મનોહર ત્રિવેદીનાં કાવ્યો/એય...ને કાળુભાર

From Ekatra Wiki
Revision as of 00:50, 4 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એય...ને કાળુભાર


ચાલતી રહે એ...યને ઠુમકદાર બે કાંઠે મ્હાલતી રહે એય...ને કાળુભાર!
લૂનાં પીળાં ઝૂમખાઓ ખંખોળિયું ખાવા આવતાં એને હળવે રે હુલાવતી રહે
                  એય...ને કાળુભાર!

રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે મોકળે મને અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને
એકલવાયું ઊડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે જળનો દઈ સાદ એને
                  બોલાવતી રહે એય...ને કાળુભાર!
અહીંથી તહીં પતંગિયાની પાંખ–શાં નયન રઘવાયા થઈ ઠેકઠેકાણે ભટકે કદી ગઈ વેળાનાં સગડ ક્યાંથી હોય વેળુમાં? – તોય થાકોડાભેર બે ચરણ અટકે કદી
પાનીએ રાતા લવકારાને ઠારવા ત્યારે કોઈ ભીના સંભારણે છાલક મારતી રહે
                  એય...ને કાળુભાર!