ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/સૃંજય-પર્વત-નારદની કથા

From Ekatra Wiki
Revision as of 09:12, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૃંજય-પર્વત-નારદની કથા

શૈલ્ય રાજાનો એક પુત્ર નામે સૃંજય. તેના બે ઋષિમિત્રો પર્વત અને નારદ. એક દિવસ બંને મહર્ષિ સૃંજયને મળવા ગયા. રાજાએ બંનેની પૂજા કરી અને તેઓ ત્યાં રહ્યા. એક દિવસ ત્રણે બેઠા હતા ત્યારે સંજયની પુત્રી ત્યાં આવી ચઢી, રાજાને પ્રણામ કરી તે પાછલા ભાગે ઊભી રહી. પર્વતે હસતાં હસતાં પૂછ્યું, ‘આ સર્વ લક્ષણોવાળી ચંચળ કન્યા કોણ છે? આ સૂર્યની પ્રભા છે કે અગ્નિદેવની જ્યોત છે? કે પછી શ્રી હ્રીમ કીતિર્, ધૃતિ, પુષ્ટિ, સિદ્ધિ, ચંદ્રપ્રભા છે?’

એટલે રાજાએ પર્વતને કહ્યું, ‘આ મારી કન્યા છે. તે મારી પાસેથી વર માગે છે.’

આ સાંભળી નારદે કહ્યું, ‘જો તમારે પરમ કલ્યાણ જોઈતું હોય તો મારી સાથે તેનું લગ્ન ગોઠવી દો.’

પર્વત આ સાંભળી ગુસ્સે થઈને બોલ્યા, ‘મેં મનોમન પહેલાં જ આ કન્યા પસંદ કરી હતી. એટલે મારી પત્નીને તમે વરી બેઠા. એટલે હવે તમે સ્વર્ગના અધિકારી નહીં બનો.’

‘મનમાં સંકલ્પ કરીને, વાણી દ્વારા પ્રતિજ્ઞા કરીને, સંકલ્પજલ હાથમાં લઈને જ કન્યાદાન કરવામાં આવે છે, વર કન્યાનું પાણિગ્રહણ કરે છે. પણ આટલાથી પાણિગ્રહણ પર્યાપ્ત થતું નથી. એની પૂર્ણતા તો સપ્તપદીથી જ આવે. એટલે આ કન્યા ઉપર તમારો અધિકાર સ્થપાઈ જતો નથી. અને તમે મને શાપ આપ્યો, તમે પણ મારા વિના સ્વર્ગમાં જઈ નહીં શકો.’

આમ તે બંને એક બીજાને શાપ આપીને થોડો સમય ત્યાં રોકાઈ ગયા. રાજા સૃંજયે પુત્રપ્રાપ્તિ માટે પૂરેપૂરી શક્તિ વાપરીને ભોજન, પેય પદાર્થો, વસ્ત્ર આપીને બ્રાહ્મણોની આરાધના કરી. એક દિવસ રાજા પર પ્રસન્ન થઈ પુત્ર આપવાની ઇચ્છાવાળા બ્રાહ્મણોએ એકસાથે નારદજીને કહ્યું, ‘દેવષિર્, તમે રાજાને ઇચ્છનીય પુત્ર આપો.’

તપસ્યા, સ્વાધ્યાય કરનારા, વેદવેદાંગોમાં પારંગત બ્રાહ્મણોએ આવું કહ્યું એટલે નારદે ‘તથાસ્તુ’ કહીને તેમની વાત સ્વીકારી લીધી. ‘રાજષિર્, આ પ્રસન્ન થયેલા બ્રાહ્મણો તમને પુત્ર આપવા માગે છે, તો તમારે જેવો પુત્ર જોઈતો હોય તે માગો.’

નારદે આવું કહ્યું એટલે રાજાએ હાથ જોડીને સદ્ગુણી, યશસ્વી, કીતિર્માન, શત્રુદમન પુત્ર માગ્યો, ‘મુનિ, જેનાં મળ મૂત્ર, થૂંક, પરસેવો — બધું જ સુવર્ણ થઈ જાય.’

મુનિએ ‘એમ જ થશે’ કહ્યું અને રાજાને મનોવાંછિત પુત્ર જન્મ્યો.

