ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિદુરોપાખ્યાન

From Ekatra Wiki
Revision as of 09:02, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિદુરોપાખ્યાન

(કુન્તા શ્રીકૃષ્ણને આ કથા કહી સંભળાવે છે.)

ઉત્તમ કુળમાં જન્મેલી, યશસ્વિની, તેજસ્વિની, જિતેન્દ્રિયા, ક્ષત્રિય ધર્મરતા, દીર્ઘદશિર્ની એક રાજપુત્રી હતી, તેનું નામ વિદુરા. રાજાઓની મંડળીમાં તે વિખ્યાત હતી. અનેક શાસ્ત્રોની જાણકાર વિદુરા મહાપુરુષોના ઉપદેશ સાંભળીને તેમાંથી ઘણું બધું જ્ઞાન મેળવતી હતી. એક વખત તેનો પુત્ર સિન્ધુરાજ સામે લડતાં લડતાં હારી ગયો, અને પછી સૂઈ ગયો. મિત્રોને આનંદ ન આપનાર, ધર્મને ન જાણનાર, શત્રુઓના આનંદની વૃદ્ધિ કરનાર પુત્રની નિંદા કરતી વિદુરા કહેવા લાગી,

‘તું મારા પેટે પાક્યો જ નથી. તારા પિતાએ તને જન્મ આપ્યો જ નથી, તારા જેવો કાયર અહીં આવ્યો જ ક્યાંથી? તું સંપૂર્ણરીતે ક્રોધ વગરનો છે, ક્ષત્રિયોમાં તારી ગણના ન કરી શકાય. તું ઉપરછલ્લી રીતે જ પુરુષ છે. તારું મન અને બીજું બધું નપુંસકો જેવું છે. શું તું જીવનભર નિરાશ રહીશ? હવે તો ઊઠ, તારા પોતાના કલ્યાણ માટે ફરી યુદ્ધનો ભાર વહન કર. પોતાને નિર્બળ માનીને આત્મતિરસ્કાર ન કર, આ આત્માનું પોષણ માત્ર થોડા ધનથી ન કર, મનને પરમ કલ્યાણકારક બનાવ, શુભ સંકલ્પો કર, ભયનો પૂરેપૂરો ત્યાગ કરીને દૃઢતાથી ઊભો રહી જા. અરે કાયર, ઊભો થા, આ રીતે શત્રુથી પરાજિત થઈને તેમને તું આનંદ આપે છે, તું બાંધવજનોને શોકગ્રસ્ત બનાવે છે, ઘરમાં પડ્યો ન રહે. જેવી રીતે નાનકડી નદી બહુ ઓછા પાણીથી છલકાવા માંડે છે, ઉંદરનું પેટ થોડા જ કણથી ભરાઈ જાય છે, એવી જ રીતે કાયરને સંતોષ આપવો તો બહુ સહેલું છે, તે તો થોડાથી જ રીઝી જાય છે. તું શત્રુરૂપી સાપના દાંત તોડતો હમણાં જ મરી જા. પ્રાણ જતા રહેવાનો ડર હોય તો પણ શત્રુની સામે યુદ્ધ કરી પરાક્રમ દેખાડ. આકાશમાં નિ:શંક થઈને ઊડતા બાજ પક્ષીની જેમ રણભૂમિમાં નિર્ભય બનીને વિચર અને ગર્જના કરીને અથવા ચૂપ રહીને શત્રુઓનાં છિદ્ર જોતો રહે. અરે કાયર! વજ્રના આઘાતથી મરેલા મડદાની જેમ અહીં નિશ્ચેષ્ટ થઈને કેમ સૂઈ રહ્યો છે? તું ઊભો થઈ જા, શત્રુઓથી પરાજિત થઈને અહીં પડ્યો ન રહે. લાચાર બનીને હારી ન જા. શૌર્યપૂર્ણ કાર્ય વડે તું પ્રસિદ્ધિ પામ. તું મધ્યમ, અધમ ભાવનું શરણ ન શોધ, યુદ્ધભૂમિમાં સિંહગર્જના કરીને ઊભો રહી જા. તિન્દુકની પ્રજ્વલિત લાકડીની જેમ ભલે બે ઘડી તો બે ઘડી પણ પ્રજ્વલિત થા, થોડા સમય માટે તું તારું પરાક્રમ કરી દેખાડ. જીવવાની ઇચ્છાથી લાકડાના ભૂસાની જેમ ધુમાડો ન કર, બે ઘડી પણ સળગતા રહેવું વધુ સારું પણ લાંબો સમય માત્ર ધુમાડો કરીને ધૂંધવાવું સારું નહીં. કોઈ પણ રાજાના ઘરમાં કોમળ સ્વભાવવાળા પુરુષનો જન્મ ન થવો જોઈએ, વીર પુરુષ યુદ્ધભૂમિ પર જઈ ઉત્તમ પુરુષાર્થ આચરીને ધર્મના ઋણમાંથી મુક્ત થઈ જાય છે, તે પોતાની નિન્દા નથી થવા દેતો. તે પુરુષને ફળ મળે કે ન મળે, તેનો શોક તે કરતો નથી. પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરીને શરીરમાં જીવ હોય ત્યાં સુધી કાર્ય કરતો રહે છે, પોતાને ધન મળે એવી ઇચ્છા તે કરતો નથી. ધર્મને આગળ કરીને પરાક્રમ દાખવ, અથવા બધાં પ્રાણીઓને માટે નિર્માયેલી ગતિ (મૃત્યુ)ને પામ. પણ આમ કાયર બનીને શા માટે જીવે છે? અરે કાયર! તારાં ઇષ્ટ કર્મ નાશ પામ્યાં, તારી સઘળી કીતિર્ ધૂળમાં મળી ગઈ, ભોગનું મૂળ સાધન રાજ્ય પણ છીનવાઈ ગયું, તો હવે શા માટે તું જીવે છે? માનવી ડૂબતી વખતે અથવા ઉપરથી નીચે પડતી વખતે પણ શત્રુનો પગ પકડે, આમ કરવા જતાં પોતાનો પૂરેપૂરો નાશ થઈ જાય તો પણ કોઈ રીતે દુઃખી ન થાય. ઉત્તમ જાતિના ઘોડા નથી થાકતા, નથી હાંફી જતા. આ વાત યાદ રાખીને યુદ્ધના ભાર પુરુષાર્થ કરીને ઉપાડ. તું ધીરજ ધર, સ્વાભિમાની બન. તારા પુરુષાર્થને ઓળખ, તારે કારણે ડૂબી જનારા વંશનો તું પોતે ઉદ્ધાર કર. બધા લોકો જેના પુરુષાર્થની તથા ચરિત્રની વાતો નથી કરતા તે જ પુરુષ તો માત્ર જનસંખ્યામાં વૃદ્ધિ જ કરે છે. મારી નજરે નથી તો તે સ્ત્રી કે નથી પુરુષ.

