મનીષા જોષીની કવિતા/અથાણું અને અંધકાર

અથાણું અને અંધકાર

મારા રસોડામાં ગોઠવાયેલી
જાતજાતનાં અથાણાંની બરણીઓ જોતાં
હું કંઈક વિચારે ચડી જઉં છું,
કાચી કેરીની ખટાશ, મુરબ્બાની મીઠાશ
ગુંદાના ચીકણા ઠળિયા, કેરાની કડવાશ
ચણા-મેથી-લસણની તીવ્ર ગંધ
ખાંડેલું લાલ મરચું ને દળેલી પીળી રાઈ
તમાલપત્ર ને ગોળ ને ઉપર સરસવનું તેલ.
અથાણું બરાબર મચ્યું છે
અત્યારે, અડધી રાત્રે
આ ઘરમાં ફેલાયેલા અંધકારની જેમ જ.
મને ઊંઘ નથી આવતી
અને હું એક પછી એક, જુદાં જુદાં અથાણાં
ચમચીમાં લઈને ચાખી રહી છું.
અગાશીએ કેરી સૂકવવા મૂકતી વેળા
પગની પાનીએ લાગેલો તડકો
દઝાડી જાય છે મને, હજી અત્યારે, મોડી રાતે.
અને પછી સાંજ પડ્યે
બહાર સૂકવેલી કેરી ઘરમાં લેતી વખતે
આકાશમાં ફેલાયેલી ઢળતા સૂરજની લાલાશ પણ
હું જોઈ શકું છું અત્યારે, આ મધરાતે
મારી નિદ્રાહીન, ચોળાયેલી આંખોમાં.
આ અથાણાને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ
જાળવે છે મને પણ.
તેલમાં ગળાડૂબ અથાણામાં
અકબંધ સચવાઈ રહે છે અંધારું
અને આ તેલ-મસાલાથી ભરપૂર
ખાટો, મીઠો, તૂરો સ્વાદ
સાચવી લે છે મને પણ,
આવી અનેક અડધી રાતોએ.