યુરોપ-અનુભવ/રોમમાં કીટ્સના ઘરે

રોમમાં કીટ્સના ઘરે

ટાઇબરને કાંઠે ચાલતાં ચાલતાં અમે વીયા દેલ કોર્સો ભણી જવા ઇચ્છતાં હતાં. દીપ્તિએ નકશો ખોલ્યો અને નકશાની મદદથી અમે વીયા દેલ કોર્સોથી જાણીતા એ રાજમાર્ગ તરફ વળ્યાં. આજના રોમનો આ લાંબો રાજમાર્ગ વેપારવણજથી ધમધમતો માર્ગ છે. આ માર્ગ પર મોટી મોટી ઇમારતો અને મહોલાતો છે. મધ્યયુગની ઢળતી અવસ્થાએ જ્યારે બેરોક કલાશૈલીનો સુવર્ણયુગ ચાલતો હતો ત્યારે આ વિસ્તારમાં અશ્વદોડ યોજાતી. આ કોર્સો અંગ્રેજી કોર્સનો ઇટાલિયન પર્યાય. (વીયા = માર્ગ, કોર્સે = કોર્સ, રેસકોર્સ રોડ એવું અંગ્રેજી નામકરણ કરી શકીએ.)

કવિ નિરંજન ભગતે કહેલું કે, વીયા ડેલ કોર્સોથી ડાબી બાજુની એક ગલી વીયા ડેલ કોંટોડીમાં જર્મન કવિ ગેટે રહેલા. એટલે વીયા ડેલ કોર્સો ઓળંગી અમારે એ ગલીમાં, ગેટે જે મકાનમાં રહેતા હતા એ જોવા જવું હતું. જર્મન કવિ ગેટેનો ઇટલીનિવાસ એમના સર્જનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અમે વિયા ડેલ કોંટોડીમાં જવા માગતાં હતાં, પણ એ માર્ગ પર અમને કાફે ગ્રીકો દેખાઈ. ત્યાં લખેલું : ‘કવિ ગેટે અહીં જમવા આવતા.’ ચલો, ગેટેનું ઇટલીનું નિવાસસ્થાન નહિ, તો એમની સ્મૃતિવાળી એક જગ્યા તો જોઈ. અનેક યુરોપીય લેખકોએ આ કાફે ગ્રીકોનો ઉલ્લેખ પોતાનાં સંસ્મરણોમાં કરેલો છે. અમે ત્યાંથી આગળ ચાલ્યાં, તો એકદમ પ્લાઝા દ સ્પાન્યા – સ્પૅનિશ ચૉકમાં આવી પહોંચ્યાં. સત્તરમી સદીમાં એક સ્પૅનિશ રાજદૂત આ ચૉકમાં વિસ્તારના એક આવાસમાં રહેલા, ત્યારથી આ ચૉકનું એ નામ પડી ગયું છે.

પણ આ વિસ્તાર સ્પૅનિશ ચૉકમાં માત્ર ગેટે કે પેલા રાજદૂત રહી ગયેલા એવું નથી, અંગ્રેજ કવિઓમાં કૉલરિજ, શેલી, બાયરન, બ્રાઉનિંગદંપતી, જેમ્સ જોય્યસ વગેરે પણ રહી ગયેલાં. અલબત્ત કવિ જૉન કીટ્સ પણ. રોમની હૃદયકુંજ જેવો આ વિસ્તાર યુવાન કવિઓ, લેખકો, સંગીતકારો, કલાકારોને ઘણો પ્રિય હતો.