દાન, તપસ્યા, શૂરવીરતા, વિદ્યા અને ધર્મોપાર્જનની બાબતોમાં જેના યશની ગાથા લોકો ગાતા નથી તે માનવી પોતાની માતાનો પુત્ર નથી, મળમૂત્ર છે. જે શાસ્ત્રજ્ઞાન, તપસ્યા, ધન, પરાક્રમ વડે બીજાઓને પરાજિત કરે છે તે જ એવાં કાર્ય વડે પુરુષ નામને પાત્ર બને છે. નપુંસકો, કાપાલિકો, ક્રૂર અને કાયરો માટે ઉચિત ભિક્ષાવૃત્તિનો આશ્રય લેવાનો નહીં, તેનાથી અપયશ ફેલાય અને દુઃખ મળે. જે દુર્બળ મનુષ્યનું અભિવાદન શત્રુઓ કરે તે બધા લોકોથી અપમાનિત થાય છે. જે થોડાક જ લાભથી સંતુષ્ટ થઈ આશ્ચર્ય, દાખવે છે, તે બધી રીતે લાચાર, ક્ષુદ્ર જીવન વ્યતીત કરનાર હોય તેના જેવા ભાઈને પામીને કોઈ સુખી નથી થતું. તારી કાયરતાને કારણે અમે આ રાજ્યમાંથી નિર્વાસિત થઈશું અને બધાં સુખ ગુમાવી બેસીશું. અમે સ્થાનભ્રષ્ટ થઈને, અકિંચન થઈને ગુજરાન મેળવ્યા વિના મૃત્યુ પામીશું. તું સત્પુરુષોની વચ્ચે અશોભનીય કર્મ કરીશ. કુળ અને વંશની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવીશ. બધાં મનોવાંછિત સુખ વગરના અમે થઈશું, ગુજરાન વિના અમે મૃત્યુ પામીશું.

લાગે છે કે મેં પુત્રને બદલે કલિને જન્મ આપ્યો છે. કોઈ પણ તેજસ્વિની સ્ત્રી આવા ક્રોધહીન, ઉત્સાહહીન, બળહીન, શત્રુને આનંદ આપનાર કપૂતને જન્મ ન આપે. તું ધુમાડો કરવા લાંબો સમય સળગ નહીં, ક્ષણવાર માટે ભલે પણ શત્રુઓના માથે સળગ, શત્રુઓનો વધ કર. ક્રોધી રહેવું, ક્ષમારહિત રહેવું એ જ પૌરુષ છે. જે પુરુષ સદા ક્ષમાશીલ હોય, ક્રોધશૂન્ય હોય તે નથી તો સ્ત્રી કે નથી તો પુુરુષ. સંતોષી રહેવું અને ક્રોધશૂન્ય રહેવું — આ બંને સંપત્તિનો નાશ કરનારા છે. એવી જ રીતે શત્રુનો સામનો ન કરવો અને તેનાથી ડરી જવું એ પણ સંપત્તિનો નાશ કરે છે. નિરુત્સાહી પુુરુષ રાજ્યપ્રાપ્તિ જેવાં મોટાં ફળ ક્યારેય મેળવી શકતો નથી.

