યજ્ઞેશ દવેનાં કાવ્યો/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 23:50, 1 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય


અનુ-આધુનિક કાવ્યસંપદા શ્રેણી / યજ્ઞેશ દવે / સં. સંજુ વાળા એ કવિના સન. ૧૯૭૭-૭૮થી ૨૦૨૧ સુધીના લગભગ ૪૫ વર્ષની કાવ્યસિસૃક્ષા અંતર્ગત અને પ્રગટ થયેલા ચારેક કાવ્યસંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યોનું સંપાદન છે.

યજ્ઞેશની કવિતા દીર્ઘ-લઘુ બંને કાવ્યરીતિમાં સક્ષમ અને સભાનતાથી પ્રવર્તી છે. કવિની કલ્પનઆશ્રયે વિકસતી ગદ્યતરાહો, ભાવાભિવ્યક્તિનાં ભાત-પોત કે ભાષાના આકાર-કદ વગેરેની અનેક તાઝગીસભર રમણાઓ આ કવિતાનું રમણીય પાસું છે. અનેકગામી અને અનેકનામી વૈશ્વિક સ્થળોવિશેષો, વિશિષ્ટ અને જુદી નામ-છાપ ધરાવતાં પાત્રવિશેષો, પ્રકૃતિનાં રમ્ય-રૌદ્ર રૂપપરિમાણો અને આંખેદેખી અને કલ્પેલી વસ્તુનિષ્ઠ સર્જકસંવિત્તિની ભાળ આપતા વસ્તુનિષ્ટ પદાર્થો વિ. સંબંધી દીર્ઘકાવ્યો તો અનેકાયમી લઘુ કાવ્યગુચ્છો આ કવિના તીવ્ર અને તલાવગ્રાહી નિરીક્ષણ કે નિજી દર્શનની સર્જનાત્મક પીઠીકાઓ રૂપે તરી આવે છે.

અહીં સંપાદિત અને અન્ય કેટલાંક લઘુકાવ્યોમાં પણ, ભાવકને તરત રાજી કરવાની શક્યતાવાળી જગાઓને કાવ્યઉચિત સભાનતાથી કવિએ ખાળી છે, ત્યાં કવિનો શુદ્ધ આશય કાવ્યધર્મી અને સર્જકતાને સંમાર્જિત કરતાં રહેવાનો દેખાઈ છે. તો દીર્ઘકાવ્યોમાં નિરૂપણા વિષયવસ્તુ કે કથ્યભાવસંવેદનને કચકચાવીને વળગી રહે છે. કલ્પનનિષ્ઠ સાયુજ્યોની અવનવી યાદીઓની પ્રચુરતા વેઠીનેય વસ્તુનિષ્ઠસ્થાપના માટે આ કવિ ઝઝૂમે છે. અને સર્જકતાના બળે એને પાર પાડે છે.

યજ્ઞેશ દવે, આપણા આજના સમયના એક બહુઆયામી સભાન અને સમર્થ સર્જક તરીકે તરત ઉપસી આવતું નામ છે.

રાજકોટ
૨૮, ફેબ- ૨૦૨૪
- સંજુ વાળા