રંગ છે, બારોટ/પ્રવેશક

From Ekatra Wiki
Revision as of 13:09, 14 May 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રવેશક}} {{Poem2Open}} બારોટ શબ્દનો અર્થ કેટલાક ‘બાર હઠ’ કરે છે. એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રવેશક


બારોટ શબ્દનો અર્થ કેટલાક ‘બાર હઠ’ કરે છે. એટલે કે બાર પ્રકારની હઠ કહેતાં નિશ્ચયોનું પાલન કરનારા ચારણ-બારોટો. પણ પ્રબંધોમાં જોઈએ તો ‘દ્વારભટ્ટ’ એવો શબ્દ જડે છે, અને તે શબ્દ વડે રાજદ્વારને રક્ષતા સુભટ સૈનિક તરીકેનું કામ કરતા પુરુષને ઓળખાવાયો છે. એનો રૂઢાર્થ ચારણ-બારોટ બનેલ છે, કારણ કે ચારણ જે અર્થમાં ગઢવી (ગઢનો પાલક ચોકીદાર) કહેવાયો છે તે અર્થ ‘દ્વારભટ્ટ’ સાથે મેળ લે છે.

પુસ્તકનું નામકરણ

આ પુસ્તકના નામમાં બારોટ શબ્દ યોજવામાં વાર્તા કહેનાર બારોટ અભિપ્રેત છે. કારણ એ છે કે આમાંની કેટલીક વાર્તાઓ મારી પાસે કહેનારા જેઠા બારોટ નામે કાઠિયાવાડના જસદણ રાજ્યના અણિયાળી નામે ગામના રહીશ, કાઠી કુળના એક વહીવંચા (રાવળ) હતા. એમણે મને જે વાર્તાઓ 1924-27ના ગાળામાં બે-ત્રણ વારના મેળાપમાં કહેલી, તેમાંથી કેટલીએકને મેં ‘દાદાજીની વાતો’ (1927)માં ગ્રંથસ્થ કરી હતી. પણ બાકીની જે ટાંચણરૂપે રહી ગઈ હતી તેમાંથી થોડીકને આટલાં વર્ષે મજકૂર ટાંચણનાં જર્જરિત પાનાં ઉથલાવતાં એ ટાંચણની અંદરના એ કથાકારના તત્ક્ષણ પકડાઈ શકેલા બોલ પરથી સ્મરણમાં ઉપસાવી કાઢી શક્યો તે લખી કાઢી. બાકીની કેટલીક મેં સદાને માટે ગુમાવી છે, કારણ કે મારું ટાંચણ પાંખું અને અધૂરું રહી ગયું હોઈ સમગ્ર સ્વરૂપ સ્મૃતિપટમાં ઊભું ન કરી શકાયું.