હે પુત્ર, તું આ બધા દોષમાંથી મુક્ત થઈ જા, હૃદયને વજ્ર જેવું કઠોર બનાવી પોતાનું રાજ્ય પાછું મેળવવાનો પ્રયત્ન કર. શત્રુઓનો સામનો કરવાથી જ પુરુષ કહેવાય છે, પણ જે પુરુષ સ્ત્રીની જેમ ઘરમાં જ બેસી રહીને જીવતો રહે છે તેનું જીવન તો મિથ્યા છે. સિંહની જેમ પ્રબળ પ્રતાપ વિસ્તારનાર, શૂરવીર રાજાના મૃત્યુ પછી પણ તેના શાસન હેઠળ રહેનારી પ્રજા સુખ ભોગવતી હૃષ્ટપુષ્ટ બને છે. જે બુદ્વિશાળી રાજા પોતાના પ્રિય ને અને સુખને ત્યજીને રાજલક્ષ્મીની શોધમાં પરોવાય છે તે ટૂંક સમયમાં જ મંત્રીઓના આનંદમાં વૃદ્ધિ કરે છે.’

આ સાંભળી પુત્રે કહ્યું, ‘જો હું મૃત્યુ પામું અને તું મને જ ન જુએ તો તને આખી પૃથ્વી મળી જાય તોય શું? રાજ્ય, ભૂષણ, ભોગ, સુખ, જીવનનું શું પ્રયોજન?

માએ કહ્યું, ‘નિર્ધન નીચ લોકો જે લોકમાં જાય છે ત્યાં આપણા શત્રુઓ જાય, આદરયુક્ત, તેજસ્વી પુરુષો જે લોકમાં જાય છે ત્યાં આપણા બાંધવજનો, સુહૃદ લોકો જાય. સેવકોથી અપમાનિત થનારા, પારકા અન્ને જીવનારા દીન, નિર્બળ અને મલિન ચિત્તવાળા લોકોની જેવી વૃત્તિ ન ધરાવ. બધા લોકો જેવી રીતે વરસાદ પાડતા મેઘ પર જીવે છે અને દેવતાઓ જેવી રીતે ઇન્દ્ર પર જીવે છે તેવી જ રીતે બ્રાહ્મણો અને સુહૃદો તારી પાસેથી આજીવિકા મેળવે. સારી રીતે પાકેલાં ફળવાળા વૃક્ષનો આશ્રય લઈને જેવી રીતે પક્ષીઓ જીવે છે, એવી જ રીતે બધાં પ્રાણીઓ જે ભાગ્યશાળી પુરુષનો આશ્રય લઈને જીવિકા મેળવે છે, એવા ભાગ્યશાળી પુરુષનું જીવન સાર્થક ગણાય. ઇન્દ્રના બાહુબળથી વૃદ્ધિ પામતા દેવતાઓની જેમ જે મહાવીર પુરુષના અતિ પ્રતાપને આધારે તેના બાંધવોનું સુખ વૃદ્ધિ પામે છે, સંસારમાં તેનું જ જીવન સાર્થક થાય છે. જે પુરુષ પોતાના બાહુબળને આધારે પોતાનું જીવન વીતાવે છે તે આ લોકમાં કીતિર્ પામીને છેવટે કલ્યાણકારી પરમ ગતિ પામે છે.

હે પુત્ર, જો તું આવી હીન અવસ્થામાં પુરુષાર્થ ત્યજી દેવા માગતો હોય તો અધમ પુરુષોથી સેવાતો નીચ માર્ગ પામીશ. ક્ષત્રિય કુળમાં જન્મ પામીને જે પુરુષ જીવવાની ઇચ્છાથી પોતાની શક્તિ અનુસાર પોતાના પરાક્રમ અને બળ પ્રકટ કરી પોતાનું તેજ રેલાવતો નથી પંડિતો તેને ચોર જ માને છે. મરણપથારીએ પડેલા રોગી માટે જેવી રીતે ઔષધિનો કશો અર્થ રહેતો નથી એવી રીતે અર્થયુક્ત, યુક્તિસંમત, ગુણસમુદ્ર ઉત્તમ વચન તારા માટે પ્રભાવહીન લાગી રહ્યાં છે. સિંધુરાજના ઘણા ટેકેદારો તેનાથી સંતુષ્ટ છે. પણ તે મૂર્ખ પોતાની નિર્બળતાને કારણે સ્વામી વ્યસનના ફ્ંદામાં ફસાય તેની રાહ જોઈ રહ્યા છે.

