ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/માતલિ જમાઈની શોધમાં

From Ekatra Wiki
Revision as of 07:05, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માતલિ જમાઈની શોધમાં

ત્રિલોકના રાજા ઇન્દ્રના સારથિ માતલિને એક જ કન્યા હતી અને તે પોતાના રૂપને કારણે લોકોમાં વિખ્યાત હતી. તે દેવરૂપિણી કન્યા ગુણકેશી નામથી પ્રસિદ્ધ હતી. તે શોભાથી અને સુંદર કાયાથી બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ હતી. તેના વિવાહનો સમય આવ્યો એટલે એ વિશે માતલિ પત્ની સાથે વિચારવિમર્શ કરવા લાગ્યો. ‘જેઓ શ્રેષ્ઠ શીલસ્વભાવના છે, જે ઊંચા કુટુંબમાં ઉત્પન્ન થયેલા યશસ્વી અને ઉત્તમ બળવાળા છે તે લોકોને ત્યાં કન્યા હોવી દુઃખની વાત છે. તે માતૃકુલને, પિતૃકુલને તથા પતિકુલને સંશયમાં મૂકી દે છે. મેં માનસદૃષ્ટિને આધારે દેવલોક અને મનુષ્યલોકને હરીફરીને પુત્રી માટે વર શોધ્યો છે પણ મને કોઈ વર પસંદ પડતો નથી. મેં દેવતાઓ, દૈત્યો, ગંધર્વો, મનુષ્યો અને ઋષિઓને પણ જોયા, પણ કોઈ યોગ્ય વર નથી મળતો. ત્યારે રાત્રે પત્ની સુધર્મા સાથે મંત્રણા કરીને નાગલોકમાં જવાનો વિચાર કર્યો. ‘દેવતાઓ અને મનુષ્યોમાં તો ગુણકેશીનો સમોવડિયો કોઈ રૂપવાન યુવાન મળ્યો નથી. નાગલોકમાં એને લાયક કોઈ પાત્ર અવશ્ય મળી આવશે.’ સુધર્મા સાથે વાતચીત કરીને ઇષ્ટ દેવની પરિક્રમા કરી, કન્યાનું મસ્તક સૂંઘ્યું અને મહીતલ(પાતાળ)માં પ્રવેશ્યો. તે જ વેળા વરુણદેવને મળવા જતા નારદનો આકસ્મિક ભેટો નાગલોકની દિશામાં જતા માતલિને થઈ ગયો. નારદે પૂછ્યું, ‘તું ક્યાં જવા નીકળ્યો છે? તારી આ યાત્રા અંગત છે કે શતક્રતુની આજ્ઞાથી છે?’ ત્યારે વરુણને મળવા જતા નારદે આમ પૂછ્યું એટલે માતલિએ પોતાનું કાર્ય યથાવત્ જણાવ્યું. ત્યારે મુનિએ માતલિને કહ્યું, ‘આપણે સાથે જઈએ. હું પણ સલિલ (જળ)ના સ્વામીના દર્શન કરવા દેવલોકથી આવ્યો છું. વસુધા (પૃથ્વી)ની નીચે આવેલ સર્વનો પરિચય કરીશ, હે માતલિ! ત્યાં આપણે યોગ્ય વરને જોઈ પસંદ કરીશું.’ ત્યાર પછી માતલિ અને નારદ બંને મહાત્માઓએ પૃથ્વીના પેટાળમાં પ્રવેશી જળના સ્વામી લોકપાલ વરુણનાં દર્શન કર્યાં. દેવર્ષિઓની જેમ નારદ અને મહેન્દ્રની જેમ માતલિનાં સત્કાર-પૂજા કરવામાં આવ્યાં. ત્યાર પછી બંનેએ પ્રસન્ન થઈને પોતાનું કાર્ય જણાવ્યું અને વરુણની આજ્ઞા લઈને તેઓ નાગલોકમાં વિહરવા લાગ્યા. નારદ પાતાળલોકમાં વસતાં બધાં પ્રાણીઓને ઓળખતા હતા. એટલે માતલિને બધી વસ્તુઓનો પરિચય વિસ્તારથી કરાવવા બેઠા. નારદે કહ્યું, ‘સૂત, તેં પુત્રો અને પૌત્રોથી ઘેરાયેલા વરુણદેવનું દર્શન કર્યુ, આ વરુણનું સમૃદ્ધશાળી સર્વતોભદ્ર નિવાસસ્થાન છે. આ ગોમતિ વરુણના મહાપ્રાજ્ઞ પુત્ર છે. શીલ, સદાચાર, પવિત્રતાને કારણે તેમનું વિશિષ્ટ સ્થાન છે. વરુણના આ પુત્ર પુષ્કર છે. તેમનાં નેત્ર કમળ સરખાં છે, રૂપવાન છે, દર્શનીય છે. સોમપુત્રીએ પતિ તરીકે તેમને પસંદ કર્યા છે. સોમની બીજી પુત્રી જ્યોત્સ્ના કાલી નામથી જાણીતી છે, રૂપમાં સાક્ષાત્ લક્ષ્મી છે. તેણે અદિતિના જ્યેષ્ઠ પુત્ર સૂર્યદેવને પતિ બનાવ્યા છે. હે સુરપતિસખા, આ વરુણીનું ભવન છે, તે આખું કાંચનનું છે. અહીં પહોંચીને જ દેવગણ દેવત્વલાભ કરે છે. જે દૈત્યોનાં રાજ્ય છિનવાઈ ગયાં છે તેમનાં તેજસ્વી શસ્ત્રો અહીં જોવા મળે છે. આ બધાં અક્ષય અસ્ત્રશસ્ત્ર છે, શત્રુ પર પ્રહાર કરીને ફરી પાછા આવી જાય છે, દૈત્યોએ બનાવેલાં અસ્ત્ર પણ છે. તેજસ્વી અગ્નિદેવ વરુણદેવના સરોવરમાં પ્રકાશિત થાય છે. આ ધૂમ્રહીન અગ્નિદેવે વિષ્ણુના ચક્રને અવરુદ્ધ કરી દીધા હતા. વજ્રની ગાંઠને ‘ગાંડી’ કહે છે. ધનુષ્ય એનું જ બનેલું છે એટલે તેને ગાંડીવ કહે છે. લોકસંહાર માટે એનું નિર્માણ થયું છે. દેવતાઓ નિત્ય એની રક્ષા કરે છે. આ ધનુષ્ય જરૂર પડે ત્યારે લાખગણી શક્તિ મેળવી ધીરે ધીરે બળવાન થાય છે અને નિત્ય અવિચળ રહે છે. બ્રહ્મવાદી બ્રહ્માએ આ પ્રચંડ ધનુષનું નિર્માણ કર્યું હતું. રાક્ષસ જેવા રાજાઓમાં જે અદમ્ય છે તેમનું પણ દમન કરી શકે છે. આ ધનુષ્ય રાજાઓ માટે એક મોટું અસ્ત્ર છે, તેનું વર્ણન ઇન્દ્રે પણ કર્યું છે. આ મહાન અભ્યુદયકારી ધનુષને સલિલરાજ વરુણના પુત્ર ધારણ કરે છે. આ છત્રમાંથી પડેલું પાણી ચંદ્ર જેવું નિર્મળ જળ અંધકારથી આચ્છન્ન થઈને વહે છે, એટલે તેનું દર્શન થતું નથી. હે માતલિ, અહીં બહુ અદ્ભુત વસ્તુઓ છે પરંતુ બધાને જોવા બેસીશું તો તારા કાર્યમાં વિલંબ થશે એટલે હવે અહીંથી જલદી નાગલોકમાં પ્રયાણ કરીએ. આ નાગલોકના નાભિસ્થાનમાં (મધ્ય ભાગમાં) આવેલું નગર પાતાલ કહેવાય છે. આ નગરમાં દૈત્ય અને દાનવો વસે છે.