હા, કીટ્સે જે ઘરમાં અંતિમ શ્વાસ છોડેલા એ ઘર પણ આ સ્પૅનિશ ચૉકમાં છે. અહીં ઊંચે જતી એક સોપાનમાલા છે, જે પણ સ્પૅનિશ સ્ટેપ્સને નામે ઓળખાય છે. ખુલ્લો ચૉક અને ખાસ્સી લંબાઈ ધરાવતાં ઊંચે જતાં ૧૩૭ પગથિયાં ચઢો એટલે આવે ટ્રિનિટા દાઈ મોન્ટીનું ચર્ચ. ફ્રેન્ચ રાજવી ચાર્લ્સ આઠમાએ ૧૪૯૪માં બંધાવેલું. અમે ચર્ચમાં તો ન ગયાં, પણ એ સહજ આરોહણક્ષમ સોપાનમાલા ચઢી ત્યાંથી રોમ શહેરને નવી રીતે જોયું.

આ જગ્યા નિરાંતે બેસવા જેવી છે. દુનિયાભરના પ્રવાસીઓ ત્યાં જોવા મળે. નિરાંતે મળે એવી મોકળાશ છે. રોમમાં રહેતાં હોત તો મિત્રોને રોજ સાંજે આ સ્થળે મળવાનું ગમે.

આ સોપાનમાલાની બરાબર જમણી બાજુએ લાલ રંગનું નાનું ચાર માળનું એક મકાન છે – કાસીના રોઝા. એના ત્રીજા માળની એક ઓરડીમાં આરોગ્ય-લાભ માટે રોમ આવેલા ક્ષયગ્રસ્ત કવિ કીટ્સે ૧૮૨૦ના સપ્ટેમ્બરથી ૨૩ ફેબ્રુઆરી ૧૮૨૧ના રોજ તેમના થયેલા કરુણ મૃત્યુ સુધીના દિવસો વિતાવેલા. એ મકાનને હવે ‘કીટ્સશેલી મેમોરિયલ હાઉસ’ કહે છે. શેલી અહીં કદી રહ્યા નહોતા. પણ પોતાના રોગશય્યામાં પડેલા મિત્ર કીટ્સને મળવા અહીં આવતા.

નિરંજનભાઈએ કહેલું : એ ઓરડાની અવશ્ય મુલાકાત લેજો. કદાચ એમણે ન કહ્યું હોત તો સ્પૅનિશ સોપાનમાલા જોઈ અમે સીધા ટ્રેવાઈ ફુવારા ભણી નીકળી ગયાં હોત. એટલે પહેલેથી એ સ્થળનાં દર્શન અમારી યોજનામાં હતાં. અમારાં ત્રણ સાથીઓ રૂપા, દીપ્તિ અને નિરુપમાને તો સોપાનમાલા જ ગમી ગઈ. મેં અને ડૉ. અનિલા દલાલે ૩૫૦૦ લીરા પ્રવેશ ફી આપીને મેમોરિયલ હાઉસમાં પ્રવેશ કર્યો.

એની સાથે જાણે સૌન્દર્યપ્રેમી કવિ કીટ્સનો કાવ્યલોક ઊઘડતો ગયો; સાથે અકાળે અસ્તમિત કીટ્સના જીવનની કરુણ કહાનીનાં પૃષ્ઠો ખૂલતાં ગયાં.

કીટ્સનું નામ શાળાના દિવસોમાં સૌપહેલાં કવિ કલાપીના સંદર્ભમાં સાંભળેલું. કવિ કલાપીની જેમ આ અંગ્રેજ કવિ પૂરાં છવ્વીસ વર્ષ(૧૭૯૫-૧૮૨૧)નું આયુષ્ય લઈને પણ નહીં આવેલા. કલાપી અમને ગમતા કવિ. એટલે જ્યારે અમારા શિક્ષકે બન્નેની વયની સરખામણી કરતાં કહેલું કે કવિ તરીકે કીટ્સ કલાપી કરતાં ચઢિયાતા, ત્યારે અમારી ગુજરાતી અસ્મિતા ઘવાયેલી, પણ પછી કીટ્સની કવિતાઓનો અભ્યાસ કરવાની તક મળી અને પ્રમાણ્યું કે અમારા શિક્ષકની વાત ખરી હતી. કલાપીની જેમ કીટ્સ પણ પ્રેમના અને સૌન્દર્યના કવિ છે.