વાર્તા આપનારાઓ

એટલે આ બારમાંની પાંચ વાર્તા એ જેઠા બારોટની કહેલી હોવાને કારણે, તેમ જ બારોટો જ્યારે વાર્તા કહેતા હોય છે ત્યારે શ્રોતાજનોમાં હોંકારા અપાય : તેમાં ‘રંગ’, ‘રંગ, બારોટ!’, ‘રંગ છે, બારોટજી!’ અર્થાત્ ‘વાહ, ધન્ય છે!’ એ પરથી ‘રંગ છે, બારોટ!’ એવું સળંગ નામાભિધાન સૂઝ્યું છે. એ જેઠા બારોટે કહેલી પાંચ વાતો આ છે : ‘વિક્રમ અને ખાપરો’, ‘વિક્રમ અને પ્રભાત ચાવડો’, ‘ચાર સાર’, ‘પરકાયાપ્રવેશ’, ‘કાઠીકુળ’. (તદુપરાંત ‘દાદાજીની વાતો’માં એમણે કહેલી ચાર છે : ‘મનસાગરો’, ‘સિંહાસન’, ‘વિક્રમ ને વિધાતા’, ‘વીરોજી’.) જેઠા બારોટવાળી પાંચ ઉપરાંત જે સાત આ સંગ્રહમાં છે તેનાં પ્રાપ્તિસ્થાનો નીચે મુજબ છે : ‘બાપુ ભાલાળો’ : વઢવાણ શહેરમાં એક ખેતીકાર બ્રાહ્મણ યુવાન આ વાર્તા રાગે ચડાવીને લંબાણથી કહે છે, તે ખબર મને ત્યાંના કેટલાક યુવાન સ્નેહીઓએ આપેલ, અને 1928ના વૈશાખની એક રાતે ત્યાં જઈ રાતના ચાર-પાંચ કલાક એની પાસેથી સાંભળતાં સાંભળતાં ટાંચણપોથીમાં ટપકાવેલ. તે ટાંચણ આખું મોજૂદ છે. કહેનારનું નામ નોંધ્યું નથી. ‘દરિયાપીરની દીકરી’ : સોરઠી સાહિત્યના જેને મેં દીક્ષાદાતા માન્યા છે તે હડાળા-દરબારશ્રી વાજસૂર વાળાએ છેક 1921-22માં એમના ગઢમાં આ વાર્તા એમની પ્રવાહબદ્ધ, સમતોલ નિરાડમ્બરી શૈલીમાં કહી હતી. મેં તે લખી કાઢી હતી. લખાણ તેમણે વાંચ્યું ને સુધાર્યું હતું. દુહાવાળો કાવ્યભાગ તો તેમણે જ લખીને મોકલ્યો હતો. તેમણે એ કંઠોપકંઠ સ્વરૂપે એક વાર્તાકાર પાસેથી સાંભળેલી. (ઘણું કરીને તો લાઠીના રાજવી સ્વ. કલાપીના રાજદરબારમાં, સામતભાઈ નીલા નામે એક ચારણ હતા તેમની પાસેથી વીસમી સદીના પ્રાત:કાળના કોઈ વર્ષમાં.) ‘જનમના જોગી’ : આ ભજનકથા પાંચાળના ચોટીલા તાબે પાજવાળી ગામના રહીશ નાથબાવા કાનીપાનાથ, ઝવેરનાથ વગેરેએ, મૂળ તો જ્યારે ડૉ. બાકુ નામના એક યુરોપી વિદ્વાન હિંદના લોકસંગીતના સંશોધનાર્થે એમનાં પત્ની સાથે રેકોર્ડિંગનું આખું યંત્ર લઈને એક ટ્રક સાથે સફરે નીકળેલા ને રાણપુરમાં એ કામ માટે પડાવ નાખેલો ત્યારે તેમના રેકોર્ડિંગ માટે આ નાથબાવાની મંડળીએ ગાયેલ ને મેં ટપકાવેલ. પણ ટાંચણ ખંડિત રહેલું તે ત્યાર પછી બે-ત્રણ વર્ષે 1941ના ઉનાળામાં બોટાદ ગામની સીમમાં નાથબાવા ભાઈજીનાથ વગેરેના ઉચાળા પડેલા ત્યારે એક સ્નેહીની વાડીમાં ગવરાવીને પૂરું લખી નાખેલું. ‘નાગ અને બામણ’ અને ‘ભેરિયો અને ભૂજિયો’ : એ બેઉ વાતો મારા ગામ બોટાદના શ્રી બાવભાઈ (બલવંતરાય) મહારાજ નામે ‘વાર્તારસિક’ અને વાતડાહ્યા સ્નેહી પાસેથી સાંભળી. એમણે નાનપણમાં આ ગામના એક વાર્તાભંડાર ખોજા (મુસ્લિમ) પાસેથી આવી જે અનેક વાર્તાઓ સાંભળી હતી તેમાંથી આ બે સંભારી કાઢી. ‘ચંદણ મેણાગરી’ : અમારા ગામમાં મારા ઘરની અડોઅડ છેલ્લાં ઘણાં વર્ષોથી ચૈત્રથી ભાદરવા સુધીના પાંચેક માસ જેમનાં ગાડાં (પડાવ) ચાતુર્માસ કરે છે તે ‘લુહારિયા’ ઉર્ફે ‘ગાડલિયા’ નામે ઓળખાતી પરિભ્રમણશીલ જાતિના એક વાર્તાકથનમાં પાવરધા ગણાતા નથુ ભગત નામના લુહારિયાએ પોતાની મંડળી સાથે આવીને સંભળાવેલી. આ લુહારિયાની કથનપદ્ધતિ એ વૃંદપદ્ધતિ છે. વાર્તાનો ગદ્યભાગ કહેનારો એક જણ, પણ વચ્ચે વચ્ચે આવતા પદ્યખંડોનું આખી મંડળી વૃંદગાન કરતી જાય. ‘ખાનિયો’ : આ વાર્તા રાજકોટમાં સ્નેહી સાહિત્યકાર કવિશ્રી ત્રિભુવન વ્યાસે કહી. ને એમણે એ વર્ષો પૂર્વે પોતાના વતનના ગામડામાં પોતાના એક સગા કહેતા તે પરથી યાદ રાખી છે.