આ સિવાય જે પુરુષો સ્પષ્ટ રીતે તેની સાથે વેર બાંધે છે તેમનો પુરુષાર્થ જોઈ તારી સાથે જ તેની વિરુદ્ધ યુદ્ધ કરવામાં સામેલ થશે. તું એ બધાની સાથે મળીને શત્રુ વ્યસનમાં ફસાય તેની પ્રતીક્ષા કરતા કરતા દુર્ગ રૂપી પર્વતનો આશ્રય લે. તારો આ શત્રુ સિન્ધુરાજ અજર અને અમર તો નથી. અરે પુત્ર, તારું નામ સંજય — એટલે કે શત્રુઓને સારી રીતે જીતનારો, પણ સંજયનો એવો ગુણ મને તારામાં દેખાતો નથી, તું તારા નામને વ્યર્થ ન કરી તેને સાર્થક બનાવ. તારી શિશુ અવસ્થામાં દૃષ્ટિવાળા મહાન બુુદ્ધિશાળી જ્યોતિષીએ કહ્યું હતું, આ બાળક શરૂઆતમાં દુઃખ ભોગવી છેવટે બહુ ઉન્નતિ પામશે. એ બ્રાહ્મણના વચનનું સ્મરણ કરીને હું તારા વિજયની આશા રાખું છું. એટલે જ તને ચાનક ચઢાવી રહી છું, વારંવાર આ જ રીતે તને ચાનક ચઢાવતી રહીશ. જે પુરુષ પોતે યથાર્થ નીતિ પ્રમાણે આચરણ કરે છે, અને બીજાઓ પણ જેનું કાર્ય આચરણ સિદ્ધ થવાથી પ્રસન્ન થાય છે, તૃપ્તિ અનુભવે છે, તેનો મનોરથ ચોક્કસ સફળ થાય છે. આ કાર્ય કરવાથી મારા પૂર્વસંચિત વિષયનો નાશ થાય કે તેની વૃદ્ધિ થાય, હું કદી નિવૃત્ત નહીં થઉં એવો દૃઢ સંકલ્પ કરી તું યુદ્ધ નિમિત્તે પ્રયત્ન કર, એનાથી વિરુદ્ધનું કશું ન કર. શંબર મુનિ કહેતા હતા — જેના ઘરમાં આજે અન્ન નથી, કાલ માટે પણ નથી, એવી જ ચિંતા જો રહ્યા કરતી હોય તો એનાથી વધુ પાપી પુુરુષની બીજી તે કઈ દશા! પતિ અને પુત્રની હત્યાથી જે દુઃખ થાય તેનાથી વિશેષ દુઃખ આ દરિદ્રતાનું છે. દરિદ્રતાના દુઃખનું બીજું નામ જ મૃત્યુ છે. હું ઉત્તમ કુળમાં જન્મી છું, પતિ દ્વારા બધાં કલ્યાણકાર્ય કરીને સત્કૃત થઈ છું, બધા પર શાસન કરું છું, હું મારા પિતાના કુળમાંથી પતિના કુળમાં જેવી રીતે કોઈ કમલિની એક સરોવરમાંથી બીજા સરોવરમાં લવાય તેવી રીતે આવી છું. ભૂતકાળમાં મારા સ્વજનોએ મને કિમતી વસ્તુઓ અને અલંકારોથી ભૂષિત જોઈ છે, અનેક સુંદર વસ્ત્ર પહેરેલી જોઈ છે, આજે તેઓ મને ભારે દુઃખમાં પડેલી જુએ છે. સંજય, તું જ્યારે મને અને તારી પત્નીને દીન, હીન, અત્યંત દુઃખી જોઈશ ત્યારે તારા જીવનનો કશો અર્થ નહીં રહે. દાસ-દાસી, સેવકગણ, ગુરુ, ઋત્વિજ, પુરોહિત — આ બધાને જ્યારે આજીવિકા નહીં મળે ત્યારે આપણને ત્યજીને જતા રહેશે — તે જોઈને તારા જીવનનો કયો અર્થ? તું પહેલાં પ્રશંસનીય, યશોદાયી કર્મો કરતો હતો, એ બધાંને જો હું અત્યારે નહીં જોઉં તો મારા હૃદયમાં શાંતિ કેવી રીતે જોવા મળશે? કોઈ બ્રાહ્મણ જ્યારે મારી પાસે કશું માગશે અને ત્યારે હું એમ કહીશ કે મારી પાસે નથી, ત્યારે મારું હૃદય સાવ ભાંગી જશે, કારણ કે ભૂતકાળમાં મેં કે મારા સ્વામીએ બ્રાહ્મણોને ક્યારેય ના પાડી ન હતી. બધા લોકો આપણા આશ્રયે રહેતા હતા, આપણે કોઈના આશ્રયે જીવતા ન હતા. હવે જો બીજાનો આશ્રય લઈને જીવવું પડશે તો હું ચોક્કસ આત્મહત્યા કરીશ. અપાર દુઃખમાં જઈ પડેલાઓને ઉગારવામાં તું જ એક માત્ર આધાર બન. નૌકારહિત, વિપત્તિરૂપી સમુદ્ર પાર કરવામાં તું નૌકા બની જા. અત્યારે આપણને રહેવા માટે કોઈ સ્થાન નથી, તું એ સ્થાન ઊભું કર. મૃતવત્ થઈ ગયેલા અમને તું જીવિત કર.

