ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મૃત્યુ

From Ekatra Wiki
Revision as of 09:07, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મૃત્યુ

આદિકાળમાં મહાતેજસ્વી પિતામહ બ્રહ્માએ પ્રજાસૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સંહારની કોઈ યોજના ન હતી. આ જગતને પ્રાણીઓથી છવાયેલું અને મૃત્યુરહિત જોઈ પ્રાણીઓના સંહાર માટે તે ચિંતિત થયા. બહુ વિચાર્યા છતાં સંહારનો કોઈ ઉપાય ન મળ્યો. ત્યારે રોષને કારણે બ્રહ્માના શ્રવણ-નેત્રમાંથી અને અન્ય ઇન્દ્રિયોમાંથી અગ્નિ પ્રગટ થયો. આ અગ્નિ જગતને બાળી નાખવા બધી દિશાઓ અને વિદિશાઓમાં પ્રસરી ગયો. ત્યાર પછી આકાશ અને પૃથ્વી પર ચારે તરફ આગની પ્રચંડ જ્વાળાઓ પ્રસરી ગઈ. પ્રજ્વલિત કરાયેલા શક્તિશાળી અગ્નિદેવ મહાન ક્રોધના વેગથી બધાને ત્રાસ પમાડીને જગતને દઝાડવા લાગ્યા. આને કારણે ઘણાં સ્થાવર જંગમ પ્રાણીઓનો નાશ થયો. ત્યાર પછી નિશાચરોના સ્વામી રુદ્ર પરમશ્રેષ્ઠી બ્રહ્માના શરણે ગયા. પ્રજાહિતની કામનાથી આવેલા રુદ્રને જોઈ મહામુનિ પરમ દેવ બ્રહ્મા તેજથી પ્રજ્વલિત થતાં થતાં બોલ્યા, ‘ઇચ્છિત મનોરથ સિદ્ધ કરવા યોગ્ય પુત્ર, તું મારા માનસિક સંકલ્પથી જન્મ્યો છે. હું તારી કઈ ઇચ્છા પૂરી કરું? જે જોઈએ તે કહે. તારું સર્વ પ્રિય હું કરીશ.’

સ્થાણુ (રુદ્ર) બોલ્યા, ‘હે વિભુ, તમે પ્રજાસૃષ્ટિ માટે જાતે જ પ્રયત્ન કર્યો છે. તમે જુદા જુદા પ્રકારની પ્રાણીસૃષ્ટિ રચી અને તેની વૃદ્ધિ કરી. તમારા ક્રોધથી આ તમારી સમગ્ર પ્રજા પ્રજ્વળી ઊઠી છે, એમને માટે મારા હૈયામાં કરુણા પ્રગટી છે, આ પ્રજા પર કૃપા કરો.’

બ્રહ્માએ કહ્યું, ‘આ પ્રકારે જગતનો સંહાર થાય એવી મારી ઇચ્છા નથી. પૃથ્વીના હિત માટે મારા મનમાં ક્રોધ જાગ્યો. આ દેવીએ જ ભારથી પીડાઈને જગતના સંહાર માટે મને પ્રેર્યો હતો. તે સતી બહુ ભારથી દબાયેલી હતી. મેં ઘણા ઉપાયો વિચાર્યા, પણ સંહારનો કોઈ ઉપાય મળ્યો નહીં એટલે મારામાં ક્રોધ વ્યાપ્યો.’

રુદ્રે કહ્યું, ‘વસુધાસ્વામી, રોષ ન કરો, જગતનો સંહાર ન થાય એટલા માટે પ્રસન્ન થાઓ. આ સ્થાવર જંગમ પ્રાણીઓનો વિનાશ ન કરો. ભગવન્, તમારી કૃપાથી આ જગત ભૂત, ભવિષ્ય અને વર્તમાન- ત્રણ રૂપોમાં વિભક્ત થઈ જાય. તમે ક્રોધથી પ્રજ્વલિત થઈને ક્રોધપૂર્વક જે અગ્નિની સૃષ્ટિ સર્જી છે તે પર્વતશિખરો, વૃક્ષો, સરિતાઓને બાળી રહી છે. નાનાં જળાશયો, સર્વ પ્રકારનાં તૃણ લતા, સ્થાવરજંગમ જગતનો સંપૂર્ણ વિનાશ થઈ રહ્યો છે. આ પ્રકારે આ સમગ્ર જગત ભસ્મ થઈ રહ્યું છે. ભગવન્, પ્રસન્ન થાઓ, તમે રોષ ન કરો, આ જ મારે માટે તમે વરદાન થાઓ. તમે રચેલી સૃષ્ટિ કોઈ ને કોઈ રૂપે નષ્ટ થઈ રહી છે. એટલે તમારું આ તેજસ્વરૂપ જગતના સંહારને અટકાવી દે. પ્રજાહિતની કામનાથી તેમની સામે કૃપાથી જુએ, જેથી આ સમસ્ત જગત વિનાશમાંથી ઊગરી જાય. સંતાનોનો નાશ થવાથી જગતનાં બધાં પ્રાણીઓનો અભાવ ન થાય. હે આદિદેવ, તમે મને લોકોમાં લોકષ્ટાના પડે નિયુક્ત કર્યો છે. હે જગન્નાથ, આ ચરાચર જગત નષ્ટ ન થાય, એટલે નિત્ય કૃપા કરવા તત્પર પ્રભુ સામે હું પ્રાર્થી રહ્યો છું.’

