રંગ છે, બારોટ/11. ચંદણ–મેણાંગરી

From Ekatra Wiki
Revision as of 11:51, 14 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
11. ચંદણ–મેણાંગરી

કુંણ નર ધરતીમેં સતિયો જાગિયો રે
હરનું સિંગાસણ ડોલા ખાય?
આબુનાં પાડાંમાં ચંદણ નીપજે રે
વસિયો લોયાણાગઢની માંય
અ,…જી…જી.

અમરાપરીમાં હરિનાં સિંહાસન ડોલવા લાગ્યાં છે. હરિ પૂછે છે કે અરે હે ભાઈ! એવો તે કોણ સતિયો નર ધરતીમાં જાગ્યો છે કે આ મારાં હરિનાં સિંહાસન ટલ્લા દઈ રહ્યાં છે? ત્યારે જવાબ મળે છે કે હે ભગવાન! આબુના પહાડોમાં એક ચંદણ રાજા નીપજ્યો છે, ત્યાં એ લોયાણાગઢનું રાજ કરે છે. એના સતને બળે તમારું સિંહાસન હલબલી હાલ્યું છે. ત્યારે હરિએ પોતાના કૂડકાવડિયાને (નારદને) હુકમ દીધો છે કે કૂડકાવડિયા! જાઓ મરતલોકમાં, રાજા ચંદણનાં સત છોડાવો. એને માથે નખાય તેટલાં દુઃખ નાખો. પણ ખબરદાર! એને કોઈને મારશો મા. નીકર મારા ઓળંભા નડશે તમુને.

ખંભે ખડિયો ને હાથે ડાંગડી રે
આયો મૃતલોકની માંય;
કિયા રાજાની કહિજે સીમડી રે
કિયા રાજાની કહિજે ભોમ!

ભગવાનનો કૂડકાવડિયો તો ખંભે ખડિયો અને હાથમાં ડાંગ લઈ, બામણને વેશે મરતલોકમાં આવ્યો છે, ને વગડામાં પૂછપરછ કરે છે, કે હે ભાઈઓ, આ સીમ ને આ ભોમ કયા રાજાની કહેવાય છે?

રાજા ચંદણવાળી સીમડી રે
માતા મેણાંગરવાળી ભોમ!

હે બામણ! આ તો રાજા ચંદણના લોયાણાગઢ રાજની સીમ છે. ને માતા મેણાંગરની ભોમકા છે. અરે હે ભાઈ ગોવાળીડા! —

પૂછું પૂછું રે વીરા ગોવાળીડા રે
મારે કિયો મારગ લોયાણાગઢ જાય?

ગોવાળ જવાબ વાળે છે —

ડાબો મારગ જાય દુવારકે રે
જિમણો લોયાણાગઢ જાય.

કૂડકાવડિયો તો ડાબો મારગ દ્વારકાનો મેલી દઈ જમણે લોયાણાગઢને માર્ગે ચાલ્યો. લોયાણાગઢને પાદર એણે તો એક વાવ જોઈ છે. ને પૂછ્યું છે —

કીણે ખોદાઈ જગમેં વાવડી રે
કીણે બંધાઈ હરિ પાળ?

પનિહારીઓ કહે છે :

ચંદણ ખોદાયો કૂવા–વાવડી રે
માતા મેણાંગર બંધાવી મોતીડે પાળ.

હે ભાઈ! આ વાવકૂવા તો રાજા ચંદણે ગળાવ્યા છે ને મોતીની પાળ માતા મેણાંગરે બંધાવી છે. કૂડકાવડિયો તો વાવના પગથિયા માથે જઈને આડો ઊભો રહ્યો. એણે તો પનિહારીઓનો મારગ રોક્યો છે. માંહીં પાણી ભરતી હતી તે માંહીં ઊભી થઈ રહી અને બહારથી પાણી આવનારી બહાર થંભી ગઈ. કોઈ કરતાં કોઈ એને અડીને હાલતી નથી. એમ કરતાં તો તો ઝાઝી વેળ થઈ ગઈ. ને પનિહારીઓની કેવી દશા થઈ! તો કહે છે કે —

રાતે ધવરાયો પરભાતે પોઢાડિયો રે
મારે ઊંડળીએ ધાવેલ નાનાં બાળ;
શશરો કેવીજે અંગરો આકરો રે
મારો પિયુજી બોલે મુંને ગાળ
આ…જી…એ…એ.

અમારે ઘેર તો ખોળામાં ધાવણાં બાળ છે, એ બાળને રાતે ધવરાવ્યાં છે ને પ્રભાતે પોઢાડી કરી પાણીડાં આવી છે. આંહીં વાવડીએ તો ઝાઝી વેળ થઈ ગઈ છે. ઘેરે જાશું ત્યારે સસરા મેણાં બોલશે અને પિયુજી ગાળ કાઢશે. છતાં કોઈ બામણને વળોટીને જાતી નથી, માંયલી માંય ને બાહ્યલી બહાર! કૂડકાવડિયો વિચારે છે કે અહો! જેના રાજની પનિહારીઓ પણ સતધરમ છોડતી નથી એ રાજા ચંદણ પોતે કેવોક હશે? એણે તો વાવનો ઓડો છોડી દીધો અને એ આગળ નગરમાં હાલ્યો. નગરમાં મોખરે જ એણે શું દીઠું છે? મોટી મોટી મેડીઓ; ને ઉંબરમાં

સાવ રે સોનારો પેર્યો વાડલો રે
હિયડે હિલોળે નવસાર હાર;
કિયા રાજાની કહીજે મેડિયું રે
કિયા રાજાનાં દુવાર?

મોલમેલાતની રહેનારીઓ ડોકમાં સોનાના ટૂંપિયા પહેરીને ઊભી છે. છાતીને માથે હાર હિલોળા લ્યે છે. અરે હે બાઈયું! આ તે કિયા રાજના દરબાર છે? બાઈઓ જવાબ વાળે છે —

પ્રાછેરા ઊભા રેવજો બામણા રે
આ તો ઓળગાણાંવાળો કહીજે દુવાર.

મોલમેલાતની રહેનારીઓ ડોકમાં સોનાના ટૂંપિયા પહેરીને ઊભી છે. છાતીને માથે હાર હિલોળા લ્યે છે. અરે હે બાઈયું! આ તે કિયા રાજના દરબાર છે? બાઈઓ જવાબ વાળે છે —

પ્રાછેરા ઊભા રેવજો બામણા રે
આ તો ઓળગાણાંવાળો કહીજે દુવાર.

હે મહારાજ! તમે તો ઓતમ જાતનું ખોળિયું છો. જરા છેટેરા ઊભા રહેજો. આ રાજદ્વાર નથી, પણ આ તો આ લોયાણાગઢ નગરીનાં ઝાડુ કાઢનારા ને મેલાં ઉપાડનાર અમ ઝાંપડાંઓની મેડિયું છે. ઓહો! રાજા ચંદણનાં ઝાંપડાં આવી સાયબી ભોગવે છે, ત્યારે રાજાની પોતાની સાયબી તો કેવીય હશે! હે ઓળગાણાં! રાજા ચંદણ ક્યાં રહે છે? કેવા છે? એને અમે કેમ કરીને ઓળખશું? ઓળગાણાં કહે છે : “હે મહારાજ! નગરની વચ્ચોવચ્ચ જુઓ ધોળી ધજા ફરકે. ત્યાં માણસોની પંગત જમવા બેઠી હશે. ને ત્યાં ઊભા હશે રાજા ચંદણ : અણવાણે પગે, ઉઘાડે માથે, એક પોતડી પેરીને. અને પોતે હાથે પંગતને ભોજન પીરસતા હશે.” કૂડકાવડિયે તો ધોળી ધજા હેઠળ જઈને રાજા ચંદણને જોયા છે : અણવાણે પગે, ઉઘાડે માથે, એક ફક્ત પોતડી પહેરેલ, ને હાથમાં અન્ન લઈને અભ્યાગતોની પંગતને પીરસી રહ્યા છે. “ઓહો! હે ભ્રમ્મા!” રાજા ચંદણે તો કૂડકાવડિયાને આદરમાન આપીને કહ્યું છે : “રસોઈ કરો ને જમો. ધન્ય ઘડી! ધન્ય ભાગ્ય! ભ્રમ્મા મારે આંગણે આવ્યા.” ત્યારે કૂડકાવડિયો કહે છે કે “અરે હે રાજા ચંદણ! એમ તો હું રસોઈ ન કરું. હું માગું તે તું મને દે.” ત્યારે રાજા ચંદણ કહે છે —

સોનું દૈયાં રે તને સોળવું રે ભ્રમ્મા!
દૈયાં લોયાણાગઢરો રાજ;
એતરું લૈને ઘરે જા દાનમેં રે ભ્રમ્મા!
રસોઈ કર મારે દુવાર.

અરે બ્રાહ્મણ! તને સોળવલું સોનું દઉં, રાજ દઉં, પણ મારે ઘેર રસોઈ કર. ના રે ના રાજા ચંદણ!

સોનું ન સોંયે મારે સોળવું રે રાજા!
ન સોયેં લોયણગઢના રાજ;
હું માગું તે ન દે દાનમેં રે રાજા!
રસોઈ ન કરું તારે દુવાર.

અરે હે ભ્રમ્મા!

હાથીડા દિરાવું તુંને હીંડતા રે,
દિયું ઘોડલિયાંરી હાર;
એતરો જે લૈને જા તું દાનમેં રે,
રસોઈ કર મારે દુવાર.

ના, ના. હે રાજા ચંદણ! હું તો માગું છું તમને ચારેયને — તને, રાણી મેણાંગરને, અને તારા બે કુંવરિયા સાયર અને નીરને. કે’, હે બ્રાહ્મણ! મારી જાત તો મારી છે. કુંવર સાયર ને નીર મારા છે, એ ત્રણ તો તને દઈ ચૂક્યો, પણ રાણી મેણાંગર તો પારકી જણી છે. એને પૂછ્યા વગર હું તુંને એનું દાન શી રીતે દઈ શકું? કે’, તો પૂછી આવ. રાજા ચંદણ તો રાણીવાસમાં ચાલ્યા. રાણીવાસમાં —

કડાં ખટૂકે કાચનાં,
દોરી તાણે દાસ;
ધન્ય ઢોલા! થારો જીવણો,
માલવણથી ઘરબાર.

કિચૂડ! કિચૂડ! કિચૂડ! હીંડોળાખાટનાં કાચનાં કડાં ખટૂકી રહ્યાં છે. દાસીઓ દોરી તાણે છે. રાણી મેણાંગરી હીંચકે છે. રાજા ચંદણ જઈને ઊભા તો રહ્યા, પણ રોજ સોળ કળાના, તે આજ એક કળાના થઈ ગયા છે. અરે હે સ્વામીનાથ! આમ કેમ એક કળાના થઈ ગયા છો આજ? મારો કાંઈ વાંક ગુનો? કે’, “રાણી મેણાંગરી! એવું ન બોલો. તમારો કાંઈ વાંક કે ગુનો! વાંક આપણાં પ્રાલબધનો. એક ભ્રમ્મો આવ્યો છે. આપણને ચારેયને દાનમાં માગે છે. તે મારી જાત ને મારા બે પુતર, એ ત્રણ તો મારા પોતાના, એ તો દઈ ચૂક્યો છું, પણ તમે તો પારકી જણી; તમને મારાથી કેમ દેવાય? તમારી મનની જાણવા આવ્યો છું.” કે’, “હે નાથ! મને પારકી જણી ગણી? એ તો જ્યાં તમે ત્યાં જ હું. હાલો.” ચારેય જણાં જઈને ઊભાં રહ્યાં ત્યારે કૂડકાવડિયે કહ્યું : “ચારેય જણાં પોત પે’રીને આ રાજમાંથી નીકળી જાવ.” કે’, “ભલે ભ્રમ્મા! એમાં શું?” રાણી મેણાંગર તો બલુ ઘાંચાને ઘેર ગયાં છે, ને કહ્યું છે, કે ભાઈ બલુ ઘાંચા! લે આ મૂંદરા! ને એક મોટો સૂંડલો વાળી દે. સૂંડલો વળાવી, તેમાં નાના કુંવર સાયર ને નીરને બેસારી, રાજા ચંદણે સૂંડલો માથે ઉપાડ્યો છે, ચાલી નીકળે છે એક પોતિયાભર. આગળ ચંદણ ને વાંસે મેણાંગરી. લોકો જોઈ રહ્યાં. ઓહો!