યાત્રા/સાબરમતીને

From Ekatra Wiki
Revision as of 05:37, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાબરમતીને|}} <poem> આ વર્ષાએ સભર તવ આ રૂપ ઝાઝું નિહાળ્યું, બંને કાંઠે ષડ ઋતુભરી નર્મદા જેવું રિદ્ધ; ને આ નેત્રો ધગધગ ધખી વેળુ-વંટોળ-વિદ્ધ પામ્યાં જાણે મખમલ મઢયું કે બિછાનું સુંવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સાબરમતીને

આ વર્ષાએ સભર તવ આ રૂપ ઝાઝું નિહાળ્યું,
બંને કાંઠે ષડ ઋતુભરી નર્મદા જેવું રિદ્ધ;
ને આ નેત્રો ધગધગ ધખી વેળુ-વંટોળ-વિદ્ધ
પામ્યાં જાણે મખમલ મઢયું કે બિછાનું સુંવાળું.

આવે આવે પ્રબળ ધસતાં નીર આ ઉત્તરેથી,
ના મોજાંઓ, નહિ વમળ, બેઠી ગતિના વહેણે
શક્તિ કેરો અદમ સરતા શું સલેપાટ, જાણે
વાયુઓ સૌ જલ બની અહીં દોડતા વ્યગ્રવેગી.

મીઠી મીઠી નિરખવી ઘણી રમ્ય આ તારી લીલા,
નેત્રો હર્ષે ગિરિવન થકી નિર્ઝર્યા આ પ્રસાદ, ૧૦
તોયે હૈયું ક્ષણભર પછી ડૂબી જાતું વિષાદેઃ
રે રે, આ તો પ્રકૃતિબલના વેગ અંધા હઠીલા.

આંહીં કયાં છે સુભગ મનુજે સંગ તારો મિલાપ?
જો ને સવે ખગ તજી ગયાં આજ તારો ઉછંગ,
ના કોઈને તવ જલ વિષે નાનપાને ઉમંગ,
ને તેં સર્જ્યા મૃદુ કલર ના ક્યહીં તો વિલાપ!

આ સંસ્કારી જનપદ વિષે વહેતી તું વન્યરૂપા,
તારા રૂડાં શરદનિતર્યા નીરમાં આમ ડ્રહોળાં,
આવાં કયાંથી ઉમટી પડતાં પૂરનાં મત્ત ટોળાં?
કે ર્હેવાની પ્રકૃતિસરણી આવી આ કલેશરૂપા? ૨૦

લાગે એવું: મનુજ પણ આ કે યુગોને વિકાસે
ડ્હોળાયેલું હૃદય લઈને ઘૂમતે, નીતરેલા
એને હૈયે વિષલ કુટિલા વૃત્તિના દુષ્ટ રેલા
વહે છે, જાણે પ્રકૃતિ મનુજે સ્પર્ધતાં સર્વનાશે.

ના ના કિન્તુ મનુજ તુજના સિદ્ધ આ સંગમે તો
સ્પર્ધા શોભે વિષ-વમનમાં, પૃથ્વીની માટી કેરા
આશ્લેષોને પરહરી જરા, આભમાં દૃષ્ટિ જોડી,
ત્યાંનાં ચોખ્ખાં જલ તણી તૃષા રાખવી જો ગમે તો?

તો તો એવાં અમલ જલને ઝંખતાં ઝીલતાં આ
પૃથ્વીપંકે વિગલિત થશે, ભૂમિનાં સ્વચ્છ ચિત્ત ૩૦
સોહી ર્હેશે સ્ફટિક સમ, ને ઝીલતાં દિવ્ય વિત્ત
ડ્હેકી ર્હેશે પયનિધિ સમાં વિષ્ણુ ઝૂલાવતાં, હા!

૧૯૪૪