પ્રજાહિત માટે આવું વચન સાંભળી ભગવાન બ્રહ્માએ પોતાના અંતરાત્મામાં જ તેજને સમાવી લીધું. ત્યારે ભગવાને અગ્નિનો ઉપસંહાર કરીને મનુષ્યો માટે પ્રવૃત્તિ નિવૃત્તિના માર્ગનો ઉપદેશ આપ્યો. આ ક્રોધાગ્નિ શમાવ્યો ત્યારે બ્રહ્મામાંથી એક નારી પ્રગટી. તેનાં જીભ, મોં અને આંખો પીળા અને લાલ રંગનાં હતાં. તપાવેલાં સુવર્ણકુંડળોથી શોભતી હતી, તેનાં બધાં આભૂષણ તપ્ત સુવર્ણનાં હતાં. તેમનામાંથી પ્રગટીને તે દક્ષિણ દિશામાં ઊભી રહી. બંને વિશ્વેશરોને જોઈને તે સ્મિત કરવા લાગી. સંપૂર્ણ લોકોના સ્વામી બ્રહ્માએ એ નારીને પોતાની પાસે બોલાવીને વારેવારે સાંત્વન આપતાં મધુર વાણીમાં ‘મૃત્યુ’ કહીને બોલાવી અને કહ્યું, ‘તું આ પ્રજાનો સંહાર કર. હે દેવી, તું સંહારબુદ્ધિથી મારા રોષમાંથી પ્રગટી છે. એટલે જડ અને પંડિત બંનેનો સંહાર કરતી રહે. મારી આજ્ઞાથી તારે આ કરવું પડશે. તેનાથી તારું કલ્યાણ થશે.’

આ પ્રકારે કહ્યું એટલે મૃત્યુ નામધારી તે કમલલોચના અબળા ચંતાિતુર થઈ અને ધૂ્ર્રસકે ધ્રૂસકે રડવા લાગી. પિતામહે એનાં બધાં આંસુ પ્રાણીજગતના હિત માટે પોતાના હાથમાં ઝીલી લીધાં. ત્યાર પછી તે અબળાએ દુઃખ પોતાની અંદર જ સમાવી દીધાં અને તે હાથ જોડીને બંનેની સામે ઊભી.

‘ભગવાન, વક્તાઓમાં શ્રેષ્ઠ પ્રજાપતિ, તમે મને આવી નારીના રૂપે કેમ જન્મ આપ્યો, હું જાણી કરીને આવું ક્રૂર કાર્ય કેવી રીતે કરી શકું? ભગવાન્, હું અધર્મથી ડરું છું. મારા પર પ્રસન્ન થાઓ. હું જ્યારે લોકોના પ્રિય પુત્રો, મિત્રો, ભાઈઓ, માતાઓ, પિતાઓ,પતિઓને મારવા માંડીશ ત્યારે તેમના સંબંધીઓ મારા વિશે ખરાબ વિચારશે, એટલે મને બહુ બીક લાગે છે. હે ભગવન્, રડતાં-કકળતાં દીન લોકોની આંખોમાંથી ટપકતાં આંસુથી હું બી ગઈ છું, અને તમારી શરણમાં આવી છું. હે દેવ, હે સુરોત્તમ, હે લોકપિતામહ, હું મસ્તક અને શરીર નમાવીને, હાથ જોડીને વિનયપૂર્વક તમારી શરણાગત બનીને આટલું જ ઇચ્છું છું કે મારે યમરાજના ભવનમાં જવું જ ન પડે. હે પ્રજેશ્વર (લોકેશ્વર), હું તમારી કૃપાથી તપસ્યા કરવા માગું છું: હે ભગવાન્, હે પ્રભુ, તમે મને આ જ વરદાન આપો. તમારી આજ્ઞાથી હું ઉત્તમ ધેનુકાશ્રમમાં જઈશ ત્યાં તમારી આરાધનામાં રત રહીને તીવ્ર તપ કરીશ. હે દેવેશ, હું રડતાં કકળતાં પ્રાણીઓના પ્રિય પ્રાણ લઈ નહીં શકું, આ અધર્મમાંથી મને બચાવો.’

