મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ

Revision as of 05:55, 10 January 2023 by MeghaBhavsar (talk | contribs)

[[|300px|frameless|center]]


મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચી

કિશોર વ્યાસ


મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચી

સ્વાધ્યાય અને સૂચી

સંપાદક : કિશોર વ્યાસ

અર્પણ

મરજીવા ! મોતી તે ખોળ્યાં અપાર


સુરેશ જોષી-ઉષા જોષી * મોહનલાલ પટેલ * ભવાનીશંકર વ્યાસ
ભોગીલાલ ગાંધી * રસિક શાહ * જયંત પારેખ
ભરત નાયક-ગીતા નાયક * સુમન શાહને

નિવેદન

આપણી ભાષાનાં મહત્ત્વનાં સામયિકોના અભ્યાસ પરત્વે હંમેશાં એક ખેંચાણ રહ્યું છે. સામયિકો આપણી સાહિત્યિક આબોહવાને નરવી ગરવી રાખવા મથામણ કરતા હોય છે. આવા સામયિકો ઇતિહાસને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એ અજાણ્યું નથી. અહીં ‘મનીષા’, ‘ગદ્યપર્વ’ અને ‘ખેવના’ સામયિકની સૂચિ વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને કરી છે. એમાં આ સામયિકો વચ્ચે ભમવાના આનંદ સિવાયનો કોઈ હેતુ નથી એમ સમજવા વિનંતી. કોઈ કહે કે આ સામયિકો જ કેમ છે ? અન્ય સામયિકોનું સ્મરણ કરીને કહે કે આ સામયિકો વિશે કેમ વિચારતા નથી ? – એ વિશે પણ વિચારીશું. હજૂ તો ઘણું જીવવાનું છે ને થઈ શકે એટલું કામ કરવાનું છે. આપણી વચ્ચે હવે સામયિક અભ્યાસો વધતા ચાલ્યા છે એનો આનંદ છે તે છતાં આ સૂચિ વેળા જે અનુભવ થયો એ કહું તો ‘મનીષા', ‘ગદ્યપર્વ’ અને ‘ખેવના’ની સળંગ ફાઇલો આપણા કહેવાતા ગ્રંથાલયોમાં ક્યાંયે નથી. એ મેળવવા માટે જે વિદ્વાન મિત્રોનો સંપર્ક કર્યો તેમાં જયદેવ શુક્લ, રાજેન્દ્ર પટેલ, ગિરીશ મકવાણા અને અજય રાવલે મહેનત લઈ કેટલાંક ખૂટતા અંકો મને શોધી આપ્યા. લાયબ્રેરીમાં બેસી અંકોની સામગ્રી અંગે ચિંતા સેવી એ માટે આ દોસ્તોની વિદ્યાપ્રીતિને વંદન કરું છું. અને તે છતાં ‘ખેવના’ના અંક ૪,૯ અને ૧૦ મળી શક્યાં નથી. એથી એ અંકોની સૂચિ અહીં નથી. એ માટે ક્ષમસ્વ. આ પુસ્તકમાં કોઈ વિગતો ચૂકાઈ ગઈ હોય, ક્ષતિ રહી જવા પામી હોય તો એ અંગે ધ્યાન દોરશો તો આભારી થઈશ. ‘મનીષા’ની સૂચિ આ અગાઉ અંકવાર અને વિગતલક્ષી કરી હતી. એમાં એકએક રચના અને લેખોની વિગતો સંક્ષેપમાં મૂકી હતી પરંતુ મિત્રોને એ અયોગ્ય જણાઈ એથી એ રદ કરીને સમગ્ર સૂચિ ફરી કરી છે. ‘મનીષા’ માટે સ્વાભાવિક રીતે જ મુ.સ્વ.