નિરક્ષરોના કંઠમાં રમતું શુદ્ધ સ્વરૂપ

આ રીતે દરેક વાર્તાનું મૂળ પ્રાપ્તિસ્થાન તપાસતાં એક મુદ્દો સ્પષ્ટ થાય છે કે જેઓ મોટે ભાગે નિરક્ષર હતા અને ગ્રંથસ્થ વાર્તાઓ જેમના વાંચવામાં આવી ન હોય, તેવા માણસોએ કંઠોપકંઠ સાંભળીને એના અસલ કંઠસ્થ સ્વરૂપમાં સાચવેલી આ લોકકથાઓ છે. એનાં મૂળ લોકસર્જિત છે એવું તો કહી શકાય નહીં, કારણ કે આ દેશની ભૂમિ કે જ્યાં છેક વેદના ગ્રંથપાઠો પરથી મહાકાવ્યો, નાટકો અને કથાસંગ્રહો પુસ્તકાકારે ઊતરીને પ્રચાર પામ્યાં છે, જ્યાં ગ્રંથારૂઢ પંચતંત્ર અને જાતકકથાઓ એક છેડેથી બીજા છેડા સુધી ભમતી રહી છે, જ્યાં દંડી, બાણ અને સુબંધુ સરીખા વ્યક્તિવિશેષ વાર્તાકારોની ગ્રંથસ્થ રચનાઓ વિહરતી રહી છે, જ્યાં બૃહત્કથામાંથી નીકળેલી કથાસરિત્સાગર, બૃહત્કથામંજરી અને બૃહત્કથાશ્લોક સંગ્રહની ત્રિવેણી રેલાયે ગઈ છે, જ્યાં વેતાલપંચવિંશતિ, વિક્રમચરિત અને શુકસપ્તતિનાં મૂળ સંસ્કૃત પુસ્તકો તેમ જ તેમના પરથી શામળભટ્ટ ઇત્યાદિએ અવતારેલા પદબંધો સૈકાઓ સુધી પ્રવાહમાન રહ્યા છે, તેમ જ જ્યાં બ્રાહ્મણો – જૈનોનાં રચેલાં ચરિતો અને પ્રબંધ જનતાની વચ્ચે ગં્રથાકારે પહોંચ્યાં છે, તેવી આ ભૂમિમાં આજે પ્રચલિત એવી કંઠસ્થ વાર્તાવાણીની અંદર શુદ્ધ લોકસર્જનની તારવણી કરવી એ કઠિન છે. કોઈ ને કોઈ સ્વરૂપે આ મહાસાગર જેવડા ગ્રંથસ્થ વાર્તાસમૂહમાંથી જ કંઠસ્થ વાર્તાઓ બિંદુપરિમાણે પડી ગઈ હશે એમ લાગે છે.

