ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/જનક અને જનકપત્નીની કથા

From Ekatra Wiki
Revision as of 10:03, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જનક અને જનકપત્નીની કથા

એક વાર રાજા જનક ધન, સંતાન, મિત્ર, વિવિધ રત્ન, સનાતન માર્ગ, યજ્ઞકર્મ વગેરેમાં ત્યાગ કરીને સાવ અકિંચન થઈ ગયા. તેમણે નિર્ભય, નિર્મત્સર, નિરાકાંક્ષી બનીને એક મૂઠી શેકેલા જવ ખાઈને ભિક્ષાવૃત્તિ અપનાવી લીધી. આ જોઈને તેમની પત્ની ક્રોધે ભરાઈને કહેવા લાગી.

‘રાજન્, ધનધાન્યથી ભરેલું આ રાજ્ય ત્યજીને શા માટે ભિક્ષાવૃત્તિ અપનાવી છે? મૂઠીભર જવ ખાવા એ તમને જરાય શોભતું નથી. તમારી પ્રતિજ્ઞા તો જુદી હતી અને તમારો વર્તાવ એનાથી સાવ જુદો છે. તમે આટલું મોટું રાજ્ય ત્યજીને સાવ નાની નાની વસ્તુઓમાં આનંદ લઈ રહ્યા છો. એક મૂઠી ભૂંજેલા જવથી તમે ક્યારેય દેવતા, ઋષિ, પિતૃઓ, અતિથિઓને સંતોષી નહીં શકો; એટલે તમારો આ પુરુષાર્થ નિષ્ફળ જશે. દેવતા, અતિથિઓ, પિતૃઓ — આ બધાને ત્યજીને અને કર્મ બાજુ પર રાખીને સંન્યાસ ધર્મ અપનાવી રહ્યા છો. પહેલાં તો તમે ત્રણે વેદના પંડિત એવા હજારો બ્રાહ્મણોના તથા સંસારના બધા લોકોના પાલનહાર હતા, અને આજે તેમની પાસેથી જ ભિક્ષા માગીને પેટ ભરવા જઈ રહ્યા છો. ઝગમગાટભરી રાજ્યલક્ષ્મી ત્યજીને કૂતરાની જેમ પારકા અન્નની આશા પર આમતેમ ભટકી રહ્યા છો. આમ થવાને કારણે તમારી માતા પુત્રહીન અને પત્ની પતિહીન બની ગઈ જણાય છે. ધર્મની ઇચ્છાવાળા બધા તમારી પાસે ઘણી આશા રાખીને બેઠા છે, તેઓ કોઈ ફળ ઇચ્છે છે. મોક્ષપ્રાપ્તિ તો શંકાસ્પદ છે, આ બધા અનુયાયીઓને નિરાશ કરીને કયા લોકમાં જવા માગો છો? ધર્મપત્નીનો ત્યાગ કરીને તમે જીવવા માગો છો એટલે તમે પાપી ગણાઓ. એનાથી આ લોકમાં અને પરલોકમાં તમારું કલ્યાણ કદી નહીં થાય. તમે શા કારણે દિવ્ય સુવાસિત વસ્તુઓ, માળા, અનેક પ્રકારનાં વસ્ત્ર અને અલંકાર ત્યજીને સંન્યાસી બનવા માગો છો? તમે બધાં પ્રાણીઓ માટે પવિત્ર પરબ જેવા હતા, ફળથી ભરચક વૃક્ષ જેવા હતા, આજે તમે બીજાની ઉપાસના કરવા તૈયાર થયો છો. જો હાથી પણ હાલ્યાચાલ્યા વિના પુરુષાર્થ વિના કશી પ્રાપ્તિ કરી શકતો ન હોય તો તમારા જેવાની તો વાત જ શી? જો તમારું કમંડળ તોડીફોડી નાખે, ત્રિદંડ અને એક મૂઠી જવ લેવાની વૃત્તિ તમને કેમ થઈ. જો એક મૂઠી જવ અને એક મૂઠી જવમાં કેમ લલચાયા છો? તમે પ્રતિજ્ઞા કરી હતી કે સ્વર્ગત્યાગી થયો છું એમ તમે જે પ્રતિજ્ઞા કરી હતી તે એળે નથી જતી? જો તમે ચિદાનંદમાં જ મસ્ત રહેવા માગતા હો તો પછી હું તમારી કોણ-તમે મારા કોણ? આ સ્થિતિ કેવી રીતે ચલાવાય. કરવાનું જ કર્તવ્ય હોય તો પૃથ્વી પર શાસન કરો, રાજમહેલ, શય્યા, વાહન, વસ્ત્રાભૂષણો — આ બધાંનો ઉપભોગ કરો.

