મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કોઈ

કોઈ

બહાર નહીં તો અંદર કોઈ
નિત્ય કરે છે હરફર કોઈ

ચૉક અને ચૉરા પર કોઈ
શોધે પોતાનું ઘર કોઈ

ઓઢાડે જે ચિન્તા રાખી
ભરનીંદરમાં ચાદર કોઈ

મોતી એમ નથી વીંધાતું
વીંધે સાત સમંદર કોઈ

ભાર બધો ઓશીકે મૂકી
ઊંઘે છે ભડભાદર કોઈ

ચોર-પગે મેં જોઈ ચાંદની
ચડે-ઊતરે દાદર કોઈ

મોભ અને મોભો સાચવતાં
થાય પડીને પાદર કોઈ

સ્વાગત કરશે વિશ્વ નવું આ
ઓળંગે જો ઉંબર કોઈ