તું જો જીવવાનો મોહ ત્યજી દઈશ તો બધા શત્રુ સાથે યુદ્ધ કરી શકીશ. અને જો કાયર બનીને, દુઃખી, નિરુત્સાહી જીવન જીવવું પડે તો તું તરત જ આ પાપમય જીવન ત્યજી દે. જે પુરુષ પરાક્રમી હોય છે તે એક જ શત્રુને મારીને પૃથ્વીમાં યશ પામે છે. ઇન્દ્ર એક જ વૃત્રાસુરનો વધ કરીને મહેન્દ્ર બની ગયા, તેમને એ સ્થાન મળ્યું તથા બધા લોકના ઈશ્વર બની ગયા. ઉત્સાહી વીર પુરુષ જ્યારે રણભૂમિમાં પોતાનું નામ સંભળાવીને પડકારે છે, શત્રુ સેનાનો આગલો ભાગ છિન્નભિન્ન કરે છે, પોતાના પરાક્રમ વડે મુખ્ય સેનાપતિઓને મારી નાખે છે, અને જ્યારે તે વીર એવા ભયંકર યુદ્ધ વડે મહાન યશ મેળવે છે ત્યારે શત્રુ ગભરાઈ જઈને તે વીર આગળ માથાં નમાવે છે. પરંતુ જે પુરુષ નપુંસકતાનો આધાર લે છે તે યુદ્ધમાં પોતાનું સમર્પણ કરી દે છે અને લાચાર બનીને યુદ્ધવિશારદ પરાક્રમી શત્રુના બધા મનોરથ પૂર્ણ કરે છે, તેને તૃપ્ત કરે છે. ઉત્સાહી અને સાહસિક પુરુષ ભલે ને રાજ્યનો નાશ થઈ જાય, પ્રાણનું સંકટ ઊભું થાય તો પણ શત્રુનો સંપૂર્ણ નાશ કરી દે છે. પરાક્રમ પ્રકટ કરવાથી જ સ્વર્ગદ્વાર મળે છે કે અમૃતતુલ્ય રાજ્યપદ મળે છે, એ દ્વાર તારા માટે અત્યારે બંધ થઈ ગયું છે એ વાત હૈયે ઘૂંટીને તું સળગતી આગની જેમ શત્રુઓની વચ્ચે પ્રવેશ. રણમેદાન પર શત્રુઓને હરાવ, ધર્મપાલન કર. કોઈ તને ગરીબ ન કહે, તારા શત્રુને ધનવાન ન કહે. દુઃખી એવી મને આપણા પક્ષના લોક જુએ નહીં, આનંદ પામતા શત્રુઓથી ઘેરાયેલા તને હું ન જોઉં. તું પહેલાંની જેમ આનંદિત થઈને વીરને છાજે એવાં કર્મ કરીને સૌવીર કન્યાઓની વચ્ચે આનંદનું પાત્ર બન, નિરુત્સાહી, પરાક્રમહીન બનીને સિન્ધુ દેશની કન્યાઓને વશ ન થા. રૂપવાન, વિદ્યાભૂષિત, ઉત્તમ કુળમાં જન્મેલા, વિખ્યાત, યશસ્વી યુવાન બળદની જેમ બીજાના ઇશારે ચાલે એ જ એનું મૃત્યુ. જો હું તને બીજાને વશ થઈ, તેની ખુશામત કરતો, તેની પાછળ પાછળ જતો જોઈશ તો મારા હૃદયમાં શાંતિ કેવી રીતે થશે? તારા કુળમાં બીજાની પાછળ પાછળ ચાલનારો પુરુષ ક્યારેય જન્મ્યો નથી, તું બીજાનો દાસ બનીને કદી જીવીશ નહીં. ક્ષત્રિયોના હૃદયને હું પૂરેપૂરું ઓળખું છું. ભૂતકાળના અને ત્યાર પછીના પંડિતોએ આ વિશે જે કહ્યું છે તે પણ હું જાણું છું. આ પૃથ્વી પર કોઈ પ્રસિદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મેલો જે પુરુષ બધા ધર્મના મર્મને જાણે છે તે ભયભીત થઈને જીવ બચાવવા કદી કોઈની આગળ ઝૂકે નહીં. પુરુષનો પુરુષાર્થ ઉદ્યમ જ છે. હમેશાં ઉદ્યમી જ બની રહેવું જોઈએ, કોઈની આગળ મસ્તક નહીં ઝુકાવવાનું. રણભૂમિ પર શરીરના ભલે ટુકડેટુકડા થઈ જાય તો પણ મસ્તક નહીં ઝુકાવવાનું. વીર પુરુષ મદોન્મત્ત હાથીની જેમ નિર્ભય બનીને બધે ભમે, ધર્મપાલન કરવા માત્ર બ્રાહ્મણ આગળ જ મસ્તક નમાવે. બધી જ જાતના લોકોને વશ કરીને, દુષ્ટોનો વિનાશ કરીને ઘણી બધી સહાય હોય કે ન હોય તો પણ આજીવન તે આવાં કાર્ય કરતો રહે છે.’

આ સાંભળી પુત્રે કહ્યું, ‘ક્રોધી, કરુણાહીન, શત્રુતાનો જ વિચાર કરનારી હે માતા, લાગે છે કે તારું હૃદય બહુ જ કઠોર લોખંડમાંથી બ્રહ્માએ બનાવ્યું છે. ક્ષત્રિય ધર્મ કેવો વિચિત્ર છે, તું મને બીજી સ્ત્રીના પુત્રની જેમ સમયને પોતાના એકના એક પુત્રને આ બધું સંભળાવી રહી છે? જો તું મને જ નહીં જુએ તો મારા આ સમસ્ત પૃથ્વીના રાજ્ય, ભૂષણ, ભોગ, સુખ અને જીવનથી પણ શું?’