હે માતલિ, જો તને અહીં કોઈ ગુણવાન વર દેખાય તો આપણે પ્રયત્ન કરીને તેની પસંદગી કરીએ. જળની અંદર એક ઈંડું છે, તે પોતાની પ્રભાથી દેદીપ્યમાન દેખાય છે. જ્યારથી આ સૃષ્ટિનો આરંભ થયો છે ત્યારથી આ ઈંડું નથી ફૂટતું, નથી આમતેમ હાલતું. તેની જાતિ કે સ્વભાવ વિશે કશું સંભળાયું નથી. તેના માતાપિતા વિશે કોઈ જાણતું નથી. હે માતલિ, કહે છે કે પ્રલયકાળમાં આ ઈંડાની અંદરથી એક મોટી આગ પ્રગટશે, જે બધાં જ ચરાચર સૃષ્ટિને, ત્રિલોકને ભ્રષ્ટ કરી નાખશે.’

નારદની આ વાતો સાંભળીને માતલિએ કહ્યું, ‘મને અહીં કોઈ પણ વર પસંદ પડ્યો નથી.’

(હવે પક્ષીલોકના પરિચય અહીં બહુ વિગતે આપવામાં આવ્યા છે)

...

‘હે માતલિ, જો આમાં તારી રુચિ ન હોય તો બીજે જઈએ, હવે જ્યાં તને ગમે તેવો વર મળી રહે ત્યાં તને લઈ જઉં.

‘હે માતલિ, આ રસાતલ નામે ઓળખાતું પૃથ્વીનું સાતમું તલ છે...

(હવે નાગોનું વર્ણન વિગતે કરવામાં આવ્યું છે)

...

ત્યારે માતલિ સ્થિર થઈને એક નાગનું નિરીક્ષણ કરીને પ્રસન્ન થઈ ઊઠ્યા અને તેમણે નારદને પૂછ્યુું, ‘હે દેવષિર્, કૌરવ્ય અને આર્યકની આગળ કાન્તિમાન અને દર્શનીય નાગકુમાર ઊભો છે, તે કોના કુળને આનંદિત કરનારો છે? તેના માતાપિતા કોણ છે? કોનો પૌત્ર છે, કોના વંશની મહાન ધ્વજાની જેમ શોભામાં વૃદ્ધિ કરી રહ્યો છે? હે દેવષિર્, આ પોતાનાં એકાગ્રતા, ધૈર્ય, રૂપ, યૌવન — આ બધાંને કારણે મારા મનમાં વસી ગયો છે, આ ગુણકેશીનો ઉત્તમ વર થવાને યોગ્ય છે.’

માતલિને સુમુખના દર્શનથી પ્રસન્ન થયેલા જોઈ નારદે ત્યારે તે નાગકુમારના જન્મ, કર્મ અને માહાત્મ્યનો પરિચય આપવા માંડ્યો. ‘ઐરાવત કુળમાં જન્મેલો આ સુમુખ છે, તે આર્યકનો પૌત્ર અને વામનનો દૌહિત્ર છે, તેના પિતા ચિકુર છે, થોડા સમય પહેલાં ગરુડે તેમનો ગ્રાસ કરી લીધો છે.’

ત્યારે માતલિએ પ્રસન્ન થઈને નારદને કહ્યું, ‘આ શ્રેષ્ઠ ભુજગ (નાગ) જમાઈ તરીકે મને પસંદ છે. હું એનાથી પ્રસન્ન છું. તમે એને માટે પ્રયત્ન કરો. હું આ નાગપતિને મારી પુત્રી આપવા માગું છું.’ નારદે કહ્યું, ‘આ ઇન્દ્રના સખા અને સારથિ માતલિ છે. તેમનામાં પવિત્રતા, શીલ, સદ્ગુણો છે. તેઓ તેજસ્વી હોવા ઉપરાંત બલ, પરાક્રમથી સંપન્ન છે. ઇન્દ્રના મંત્રી, મિત્ર, સારથિ છે. પ્રત્યેક યુદ્ધમાં તે વાસવ(ઇન્દ્ર)ની સાથે જ હોય છે. તેમનો પ્રભાવ ઇન્દ્ર કરતાં થોડો ઓછો છે. દેવાસુર સંગ્રામમાં સહ અશ્વોથી જોડાયેલા દેવરાજના ઉત્તમ રથનું સંચાલન-નિયંત્રણ તેઓ મનથી જ કરે છે. તેઓ પોતાના અશ્વો દ્વારા જે શત્રુઓને જીતી લે છે, તેમને ઇન્દ્ર બાહુબળ વડે પરાજિત કરે છે. તેમની એક કન્યા છે, રૂપમાં પૃથ્વી પર તેનો જોટો નહીં જડે. તેનું નામ છે ગુણકેશી. તે સત્ય, શીલ, સદ્ગુણથી સંપન્ન છે. આ માતલિ અતિશય પ્રયત્ન કરીને પોતાની કન્યા માટે વર શોધવા ત્રણ લોકમાં ફરતા ફરતા અહીં આવ્યા છે, તમારો પૌત્ર સુમુખ જમાઈ તરીકે તેમને પસંદ છે. હે સૌમ્ય નાગશ્રેષ્ઠ, જો તમને આ સંબંધ યોગ્ય લાગતો હોય તેો જલદી તેમની પુત્રી સાથે વિવાહ કરવાનો નિર્ણય કરો. જેવી રીતે વિષ્ણુના ઘરે લક્ષ્મી, અગ્નિના ઘરે સ્વાહા શોભે છે એવી રીતે આ સુંદરી ગુણકેશી તમારા કુળમાં શોભશે. એટલે તમે તમારા પૌત્ર માટે આનો સ્વીકાર કરો. જેવી રીતે ઇન્દ્રને શચી છે તેવી રીતે તમારા પૌત્રને અનુરૂપ ગુણકેશી તમારા અને ઐરાવત પ્રત્યે અમારા હૃદયમાં વિશેષ માન છે, આ સુમુખ પણ શીલ, પવિત્રતા, ઇન્દ્રિયસંયમ જેવા ગુણોથી સંપન્ન છે. પિતૃહીન હોવા છતાં અમે આ ગુણોને કારણે અમે એમની વરણી કરી છે. આ માતલિ સ્વયં કન્યાદાન કરવા આતુર છે, તમારે પણ એમ એમનો આદર સત્કાર કરવો જોઈએ.’