શ્રીહીન, અત્યંત દરિદ્ર, મિત્રો-સ્વજનોનો ત્યાગ, અકિંચન અને નિર્ધન લોકની જેમ જે ઉત્તમ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરે છે તેનાથી કયો લાભ — આવો ત્યાગ તો વિડમ્બના છે. જે દાન આપ્યા જ કરે છે અને જે દાન લે છે એમાં શ્રેષ્ઠ કોણ? એ બંને વચ્ચે કેટલું અંતર છે તેનો વિચાર કરો. દંભી અને સદા દાન નિષ્ફ્ળ જાય છે. જેમ અગ્નિ કોઈ વસ્તુને સળગાવ્યા વિના ઓલવાતો નથી. તેમ હમેશ દાન માગનાર ટકે છે, જો દાન કરનાર રાજા જ ન હોય તો મોક્ષાર્થી પુરુષો જીવશે કેવી રીતે? આ પૃથ્વી પર જેના ઘરમાં અન્ન છે તે જ ગૃહસ્થ; જીવન જીવશે કેવી રીતે? આ પૃથ્વી પર જેના ઘરમાં અન્ન છે તે જ ગૃહસ્થ; ભિક્ષુકો તે ગૃહસ્થોના આશ્રયે જ જીવનનિર્વાહ કરે છે. બધાં પ્રાણી અન્નથી જીવન ટકાવે છે, એટલે અન્નદાતા પ્રાણદાતા કહેવાય છે. ગૃહસ્થાશ્રમમાંથી બહાર નીકળીને સંન્યાસીઓ ગૃહસ્થોના આશરે જ શરીરને ટકાવી પ્રતિષ્ઠા અને યોગ ને પામે છે. બધી વસ્તુઓનો ત્યાગ કરીને, મુંડન કરાવીને, ભીખ માગવાથી કોઈ સંન્યાસી બની શકતું નથી. જે સરલ ભાવે બધાં જ સુખનો ત્યાગ કરે છે તે જ સંન્યાસી કહેવાય. જે આમ આસક્તિરહિત થઈ બહારથી આસક્તિની વાત કરે, ંમિત્ર-શત્રુને સમાન માને તે બધાં બંધનોમાંથી મુકત થઈ શકે અને એવા પુરુષને જ મુકત કહેવાય. મૂર્ખ લોકો ઘણી બધી આશાઓ સેવીને, શિષ્યો- મઠ મેળવવા માગતા હોય અને પછી ગૃહત્યાગ કરીને દાન લેવા માટે કાષાય વસ્ત્ર પહેરીને, માથું મુંડાવીને સંન્યાસી બને છે. તેઓ ત્રિવિદ્યા, વાર્તા શાસ્ત્ર, પુત્ર-પત્ની ત્યજીને હૃદયનો મેલ દૂર ન થાય અને ભગવા વસ્ત્ર પહેરો તો એ માત્ર ગુજરાન માટે જ છે, મારી દૃષ્ટિએ તો આ ધર્મદંભીઓ જીવનનિર્વાહ માટે જ આ બધું કરે છે. તમે ઇન્દ્રિયજિત બનીને ભગવા વસ્ત્ર, મૃગચર્મ, કૌપીન ધરાવતા તથા મુંડન કરાવેલા કે જટાધારી સાધુસંન્યાસીઓનું પાલન કરો. ગુરુ માટે નિત્ય અગ્નિહોત્ર માટે સંમિધ લાવી યજ્ઞોનું અનુષ્ઠાન કરે છે, દાન કરે છે એનાથી મોટો ધર્માત્મા કોણ?’


(શાન્તિપર્વ, ૧૮)