આ બન્ને કવિઓમાં બીજી એક સમાનતા જોયેલી, અને તે હતી: બન્નેના પત્રો. કલાપીના અને કીટ્સના પત્રો તેમની આંતરિક વ્યથાવેદનાની અભિવ્યક્તિ છે. તેમાં કીટ્સની પોતાની વાગ્દત્તા ફેની બ્રાઉનને લખેલા પત્રો તો જગતમાં પ્રેમપત્રોના સાહિત્યમાં માન મુકાવે એવા છે.

કીટ્સનું જીવન કરુણતાઓથી ભરેલું છે. તે આઠ વર્ષના હતા અને પિતા ઘોડેસવારીના અકસ્માતમાં મૃત્યુ પામ્યા. (કીટ્સ સમ્પન્ન સૂત-કોચવાન પરિવારમાં જન્મેલા), તે ચૌદ વર્ષના થયા કે ક્ષયમાં માતાનું મૃત્યુ થયું. વારસામાં એમને પણ ક્ષય મળેલો. એ મોટા થયા, પણ ઊંચાઈ પાંચ ફૂટ સુધી સીમિત રહી. પછી ભાઈ કરતાં વિશેષ એવો ભાઈ ટૉમસ ક્ષયમાં મૃત્યુ પામ્યો. કીટ્સને મર્માન્તિક આઘાત કરનાર તો તરુણ કવિની કવિતાના વિવેચકો હતા. ૧૮૧૭માં પ્રકટ કીટ્સના પ્રથમ કાવ્યસંગ્રહની સખત ટીકાઓ થઈ, જે સહન કરવાની આ ઊગતા કવિની શક્તિ ન્હોતી.

૧૮૧૦માં પહેલી વાર ફેની બ્રાઉનને મળવાનું થયેલું અને પછી બ્રાઉન પરિવારના વેન્ટવર્થના ઘરની બાજુની કૉટેજમાં એ રહેવા ગયા. એ ઘરના બગીચામાં જ બુલબુલનું ગાન સાંભળીને એમનું પ્રસિદ્ધ સંબોધનકાવ્ય ‘ઓડ ટુ અ નાઇટિંગેલ’ લખેલું. ફેની સાથે એ વર્ષે એની સગાઈ થાય છે. અને એ પછીના વર્ષે ૧૮૧૯માં કીટ્સની સર્જકતા પરાકાષ્ઠાએ પહોંચે છે. એ સાથે સ્કોટલૅન્ડની એક યાત્રા દરમ્યાન એને ક્ષયરોગનો પહેલો હુમલો પણ થાય છે.

કીટ્સ અને એની વાગ્દત્તા વચ્ચેના પત્રવ્યવહારની શરૂઆત ૧૮૧૯ની ૧લી જુલાઈએ કીટ્સે લખેલા પ્રથમ પત્રથી થાય છે. કોઈ પણ પ્રેમીની પહેલા પત્રમાં જે મૂંઝવણ હોય તેવી મૂંઝવણ કીટ્સની છે અને પહેલા પ્રેમપત્રમાં હોય તેવો રોમેન્ટિક ભાવોચ્છ્‌વાસ પણ છે. એણે લખ્યું હતું :

I know not how to express my devotion to so fair a form : I want a brighter word than bright, a fairer word than fair. I almost wish we were butterflies and lived but three summer days…

બન્ને જણ પતંગિયાં બની ત્રણ વાસંતી દિનોની જિંદગીને સાથે માણે એ કલ્પના કેટલી રોમાંચક, છતાં તરુણ પ્રેમીઓ માટે કેટલી સહજ છે! ફેની બ્રાઉનનો પ્રેમ એની સર્જકતાનો પર્યાય હોય એમ શ્રેષ્ઠ કવિતાઓ રચાતી ગઈ અને એની સાથે ફેનીને પત્રો લખાતા ગયા. એ સાથે ક્ષય પણ વૃદ્ધિ પામતો ગયો અને પરિણામે ૧૮૨૦ના મેમાં કીટ્સ અને ફેનીનો વિવાહ ફોક થયો. કીટ્સના જીવનમાં ક્ષય કરતાં પણ એ ભયંકર આઘાત હતો. વિવાહ ફોક થયા પછી એના ફેની પરના પત્રોમાંના છેલ્લા પત્રમાં લખેલું:

My dearest Girl,

I wish you could invent some means to make me at all happy without you… I do not think my health will improve much while I am separated from you… I hate men and women more. I see nothing but the thorns in future.