બ્રહ્માએ કહ્યું, ‘હે મૃત્યુ, પ્રજાના સંહાર માટે જ સંકલ્પપૂર્વક તારી સૃષ્ટિ રચી છે. જા તું બધી પ્રજાનો સંહાર કર, બીજો કોઈ વિચાર ન કર. આ ઘટના આમ જ બનવાની છે. એમાં કોઈ પરિવર્તન નહીં થઈ શકે. તું લોકમાં નંદાિપાત્ર ન બન, મારી આજ્ઞાનું પાલન કર.’

આવું વચન સાંભળીને તે નારી બે હાથ જોડીને ભગવાનની સામે મોં કરીને ઊભી રહી અને તે બહુ પ્રસન્ન થઈ. પરંતુ પ્રજાહિતની કામનાથી સંહારકાર્યમાં મન ન પરોવ્યું. પ્રજેશ્વરોના સ્વામી બ્રહ્મા ચૂપ થઈ ગયા, પછી થોડી જ વારમાં તે પ્રસન્નતા અનુભવવા માંડ્યા. દેવેશ્વર બ્રહ્માએ બધા લોકની સામે જોઈને સ્મિત કર્યું, તેઓ ક્રોધશૂન્ય થયા એટલે બધા લોક પહેલાંની જેમ થઈ ગયા. અપરાજિત ભગવાનનો રોષ શમી ગયો એટલે તે કન્યા પણ તે બુદ્ધિમાન (બ્રહ્મા) પાસેથી જતી રહી. તે સમયે પ્રજાસંહાર વિશે કોઈ પ્રતિજ્ઞા કર્યા વગર મૃત્યુ ત્યાંથી જતી રહી અને ઉતાવળે જલદી જલદી ધેનુકાશ્રમમાં જઈ પહોેંચી. ત્યાં તેણે ઉત્તમ અને કઠોર વ્રતનું પાલન આરંભ્યું. દયાવશ થઈને પ્રજાનું હિત કરવાની ઇચ્છાથી ઇન્દ્રિયોને પ્રિય વિષયોમાંથી ખસેડી લઈને એકવીસ પદ્મ વર્ષ સુધી એક પગ પર ઊભી રહી.

ત્યાર પછી દસ હજાર વર્ષ સુધી મૃગોની સાથે તે વિચરતી રહી. પછી શીતળ અને નિર્મળ જળવાળી પુણ્યમયી નંદા નદીનાં પાણીમાં તેણે આઠ હજાર વર્ષો વીતાવ્યાં. આ પ્રકારે નન્દા નદીમાં નિયમો પાળીને રહી એટલે તે નિષ્પાપ થઈ ગઈ. વ્રત નિયમો પાળીને મૃત્યુ પહેલાં પુણ્યશાળી કૈશિકી નદીએ ગઈ અને ત્યાં વાયુજળનો આહાર કરીને ફરી કઠોર નિયમોનું પાલન કરવા લાગી. તે પવિત્ર કન્યાએ પંચગંગામાં તથા વેતસવનમાં ઘણી બધી તપસ્યાઓ દ્વારા શરીરને ભારે દુર્બળ કરી નાખ્યું. પછી તે ગંગાકિનારે અને મુખ્ય મેરુશિખરો પર પ્રાણાયામ કરીને પથ્થરની મૂતિર્ની જેમ નિશ્ચેષ્ટ બેસી રહી. પછી દેવતાઓએ જ્યાં યજ્ઞ કર્યા હતા ત્યાં, હિમાલયમાં, તે પરમ શુભા કન્યા નિખર્વ (દસ હજાર કરોડ) વર્ષો સુધી અંગૂઠા પર ઊભી રહી.

