ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દીર્ઘાયુષ્ય કોનું?


દીર્ઘાયુષ્ય કોનું?

બધા ઋષિઓએ અને પાંડવોએ માર્કંડેય મુનિને પૂછ્યું, ‘તમારાથી પણ મોટી વયના કોઈ છે?’

‘રાજા ઇન્દ્રદ્યુમ્ન મારાથી પણ મોટા છે. પુણ્યનાશ થવાથી જ્યારે તેઓ સ્વર્ગમાંથી પતન પામ્યા ત્યારે મારી પાસે આવ્યા હતા, તેમણે કહ્યું, ‘મારી કીતિર્ નાશ પામી. શું મને ઓળખો છો?’

‘અમે રસાયણશાસ્ત્ર જાણતા નથી. અમે તો તપ કરીને શરીર સૂકવી નાખીએ છીએ. એટલે તમે કોણ છો તે અમે નથી જાણતા. મારાથી પણ મોટી વયનો પ્રાકારકર્મ નામનો ઘુવડ હિમાલયમાં રહે છે. તમે તેની પાસે જાઓ, તે બહુ દૂર દૂર હિમાલય પર રહે છે.’

એટલે ઇન્દ્રદ્યુમ્ન અશ્વ થઈ ગયો અને હું એના પર સવાર થઈ ગયો. રાજા ઇન્દ્રદ્યુમ્ને તે ઘુવડને પૂછ્યું, ‘શું તું મને ઓળખે છે?’

તેણે થોડી વાર વિચાર કરીને કહ્યું, ‘હું તમને નથી ઓળખતો.’

આ સાંભળી રાજાએ ફરી તેને પૂછ્યું, ‘તારા કરતાં પણ મોટી વયનો કોઈ છે?’

ત્યારે ઘુવડે કહ્યું, ‘મારાથી પણ મોટી વયનો નાડીજંઘ નામનો એક બગલો છે. તે મારાથી પણ મોટી વયનો છે. તેને પૂછી જુઓ. પછી ઇન્દ્રદ્યુમ્ન મને અને ઘુવડને લઈને નાડીજંઘ જે સરોવરમાં રહેતો હતો ત્યાં ગયો, અમે તેને પૂછ્યું, ‘આ ઇન્દ્રદ્યુમ્ન રાજાને તું ઓળખે છે?’

તેણે થોડી વાર ધ્યાનમગ્ન થઈને કહ્યું, ‘હું આ રાજાને નથી જાણતો.’

પછી અમે તેને પૂછ્યું, ‘તારાથી પણ મોટી ઉમરનો કોઈ છે?’

તેણે કહ્યું, ‘આ જ સરોવરમાં અકૂપાર નામનો કાચબો મારા કરતાંય મોટી વયનો છે.’

કદાચ તે રાજાને ઓળખતો હોય એમ માની તેને પૂછવાનો વિચાર કર્યો. એ બગલાએ કાચબાને અમારો પરિચય આપ્યો. અમે તેને પૂછ્યું, ‘ અમે તને કશું પૂછવા આવ્યા છીએ. તું બહાર આવ.’

આ સાંભળી કાચબો સરોવરમાંથી બહાર આવ્યો.

અમે જ્યાં ઊભા હતા ત્યાં તે પાસે આવ્યો.

તેને આવતો જોઈ અમે પૂછ્યું, ‘તું ઇન્દ્રદ્યુમ્ન, તમારા માટે સ્વર્ગ તૈયાર છે, જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમે કીતિર્માન થાઓ. પુણ્યકર્મનો શબ્દ જ્યાં સુધી સ્વર્ગ અને પૃથ્વી પર રહે છે ત્યાં સુધી તે વ્યક્તિ સ્વર્ગમાં રહે છે જ્યારે કોઈ પ્રાણીનો અપયશ થાય છે ત્યારે તે નીચ લોકમાં રહે છે. એટલે મનુષ્યોએ હમેશા ઉત્તમ કર્મો કરવાં જોઈએ અને ખરાબ કર્મોમાંથી ચિત્તને દૂર રાખવું જોઈએ.’

આ સાંભળીને રાજાએ કહ્યું, ‘તમે અહીં ઊભા રહો. અમે આ બે વૃદ્ધોને તેમના સ્થાને પહેલાં પહોંચાડી આવીએ. એટલે રાજા મને તથા ઘુવડને અમારાં સ્થાને પહોંચાડી પેલા દિવ્ય રથ પર આરૂઢ લઈ ચાલ્યા ગયા.’

(આરણ્યક પર્વ, ૧૯૧)