કિટ્સ એટલો વ્યથિત હતો કે એ પત્રમાં એણે લખેલું કે દુનિયામાં કબર જેવી ચીજ છે તે મારે માટે ખુશીની વાત છે, કેમ કે, I am sure I shall never have any rest till I get there.

અને રોમનું ખ્રિસ્તી કબ્રગાહ જાણે કીટ્સની રાહ જોતું હતું.. કીટ્સ ઇંગ્લૅન્ડના ઠંડા શિયાળાથી બચવા અને કંઈક સ્વાસ્થ્યલાભની આશાથી ચિત્રકાર મિત્ર જોસેફ સેવર્ન સાથે ઇટલીના ભૂરા આકાશની આશા લઈ ૧૮૨૦ના ૧૮મી સપ્ટેમ્બરે જહાજમાં રોમ જવા નીકળ્યા હતા. અનેક વિટંબણાઓ સહી વરસતા વરસાદમાં નેપલ્સ ઊતરી ત્યાં ક્વેરન્ટાઇનમાં થોડા દિવસ રહી છેવટે ૧૮૨૦ના નવેમ્બરની ૨૦ તારીખે રોમ પહેંચ્યા. ત્યારે સ્વાસ્થ્ય વધારે લથડ્યું હતું. સ્પૅનિશ ચૉક પાસેના કાસીના રોઝા ઘરમાં બે ઓરડા ભાડે રાખેલા.

પગથિયાં ચઢતાં કીટ્સની કવિતાની સાથે એમના ફેની માટેના અચરિતાર્થ રહેવા જન્મેલા પ્રેમની વાતો યાદ આવતી હતી. ક્લાપીની પેલી પંક્તિ જ કીટ્સના એ પ્રેમજીવનનો સમારોપ કરી શકે એમ છે.

‘મેં પ્રેમમાં તડપતાં મમ શાંતિ ખોઈ.’

ઉપર ઓરડામાં અમે પ્રવેશ કર્યો. આ ઓરડાની એક બારી બાજુના સ્પૅનિશ ચૉકમાં પડતી હતી. એ જ બારી પાસે બીમાર કવિની પથારી રહેતી.

રોમ અથવા ઇટલી તો રોમેન્ટિક કવિઓના પિયર જેવું હતું. પણ આવા રોમમાં આવ્યા પછી કીટ્સ કવિતાની એક પણ લીટી લખી શક્યા નહોતા. કીટ્સને બે પ્રિયતમાઓ હતી જાણે : એક કવિતા અને બીજી ફેની. અહીં આવ્યા પછી કવિતા નહિ, પણ ફેનીના નામનો જપ જપતા, અને ફેની તો હતી દૂર સાગરપાર. ઇટલીમાં નેપલ્સમાં ઊતર્યા પછી ત્યાંથી એક મિત્ર ચાર્લ્સ બ્રાઉનને લખેલું કે, ‘ફેનીને હવે કદી નહિ જોઈ શકું એ બીક જ મને ખતમ કરી દેશે.’ I can bear to die, but I cannot bear to leave her. તેમાં વળી વિદાયવેળાએ ફેનીએ આપેલી ચીજોની હાજરી તેને ભાલાની જેમ વીંધે છે. એની કલ્પનામાં એ ફેનીને જોયા કરે છે :I see her, I hear her.

