મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ભીતરે

From Ekatra Wiki
Revision as of 00:43, 5 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભીતરે

મંદાક્રાન્તા

છેલ્લા પત્રે પ્રિય, ઉમળકાભેર મેં વાંસ્યું તાળું,
કોરે મોરે વિગત, વચમાં જોઉં ખેંચાણ મારું :
‘લાંબા લાગે દિન પિયરના, રાત વેંઢારવાની’
(તેડી આવ્યો) વધુ સમય તું ક્યાં હતી ગાળવાની?

ગૈ કાલે જે પડતર હતું, આજ ચોખ્ખુંચણાક
હોંશે હોંશે ઘર કર્યું પ્રિયે, રમ્ય. દીસે ન થાક
તારા ચ્હેરે. વિહગ ફરક્યાં ભીંતનાં શાં ફરીને,
એના ઝીણા–નીરવ ટહુકા આળખે ઓશરીને!

બેડાં માંઝ્્યાં, ઝળહળ થયાં, ઓસર્યાં ઓઘરાળાં,
ખંખેર્યાં તેં છત સહિત બાઝેલ સર્વત્ર જાળાં,
વાળીઝૂડી, પુનરપિ બધી ગોઠવી ચીજવસ્તુ
ઑળીપાની સુરભિ વદતી હોય જાણે, ‘તથાસ્તુ’.

ખેંચી પાસે, સુખકમળ ત્યાં ઊઘડ્યાં સ્વેદભીનાં
ચૂમી લેતાં, સરવર છલ્યાં ભીતરે સારસીનાં!