ભારતીય કથાવિશ્વ૧/પ્રજાપતિનું સર્જન


પ્રજાપતિનું સર્જન

પ્રજાપતિએ ઇચ્છા કરી કે હું પ્રજોત્પાદન વડે બહુ થાઉં. તેમણે તપ કર્યું. તપ કરીને આટલા લોક સર્જ્યા, પૃથ્વી, અન્તરીક્ષ અને સ્વર્ગ. ફરી ત્રણ લોકની પર્યાલોચના કરી. આ લોકમાંથી ત્રણ જ્યોતિ પ્રગટી — પૃથ્વીમાંથી અગ્નિ, અન્તરીક્ષમાંથી વાયુ અને દ્યૌમાંથી સૂર્ય પ્રગટ્યા. આ ત્રણ જ્યોતિની ફરી આલોચના કરી. તેમાંથી ત્રણ વેદ પ્રગટ્યા. અગ્નિમાંથી ઋગ્વેદ, વાયુમાંથી યજુર્વેદ અને આદિત્યમાંથી સામવેદ પ્રગટ્યા. આ ત્રણે વેદની ફરી આલોચના કરી. આ વેદોમાંથી ત્રણ જ્યોતિ પ્રગટી. ઋગ્વેદમાંથી ભૂ, યજુર્વેદમાંથી ભુવ: અને સામવેદમાંથી સ્વ: પ્રગટ્યા. ફરી તે જ્યોતિઓની આલોચના કરી. તે જ્યોતિમાંથી ત્રણ વર્ણ ઉત્પન્ન થયા. અકાર, ઉકાર અને મકાર. તેમણે આ ત્રણેને એક સાથે સંયોજ્યા — એટલે ‘ઓમ’ પ્રગટ્યો.

(ઐતરેય બ્રાહ્મણ, પચીસમો અધ્યાય, સાતમો ખંડ)