કીટ્સને ખબર પડી ગઈ હતી કે, હવે પોતે અહીંથી પાછો ઇંગ્લૅન્ડ જઈ શકવાનો નથી. મિત્ર જૉન બ્રાઉનને એણે ૩૦ નવેમ્બર ૧૮૨૦ના (પોતાના એ છેલ્લા) પત્રમાં લખી દીધું હતું કે, ‘હું હવે મરણોત્તર જીવન જીવું છું.’ (I am leading a posthumas existance.)

રોમમાં કીટ્સની સારવાર એક ડૉ. કલાર્ક કરતા. એમણે જ સ્પૅનિશ ચૉકનું આ મકાન અપાવેલું. આ મકાનમાં અત્યારે કીટ્સના અંતિમ દિવસોનાં કેટલાંક સ્મૃતિચિહ્નો સાચવી રાખવામાં આવ્યાં છે. એક અલ્પસાધન મરણાસન્ન કવિના વિદેશવાસનો આ ઓરડૉ. કોલસા સળગાવવાની ચીમની જોડેલી ભઠ્ઠી એમની એમ છે. કાફે ગ્રીકોમાંથી કવિનું ખાવાનું આવતું. તે અહીં ગરમ કરી લેવાતું એવી નોંધ છે. છેલ્લા દિવસોમાં જીવલેણ ક્ષય કરતાં આંતરડાંની પીડા કવિને વધારે દમતી હતી.

ઓરડાની ભીંતો પર કેટલીક તસવીરો અને રેખાંકનો લટકાવેલાં છે. તેમાં એક રેખાંકનમાં કીટ્સની પ્રિય એક મુદ્રા છે : આરામ-ખુરશીમાં એક પગના ઢીંચણ પર બીજો પગ ચઢાવી પોતાને પ્રિય મોટું થોથું વાંચતા કવિની. કીટ્સના મિત્રોએ તેમને આ ‘પોઝ’માં ઘણી વાર જોયેલા. એક શો-કેસમાં ‘જીવન ક્ષણભંગુર ઝાકળબિન્દુ જેવું છે’ કંઈક એવા ભાવની પંક્તિઓ કીટ્સની શરૂઆતની એક કવિતા ‘સ્લીપ ઍન્ડ પોએટ્રી’માંથી લખેલી છે. ત્યાં એક ગ્રીક વાઝ-કુમ્ભ-નું રેખાંકન જોયું. કીટ્સે સ્વયં દોરેલું. કીટ્સની કવિતાના કોઈ પણ ચાહકને તરત જ એ વિચિત્ર કુંભ જોતાં એની પ્રસિદ્ધ કવિતા ‘ઓડ ઑન અ ગ્રીશ્યન અર્ન’ અને એની અંતે આવતી પેલી મંત્રોચ્ચાર જેવી પંક્તિઓ યાદ આવી જાય :

Beauty is truth; truth beauty, – that is all Ye know on earth, and all ye need to know.

રૂમમાં સામેની ભીંત પર કવિના અંતિમ દિવસોના સાથી ચિત્રકાર મિત્ર જોસેફે દોરેલું મૃત્યુશય્યા પર પડેલા કીટ્સનું આલેખન જોતાં મન વિષાદથી ભરાઈ ગયું. એ ચિત્ર પર જોસેફે લખેલું છે : ‘28th January 3 O’clock mng. Drawn to keep me awake.’ રાતરાતભર જાગતા રહેતા એ મિત્રે કીટ્સની અંતિમ ક્ષણોની નોંધ પોતાની ડાયરીમાં કરી છે:

‘He is gone – he died with the most perfect ease – he seemed to go to sleep. On 23rd, about 4 the approaches of death came on. ‘Severn – I – lift me up – I am dying – I shall die easy – don’t be frightened – be firm and thank God it has come!’ I lifted him up in my arms. The phlegm seemed boiling in his throat, and increased untill 11. When he gradually sunk into death – so quiet – that I still thought he slept. I cannot say now – I am broken down from four night’s watching, and no sleep since. and my poor Keats gone.’

ઓરડામાં એ દિવસની ઘટનાને મોટા અક્ષરે અંકિત કરતી પંક્તિઓ છે :

In this room

On the 23rd Febru. 1821

Died

John Keats.

