રચનાવલી/૧૨૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨૪. ગોપીગીત (વ્યાસ) |}} {{Poem2Open}} મધ્યયુગ દરમ્યાન ભારતભરમાં ભક્તિ આંદોલનની જે છોળ ઊછળી, એના મૂળમાં ભાગવતધર્મ છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાયેલા ભાગવતપુરાણ કે શ્રીમદ્ ભાગવત એનું...")
 
No edit summary
Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૨૩
|next =  
|next = ૧૨૫
}}
}}

Revision as of 11:35, 8 May 2023


૧૨૪. ગોપીગીત (વ્યાસ)


મધ્યયુગ દરમ્યાન ભારતભરમાં ભક્તિ આંદોલનની જે છોળ ઊછળી, એના મૂળમાં ભાગવતધર્મ છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાયેલા ભાગવતપુરાણ કે શ્રીમદ્ ભાગવત એનું પ્રેરણાસ્થાન છે. ૧૨ સ્કંધ અને ૩૫૫ અધ્યાયમાં પથરાયેલા આ પુરાણમાં ભાવવિભોર કરતી સ્તુતિઓ, જીવ જગત અને ઈશ્વરના સંબંધની સરલ ભાષામાં થયેલી ઉક્તિઓ, અને જીવનને અજવાળતાં ભક્તચરિત્રો છે. પણ એનું સૌથી મહત્ત્વનું આકર્ષણ છે દશમસ્કંધ, વૈષ્ણવોની આસ્થાનું એ પરમ સ્થાન છે. શ્રીમદ્ ભાગવતના કેન્દ્રમાં જો દશમસ્કંધની કૃષ્ણલીલા છે તો કૃષ્ણલીલાના કેન્દ્રમાં રાસલીલા છે. વળી, રાસલીલાના ૨૯ થી ૩૩ એમ પાંચ અધ્યાય વચ્ચે જો એના કેન્દ્રમાં એકત્રીસમા અધ્યાયનું અતિપ્રસિદ્ધ ‘ગોપીગીત' છે, તો ‘ગોપીગીત'ના ૧૯ શ્લોકોની વચ્ચે ૧૫ મા શ્લોકમાં એનું નર્યું હાર્દ ધબકે છે. શરદની રાતે વેણુનાદ સાંભળીને ગોપીઓ કૃષ્ણની પાસે આવે છે અને રાસક્રીડા મંડાય છે. પણ કૃષ્ણ પાસેથી પોતાને મળેલી મહત્તાનો ગોપીઓને મદ ચઢે છે. તેઓ પૃથ્વીલોક પર પોતાને અધિક સમજે છે. કૃષ્ણ ગોપીઓનાં મદ અને અભિમાનને જોઈને ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે. કૃષ્ણ એકાએક અન્તર્ધાન થતાં ગોપીઓ અત્યંત વ્યાકુળ થઈ જાય છે, પોતાનામાંથી બહાર આવે છે અને કૃષ્ણના આલાપ તેમજ એની ચેષ્ટાઓને સંભારતા સંભારતા, એનું ગુણકીર્તન કરતાં કરતાં કૃષ્ણમાં તન્મય થઈને કૃષ્ણની રાહ જુએ છે. રાસક્રીડા દરમ્યાન કૃષ્ણ સાથેનું ઉત્કટ મિલન, સહસા કૃષ્ણના અન્તર્ધાન થવાને કારણે ગોપીઓને ઉત્કટ વિરહ તરફ ખેંચી જાય છે. કૃષ્ણદર્શનની લાલસામાં ગોપીઓ વિવિધ રીતે આર્તસ્વરે ગાવા, પ્રલાપ કરવા