ભારતીયકથાવિશ્વ-૫/ભારતની લોકકથાઓ/આવશ્યકચૂર્ણીની લોકકથાઓ


આવશ્યકચૂર્ણીની લોકકથાઓ

એક બ્રાહ્મણીને ત્રણ કન્યા, તે કાયમ વિચાર્યા કરતી કે લગ્ન પછી દીકરીઓ સુખેથી કેવી રીતે રહેશે. તેણે કન્યાઓને શિખામણ આપી કે લગ્ન પછી પહેલી રાતે પતિને લાત મારી તેનું સ્વાગત કરવું. સૌથી મોટી કન્યાએ માની આજ્ઞા પાળી. લાત ખાઈને તેના પતિએ પત્નીને પગ દબાવી કહ્યું, ‘અરે, તારા પગને ઈજા તો નથી થઈ ને?’ દીકરીએ માને વાત કરી. ‘જા, તું, ઇચ્છા પ્રમાણે જીવન જીવજે. તારો પતિ તને કશું કરી નહીં શકે.’ વચલી દીકરીએ પણ માની વાત માની. તેના પતિએે લાત ખાઈને પહેલાં તો પત્નીને સંભળાવી પણ પછી તરત જ શાંત થઈ ગયો. માએ દીકરીને કહ્યું, ‘તું પણ નિરાંતે રહીશ.’ હવે ત્રીજી કન્યાનો વારો આવ્યો. તેના પતિએ લાત ખાઈને પત્નીને મારવા માંડ્યું. કહ્યું- ‘અમારા કુલધર્મ પ્રમાણે આવું કર્યું છે’ અને એમ કહી પતિને શાંત કર્યો. આ સાંભળી માએ દીકરીને કહ્યું, ‘તું દેવતા જેવા પતિની પૂજા કરતી રહેજે અને તેનો સાથ છોડીશ નહીં.’

એક નગરમાં વાણિયો રહે. તેણે એક વાર શરત લગાવી. જે કોઈ મહામહિનામાં રાતે ઠંડા પાણીમાં બેસી રહે તો હું તેને એક હજાર સોનામહોર આપું. એક ગરીબ બ્રાહ્મણ આ સાંભળી તૈયાર થયો અને આખી રાત ઠંડીમાં બેસી રહ્યો. વાણિયાએ તેને પૂછ્યું, ‘તું આખી રાત આટલી ઠંડીમાં બેસી રહ્યો કેવી રીતે? મરી ના ગયો?’ તેણે ઉત્તર આપ્યો, ‘નગરમાં એક દીવો સળગતો હતો, તેને જોઈને બેસી રહ્યો.’ વાણિયાએ કહ્યું, ‘તો પછી હજાર સોનામહોર ના મળે. કારણ કે તું તો દીપકને કારણે પાણીમાં બેસી રહ્યો હતો.

પેલો ગરીબ વાણિયો નિરાશ થઈને ઘેર ગયો. પોતાની દીકરીને બધી વાત કરી. દીકરીએ કહ્યું, ‘પિતાજી, ચિંતા ન કરો. તમે એ સજ્જનને આપણી જ્ઞાતિના લોકો સાથે જમવા બોલાવો. ભોજન વખતે પાણીનો લોટો દૂર મૂકી રાખજો, ભોજન પછી જો તે પાણી માંગે તો એને કહેવાનું — આ રહ્યું પાણી… એને જોઈને તરસ છિપાવો…’ વાણિયાએ એવું કર્યું. એટલે જુઓ, પેલા ધનિક વાણિયાએ હજાર સોનામહોર આપી દીધી.