મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઘેર્યા

ઘેર્યા

મનોહર જુઓ, સર્વ સીમાએ ઘેર્યા
અને ચો—તરફના અરીસાએ ઘેર્યા

નથી છોડી મૂક્યે હજી અંત આવ્યો
અહીં એ જ પંખીનાં પીંછાએ ઘેર્યા

કહો, કોણ રોકી શકે એને, મિત્રો
હશે કોઈ કંકણના કિલ્લાએ ઘેર્યા

કહી મેં ગઝલ, ને તમે આંખ ઢાળી
પછી એકબીજાંની પીડાએ ઘેર્યાં

ગયા નીકળી અન્ય ઘેરાવથી તો
હવે પોતપોતાના કિસ્સાએ ઘેર્યા

સ્થળાંતર કર્યાથી કશું ક્યાં વળે છે?
સ્વજન જો ગયાં તો ફરિસ્તાએ ઘેર્યા