નાગરાજ આર્યક પ્રસન્નતાપૂર્વક દીનભાવથી બોલ્યા, ‘દેવષિર્, મારો પુત્ર મૃત્યુ પામ્યો અને પૌત્ર પણ મૃત્યુ પામવાનો છે. તમારા વચન માટે મને બહુ આદર છે, અને આ માતલિ જે ઇન્દ્રની સાથે રહેનારો છે, તે કોને પ્રિય ન હોય? પરંતુ મહામુનિ, હું દુર્બલતાથી ચિતામાં પડ્યો છું, આ બાળકનો પિતા મારો પુત્ર હતો, તે ગરુડનું ભોજન બની ગયો, આ દુઃખથી અમે પીડાઈએ છીએ. જ્યારે ગરુડ અહીંથી જઈ રહ્યા હતા ત્યારે ફરી કહેતા ગયેલા કે બીજા મહિને હું સુમુખને પણ ખાઈ જઇશ. અને આમ જ થશે, અમે ગરુડનો નિશ્ચય જાણીએ છીએ. સુપર્ણ(ગરુડ)ના આ વચનથી અમારો આનંદ નષ્ટ થઈ ગયો છે.‘

માતલિએ આર્યકને કહ્યું, ‘આ વિશે મેં એક નિર્ણય કર્યો છે, મેં તમારા પૌત્રને જમાઈ તરીકે તો સ્વીકાર્યો જ છે એ તો નિશ્ચિત છે. આ નાગકુમાર મારી અને નારદની સાથે ત્રિલોકપતિ ઇન્દ્ર પાસે જઈને તેમના દર્શન કરે. ત્યાર પછી હું શેષ કાર્ય દ્વારા એના આયુષ્ય વિશે જાણકારી મેળવીશ અને ગરુડ એને મારે નહીં એ માટે પણ પ્રયત્ન કરીશ. નાગરાજ, તમારું કલ્યાણ થાઓ. કાર્યસિદ્ધિ માટે મારી સાથે સુમુખને આવવા દો.’ ત્યાર પછી મહાતેજસ્વી સજ્જનોએ સુમુખને સાથે રાખીને કાન્તિમાન ઇન્દ્રનાં દર્શન કર્યાં. ત્યાં ચતુર્ભુજ વિષ્ણુ પણ ઉપસ્થિત હતા. દેવષિર્ નારદે માતલિ સંબંધિત આખી વાત બધાને કરી.

એટલે વિષ્ણુએ ભુવનેશ્વર પુરંદર(ઇન્દ્ર)ને કહ્યું, ‘તમે એને અમૃત આપી દેવતાઓની જેમ અમર બનાવી દો. હે વાસવ(ઇન્દ્ર), માતલિ, નારદ અને સુમુખ — આ બધા તમારી પાસેથી ઇચ્છાનુસાર દાન મેળવી તેમનો અભીષ્ટ મનોરથ પૂર્ણ કરી લે.’ ત્યારે પુરંદરે વૈનતેય (વિનતાપુત્ર, ગરુડ)ના પરાક્રમનો વિચાર કરી વિષ્ણુને કહ્યું, ‘તમે જ એને ઉત્તમ આયુષ્ય આપો ને!’

વિષ્ણુએ કહ્યું, ‘પ્રભુ, વિશ્વનાં સર્વ ચરાચર પ્રાણીઓના ઈશ્વર તમે છો. તમે જેને આયુષ્ય આપો તેને મિથ્યા કરવાનું સાહસ કોનામાં છે?’ ત્યારે ઇન્દ્રે તે નાગને લાંબું આયુષ્ય આપ્યું પણ વલાસુર અને વૃત્રાસુરનો વધ કરનારા ઇન્દ્રે તેને અમૃત ન આપ્યું. ઇન્દ્રનું વરદાન પામીને સુમુખનું મોં પ્રસન્ન પ્રસન્ન થઈ ઊઠ્યું. વિવાહ કરીને તે ઇચ્છાનુસાર પોતાને ઘેર ગયો. નારદ અને આર્યક બંને કૃતકૃત્ય થઈ મહાતેજસ્વી દેવરાજની અર્ચના કરીને પ્રસન્નતાપૂર્વક પોતાને ઘેર ગયા.

મહાબલી ગરુડે ઇન્દ્રે સુમુખને દીર્ઘાયુષ્ય આપ્યું તેની કથા યથાર્થ રૂપે સાંભળી. તે સાંભળીને આકાશચારી સંપૂર્ણ પાંખોના પ્રચંડ વાયુથી ત્રણે ભુવનને કંપાવતો ઇન્દ્ર પાસે દોડી ગયો. ‘ભગવાન્, મારી ક્ષુધામાં તમે અવજ્ઞા કરીને અંતરાય શા માટે ઊભો કર્યોં? મને ઇચ્છાનુસાર કાર્ય કરવાનું વરદાન આપ્યા પછી એમાંથી ફરી કેમ જાઓ છો? બધાં પ્રાણીઓનાં સ્વામી વિધાતાએ સંપૂર્ણ પ્રાણીસૃષ્ટિનું સર્જન કરતી વેળાએ મારો આહાર નિશ્ચિત કર્યો હતો. એમાં તમે વિઘ્ન કેમ ઊભું કરો છો? તે મહાનાગને મારા ભોજન માટે મેં પસંદ કરી રાખ્યો હતો. એના દ્વારા મારે મારા વિશાળ પરિવારનું ભરણપોષણ કરવાનું હતું. હવે મારી વાત અવળી થઈ ગઈ. તે દીર્ઘાયુ થઈ ગયો એટલે તેને બદલે હું બીજાની હિંસા નથી કરી શકતો. સ્વેચ્છાચારને નિમિત્તે તમે રમતો રમી રહ્યા છો. હે વાસવ, હવે હું પ્રાણત્યાગ કરીશ. મારા પરિવારમાં અને મારે ઘેર જે ભરણપોષણ યોગ્ય પ્રાણીઓ છે તે પણ ભોજન વિના પ્રાણત્યાગ કરશે. હવે તમે સંતોષ પામજો. વલ અને વૃત્રના વધ કરનારા દેવ, હું આને જ યોગ્ય છું. ત્રણે લોક પર શાસન કરવાને સમર્થ હોવા છતાં હું બીજાની સેવા કરું છું. હે ત્રિલોકનાથ, તમે હો તો ભગવાન વિષ્ણુ પણ મારી જીવિકા રોકવામાં કારણરૂપ ન હોઈ શકે. વાસવ, ત્રણે લોકનો ભાર સદા તમારી ઉપર જ છે. મારી મા પણ દક્ષની પુત્રી છે, મારા પિતા કશ્યપ છે. હું પણ અનાયાસે બધા લોકનો ભાર ઝીલી શકું છું. બીજાં પ્રાણીઓ સહી ન શકે એટલું બળ મારામાં છે. મેં પણ દૈત્યો સાથેની લડાઈમાં મોટું પરાક્રમ કર્યું છે. મેં શ્રુતશ્રી, શ્રુતસેન, વિવસ્વાન, રોચનામુખ, પ્રસન્ન, કાલકાક્ષ નામના દૈત્યોનો વધ કર્યો હતો. વળી હું રથની ધજા ઉપર રહી તમારા નાના ભાઈ વિષ્ણુની સેવા કરું છું. એમનું વાહન બની તેમનો ભાર ઝીલું છું એટલે તમે મારી ઉપેક્ષા કરો છો? વિષ્ણુ ભગવાન સિવાય આ ભાર વેઠવા બીજું કોણ સમર્થ છે? મારાથી વધુ બળવાન કોણ છે? હે વાસવ, તમે મારી અવજ્ઞા કરીને મારું ભોજન છિનવી લીધું છે, તેને કારણે તમારા અને વિષ્ણુ ભગવાન દ્વારા મારું સમગ્ર ગૌરવ નષ્ટ થઈ ગયું છે. હે વિષ્ણુ! અદિતિના ગર્ભમાંથી બળ અને પરાક્રમથી સુશોભિત દેવતા ઉત્પન્ન થયા છે, આ બધામાં વિશેષતાની દૃષ્ટિએ અધિક શકિતશાળી તો તમે છો. હે તાત, હું તમને મારી પાંખના એક ભાગ ઉપર બેસાડીને થાક્યા વિના ફેરવું છું. ધીરે રહીને વિચારો કે અહીં સૌથી વધુ બળવાન કોણ છે?’ ગરુડની આ વાતો ભયંકર પરિણામવાળી હતી, તે સાંભળીને ચક્રપાણિ વિષ્ણુએ કોઈનાથી ક્ષુબ્ધ ન થનાર ગરુડને ક્ષુબ્ધ કરતા કહ્યું,

