રચનાવલી/૧૫૧

From Ekatra Wiki
Revision as of 15:41, 6 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૧. યશોધરા (મૈથિલીશરણ ગુપ્ત) |}} {{Poem2Open}} જગતના ઇતિહાસમાં મહાન વ્યક્તિઓની અચૂક નોંધ લેવાય છે. આ મહાન વ્યક્તિઓએ સર્જેલી મહાન ઘટનાઓની નોંઘ લેવાય છે, પણ ઇતિહાસમાં આવતી આવી મહાન વ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૫૧. યશોધરા (મૈથિલીશરણ ગુપ્ત)


જગતના ઇતિહાસમાં મહાન વ્યક્તિઓની અચૂક નોંધ લેવાય છે. આ મહાન વ્યક્તિઓએ સર્જેલી મહાન ઘટનાઓની નોંઘ લેવાય છે, પણ ઇતિહાસમાં આવતી આવી મહાન વ્યક્તિઓ અને મહાન ઘટનાઓ પાછળ કેટકેટલી વ્યક્તિઓનો મૂંગો ભોગ-ત્યાગ-પડેલો હોય છે એની વાત અંધારામાં ગરકાવ થઈ જતી હોય છે. ઇતિહાસમાં આવા અંધારા ખંડો ઘણા હોય છે અને એવા ખંડોની ઘણીવાર તો કલ્પનાથી અવેજી રચવી પડતી હોય છે. ઇતિહાસે ન નોંધેલા અને છતાં ઇતિહાસ સર્જવામાં જેનો નાનોસૂનો હાથ નથી હોતો એવી ઉપેક્ષિત વ્યક્તિઓનો પણ એક ઇતિહાસ છે. જેમકે, ‘રામાયણ'માં રામલક્ષ્મણ અને સીતાના વનવાસ દુ:ખોની કથા આગળ આવી છે પણ લક્ષ્મણને રામસીતા સાથે વિદાય કરીને લક્ષ્મણના વિરહમાં ઝૂરતી રહી ગયેલી ઊર્મિલાની કથા તો મૂંગી જ રહેલી છે. એ જ રીતે બુદ્ધના મહાભિનિષ્ક્રમણને બિરદાવવામાં આવ્યું છે, પણ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ પછી પાછળ રહેલાં પત્નીપુત્ર યશોધરા અને રાહુલની કથા મૂંગી રહી છે. આવી મૂંગી કથાઓને ઘણીવાર સાહિત્યકારો એમની ક્લ્પનાથી બોલતી કરતા હોય છે. ગુજરાતી કવિ બોટાદકરે જો ઊર્મિલાને બોલતી કરી છે તો હિન્દીના રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તે ‘યશોધરા' રચીને યશોધરા રાહુલની કથાને બોલતી કરી છે. મૈથિલીશરણ ગુપ્ત હિન્દીના બહુ વંચાતા પ્રસિદ્ધ કવિ છે. ઉત્તરપ્રદેશના ઝાંસી જિલ્લાના ચિરગાંવ ગામે જન્મેલા મૈથિલીશરણે ‘પંચવટી’ જેવી અત્યંત જાણીતી રચના ઉપરાંત ‘જયદ્રથવધ’ ‘સાકેત’ જેવી રચનાઓ પણ આપી છે. પ્રાસયુક્ત પંક્તિઓમાં સાદી સીધી રજૂઆત કરતા આ કવિની કવિતામાં ગુપ્ત ઘણું ઓછું હોય છે. એટલે કે એમની કવિતા અપ્રગટનો નહીં, પણ પ્રગટનો મહિમા કરે છે. ઉત્તમ કવિતા થોડુંક પ્રગટ, થોડું અપ્રગટ કામ કરતી હોય છે. પણ મૈથિલીશરણ ગુપ્ત જેવા કવિ બધું પ્રગટ કામ કરીને ઉત્તમ કવિતા કરવા કરતાં વધુમાં વધુ લોકોને તરત ને તરત બધું પહોંચી જાય એવી કવિતામાં રસ ધરાવે છે. આ જ કારણે એમને રાષ્ટ્રીય કવિનું બિરૂદ મળ્યું છે. એમની કવિતામાં ઘણાને ભારોભાર ભારતીયતાનો પુરસ્કાર થતો જોવાયો છે. 'યશોધરા'માં પણ મૈથિલીશરણે કવિતાનો સુગમ અને સરલ માર્ગ અપનાવ્યો છે. પણ એમાં રસ પડે એવું જે કર્યું છે તે એ છે કે એમાં કવિએ પાત્રોને બોલતાં કર્યાં છે. પાત્રો પોતાની વાત કરતાં જાય છે અને વાત આગળ વધતી જાય છે. અલબત્ત, પાત્રોને મોંએ કવિ જ બોલ્યા કરતા હોય એવું લાગે તેમ છતાં કવિતાને વસ્તુલક્ષી કરવાનો અને નાટ્યાત્મક કરવાનો એમનો ઈરાદો ગમે એવો છે. બુદ્ધની કથાનું વસ્તુ તો બહુ જાણીતું છે. કપિલવસ્તુના