આ સાંભળી માતા બોલી, ‘બુદ્ધિશાળી પુરુષોનાં બધાં કર્મ, ધર્મપૂર્ણ, અર્થપૂર્ણ હોય છે. એ જ ધર્મ અને અર્થ તરફ ધ્યાન દોરી તને યુદ્ધ કરવા પ્રેરણા આપી રહી છું. તારું પરાક્રમ પ્રગટ કરવાનો આ સમય આવી પહોંચ્યો છે, જો આ સમયમાં તું તારું કર્તવ્ય નહીં બજાવે તો લોકોમાં પ્રતિષ્ઠા ગુમાવીશ અને મારું અહિત કરીશ, તને અપયશથી ઘેરાયેલો જોઈ જો હું તને એ નિવારતાં થોડાં વાક્ય ન કહું તો આવા પુત્રસ્નેહને પંડિતો સામર્થ્યહીન પ્રીતિ અને ગર્દભીના પ્રેમ જેવો નિરર્થક સ્નેહ કહે છે. મૂર્ખ લોકો જે સ્વીકારે છે અને બુદ્ધિશાળીઓ જેની નિંદા કરે છે તે માર્ગ તું ત્યજી દે. આ ધરતી પર અવિદ્યા બહુ છે, એ જ અવિદ્યા પર બધી પ્રજા જીવે છે. ધર્મ અર્થ વગેરે ગુણયુક્ત, દેવતા અને મનુષ્યોએ સ્વીકારેલા, સાધુજનોના માન્ય આચરણ પર તું જો ચાલીશ તો તું મારો પ્રિય બની શકીશ, અન્યથા નહીં. જેઓ ઉન્નતિ ન કરતા પોતાના પુત્રો-પૌત્રોને ચાહે છે તેમની પ્રજાનું ફળ વ્યર્થ છે. મનુષ્યને યોગ્ય કર્તવ્ય ન કરનારા, નિંદાપાત્ર, અસદ્ કર્મ કરનારા અધમ લોકોને આ લોકમાં અને પરલોકમાં સુખ નથી મળતું. તું સમજી લે કે આ સંસારમાં ક્ષત્રિયોનો જન્મ યુદ્ધ કરીને વિજય મેળવવા, ક્રૂર કાર્ય કરવા તથા પ્રજાઓનું પાલન કરવા થયો છે. ક્ષત્રિય કાં તો યુદ્ધમાં વિજય મેળવે કે યુદ્ધમાં મૃત્યુ પામે: બંને રીતે તેને સ્વર્ગ સાંપડે છે. દુશ્મનોને વશ કરીને ક્ષત્રિય જે સુખ મેળવે છે તેવું સુખ પુણ્યયુક્ત સ્વર્ગના ઇન્દ્રભવનમાં પણ ન મળે. મનસ્વી પુરુષ શત્રુ પર વિજય મેળવવાની ઇચ્છા વડે જ શત્રુથી પરાજિત થવાને કારણે જન્મેલા ક્રોધની આગને દૂર કરી શકે છે. તે કાં તો પોતે મૃત્યુ પામે અથવા શત્રુને મારે — આ સિવાય બીજી કોઈ રીતે તેના હૃદયને શાંતિ મળી શકતી નથી. આ જગતમાં બુદ્ધિમાન પુરુષ ઓછી વસ્તુઓને પ્રેમ નથી કરતો, જેમને ઓછી વસ્તુઓ ગમે છે તે એક ને એક દિવસ તેના અનિષ્ટનું કારણ બની શકે છે. પ્રિય વસ્તુઓનો સાવ અભાવ થાય ત્યારે તેના કલ્યાણની સંભાવના નથી રહેતી, સમુદ્રમાં લય પામેલી ગંગાની જેમ તેનો સંપૂર્ણ અભાવ થઈ જાય છે.

આ સાંભળી પુત્ર બોલ્યો, ‘ખાસ કરીને પોતાના પુત્રને આવી વાત કરવી તને શોભતું નથી. અત્યારે તો મૂંગા રહીને શાંત ચિત્તે કેવળ કરુણા પ્રગટ કરવી જ તારે માટે યોગ્ય છે.’

માતાએ કહ્યું, ‘તું જે રીતે વિચારે છે તે રીતે તને હું વધારે ચાહતી થઈ છું. મારા વિશે જેવું કહેવું યોગ્ય હોય તે તું કહી રહ્યો છે, હું પણ એ પ્રમાણે તને પ્રેરણા આપી રહી છું. તું પહેલાં બધા જ વીરોને મોતને ઘાટ ઉતાર પછી તારી ખૂબ પ્રશંસા કરીશ. ભવિષ્યમાં બધી રીતે તું વિજયી થઈશ તેને હું પ્રત્યક્ષ જોઈ રહી છું.’

