ભારતીયકથાવિશ્વ−૪/યોગવાસિષ્ઠ મહારામાયણની કથાઓ

Revision as of 22:10, 2 December 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| યોગવાસિષ્ઠ મહારામાયણની કથાઓ | }} {{Poem2Open}} === એક બાળકની કથા === એક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યોગવાસિષ્ઠ મહારામાયણની કથાઓ

એક બાળકની કથા

એક મૂર્ખ બાળકે પોતાની ધાવમાતાને પૂછ્યું, ‘જે પહેલાં થઈ ન હોય અને તમને આવડતી હોય એવી કથા કહો.’ તે સ્ત્રી હતી બુદ્ધિશાળી, તેણે કથા કહેવા માંડી, ‘એક મોટા શૂન્યાવકાશમાં રાજાને ત્રણ પુત્ર હતા. તે સદ્ગુણી, સુંદર હતા. તે ત્રણમાંથી બે તો જન્મ્યા ન હતા અને ત્રીજો પુત્ર તેની માતાના ઉદરમાં આવ્યો ન હતો. સ્વજનોનાં મૃત્યુથી દુઃખી થઈને બીજે રહેવા નીકળ્યા. તેઓ ગરમીથી કરમાઈ ગયા. મોં સમેત શરીર ધૂળધૂળ થઈ ગયું. તેમણે ત્રણ વૃક્ષ જોયાં, બે તો ઊગ્યાં ન હતાં અને ત્રીજાનું બી રોપાયું ન હતું. વૃક્ષ નીચે આરામથી બેસીને તેનાં ફળ ખાધાં. ફૂલોની માળા પહેરીને તેઓ આગળ ચાલી નીકળ્યા. બપોરે ત્રણ નદીઓ જોઈ, બે નદીઓમાં ત્રીજી સૂકી નદી પડી હતી. ત્રણેએ તેમાં ખાસ્સી વાર સુધી સ્નાન કર્યું. પછી સૂર્યાસ્ત વેળાએ ભવિષ્યમાં નિર્માણ થનારું એક નગર ધજાથી શોભતું. આગળ ચાલીને હીરામોતીથી મઢેલાં ત્રણ ભવન જોયાં, બેનું નિર્માણ થયું ન હતું અને ત્રીજું ભીંતો વિનાનું હતું. અંદર જઈને ત્રણ પાત્ર જોયાં, બે બ્રાહ્મણો શરીર વિનાના હતા, મુખ વિનાના ત્રીજાએ ભોજન કર્કહ્યું, ત્રણે પછી ભોજન કરીને તૃપ્ત થયાં.’

ઇન્દ્ર અને અહલ્યાની કથા

ઇન્દ્રદ્રુમ નામના રાજાની કમલાક્ષી પત્ની અહલ્યા. તે નગરમાં ઇન્દ્ર નામે બહુ સોહામણો પુરુષ હતો. રાજાની પત્નીએ પુરાણકાળની ઇન્દ્ર-અહલ્યા કથા સાંભળી. તેની એક સખીએ પ્રાચીન અહલ્યા સાથે રાણીની સરખામણી કરી અને પેલા ઇન્દ્રને સ્વર્ગના દેવ સાથે સરખાવ્યો. રાણી તો તે ઇન્દ્રના પ્રેમમાં પડી ગઈ અને વિરહ વેઠી ન શકવાને કારણે દિવસે દિવસે કંતાતી ચાલી. લોકલાજ પણ ત્યજી દીધી, છેવટે તેની સખીએ ઇન્દ્ર બ્રાહ્મણને લઈ આવવાની વાત કરી ત્યારે તે પ્રસન્ન થઈ ગઈ. સખી રાતે ઇન્દ્રને લઈ આવી અને બંને કોઈ ગુપ્ત સ્થળે મળ્યાં. પછી તો એકબીજા વિના તેઓ રહી શકતાં ન હતાં. રાજાને આની જાણ થઈ એટલે બંનેને શિક્ષા કરવા માંડી. પણ એ શિક્ષાની કશી અસર થતી ન હતી. રાજા કીચડમાં, બરફમાં બંનેને ફેંકાવે તો પણ તેમના પર કશી અસર થતી ન હતી. ઇન્દ્ર બધે જ અહલ્યા જ જોતો હતો અને અહલ્યા બધે જ ઇન્દ્ર જોતી હતી. ઇન્દ્ર બ્રાહ્મણે પછી રાજાને મનની અમરતાની અને શરીરના નાશની વાત કરી ત્યારે રાજાએ ત્યાં પાસે બેઠેલા ભરત મુનિને કહ્યું: આ બંનેને શાપ આપો. મુનિએ તેમને ‘મરી જાઓ’ એવો શાપ આપ્યો. પણ ‘શરીર નાશ પામશે, મન નાશ નહીં પામે’ એમ કહીને તેઓ મૃત્યુ પામ્યા, બીજા જન્મે બંને મૃગ થયા, પછી પક્ષી થયા. છેવટે પુણ્યશાળી બ્રાહ્મણ-બ્રાહ્મણી થયા.