અને રોવા લાગે છે. ગોપીવિરહનું ગાન તે જ ગોપીગીત.' ‘ગોપીગીત'ના ૧૯ શ્લોક, એ ૧૯ ગોપીઓની જુદી જુદી ઉક્તિઓ હોય એવું લાગે છે. એક શ્લોકને બીજા શ્લોકથી જોડતો કોઈ ચોક્કસ આધાર એમાં નથી. પરંતુ દરેક ગોપીનો વિયોગ અને એની તીવ્રતા આ શ્લોકોને જોડનારું જેમ મોટું બળ છે, તેમ એક જ છંદ પણ એમને એક સૂત્રે બાંધે છે. ‘ગોપીગીત’ છેલ્લા વસંતતિલકામાં લખાયેલા શ્લોકને બાદ કરતાં, કનકમંજરી છંદમાં લખાયેલું છે. ગુજરાતીમાં નર્મદે એને ‘લલિત’ છંદનું નામ આપ્યું છે. ‘લલિત’ છંદ ઈન્દિરાવૃત્ત, ભામિની વૃત્ત કે રાજહંસવૃત્ત તરીકે પણ ઓળખાય છે. લલિત છંદમાં લખાયેલા ‘ગોપીગીત’માં ગોપીઓના વિરહની પછીતે કૃષ્ણની લલિતમૂર્તિ પડેલી છે. કૃષ્ણની લલિતમૂર્તિ આંખ આગળથી એકાએક ઓઝલ થતાં દરેક ગોપીની એક જ પ્રાર્થના છે. દયિત, દર્શન આપો. (‘દયિત, દશ્યતામ્’) ‘ગોપીગીત'નો પ્રારંભ આકર્ષક છે. ગોપી કહે છે કે ‘વ્રજ તો સુંદર હતું જ પણ તમારા જન્મથી એ વધુ સુન્દર થયું છે. (જયતિ તેડધિક જન્મના વ્રજ) સૌન્દર્યનો વાસ તો અહીં સદાકાળ છે. અમે તમારાં છીએ તમારે માટે જ જીવીએ છીએ. તમને શોધતા ફરીએ છીએ, તો દયિત પ્રત્યક્ષ થાઓ. બીજા શ્લોકમાં કૃષ્ણની આંખને શરદઋતુના સરોવરમાં ખીલેલા સુન્દર કમળના ગર્ભની શોભાથી યે વધુ શોભાયુક્ત દર્શાવી છે. તો, ત્રીજા શ્લોકની નાની સરખી જગ્યામાં ગોપીએ કૃષ્ણના બધાં પરાક્રમો અને ઉપકારોને એક સાથે સમાવી લીધાં છે. કૃષ્ણનાં પરાક્રમો સ્મરણમાં આવતાં ગોપીને લાગે છે કે કૃષ્ણ એ ગોપિકાનન્દન – એટલે કે યશોદાપુત્ર નથી પણ બધા જ શરીરધારીઓના અંતરાત્માનો દષ્ટા છે; તેમજ બ્રહ્માની પ્રાર્થનાથી વિશ્વરક્ષણ માટે એમણે યાદવકુળમાં જન્મ લીધો છે. પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો શ્લોક ગોપીઓની વિવિધ માગણીને રજૂ કરે છે. એક કહે છે કે તમારો કરકમળ અમારા શિર પર મૂકો; બીજી કહે છે કે તમારા કમલવદનનું દર્શન કરાવો (જલરુહાનનં ચારુ દર્શય), તો ત્રીજી કહે છે કે તમારાં ચરણકમળ અમારા ઉરે સ્થાપીને અમારી કામનાઓને કાપી નાખો. ચોથી ગોપી કૃષ્ણના અધરામૃત માટે આતુર છે. કૃષ્ણના કર, મુખ, ચરણ અને અધરને અહીં અનેક વિશેષણોથી મૂર્તિમંત કર્યાં છે. ‘ગોપીગીત'માં કૃષ્ણ અંગેનાં સંબોધનો અને વિશેષણો ‘ગોપીગીત’ને અનેરા ભાવસંદર્ભથી બાંધી આપે છે. આ પછી કોઈક ગોપી કૃષ્ણકથાને સંભારે છે, તો કોઈક કૃષ્ણના હાસ્યને, એના વિહારને અને એની સાથે થયેલી એકાન્તની વાતચીતને સંભારે છે. કોઈક ગોપી બહુ વિગત સાથે ગોપકૃષ્ણનું ચિત્ર સ્મરણમાં લાવે છે : ‘હે નાથ પશુઓને ચારવા માટે તમે અહીંથી જાઓ છો ત્યારે તમારા કમળ જેવાં સુંદર ચરણોને જે કાંકરા અને ઘાસ ખૂંપે છે એના વિચાર માત્રથી મન વ્યાકુળ થઈ જાય છે.' બરાબર આની નજીકનું જ કૃષ્ણનું ગોપચિત્ર છેલ્લા ૧૯ મા શ્લોકમાં પડેલું છે. પણ એમાં વિરોધને કારણે સુન્દરતા વધુ ઊપસે છે. ગોપી કહે છે : 'અમે બીતાં બીતાં અમારા કઠણ વક્ષ:સ્થળ પર તમારા કોમળ ચરણને ધારીએ છીએ. તે જ ચરણથી તમે વનમાં ફરો છો. એને કાંકરીઓ ખૂંચતી હશે ત્યારે શી પીડા નહિ થતી હોય?' કોઈક ગોપી જેમ પશુ ચારવા જતા ગોપકૃષ્ણનું ચિત્ર મનમાં આંકે છે તો કોઈક ગોપી સાંજવેળાએ પાછા ફરતા ગોપકૃષ્ણનું ચિત્ર ઉપસાવે છે. કહે છે : દિન ઢળતાં ઊડેલી જોરદાર ધૂળથી ઝંખવાયેલું અને કાળા કેશથી વીંટળાયેલું તમારું મુખ દર્શનની લાલસા વારંવાર જન્માવે છે. ૧૪ મા શ્લોકમાં ગોપીની અદ્ભુત ઉક્તિ છે : ‘ઈતરરાગવિસ્મારણ’ કૃષ્ણને સંભારતા બીજા અન્ય અનુરાગોનું વિસ્મરણ થાય છે. એક માત્ર અનુરાગ રહે છે અને તે કૃષ્ણ પ્રત્યેનો. કૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિ આ એક ઉક્તિમાં ધબકતી જોઈએ છીએ. પણ ‘ગોપીગીત'નો પરમ મર્મ તો એના ૧૫ મા શ્લોકમાં છે. જગતના કોઈપણ વિરહની એ ચરમ અભિવ્યક્તિ સાબિત થાય તેવી છે. ગોપી કહે છે: ‘તમે દિવસે જ્યારે વનમાં ફરો છો, ત્યારે તમને જોયા વિનાની એક ક્ષણ પણ અમને એક યુગ જેવી લાગે છે. સાંજે વાંકડિયાળા કેશ સહિત તમારા સુન્દર મુખને જોઈએ છીએ ત્યારે લાગે છે કે દૃષ્ટિ ઉપર પાંપણ રચનાર બ્રહ્માજી સાચે જ જડ છે? પાંપણની પડઊપડને કારણે દર્શનમાં આવતા ક્ષણ પરના, પલક માત્રના, અવરોધને પણ સહન ન કરતી ગોપીવિરહની ઉત્કટતાની આ અસાધારણ રજૂઆત છે. કવિતા અહીં સઘન બની ગઈ છે. ‘ગોપીગીત'માં રોજિંદા જીવનના વિરહનો લૌકિક અનુભવ કાવ્યપૂર્ણ અને લયપૂર્ણ રજૂઆતથી અલૌકિક બની ગયો છે, એને સાહિત્યનો કોઈપણ જાણકાર ઉવેખી શકે તેમ નથી.