ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વીરદ્યુમ્ન અને તનુ ઋષિની કથા

From Ekatra Wiki
Revision as of 10:24, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વીરદ્યુમ્ન અને તનુ ઋષિની કથા

મહર્ષિ તનુ ઋષિઓને ધર્મ અને અર્થની વાતો કહી રહ્યા હતા ત્યારે કોઈ રાજા સેના તથા નગરની સ્ત્રીઓ સાથે વેગીલા ઘોડાઓની સહાયથી ત્યાં પહોંચ્યો. વનમાં તેમનો પુત્ર ખોવાઈ ગયો હતો અને એને કારણે તેઓ બહુ દુઃખી હતા. અહીં તો મળશે જ એમ માનીને ત્યાં જઈ ચઢ્યા. પુત્ર નહીં મળે તો હું મરી જવા માગું છું — રાજાની આ વાત સાંભળીને તનુ ઋષિ ઘડી પર ધ્યાનસ્થ રહ્યા. તેમને એવો અવસ્થામાં જોઈ રાજા ધીરે ધીરે બોલ્યા, ‘દુર્લભ શું છે? આનાથી વધારે મોટું શું છે — એ મને તમે કહો.’

‘પહેલાં તમારા એ પુત્રે નાદાન બનીને અને પોતાના દુર્ભાગ્યે એક મહર્ષિનું અપમાન કર્યું હતું. એ ઋષિએ સોનાનો કળશ અને વલ્કલ માગ્યા હતા, તે ન મળ્યાં એટલે ઋષિ દુઃખી થઈ ગયા, નિરાશ થઈ ગયા. આ સાંભળી રાજા પણ નિરાશ થઈ ગયા. જેવી રીતે સપ્તષિર્ઓ ધ્રુવને વીંટળાઈ વળે છે તેવી રીતે બધા ઋષિઓ રાજાને વીંટળાઈ વળ્યા. પછી તેમણે રાજાને તેના આવવાનું કારણ પૂછ્યું, ‘મારું નામ વીરદ્યુમ્ન છે, મારો પુત્ર ભૂરિદ્યુમ્ન ખોવાઈ ગયો છે તેને શોધવા હું અહીં આવ્યો છું. તે મારો એકનો એક પુત્ર છે. તે હજુ તો બાળક છે. એ ન મળ્યો એટલે ચારે બાજુ શોધું છું.’

રાજાએ આમ કહ્યું તો પણ મુનિ નીચું માથું કરીને બેસી રહ્યા, રાજાને કશો ઉત્તર આપ્યો નહીં. ભૂતકાળમાં આ રાજાએ આ ઋષિનું સન્માન કર્યું ન હતું. તે પછી ઋષિ પછી નિરાશ થઈ ગયા. બીજા કોઈનું દાન નહીં સ્વીકારું એમ કરીને ત્યારે પણ સ્થિર થઈ ગયા હતા.

રાજાએ પૂછ્યું, ‘આશાથી વધુ દુર્બલતા કઈ છે? આ પૃથ્વી પર દુર્લભ શું છે?’

તનુ ઋષિ જૂની વાતનું સ્મરણ રાજાને કરાવતા બોલ્યા, ‘આશાવાન પુરુષના જેવાં દુર્બલ કોઈ નથી. આ જોઈને જ મેં રાજાઓ પાસે જઈને યાચના કરી હતી.’

રાજાએ આ વાત સાંભળીને તેનો સ્વીકાર કર્યો. પછી પૂછ્યું, ‘દુર્બલપણું શું છે? દુર્બલ શું છે?’

‘યાચક થઈને ધૈર્ય ધારણ કરવું, કોઈની પાસે યાચના ન કરવી, સંતોષ પામવો, એ દુર્લભ છે. યાચકનો તિરસ્કાર ન કરે તે દુર્લભ છે.’

આ બધી વાતો સાંભળીને રાજા પ્રસન્ન થયા, પછી બોલ્યા, ‘હું હવે તમારી કૃપા ઇચ્છું છું. મારા પુત્રનો ભેટો ઇચ્છું છું.’

એટલે તનુ ઋષિએ પોતાના તપ અને વિદ્યાથી રાજપુત્રને ત્યાં ઊભો કરી દીધો. પછી મુનિ પાસેના વનમાં જતા રહ્યા.

(શાન્તિપર્વ, ૧૨૬)