લવણ રાજાની ચિત્રવિચિત્ર કથા

ઉત્તરપદા નામના દેશમાં ફળફૂલ, સરોવરથી ભરેલું એક નગર હતું. તેમાં વિદ્યાધર સ્ત્રીઓ હતી, રંગબેરંગી પંખી હતાં, કિન્નરો ગીત ગાતા હતા, કલ્પવૃક્ષ, પારિજાત હતાં, અને લવણ નામનો ધર્મનિષ્ઠ રાજા શત્રુ વિનાનો હતો, પ્રજારક્ષક હતો, સાધુસંતો, પુણ્યશાળીઓ ત્યાં સુખી હતા. તેના જેવો રાજા કોઈ સ્થાને પણ નજરે પડતો ન હતો. એક વેળા ત્યાં સંગીત, નૃત્ય થઈ રહ્યાં હતાં ત્યારે ત્યાં ઇન્દ્રજાળનો નિષ્ણાત જાદુગર આવ્યો અને તેણે રાજાને એક કૌતુક બતાવ્યું. પટારામાંથી મોરપીંછ કાઢીને ફેરવવા લાગ્યો. રાજાની નજરે અનેક રંગ પડ્યા. તે જ વેળા એક દૂત આવીને બોલ્યો, ‘જુુઓ આ ઘોડો. ઇન્દ્રના ઉચ્ચૈ:શ્રવા જેવો જ, પવનવેગી ઘોડો. આના પર સવાર થાઓ.’ રાજાએ ઘોડા સામે જોયું અને તે મૂચ્છિર્ત થઈ ગયો, રાજા હાલ્યાચાલ્યા વગર પડી રહ્યો એટલે બધા ચિંતાતુર થઈ ગયા. થોડી વારે ભાનમાં આવીને રાજાએ પૂછ્યું,‘આ નગર કોનું? અહીં રાજા કોણ? આ બધું શું છે?’ રાજાની વ્યાકુળ વાતો સાંભળીને સભાજનોએ તેનું કારણ પૂછ્યું; રાજાને તેનાં બુદ્ધિમત્તા, ઉદારતાની યાદ અપાવી ત્યારે રાજા થોડા સભાન થયા અને પછી ભ્રમ ભરેલી પોતાની વાત કહેવા લાગ્યા. ‘આખી પૃથ્વી પર મારું રાજ ચાલે, મારી આગળ ઇન્દ્રસભાની જેમ જ મંત્રીઓ છે. પેલા જાદુગરે મોરપીંછ કાઢીને ઘુમાવ્યું અને પછી એક દૂતે આણેલા ઘોડા પર હું સવાર થયો. હું અહીં ને અહીં બેઠો રહ્યો અને ઘોડો મને માનસિક રીતે દૂર દૂર લઈ ગયો, એક ભયાનક સ્થળે બધું સળગતું હતું, પછી એક મોટું વન આવ્યું. ત્યાં કશું પણ નજરે પડતું ન હતું. હું પરવશ, દુઃખી થઈ ગયો. માંડ માંડ રાત વીતાવી, સવારે આગળ ચાલવા માંડ્યું, ત્યાં વૃક્ષો-પંખીઓ જોયાં, આનંદ થયો, જાંબુ નીચે બેઠો અને પેલો ઘોડો તો ચાલ્યો ગયો. ને ખાવાપીવાનું કશું ન મળ્યું, સૂરજ આથમ્યો, મારી દશા ભારે થઈ. નિત્ય કર્મ ન થયાં. નહીં ફળફૂલ, નહીં પાણી. એવામાં એક કન્યા દેખાઈ, તેના હાથમાં માટલી હતી, મેં તેની પાસે કશું ખાવાનું માગ્યું ત્યારે તેણે કહ્યું, ‘તમે મારી સાથે લગ્ન કરો તો પાણી આપું; મારા પિતાને રાજી કરી દઈશ, મેં હા પાડી એટલે તેણે મને થોડું ભોજન આપ્યું, જાંબુનો થોડો રસ આપ્યો. મને ટાઢક વળી પણ મારો મોહ દૂર ન થયો. પછી તેણે મને તેના પિતા આગળ ઊભો કરીને કહ્યું, ‘મેં આને પતિ તરીકે સ્વીકાર્યો છે.’ તેણે હા પાડીને મને ભોજન આપ્યું. પછી પિતાના કહેવાથી તે મને તેને ઘેર લઈ ગઈ. ત્યાં હાડકાં, માંસ, લોહી પુષ્કળ હતાં. કાગડાથી માંડીને હાથીનાં ચામડાં પણ. એ બધામાં થઈને તે કન્યા મને તેની માતા પાસે લઈ ગઈ. તેની માતાએ પણ મારો જમાઈ તરીકે સ્વીકાર કર્યો. પછી ભોજન કર્યું, અનેક જન્મોનાં પાપ ભેગાં થયાં હોય એમ લાગ્યું. વિવાહ થઈ ગયો, અને નાચગાન થયાં. સાત દિવસ સુધી વિવાહોત્સવ ચાલ્યો, ત્યાં આઠ મહિના રહ્યો. પછી મારી પત્નીએ દુઃખ નામની કન્યાને જન્મ આપ્યો, તે જલદી જલદી મોટી થઈ ગઈ અને ત્રણ વરસની ઉંમરે તો એક બાળકે જન્મ લીધો; પછી એમ કરતાં કરતાં ત્રણ પુત્ર, ત્રણ પુત્રી જન્મ્યા. હું ચાંડાલોમાં ફસાઈ ગયો. ધરતી પર સૂવાનું, કપડાંનાં ઠેકાણાં નહીં, જૂનાં જૂનાં ફાટેલાં ચીંથરાં, અપવિત્ર માંસ લોહી ખાવા પીવા મળે છે. મારું શરીર વૃદ્ધ થઈ ગયું. વરસાદના અભાવે દુકાળ પડ્યો. બાર સૂરજ જાણે ભેગા થયા. વનમાં દાવાનળ, પ્રલયના સમય પહેલાં જાણે પ્રલય આવ્યો. પછી દુઃખી થઈને અમે પરિવાર સાથે જ્યાં ખોરાક-પાણીના સમાચાર મળતા ત્યાં જતા. અને દુઃખી દુઃખી થઈ ગયા. અમે નર્યા વૃદ્ધ થઈ ગયા. કર્મને અધીન થઈ ગયા. રાજત્વ ભૂલીને ચાંડાળત્વ ઘુંટાવા લાગ્યું. દુકાળમાં કશું ખાવાપીવાનું મળ્યું નહીં; કેટલાયે પરિવાર ત્યજી દીધો, કેટલાકે પહાડ પરથી કૂદીને આત્મહત્યા કરી. પછી એક ઝાડ નીચે બેઠો હતો ત્યારે સૌથી નાના બાળકે મારી પાસે ખાવાનું માગ્યું; મારી પાસે તો હતું નહીં. મેં એને મારું માંસ આપવાની ઇચ્છા બતાવી, તેણે હા પાડી. મેં ચિતા પ્રગટાવી, કહ્યું, ‘હું આ આગમાં બેસું છું, મારું માંસ રંધાઈ જાય ત્યારે તું ખાજે. મેં અગ્નિમાં પ્રવેશ કર્યો, મને ગરમી લાગી એટલે હું ધ્રૂજવા લાગ્યો. તમે લોકોએ મને ધૂ્રજતો જોયો, ફરી હું ઘોડા પર બેઠો.’