ભારતીય કથાવિશ્વ૧/દાસીપુત્ર કવયની કથા


દાસીપુત્ર કવયની કથા

એક વેળા ઋષિઓએ સરસ્વતીના કિનારે એક સત્ર(૧૦૦ દિવસ ચાલતું) આરંભ્યું. તેમાં ઇલુષના પુત્ર કવયને સોમયાગમાંથી કાઢી મૂક્યો, ‘તું દાસીપુત્ર છે, જુગારી છે, અબ્રાહ્મણ છે. (તારા જેવો) અમારી વચ્ચે કેવી રીતે દીક્ષા લઈશ?’ તેને ત્યાંથી બહાર કાઢી મૂક્યો, તે ભલે તરસે મરી જાય, સરસ્વતીનું જળ તે પી ન શકે, કિનારાથી દૂર પાણી વગરના પ્રદેશમાં કાઢી મૂકેલા તેણે દૂર દૂર નિર્જળ પ્રદેશમાં તરસે વ્યાકુળ થઈને ‘પ્ર દેવત્રા’ વગેરે સૂક્તનું સ્મરણ કર્યું. એ સૂત્ર વડે જળના અભિમાની દેવતાના પ્રિય ધામને પ્રાપ્ત કર્યું, તેના પ્રત્યે આપો દેવતા કૃપા વડે પ્રાપ્ત થયા. સરસ્વતી તેની ચારે બાજુ થઈને વહેવા લાગી. જે સ્થળે સરસ્વતી નદીએ તેને ચારે બાજુથી ઘેરી લીધો તે સ્થળ આજે પણ ‘પરિસારક’ નામે ઓળખાય છે. (ઐતરેય બ્રાહ્મણ ૩.૧)