ત્યાર પછી તે પુષ્કર, ગોકર્ણ, નૈમિષ, મલયનાં તીર્થોમાં રહી મનને પ્રિય એવા નિયમો દ્વારા તેણે પોતાના શરીરને ખૂબ કૃશ કરી દીધું. તે અનન્યભાવે સદા પિતામહ બ્રહ્મામાં જ દૃઢ ભક્તિભાવ રાખતી હતી. પોતાના આચરણથી પિતામહને સંતુષ્ટ કર્યા. ત્યારે લોકોની ઉત્પત્તિના કારણરૂપ અવિનાશી બ્રહ્મા મનમાં પ્રસન્નતા અનુભવતા સૌમ્ય ભાવે બોલ્યા, ‘મૃત્યુ, તું શા માટે આટલું કઠોર તપ કરે છે.’ ત્યારે મૃત્યુએ ભગવાન પિતામહને ફરીથી કહ્યું, ‘દેવ, પ્રભુ, સર્વેશ્વર, હું તમારી પાસેથી એ જ વરદાન માગું છું — મારે આક્રોશ કરતી, ચિડાતી પ્રજાનો વધ કરવો ન પડે. હે મહાભાગ, ભયભીત થયેલી મને અભય આપો. હું એક નિરપરાધી નારી છું, આર્તભાવે તમારી યાચના કરું છું.’ ત્યારે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતાએ તેને કહ્યું,

‘મૃત્યુ, આ પ્રજાનો સંહાર કરવામાં તને અધર્મ નહીં લાગે. હે ભદ્રા, મારી કહેલી વાત કદી અસત્ય નહીં થાય. એટલે હે કલ્યાણી, તું ચાર શ્રેણીઓમાં વિભાજિત બધાં જ પ્રાણીઓનો સંહાર કર. સનાતન ધર્મ તને સર્વથા પવિત્ર રાખશે. લોકપાલ, યમ, તથા વિવિધ વ્યાધિ તને સહાય કરશે. હું અને દેવતાઓ તને ફરી વરદાન આપીશું, તેનાથી તું પાપમુક્ત બની તારા નિર્મલ સ્વરૂપથી વિખ્યાત થઈશ.’

તેમનું આ વચન સાંભળી મૃત્યુ હાથ જોડીને, માથું નમાવીને ફરી આમ બોલી, ‘હે પ્રભુ, મારા વિના જો આ કાર્ય થઈ શકતું ન હોય તો તમારી આજ્ઞા માથે ચઢાવું છું. પણ આ વિશે હું જે જાણું છું તે સાંભળો, ‘લોભ, ક્રોધ, અસૂયા, ઈર્ષ્યા, દ્રોહ, મોહ, નિર્લજ્જતા અને અન્યોન્યને કહેલી વાણી — આ બધા દોષ દેહનારીઓના દેહ ભેદે.’

બ્રહ્માએ કહ્યું, ‘મૃત્યુ, આમ જ થશે. તું ઉત્તમ રીતે પ્રાણીસંહાર કર. હે શુભા, તને પાપ નહીં લાગે, હું પણ તારો અનિષ્ટ વિચાર નહીં કરું. મેં તારાં આંસુનાં ટીપાં હાથમાં લઈ રાખ્યાં હતાં, તે પ્રાણીઓનાં પોતાના જ શરીરમાંથી જન્મેલા રોગ બની ઓછા આયુષ્યવાળાં પ્રાણીઓનો નાશ કરશે. તને અધર્મની પ્રાપ્તિ નહીં થાય. તું બીશ નહીં, તને પાપ નહીં લાગે. તું એમનો ધર્મ બનીશ, તે ધર્મની સ્વામિની થઈશ. એટલે નિત્ય ધર્મમાં તત્પર રહેવાવાળી અને ધર્માનુકૂલ જીવન વીતાવનારી ધરિત્રી બનીને આ સમસ્ત જીવોના પ્રાણનું નિયંત્રણ કર. કામ અને રોષનો ત્યાગ કરીને આ જગતનાં બધાં પ્રાણીઓનો સંહાર કર, એમ કરવાથી તને અક્ષય ધર્મની પ્રાપ્તિ થશે. મિથ્યાચારી પુુરુષોને તો તેમનો અધર્મ મારી નાખશે. તું ધર્માચરણ દ્વારા પોતાને જ પવિત્ર કર. અસત્યનો આશ્રય લેવાથી પ્રાણીઓ પોતાના જ પાપમાં ડૂબી જશે. એટલે કામ અને રોષનો ત્યાગ કરીને તું બધા જીવોનો સંહાર કર.’

ત્યાર પછી બ્રહ્માના ઉપદેશથી અને વિશેષત: તેમના શાપના ભયથી મૃત્યુ કહેવા લાગી, ‘બહુ સારુ. તમારી આજ્ઞા માથે ચડાવું છું.’

(ગીતાપ્રેસ, દ્રોણ પર્વ, પરથી ૫૪)