હા, આ ઓરડામાં જૉન કીટ્સ માત્ર ૨૫ વર્ષ અને ૪ માસની વયે મૃત્યુ પામેલા, હૃદયમાં પ્રિયતમા ફેની બ્રાઉનની સ્મૃતિઓ ભંડારીને. આ ઓરડાની બારી આગળ થોડી શાંત ક્ષણો પસાર થવા દીધી, પછી બારીમાંથી નીચે સ્પૅનિશ સ્ટેપ્સ પર મેં નજર કરી. એવું લાગ્યું કે, એ પ્રસન્નમન પ્રવાસીઓને કદાચ ખબર પણ નહિ હોય કે બાજુની ઇમારતના ત્રીજા માળના ઓરડામાં એક વિપન્નમન કવિએ છેલ્લા શ્વાસ લીધા હતા.

આ ઓરડામાં અનેક કવિતાપ્રેમીઓ આવે છે, આ યુવાન કવિને અંજલિ આપવા. રિલ્કે અહીં આવ્યા હતા. મૃત્યુશય્યા પર પડેલા કીટ્સના, જોસેફે કરેલા રેખાંકન ઉપર તેમણે એક કવિતા રચી છે. અહીં આવનાર સામાન્ય સહૃદયનું હૈયું ભારેખમ બની જાય, કવિજનની તો વાત જ શી? આ ખંડમાં સિંકલેર લેવીએ તો કહેલું કે, It was the only time he cried.

મિત્ર જોસેફ સેવર્ન આગળ મૃત્યુ પહેલાં કીટ્સે એવી ઇચ્છા વ્યક્ત કરેલી કે, એની કબર ઉપર કોઈ નામ કે તારીખ ન લખવામાં આવે. માત્ર આટલા જ શબ્દો હોય :

Here lies one whose name was writ in water.

(ના કવિ, તમારું નામ ‘જલેલિખિતમ્ અક્ષરમ્’ નથી. અપિતુ ‘શિલાલિખિતમ્ અક્ષરમ્’ છે — અ-ક્ષર છે.)

કિટ્સે કહેલું કે, એ શબ્દો સાથે એક ગ્રીક લાયર (તન્તુવાદ્ય) અંકિત હોય, જેના આઠમાંથી ચાર તાર તૂટેલા હોય. એમ સૂચવવા કે પોતાની પ્રશિષ્ટ પ્રતિભા સોળે કળાએ પ્રકટે એ પહેલાં મોતે એને વિચ્છિન્ન કરી દીધી.

આ રોમ શહેરમાં ઓલ્ડ પ્રોટેસ્ટંટ સેમેટરીમાં કવિ કીટ્સની કબર છે અને એની ઇચ્છા પ્રમાણે કબર પરની સ્મરણશિલા પર ચાર તારવાળું ગ્રીક લાયર અને પછી આ પ્રમાણે શબ્દો અંકિત છે:

This Grave Contains all that was mortal of a YOUNG ENGLISH POET who on his deathbed in a Bitterness of his Heart at the Melicious Power of his Enimies Desired these words to be engravel on his Tomb Stone


‘Hear lies one Whose Name was writ in Water’


Feb. 24th 1821

કીટ્સના ઘરનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં ડૉ. અનિલા દલાલ સાથે કીટ્સની સાથે વાંચેલી કવિતાઓ યાદ કરી, ભીડભર્યા માર્ગ પર આવ્યાં ત્યારે કીટ્સજ્વર કંઈક ઊતર્યો.

વળી, પ્રસન્નમન રૂપાળા પ્રવાસીઓ વચ્ચે સ્પૅનિશ ચૉકમાં, બર્નીનીએ બનાવેલો નૌકાફુવારો એ બધાં વચ્ચે બેસવા બોલાવતો હતો. થોડી વાર ત્યાં બેઠાં. એક જમાનાનું આ રોમાન્ટિક કેન્દ્ર, આજે અહીં લોભામણો શોપિંગ વિસ્તાર છે.

