મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઘા

ઘા

કરતાં કેમ ડરે છે ઘા?
મિત્રો રોજ કરે છે ઘા

આશ્વાસન જે આપે છે
મીઠાથી જ ભરે છે ઘા

સાચવજે, એ પડઘા છે
પાછા એમ ફરે છે ઘા

દર્દ વધારી જાણો છો
ઔષધથી વકરે છે ઘા

જેમ મથું છું વિસ્મરવા
સતત સતત ચચરે છે ઘા

પાંપણથી પસવાર હજી
દાઝું તોય ઠરે છે ઘા

કે’જો કોઈ મનોહરને -
મરતાંવેંત મરે છે ઘા?