં કોણ દુષ્ટ થવા માગે છે?’

પછી તે શ્રેષ્ઠ ધનુર્ધારીને આવેલો જોઈ તે કન્યા કહેવા લાગી, ‘મારું રક્ષણ કરો. આ મારું હરણ કરી જાય છે. હું કરન્ધમ રાજાની પુત્રવધૂ અને અવિક્ષિતની પત્ની છું. હું સનાથ છું અને અનાથની જેમ આ મને લઈ જાય છે.’

કન્યાની વાત સાંભળીને અવિક્ષિત વિચારવા લાગ્યો, ‘આ મારી પત્ની કેવી રીતે? પણ પહેલાં તો આ કન્યાને છોડાવું કારણ કે ક્ષત્રિયો દુઃખી મનુષ્યોના રક્ષણ માટે જ શસ્ત્ર ધારણ કરે છે, પછી બીજી વાત.’

તે રાજપુત્ર દાનવને કહેવા લાગ્યો, ‘તું આ કન્યાને છોડી દે, નહીંતર તું જીવતો નહીં રહે.’

આ સાંભળી તે દાનવ કન્યાને છોડીને દંડ ઉગામતો રાજપુત્ર સામે દોડ્યો, રાજપુત્રે તેના પર બાણ વરસાવ્યાં. દાનવે પોતાનો દંડ ફેંક્યો. રાજપુત્રે બાણો વડે દંડ ભાંગી નાખ્યો. હવે દાનવે પાસેનું વૃક્ષ લઈને તે રાજપુત્ર પર ફેંક્યું. રાજપુત્રે બાણવર્ષા કરીને તે વૃક્ષના તલ તલ જેવા ટુકડા કરી નાખ્યા. પછી દાનવે ફેંકેલી શિલા પણ રાજપુત્રે નિષ્ફળ બનાવી. છેવટે દાનવ મુઠ્ઠી વાળીને દોડ્યો. પણ તે પાસે આવ્યો કે તરત જ રાજપુત્રે તેનું મસ્તક વાઢી નાખ્યું. ત્યાં દેવતાઓએ આવીને પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે પિતાનું પ્રિય કરવાની ઇચ્છાથી તેણે મહાપરાક્રમી પુત્ર માગ્યો.

રાજપુત્રે દેવોને કહ્યું, ‘પિતાની પાસે સત્યપ્રતિજ્ઞા કરીને હું બંધાઈ ગયો છું, રાજાઓથી પરાજિત થયા પછી મેં લગ્ન કરવાની ના જ પાડી હતી. મેં વિશાલ રાજાની કન્યાનો ત્યાગ કર્યો ત્યારથી તે પણ બીજા કોઈની સાથે લગ્ન કરવા માગતી નથી. હવે તે કન્યાને મૂકીને બીજી કોઈ સ્ત્રીને પત્ની કેવી રીતે બનાવું?’

દેવોએ કહ્યું, ‘રાજપુત્ર, તું જેની નિત્ય પ્રશંસા કરે છે તે વિશાલ રાજાની જ આ પુત્રી છે, તે તારે માટે જ તપ કરે છે. એના પેટે જ ચક્રવર્તી પુત્ર જન્મશે.’ દેવો આ પ્રમાણે અવિક્ષિતને કહી ચાલ્યા ગયા. એટલે રાજપુત્રે તે કન્યાને બધી વાત કરવા કહ્યું. એટલે રાજકન્યાએ કહ્યું, ‘તમે જ્યારે મારો ત્યાગ કર્યો ત્યારે બંધુજનોનો ત્યાગ કરી હું આ વનમાં આવી છું. તપથી ક્ષીણ થયેલા દેહનો ત્યાગ કરવા જતી હતી ત્યારે દેવદૂતે મને રોકી અને કહ્યું કે તને ચક્રવર્તી પુત્ર થશે અને તે દેવોને પ્રસન્ન કરી દૈત્યોનો વધ કરશે. હું પરમ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવા ગઈ ત્યારે એક નાગ મને ખેંચીને રસાતલમાં લઈ ગયો. ત્યાં હજારો નાગ, નાગપત્નીઓ અને નાગપુત્રો મારી સ્તુતિ કરવા લાગ્યા. કેટલાકે મારી પૂજા કરી. પછી તેમણે મારી પાસે આવીને યાચના કરી, ‘અમારો વધ કરવા તૈયાર થયેલા તારા પુત્રને રોકજે. આ સર્પો તારા પુત્રનો અપરાધ કરે એ કારણે તારો પુત્ર તેમનો વધ કરવા જાય તો તું તેને અટકાવજે.’ મેં તેમની વાત સ્વીકારી. પછી મને પાતાળના દિવ્ય અલંકારોથી અને પુષ્પોથી શણગારી પેલો નાગ મને તપ કરતાં પહેલાં જેવી સુંદર હતી તેવી કરીને આ ધરતી પર મૂકી ગયો. આવી સુશોભિત થયેલી મને જોઈને દુષ્ટ દૃઢકેશ દૈત્યે મને પકડી અને તમે મને છોડાવી. એટલે તમે મને સ્વીકારો, તમારા જેવો કોઈ રાજપુત્ર આ ધરતી પર નથી.’

કરન્ધમ રાજાએ પોતાને પુત્રપ્રાપ્તિ માટે કહેલા વચનને યાદ કરીને અવિક્ષિત બોલ્યો, ‘શત્રુઓથી પરાજિત થઈને મેં તારો ત્યાગ કર્યો હતો, હવે શત્રુઓને જીતીને તને મેળવી, તો મારે હવે શું કરવું તે મને કહે.’

કન્યાએ કહ્યું, ‘આ સુંદર વનમાં તમે મારું પાણિગ્રહણ કરો.’

એ જ સમયે કોઈ ગંધર્વ ત્યાં અપ્સરાઓ અને બીજા ગંધર્વો સાથે આવી ચઢ્યો અને બોલ્યો, ‘આ ભામિની મારી કન્યા છે, પણ તે અગસ્ત્ય મુનિના શાપથી વિશાલ રાજાની કન્યા થઈ. બાળકભાવે તેણે મુનિને કોપિત કર્યા અને તેમણે શાપ આપ્યો, ‘તું મનુષ્યલોકમાં જા.’ અમે તેમને પ્રસન્ન કર્યા ત્યારે તેમને કહ્યું, ‘એ નાની છે એટલે જ મેં તેને આવો શાપ આપ્યો છે. તે મિથ્યા તો નહીં થાય.’ આમ તે મારી કન્યા વિશાલ રાજાને ત્યાં જન્મી. એને માટે જ હું અહીં આવ્યો છું. તું તેની સાથે લગ્ન કર, એનાથી તને એક ચક્રવર્તી પુત્ર થશે.’

પછી અવિક્ષિતે તેની સાથે લગ્ન કર્યું, ગંધર્વોના પુરોહિત તુંબરુએ વિધિપૂર્વક હોમ કર્યો. દેવતાઓએ અને ગંધર્વોએ આનંદ મનાવ્યો અને બંને પતિપત્ની વિવિધ સ્થળે ક્રીડા કરવા લાગ્યા. સમયાંતરે તેમને એક પુત્ર જન્મ્યો.

(૧૨૪)