‘હે ગરુડ, તું છે તો દુર્બલ, પણ તારી જાતને બહુ બળવાન માને છે, હે અંડજ, મારી આગળ તું કદી બળની પ્રશંસા ન કરીશ. સમગ્ર ત્રિલોક મળીને મારા શરીરનો ભાર વહેવા અસમર્થ છે. હું જ મારો ભાર વહું છું અને તને ધારણ કરું છું. તું મારા જમણા હાથનો ભાર ઊંચકી જો. જો તું આ એકને ધારણ કરીશ તો તારી આત્મપ્રશંસા સફળ થયેલી માનીશ.’ એમ કહી ભગવાને પોતાનો જમણો હાથ ગરુડના ખભા પર મૂકયો, તેના ભારથી પીડિત અને વિહ્વળ થયેલો ગરુડ અચેતન થઈ પડી ગયો. પર્વતો સમેત પૃથ્વીનો જેટલો ભાર હોઈ શકે તેટલો એક જ હાથનો છે એનો અનુભવ ગરુડને થયો. અત્યંત બળવાન ભગવાન અચ્યુતે (વિષ્ણુએ) ગરુડને બળપૂર્વક દબાવ્યો ન હતો એટલે તેમના જીવનનો નાશ ન થયો. તે ભારથી અત્યંત પીડાઈને ગરુડની પાંખો વિકૃત થઈ ગઈ. તેમનું શરીર શિથિલ થઈ ગયું. તેણે અચેત અને વિહ્વળ થઈને પાંખો ત્યજી દીધી. અચેત અને વિહ્વળ થયેલા વિનતાપુત્રે વિષ્ણુને પ્રણામ કરી દીનભાવે કહ્યું.

‘ભગવન્, તમે સંસારના સારતત્ત્વ સમાન તમારા આ હાથે હું દબાઈને પૃથ્વી પર પડી ગયો છું, એ હાથ તમે સ્વાભાવિક રીતે મારા પર મૂક્યો હતો. હે દેવ, વિહ્વળ થવાથી હું બેસુધ થયો, તમારા બળ રૂપી અગ્નિથી પ્રજ્વળી જનાર અને તમારી ધજા પર રહેનાર આ પક્ષીને ક્ષમા કરો. હે વિભુ, મને તમારા આ પરમ બળનો ખ્યાલ ન હતો. એટલે જ હું મારા બળ અને પરાક્રમને બીજાઓ કરતાં ઘણાં વધારે માનતો હતો.’

ગરુડે આમ કહ્યું એટલે ભગવાને તેના પર કૃપાદૃષ્ટિ કરી, અને સ્નેહપૂર્વક કહ્યું, ‘હવે ઘમંડ ન કરીશ.’


(ઉદ્યોગપર્વ, ૯૫થી ૧૦૩)