મુનિની કૃપાથી તે પુત્ર સોનાની ખાણ પુરવાર થયો. રાજાને એવો જ પુત્ર જોઈતો હતો. રડે ત્યારે સોનાનાં આંસુ ઝરે. એટલે તેનું નામ સુવર્ણષ્ઠીવી પડ્યું. એ વરદાનને કારણે પુષ્કળ ધનપ્રાપ્તિ થઈ. રાજાએ, ઘર, કિલ્લા, પ્રવેશદ્વાર, બ્રાહ્મણોનાં નિવાસસ્થાન, પલંગ, આસન, થાળીવાટકા, રાજમહેલ- આ બધું સોનાનું કરાવી દીધું. જેમ દિવસો વીતે તેમ તેમાં વૃદ્ધિ થવા લાગી. દરમિયાન લૂંટારુઓએ રાજાના ધનવૈભવની વાત સાંભળીને લૂંટફાટ શરૂ કરી દીધી. એમાંના એક જણે કહ્યું, ‘આપણે રાજાના પુત્રનું હરણ કરી જઈએ. એ જ સુવર્ણની ખાણ છે. એટલે એને પકડવાનો પ્રયત્ન કરીએ. અને એમ લોભી લૂંટારાઓ રાજમહેલમાં પ્રવેશીને બળજબરીથી રાજકુમારને ઉઠાવી ગયા. તે લોકો સાચો ઉપાય જાણતા ન હતા એટલે વનમાં લઈ જઈને રાજકુમારને મારી નાખ્યો, તેના શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા, પણ જરાય ધન મળ્યું નહીં. તે મૃત્યુ પામ્યો એટલે તે વરદાયક વૈભવ નષ્ટ થઈ ગયો. એ રાજકુમારનો વધ કર્યા પછી મૂર્ખ, દુરાચારી લૂંટારા એકબીજાને મારવા લાગ્યા અને નાશ પામ્યા, ભયંકર નરકને તે પામ્યા.

મુનિના વરદાનથી જન્મેલા એ પુત્રને મરેલો જોઈ રાજા દુઃખી દુઃખી થઈ ગયો, અને વિલાપ કરવા લાગ્યો. એટલે એ સાંભળીને દેવષિર્ નારદ તેને આશ્વાસન આપવા આવ્યા; તથા અનેક પ્રતિષ્ઠિત પુુરુષોની કથાઓ તેમણે સંભળાવી. અને પછી ઉમેર્યું,

‘મેં જે કહ્યું તે તમે સાંભળ્યું અને સમજ્યા કે નહીં? શૂદ્ર જાતિની સ્ત્રી સાથે સંબંધ રાખનારા બ્રાહ્મણને અપાયેલું દાન જેવી રીતે નિષ્ફળ જાય એવી રીતે મારી આ બધી વાત વેડફાઈ તો નથી ગઈ ને?’

એટલે રાજાએ હાથ જોડીને કહ્યું, ‘આ બધાની કથાવાર્તાઓ સાંભળીને મારો બધો શોક દૂર થઈ ગયો છે, જેવી રીતે સૂર્ય અંધકારનો નાશ કરે છે એવી રીતે. હવે મારી વ્યથા દૂર થઈ ગઈ છે. બોલો શી આજ્ઞા છે?’

‘ચાલો, સારી વાત છે કે તમારો શોક દૂર થઈ ગયો. હવે જે ઇચ્છા હોય તે માગી લો. તમારી ઇચ્છા પાર પડશે. અમે અસત્ય બોલતા નથી.

‘તમે મારા પર પ્રસન્ન છો એમાં જ બધું આવી ગયું. તમે જેના પર પ્રસન્ન હો એને માટે તો આ જગતમાં કશુંય દુર્લભ નથી.’

‘લૂંટારુઓએ તમારા પુત્રને પશુની જેમ મારી નાખ્યો છે. તમારા એ પુત્રને કષ્ટપ્રદ નરકમાંથી બહાર કાઢી તમને પાછો આપું છું.’

નારદે આમ કહ્યું એટલે તરત જ રાજાનો પુત્ર ત્યાં પ્રગટ થયો, એ કુબેરપુત્ર જેવો દેખાતો હતો. પુત્ર પામીને રાજા ખૂબ આનંદ પામ્યો, અને પછી તેમણે ઉત્તમ દક્ષિણાઓવાળા યજ્ઞ કર્યા.

(ગીતાપ્રેસ, દ્રોણ પર્વ, ૫૫થી ૭૦)