જયંત પારેખને અને રસિક શાહને અદકેરો લગાવ હતો. જયંતભાઈએ તો વારંવાર આ સૂચિ વિશે વિસ્તારથી પત્રો દ્વારા તેમ રૂબરૂમાં ચર્ચા કરી હતી. આ ચર્ચા વેળાએ સુરેશભાઈને જ જાણે સાંભળી રહ્યો છું એવો અનુભવ થતો હતો. એમને ‘મનીષા’ની વિગતલક્ષી સૂચિ પહોંચાડી ત્યારે તેઓ ખૂબ ખુશ થયા હતા. એ મારા જીવનનો એક મોટો પુરસ્કાર ગણું છું. આદ. રાજેન્દ્ર નાણાવટી પાસે ‘મનીષા’ની ફાઇલ સચવાયેલી હતી. એ મળ્યાનો આનંદ કેટલો હોય ? પોતાના અંગત ગ્રંથાલયમાં સીડી પર ચઢીને એમણે મને ‘મનીષા’ના આ અંકો મેળવી આપ્યા હતા. જાણે ‘મનીષા’નું કામ યજ્ઞનો ભાગ હોય એવો એના ચહેરા પર ભાવ હતો. રાજેન્દ્રભાઈને પણ આ વેળાએ સ્મરું છું. આ સૂચિનું પુસ્તક કરવા પાછળનું એક પ્રયોજન વિદ્યાર્થી મિત્રોમાં પ્રેરકતા આણવાનો છે. આપણે શું કેવળ પદવી માટે કે અભ્યાસના રૂઢ માળખામાં જ સામયિકોના અભ્યાસ કરીશું ? આપણો કોઈ લગાવ, કોઈ પ્રેમ એની પાછળ હોય તો એ કામ ઊગી નીકળે. કેટલીક વાતો આ સૂચિના માળખા વિશે. અહીં જે ત્રણ સામયિકોની સૂચિ આપની સામે છે એ ત્રણેય સૂચિની ભાત અલગ પ્રવર્તે છે. ‘મનીષા’ આધુનિક ગાળાનું સામયિક હતું પણ એ લાંબુ ચાલી ન શક્યું. ‘ક્ષિતિજ’ના આરંભ માટેની એ એક છલાંગ હતી. ટૂંકા ગાળાને લીધે એની સ્વરૂપવાર સૂચિ કરી છે. ‘મનીષા’ના સર્જન અને વિવેચન વિભાગોમાંથી જોઈતી વિગતો તરત જ હાથવગી થઈ શકે એવો આશય છે. ‘ગદ્યપર્વ’માં મુખ્યત્વે ગદ્યસર્જનને, એના જુદાજુદા સ્વરૂપોને પ્રગટ કરવાનો ઉત્સાહ વરતાય છે એથી એક જ સર્જકની જે-તે સ્વરૂપમાં પ્રકાશિત થયેલી એકથી વધુ કૃતિઓ અહીં મળે છે. સર્જનાત્મક સ્વરૂપને ધ્યાનમાં રાખી વિભાગવાર દરેક સર્જકની કૃતિઓને અકારાદિ ક્રમે મૂકી છે. વાર્તાઓ કે નિબંધોને અકારાદિ ક્રમે મૂક્યા હોત તો સૂચિ વાયવી અને પથરાટવાળી બની જાત પરિણામે એ સહાયક બનતા અટકી હોત. ‘ખેવના’ની સૂચિમાં પણ અકારાદિ ક્રમે સર્જનાત્મક સ્વરૂપવાર સૂચિ છે. પરંતુ વિવેચનમાં એ ભાતને સ્વાભાવિક રીતે જ બદલી છે. ત્યાં કૃતિને આગળ કરી છે ને આમ, બને એટલા સહાયક બનવાનો પ્રયત્ન કર્યો છે. અંતે મૂકવામાં આવેલી સર્જક અને ગ્રંથ સૂચિ પણ સંદર્ભ શોધવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓ-જિજ્ઞાસુઓને આમાંથી બે વાત જડે તો આનંદભયો ! આ પુસ્તકને ભારતીય ભાષાસંસ્થાન-મૈસૂરની પ્રકાશન ગ્રાંટ પ્રાપ્ત થઈ છે એ માટે આપણી ભાષાનાં તજજ્ઞોનો તેમ આ સંસ્થાના અધિકારીઓનો આભારી છું. દર્શના, યશ પુસ્તક કરતી વેળા એટલા આનંદથી જોડાય છે કે ઘરમાં એ એક ઉત્સવ બની રહે છે. એ બંનેના અનર્ગળ પ્રેમથી જ આ પ્રવૃત્તિનો આનંદ બેવડાય છે. ‘સંવાદ પ્રકાશને’ આ પુસ્તકના સુઘડ મુદ્રણ અને લેઆઉટમાં અપાર પરિશ્રમ કરી મને ચિંતામુક્ત રાખ્યો છે. એનો તે શો આભાર માનું ? આશા છે કે આપ સૌને આ સૂચિ ઉપયોગી જણાશે.

કિશોર વ્યાસ