મહારાજા શુદ્ધોદનને ત્યાં સિદ્ધાર્થનો જન્મ થાય છે, પરંતુ નાનપણથી જ સિદ્ધાર્થનો વૈરાગ્ય તરફનો ભાવ જોઈને શુદ્ધોદનને, એને સંસારી રાખવા માટે અનેક પ્રપંચો કરવા પડ્યા. રાજમહેલના વિલાસપૂર્ણ વાતાવરણની બહાર ન જવા દઈ સિદ્ધાર્થનો યશોધરા નામની સુન્દર કન્યા સાથે વિવાહ કર્યો. વિવાહથી સિદ્ધાર્થને પુત્ર રાહુલ જન્મ્યો. પણ એક દિવસ અકસ્માતે રાજમહેલની બહાર નીકળી નગરયાત્રા કરતાં સિદ્ધાર્થે એક રોગી, એક વૃદ્ધ, એક મૃત અને એક સંન્યાસીને જોયો અને સંસારની દુ:ખભરી સ્થિતિ જોતાં સિદ્ધાર્થનો વૈરાગ્ય પ્રબળ બન્યો. જગતને દુઃખોની પરંપરામાંથી છોડાવવાનો માર્ગ શોધવા સિદ્ધાર્થ પોતાના માર્ગમાં અવરોધ ન ઊભો થાય તે સારુ થશોધરા અને રાહુલને તેમજ સમગ્ર રાજપાટને અધરાતે છોડીને મહાભિનિષ્ક્રમણ કરી ગયા. કહેવાય છે કે અનેક પ્રલોભનોનો સામનો કરી આકરી તપશ્ચર્યાને અંતે એમને નિરંજના નદીને કિનારે અશ્વત્થના વૃક્ષ નીચે સમાધિમાં નિર્વાણ પ્રાપ્ત થયું. જગતનાં દુઃખોનો ઉકેલ એમણે મધ્યમાર્ગમાં જોયો. મૈથિલીશરણ ગુપ્તે એક જ પંક્તિમાં એ ઉકેલને ગૂંથ્યો છે : ‘તનેં પર ઈતના જો ટૂટે નહીં તન્ત્ર તેરા વહ તંત્ર' વીણાના તાર એટલા જોરથી ન કસો કે તૂટી જાય અને વીણાના તાર એટલા ઢીલા ન રાખો કે એમાંથી સંગીત પ્રગટ ન થાય...‘ પણ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થવાની આ પળની પાછળ બુદ્ધના તપની સાથે યશોધરાનું તપ પણ ઓછું નથી. ‘યશોધરા' કાવ્યમાં મૈથિલીશરણે યશોધરાની વિરહપીડાને અને રાહુલ તરફની જવાબદારીને સરસ રીતે મૂકી છે. યશોધરાને એક જ ખટકો છે કે ગયા તો ભલે ગયા પણ મને કહીને તો ગયા હોત! ‘સખિ, વે મુઝકો કહ કર જાતે / કહ તો ક્યા મુઝકો વે અપની પથ-બાધા હી પાતે?’ યશોધરાને થાય છે કે ‘અબલા જીવન તેરી યહી કહાની | આંચલમેં દૂધ ઔર આંખોમેં પાની' પણ યશોધરા અબલા બનીને નથી રહેતી. એને ખબર છે કે ‘જલને કો હી સ્નેહ બના / ઉઠને કો હી બાષ્પ બના હૈ / ગિરને કો હી મેહ બના.' મૈથિલીશરણે યશોધરાની મનની વાત તેમજ યશોધરા અને રાહુલની વાતચીત દ્વારા સિદ્ધાર્થના ચાલ્યા જવાથી ઊભી થયેલી કટોકટીને બતાવવા પ્રયત્ન કર્યો છે. મૈથિલીશરણ સિદ્ધાર્થ ઘર છોડીને ગયા છે પણ મોટા ધ્યેય માટે ઘર છોડ્યું છે એ વાત રાહુલમાં ઠસાવે છે. હંસ મારનારનો કે બચાવનારનો એ જાણીતી કથાને કવિએ યશોધરા અને રાહુલના સંવાદમાં આકર્ષક રીતે મૂકી છે. વચ્ચે ‘યશોધરા’માં ગદ્યનો પણ કવિએ સંવાદો દ્વારા ઉપયોગ કરી લીધો છે. સિદ્ધાર્થ બુદ્ધ બન્યા છે અને નજીકમાં ક્યાંક છે એવા ખબર આવે છે છતાં યશોધરા દોડીને જતી નથી. એ કહે છે : યદિ વે ચલ આયે હૈ ઈતના / તો દો પદ ઉનકો હૈ કિતના? / ક્યા ભારી વહ, મુઝકો જિતના? / પીડ ઉન્હોંને ફેરી.' છેવટે બુદ્ધ સ્વયં આવે છે ને યશોધરા ઉછેરેલા રાહુલને ચરણે ધરી દે છે. ‘તુમ ભિક્ષુક બનકર આયે થે / ગોપા ક્યા દેતી સ્વામી? / યા અનુરૂપ એક રાહુલ હી રહે સદા વહ અનુગામી.' યશોધરાની પ્રતીતિ હતી કે એના દુ:ખમાં વિશ્વનું સુખ ભર્યું છે. આમ, યશોધરાના ઉપેક્ષિત પાત્રની તપશ્ચર્યાને ગૌરવપૂર્વક રજૂ