પુત્ર બોલ્યો, ‘મારી પાસ નથી ધન, નથી બળ. પછી મારો વિજય થાય કેવી રીતે? આવી દારુણ અવસ્થા જાણીને હું નિરાશ થઈને ચૂપ થઈ ગયો છું, દુષ્કર્મો વડે સ્વર્ગપ્રાપ્તિની આશા ન રખાય, એ જ રીતે મેં રાજ્ય પ્રાપ્ત કરવાની આશા ત્યજી દીધી છે. હું જેનાથી સમૃદ્ધ થઈ શકું એવો કોઈ ઉપાય તું જાણતી હો તો મને કહે, હું તારી એ વાત પૂરેપૂરી માનીશ.’

માતા બોલી, ‘પહેલાંની નિષ્ફળતાઓ જોઈને જાતને તુચ્છ ન માન, ક્યારેક ન મળવાપાત્ર સંપત્તિ મળી જાય છે તો ક્યારેક મળેલું ધન પણ નાશ પામે છે. મૂર્ખ બનીને ક્રોધે ભરાઈને કોઈ કાર્ય કરવું યોગ્ય નથી. બધા જ પ્રકારનાં કર્મોના ફળની સિદ્ધિમાં હમેશાં અનિત્યતા હોય છે. જે પુરુષ ફળની અનિત્યતાને જાણીને પણ કાર્ય કરે છે તેની અભિલાષા સિદ્ધ થાય અને ન પણ થાય. પણ જેઓ કર્મ કરતા જ નથી તેમના વિશે એક વાત તો નિશ્ચિત છે કે તેમના કર્મના ફળનો અભાવ રહે છે. પણ કાર્ય જો કરો તો ફળ મળે પણ અને ન પણ મળે. આરંભ કરતાં પહેલાં જે પુરુષ બધાં કાર્યોની અનિત્યતા જાણીને ઉદ્યમ કરે છે તે પોતાને પ્રતિકૂળ પીડા અને શત્રુઓની સમૃદ્ધિ — બંનેને દૂર કરે છે. એટલે કાર્યસિદ્ધિ મળશે જ એમ માનીને ઉત્સાહી થા અને દેવો-બ્રાહ્મણોની પૂજા કરીને, બીજાં મંગલ કાર્ય કરીને તું ઊભો થા, જાગૃત થા અને ઐશ્વર્યપ્રાપ્તિના કાર્યમાં પરોવાઈ જા. બુદ્ધિમાન રાજાની બહુ જલદી ઉન્નતિ થાય છે અને જેવી રીતે પૂર્વ દિશા ભગવાન સૂર્યને આલિંગે છે તેવી રીતે લક્ષ્મી દેવી તે પુરુષસિંહનું આલિંગન કરે છે. મેં જે આ બધી વાતો તને કરી છે તેને યોગ્ય તું છે, એટલે બધી શંકાઓ ત્યજીને પરાક્રમ દેખાડ, અત્યારે તું ઇચ્છિત પુરુષાર્થ કરવામાં સમર્થ છે. તારા શત્રુઓ ઉપર જેઓ ક્રોધે ભરાયા છે, જેઓ લોભી બન્યા છે, જેઓ એ શત્રુઓથી દુઃખી છે, જે ગર્વીલા છે, જેઓ અપમાનિત થયા છે, જેઓ તેમની સાથે યુદ્ધ કરવા ઇચ્છે છે તે બધાને તું તારા પક્ષમાં લઈ લે. જે પ્રકારે વાયુ બળવાન વાદળોને છિન્નભિન્ન કરી નાખે છે તેવી રીતે આવા પ્રયત્ન વડે તું આ ઘણા બધા લોકોને વશ કરવામાં સફળ થઈશ.

તું સૌથી પહેલાં તેમને વેતન આપીને સંતુુષ્ટ કર, તું પોતે બળવાન અને ઉત્સાહી રહે. બધાની સાથે પ્રેમથી બોલો, કાર્યસિદ્ધિ માટે મથો, ત્યારે બીજાઓ પણ તારું પ્રિય કરશે, તને પોતાનો નેતા, અગ્રણી બનાવશે — આમાં જરાય શંકા નથી. જ્યારે શત્રુને ખબર પડે છે કે મારો દુશ્મન પોતાના પ્રાણની પરવા કર્યા વિના યુદ્ધ કરવા ઊભો છે ત્યારે તે ઘરમાં વસતા સાપની જેમ તેનાથી ડરવા માંડે છે. તેને વધુ બળવાન માનીને જો તે પોતાને વશ કરવાનો પ્રયત્ન નહીં કરે તો તે શામદામ વડે પોતાને અનુકૂળ કરવાનો પ્રયત્ન કરશે, આમ થવાથી એક રીતે તેને વશ કરી શકાશે. સંધિ થવાથી સ્થાન અને રાજ્ય મેળવવાથી ધનની વૃદ્ધિ થશે, પુુરુષ ધનવાન થાય એટલે મિત્રો તેને સ્વીકારશે, તેનો આશરો લેશે. પરંતુ જો તે દૈવયોગે ધન-સંપત્તિ ખોઈ બેસે તો મિત્રો અને બાંધવો તેને ત્યજી દેશે. માત્ર ત્યજી નહીં દે, તેનો વિશ્વાસ પણ નહીં કરે, તેની નિંદા કરતાંય તેમને શરમ નહીં નડે. જે પુરુષ શત્રુને સહાયક બનાવી તેના પર વિશ્વાસ કરે છે તેને કદી રાજ્યપ્રાપ્તિ થશે — આ તો માત્ર સંભાવના છે. વાસ્તવમાં તેની આ આશા ક્યારેય સફળ નહીં થાય.

ગમે તેવી આપત્તિ કેમ ન આવે, રાજાએ એનાથી ડરવાનું ન હોય, અને ધારો કે મનમાં એવો ડર જાગે તો પણ એ ડર બહાર પ્રગટ નહીં કરવાનો. કારણ કે રાજાને ભયભીત જોઈને અમાત્ય સમેત બધા નિરુત્સાહી થઈ જાય છે, અને તેમના મનમાં જાતજાતના વિચાર આવે છે. આવું થાય ત્યારે કેટલાક શત્રુઓ સાથે ભળી જાય છે, કેટલાક સ્વામીને ત્યજી દે છે, અને જેમનું પહેલાં અપમાન કર્યું હતું તે બધા લાગ જોઈને પોતાના સ્વામી પર હુમલો કરવાની ઇચ્છા રાખે છે. જેઓ ખૂબ જ સુહૃદ છે તેઓ સામર્થ્યહીન ભલે હોય, બંધાયેલા વાછરડાવાળી ગાયની જેમ તેની પરતંત્રતાને, સ્વીકારી તેના કલ્યાણ કરવાની અભિલાષાથી સેવા કરે છે. ભાઈ-બંધુને પતિત જોઈને જેવી રીતે બાંધવો દુઃખ-શોક દાખવે છે. તેવી જ રીતે વિશ્વાસુ સુહૃદો મિત્રો સ્વામીની ખરાબ હાલત જોઈને દુઃખી થાય છે. સ્વામીને વ્યસનમાં પડેલો જોઈ જેઓ તનમનથી તેના રાજ્યની રક્ષા ઇચ્છે છે તેઓ જ ખરેખર મિત્ર છે, એવા તમારા જે સુહૃદો છે તેમનું તેં પહેલાં સમ્માન કર્યું છે, આવા સુહૃદોને તું ક્યારેય ભયભીત ન કરતો. તને ભયભીત જોઈને રખે તે તને ત્યજી ન દે.

તારા પ્રભાવ, પરાક્રમ અને વૃદ્ધિ જાણવાની ઇચ્છાથી મેં તને જે કહ્યું છે તે તારો આત્મવિશ્વાસ જગવવા, જેમ એક બળવાન નિર્બળને કહે તેવી રીતે. જો તને આ બધી વાત યોગ્ય લાગે અને મેં તને જોે ખરેખર સત્ય કહ્યું હોય તો તારી જાતને કઠોર બનાવીને તારા વિજય માટે ઊભો થઈ જા. તને ખબર નથી પણ આપણી પાસે ઘણા બધા ધનનો ભંડાર છે. મારા સિવાય કોઈને એ સ્થળની જાણ નથી. ત્યાં જે કંઈ ધન છે તે બધું તને આપું છું. આ સિવાય તારા ઘણા મિત્રો છે, સુહૃદો છે તે બધા તારા સુખદુઃખના સાથી છે, યુદ્ધમાં તેઓ કદી પીછેહઠ નહીં કરે, તેઓ સેંકડો શત્રુઓને મારી શકશે. કલ્યાણ ઇચ્છનારો પુુરુષ બળપૂર્વક જે કોઈ કાર્ય કરવા ઇચ્છે તો આવા શત્રુનાશી સહાયકો મંત્રી રૂપે બધાં કાર્ય કરે છે, ’

પુત્રે આ સાંભળી કહ્યું, ‘ તારી આ બધી વાતો ઉત્તમ છે, અર્થપૂર્ણ છે, એ સાંભળીને થોડી બુદ્ધિવાળાનો પણ અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ ન થાય? ભૂત-ભવિષ્ય જાણનારી તું મને આવું શિક્ષણ આપે ત્યારે મારા માટે કોઈ કાર્ય અઘરું નથી. હું કાં તો જળમાં ડૂબેલો થઈશ, કાં તો હું પૈતૃક રાજ્યનો ઉદ્ધાર કરીશ અથવા રણભૂમિ ત્યજીને સ્વર્ગમાં જઈશ. તારો ઉપદેશ મેં મૂગા મૂગા સાંભળ્યો, વચ્ચે વચ્ચે જરા બોલતો હતો. દુર્લભ અમૃત પીવાથી જેમ તૃપ્તિ નથી થતી તેમ તારી અમૃતવાણી સાંભળવાથી હું ધરાતો જ નથી. શત્રુઓનો નાશ કરવા, વિજયપ્રાપ્તિ કરવા હવે હું ઉત્સુક છું.’

(ઉદ્યોગ પર્વ, ૧૩૧-૧૩૪)