સિંધુનાં બિંદુઓ

આ મૂળ વાર્તાવારિધિનાં બિંદુઓ એકાદા કોઈ પ્રાંતમાં નહીં પણ સમગ્ર હિંદમાં, ખૂણે ને ખાંચરે, સંસ્કૃત ભાષામાં તો શું પણ કોઈ પણ ગ્રંથસ્થ સાહિત્ય જ્યાં કદી પહોંચ્યું ન હોય એવાં આદિવાસીઓની લિપિવિહીન બોલીમાં પણ પહોંચી જઈને તે તે ભૂમિના તળપદા ઘાટ-આકારે વારતાઓ બની ગયેલ છે. પ્રાંત દીઠ પડેલી આ અદ્ભુત-રસિક કંઠસ્થ કથાઓને લિપિબદ્ધ કરવાનો મોટો ઉદ્યમ ગયા સૈકાથી ઊપડ્યો છે. એને સંગ્રહી લેવામાં તો હિંદીવાનો અને યુરોપી જનો વચ્ચે છેલ્લાં ચાલીસ વર્ષોથી જબરી સ્પર્ધા ચાલી રહી છે. આ હિંદી લોકકથાઓના આ યુરોપી સંગ્રહકારોમાંથી અગ્રપદે બોલાતું નામ [મૉરીસ] બ્લૂમ્સફીલ્ડનું છે. એ પણ કહે છે કે “એ તો નક્કી છે કે આ સર્વ સંગ્રહોમાં ‘હિંદુ ક્લાસિકલ લિટરેચર’માંની પ્રાચીન વાર્તાઓના જ મોટે ભાગે પડઘા પડ્યા છે; આ લિપિબદ્ધ બનતી લોકવાર્તાઓમાં મૌલિક અને સ્વતંત્ર પ્રકારની સામગ્રીનો સમાવેશ થાય છે કે કેમ, એટલે કે કોઈ પણ હિંદી ભાષામાં કોઈપણ કાળે લિપિબદ્ધ ન બની હોય એવી પુરાતન મૌલિક લોકકથાઓ આમાં ઊતરી આવી છે કે કેમ, તે કહેવું કઠિન છે.”

‘મોટિફ’ની ભાંજગડ

પરંતુ ‘ક્લાસિકલ લિટરેચર’ની વાર્તાઓમાં જે જૂજવાં પ્રધાન તત્ત્વો પડ્યાં છે, અંગ્રેજી વિવેચન-ભાષામાં જેને ‘મોટિફ’ કહે છે, તે ‘મોટિફ’ના જૂજવા બધા પ્રકારો આજે સંઘરાઈ રહેલી કંઠસ્થ લોકકથાઓમાં ક્રીડા કરી રહ્યા છે. આ ‘મોટિફ’ એટલે કે વાર્તાનો વેગ વધારતી ને એની ચમત્કૃતિ જચાવતી કરામતો, જુક્તિઓ — હિંદમાં હરેક નવે નવે સ્થળે-કાળે વહેંચાતાં અથવા તો નવેસર સંયોજિત થતાં રહ્યાં છે. હર સ્થળે વાર્તા કથનાર અથવા તો સંઘરનાર કેમ જાણે આ ‘મોટિફ’ની આખી અકબંધ સાંકળી ઉપાડે છે. (આ સાંકળીને આપણે પારાની માળા સાથે સરખાવીએ.) પછી એ માળાના પારા વિખેરી ચોમેર વેરી નાખે છે, અને પછી ફરી વાર નવી રચનામાં એ પારાને પરોવી લે છે. આમ હોઈને કોઈ પણ ‘મોટિફ’ આપણને કોઈ પણ સમયમાં, કોઈ પણ સ્થાનમાં, બલકે હિંદી વાર્તા તેમ જ એની શાખા-પ્રશાખાના કોઈ પણ અનુસંધાનમાં ભેટી જાય છે.