યાત્રા/પથવિભેદ?

From Ekatra Wiki
Revision as of 07:44, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પથવિભેદ?|}} <poem> (સૉનેટયુગ્મ) [૧] અહીં પથવિભેદઃ જે સમજતા હતા આત્મને મળેલ કંઈ ઉચ્ચ તત્વ તણી ભૂમિ-સંવાદમાં, ગયું જ સરી તે શું દર મિલનનું સોપાન ને ઉભા નિજ નિજ સ્થળે, ત્યહીં લહી શું પર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પથવિભેદ?

(સૉનેટયુગ્મ)

[૧]

અહીં પથવિભેદઃ જે સમજતા હતા આત્મને
મળેલ કંઈ ઉચ્ચ તત્વ તણી ભૂમિ-સંવાદમાં,
ગયું જ સરી તે શું દર મિલનનું સોપાન ને
ઉભા નિજ નિજ સ્થળે, ત્યહીં લહી શું પર્યાપ્તતા?

સ્વયં નિજ મતે સ્થિર, ક્રમણ અન્યથા ના ચહે,
ન અન્ય તણી ખેવના – શું અસહાયતા વા ત્યહીં,
ન અન્ય અરથે કંઈ કરી શકાય તે મૌન વા?
અરે, અધિક સંકુચાય નિજ કોટરે કીટ શું!

અહો, જગતમાં વિશૃંખલ થતું ઘણું તેવું આ–
વિકાસ બનતાં અહ, અવર તત્ત્વ વા; પૂર્તિની
હતી તરસ તે રસ બહુ મળ્યા, હવે ચાહના
કશી ન સહચારની, ત્યમ રચાય આ ભેદ, કે

જગત્-વિટપ પે સખા-વિહગ જેમ એ યુગ્મથી
રહે નિરખી એક અન્ય ચુગવા રહ્યું જે મથી?

[૨]

રહ્યું નિરખી એક અન્ય તણી ફીડ અશ્વત્થના
વિરાટ વિટપે, કુણું લસત કૈંક જ્યાં ટેટીઓ;
ચુગે, વળી ત્યજે, વળી કદીક ચાંચ અર્ધી ભરી,
વિમાસી રહતું વિષાદભર, જાય ટેટી ગરી.

અને કદીક પેટપૂર ભરી ભક્ષ્ય, મધ્યાહ્નની
પ્રતપ્ત ઘડીએ જતું નિંદરી ગુલ્મ છાયા મહીં;
ન ભાન કદી યે રહંત નિજ સાથી જે જાગૃત
સદા કિરણની કળી સકળ ઝીલતે જે વસે

નજીક જ, સદા નજીક; ક્યહીં યે ઉડે ને ભલે,
ભમતું નિજ ભક્ષ્ય કાજ, પણ એની સવ સ્થિતિ
વિષે સહ રહંત એ વિહગ મિત્ર–ને કે ક્ષણે
ઝબૂકી જઈ, ટેટીની ચણ તજી, ઉડે સંગ તે.

ઉડે ઉભય દૂર હર ગગનાની ઘેરી ગુહા
ગભીર અવગાહતાં, ટહુકતાં સુધાના દુહા.

સપ્ટેમ્બર, ૧૯૪૪