મનોહર ત્રિવેદીનાં કાવ્યો/એંધાણી

એંધાણી

એવાં ખોરડાંની રાખજો એંધાણી
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

ઊઘડતાં ફૂલ જેવી ઊઘડતી આંખ હોય
                  નીંદરમાં પોપચે બિડાણી
પંખીના કણ્ઠ હાર્યે ઝૂલે પ્રભાતિયાં
                  તુલસીક્યારો જ્યાં ઝીલે પાણી
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

વગડાનો થાક જેનો નીતરતો પંડ્યથી
         ન્યાં સો – સો સોડમની સરવાણી
એનાં ભાણેથી ભરજો અમરતના ઑડકાર
                  સાચકલાં અન્નને પિછાણી–
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

આઠે તે પૉર ઊલેચાય જેની અંજળિ
                  ને આઠે તે પૉરની ઉજાણી
આંટીઘૂંટીથી કાંઈ અળગી રહે છે એવી
                  ધૂળમાં રજોટાતી વાણી–
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી