રંગ છે, બારોટ/4. ચાર સાર

Revision as of 09:18, 12 May 2022 by KhyatiJoshi (talk | contribs)
4. ચાર સાર


રાજાને અને મનસાગરા પ્રધાનને હતી તો આંતરે ગાંઠ્યું. એકબીજા વિના જીવડો જંપી ન શકે. એમાં એક દિ’ રાજા બદલી બેઠો. રાજા, વાજાં ને વાંદરાં, એનું કાંઈ ઠેકાણું નહીં. કોણ જાણે શો વહેમ આવ્યો ને રાજાએ મનસાગરા પ્રધાનનું મોઢું જોવું બંધ કર્યું. અરે રાજા! મારા ડાહ્યા રાજા!

જે સું બાંધલ જીવ, તે સું મન તારવીએં નહીં,
મન સુકાય શરીર, તોય બીજાં ન થાયેં બાંદરા!

જેની જોડે જીવ બાંધ્યો હોય તેને ન તરછોડીએ. અરે આવો અણબનાવ જે દિ’ હંસાની ને સાયરની વચ્ચે થયો હતો, તે દિ’ —

હંસલાં ઊડું ઊડું હુવાં, પાંખું પસાર્યે,
જાણ્યું પાદર ચારો નૈ, કોક નવાં નિહાળ્યે.

સાયર સુકાણાં, હંસલાં ચારા વિનાનાં થઈ રહ્યાં, ને કોઈક નવાં નવાણ નિહાળવા ઊડું ઊડું થયાં. ત્યારે સાયર દુભાઈને બોલ્યું કે —

હંસલા! પ્રીતિ કાગની, કષટ પડ્યે ઊડી જાય;
સાચી પ્રીત શેવાળની, જળ સૂકે કરમાય.

હે હંસા! મને સરોવરને કષ્ટ પડ્યે ઊડી જાય તે તો કાગડાનાં કામ. સાચી પ્રીતિ શેવાળની, કે મારાં જળ સૂકે એટલે પોતે પણ કરમાઈ જાય. ત્યારે ડાહ્યા માણસોએ કહ્યું કે એ હંસા!

હંસા! સાયર માનવીએ, કરીએં હાથાંજોડ્ય;
જેથી રૂડાં લાગીએં, તેથી તાણી મ ત્રોડ!

હે હંસા! તું સાયરને મનાવી લે. એની પાસે હાથ જોડ. જેનાથી આપણે સારાં લાગીએ ને શોભીએ, તેનાથી દોસ્તી ન તોડાય.

હંસા! સાયર સેવીએં જેની જળ બરોબર પાળ,
ઓછો રાજા ન સેવીએં, જેનો ઉચાળો અંતરિયાળ.

પણ હંસલો તો ગયો તે ગયો. જતાં જતાં કહેતો ગયો કે મારે ઘણાંય સરોવર પડ્યાં છે, કાંઈ આ એક માથે ભૂંગળું નથી ભાંગ્યું, ત્યારે સાયરે કહ્યું કે હા ભાઈ!

હંસાને સાયર ઘણાં, પોહપ ઘણાં ભમરેશ;
સુમાણસને સુમાણસ ઘણાં, મર ને જાય વિદેશ.

પુષ્પને ભમરા પણ ઘણા મળી રહેશે. સારા માણસને સારા માણસ સાંપડી રહેશે. ભલે તું વિદેશ જાતો. આમ પ્રધાન પણ રાત–દી સબૂરી સાચવીને બેઠો છે. એને તો આશા છે કે કોઈક દી રાજાનું મન ઠેકાણે આવશે. એમાં ભગવાનને કરવું છે અને ઈશ્વરને વાત રાખવી છે તે એક દિવસ પ્રધાનને કાને આવા બોલ પડ્યા : “લ્યો રે કોઈ ચાર સાર! એક એક સારના રૂપિયા એક એક હજાર!”

“સમજે તો લાખના
ને ન સમજે તો રાખના!”

અરે, આ ચાર સાર કોણ વેચે છે? ઊઠીને મારગને માથે ડોકું કાઢ્યું ત્યાં તો એક ફકીર બોલતો હતો — “લ્યો રે ભાઈ! ચાર સાર : એક એકના રૂપિયા એક હજાર : સમજે તો લાખના ને ન સમજે તો રાખના!” સાંભળીને માણસો મશ્કરી કરતાં કરતાં ચાલ્યાં જાય છે. કોઈ વળી કહેતાં જાય છે : “ગેલસાગરો છે, ગેલસાગરો!” ત્યાં તો મેડી માથેથી મનસાગરા પ્રધાને સાદ કર્યો : “એ સાંઈ! આંહીં આવજો આંહીં.” મેડી માથે તેડાવીને રૂપિયા ચાર હજાર સામે મેલી દઈને કહ્યું કે “લાવો, ચાર સારનો ખરડો.” ફકીરે ચાર સાર લખેલી કાગળની ચપતરી આપી, તે મનસાગરા પ્રધાને વાંચી –