રોમ ફુવારાનું નગર છે. પણ આખા રોમમાં પ્રસિદ્ધ ફુવારો તો ત્રેવીનોફોન્તોના દી ત્રૈવી.

ઈ.સ. ૧૪૫૩માં એનું નિર્માણ થયેલું છે. અહીં અને આખા યુરોપમાં શ્રદ્ધાવાન દર્શકો ફુવારો જુએ કે તેના જળકુંડમાં સિક્કા ફેંકે. એથી પોતાની ઇચ્છા ફળે એવી માન્યતા. ત્રેવી વિષે તો એવું કહેવાય છે કે અહીં ફરી આવવાની ઇચ્છા હોય તો એની તરફ પીઠ કરી, અવળે હાથે સિક્કો ફેંકવો.

ફરી આવવાનું અહીં કોને મન ન થાય? જરૂર સિક્કો ફેંકીશું. ચાલતાં ચાલતાં રોમની રમણીય ગલીઓ જોતાં જોતાં ત્રેવીના ફુવારા આગળ પહોંચ્યાં, તો એક પણ જલસર દેખાઈ નહિ અને જળકુંડી પણ ખાલી. એમાં સિક્કા જરૂર પડ્યા હતા. ફુવારાનું સમારકામ ચાલતું હતું. અમારી જેમ ઘણા પ્રવાસીઓ નિરાશવદને ઊભા રહી ગયા હતા. છતાં અમે તો ત્યાં જ જમાવ્યું. દીપ્તિ, રૂપા, નિરુપમાએ સિક્કા ફેંક્યા છે. એમના ત્યાં ફરી જવા અંગે જોવાનું રહે છે.

પ્રલંબિત સાંજ ઊતરી રહી હતી. વીયા દેલ કોર્સો ઉપર થઈ અમે વેનિસ ચૉકમાં આવી ગયાં. ગઈ કાલે કૅપિટોલ ટેકરી તરફ જઈ પૅલેટીન ટેકરીની પ્રદક્ષિણા કરી કૉલોસિયમ તરફ ગયેલાં આજે ઇમ્પિરિયલ ફૉરમને માર્ગેથી. ઓગસ્ટસ, ટ્રોજનના ફૉરમ માર્ગની ડાબી તરફ છે. મુસોલિનીએ બનાવેલા વિશાળ રાજમાર્ગની પડખે ઊભેલાં એ ખંડેરો એક વખતે તો રોમની ચહલપહલનાં કેન્દ્ર હતાં. ટ્રોજને પહેલી સદીમાં ઊભો કરેલો સ્તંભ હજી અક્ષુણ્ણ છે, પણ એની ટોચ પર સત્તરમી સદીથી સંત પીટર આરૂઢ થયા છે.

સાંજનો તડકો આ ખંડેરો પર પડતો હતો. જમણી તરફ સિઝરનું ફૉરમ અને રોમન ફૉરમ પણ કુમળો તડકો ઝીલી જર્જરિત સ્તંભોની શીર્ણ છાયા પાથરી રહ્યાં હતાં.

કૉલોસિયમની નિકટ આવી પહોંચ્યાં. પહેલાં તો ચાલતાં ચાલતાં સ્ટેશને જવાનો વિચાર કર્યો, પણ હવે પગ ગરબા ગાવા લાગી ગયા હતા. યુરેઇલ-ટિકિટનો બીજા પંદર દિવસનો પાસ કાલથી શરૂ કરવાની નોંધ પણ કરાવવાની હતી. વહેલી સવારે નેપોલી થઈ કૅપ્રી જવાનું હતું, ભૂમધ્ય સાગરના તટે.

સડક પરથી પગથિયાં ઊતરી મેટ્રો ગાડી લીધી અને રોમનોની — આખો દિવસ કામ કરી ઘેર પાછા ફરતા સરેરાશ રોમનોની ભીડમાં ભળી ગયાં.