રચનાવલી/૧૫૨

From Ekatra Wiki
Revision as of 15:42, 6 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૨. પહેલો રજા (જગદીશચન્દ્ર માથુર) |}} {{Poem2Open}} વીસમી સદીના પૂર્વાર્ધમાં હિટલર શુદ્ધ આર્યની વાતનું પૂછડું પકડીને બેઠો અને એણે લાખો યહૂદીઓનો ખાત્મો બોલાવ્યો. એટલે વર્ણશંકરને વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૫૨. પહેલો રજા (જગદીશચન્દ્ર માથુર)


વીસમી સદીના પૂર્વાર્ધમાં હિટલર શુદ્ધ આર્યની વાતનું પૂછડું પકડીને બેઠો અને એણે લાખો યહૂદીઓનો ખાત્મો બોલાવ્યો. એટલે વર્ણશંકરને વણી વણીને દંડ્યા. શ્રમછાવણીઓ કે મૃત્યુછાવણીઓને હવાલે કર્યો. આ વાત હજી નજીકના ભૂતકાળની વાત છે. લોહીના મિશ્રણના વિરોધમાં મનુષ્યજાતિએ અત્યાર સુધી કેટલું લોહી વહાવ્યું હશે એની ખબર નથી. કદાચ ભારતના ઇતિહાસમાં આર્યો આવ્યા, અનાર્યો સાથે સંઘર્ષમાં ઊતર્યા અને જાતિઓના સંમિશ્રણની શરૂઆત થઈ હશે. ત્યારે પણ કદાચ આટલું જ લોહી રેડાયું હશે. એના પુરાવાઓ મહાભારત અને પુરાણોમાં અનેક કથાઓ રૂપે મળે છે. ભારતનો ઇતિહાસ પુરાણોની કથાના સ્વરૂપમાં વારંવાર ઉકેલવાનો રહે છે. આવો જ એક પ્રયત્ન હિન્દીના નાટકકાર જગદીશચન્દ્ર માથુરે ‘પહેલો રાજા'માં કર્યો છે. આપણે ત્યાં દલપતરામે ગુજરાતી સાહિત્યમાં કોઈએ હાથ ન ધરેલો વિષય લીધો અને મનુસ્મૃતિ તેમજ શ્રીમદભાગવતમાં આવતા વેનઉલ્લેખો પરથી ‘વેનચરિત’ આખ્યાન રચ્યું. વેનના ઉદ્ધત અને અત્યાચારી પાત્રની સુધારકના સ્વાંગમાં રજૂઆત સાથે એની કાયાપલટ કરી. એ જ વેનની, એના આર્યપુત્ર પૃથુ તેમજ એના અનાર્યપુત્ર નિષાદ સહિતની કથાને જગદીશચન્દ્ર માથુરે નાટકનું રૂપ આપ્યું છે. મોહન રાકેશ પહેલા હિન્દી સાહિત્યમાં નાટકની ભાષાની શોધ અને વ્યવહારભાષાની લગોલગનો એનો સ્તર ઊભું કરવાનો જે રંગમંચનો પ્રયત્ન થયો એમાં જગદીશચન્દ્ર માથુરનું નામ મુખ્ય છે. જગદીશચન્દ્ર માથુરે એકાંકીઓ ઉપરાંત પૂર્ણ કક્ષાના ‘કોણાર્ક' ‘શારદીયા' અને ‘પહલા રાજા’ જેવાં ત્રણ નાટકો આપ્યાં અને એ ત્રણેય નાટકો ઇતિહાસ કે પુરાણના વિષયવસ્તુ દ્વારા કેટલીક આજની સમસ્યાઓને રજૂ કરે છે. ‘પહેલો રાજા'માં વેદકાળ દરમ્યાન વ્યક્તિ અને રાજ્ય અંગેના, સત્તા અને શાસન અંગેના, જાતીય સ્વાર્થ અને ન્યાય અંગેના જે પ્રશ્નો હશે એને ઉપસાવીને નાટકકારે શાસનની આધુનિક વ્યવસ્થા ઉપર કટાક્ષ કર્યો છે. પ્રાચીનકાળથી માંડી આજસુધીના રાજ્યના ઇતિહાસો દર્શાવે છે કે સ્વાર્થ અને સત્તાની ખેંચાખેંચ કઈ રીતે પ્રજાને ઉવેખીને ચાલે છે અથવા પ્રજાને પ્યાદું બનાવીને ચાલે છે. ‘પહેલો રાજા' ત્રિઅંકી નાટક છે અને નાટકનો નાયક વેનનો આર્યપુત્ર પૃથુ છે. પહેલા અંકમાં અત્યાચારી વેનની શુક્રાચાર્ય, ગર્ગ અને અત્રિ જેવા મુનિઓએ હત્યા કરી છે અને વેનની પત્ની સુનીથા વેનના શબ્દને યોગ અને યુક્તિથી જાળવીને બેઠી છે. મુનિઓ એનો કબજો લે છે. ત્યારબાદ વેનના જંઘાના મન્થનમાંથી આર્યપુત્ર પૃથુને અને વૈનના જમણા ભુજના બંધનમાંથી અનાર્યપુત્ર કળશને જન્મ આપે છે. ખરેખર તો મુનિઓ પ્રપંચથી કોઈ તેજસ્વી આર્યપુરુષ પૃથુને પહેલીવાર રાજા તરીકે સ્થાપે છે. વિધાન અને શરતોથી એને બાંધે છે. પોતાનું વર્ચસ જતું ન રહે એ માટે મુનિઓ પૂરતી વ્યવસ્થા ગોઠવે છે. બીજા અંકમાં શુક્રાચાર્ય એમની શુક્રનીતિ અખત્યાર કરી સત્તા હાથમાંથી જતી ન રહે એ માટે આર્યવિરોધી પ્રવૃત્તિ કરનારા દશ્યુઓ સાથેના યુદ્ધમાં પૃથુને રોકાયેલો રાખે છે. એને આજવન ધનુષ્ય પણ આપે છે. પણ યુદ્ધોને અંતે પૃથુને થાય છે કે ‘મેં શા માટે આટલાં યુદ્ધો કર્યાં?’ એને પ્રતીતિ થાય છે કે ‘યુદ્ધો તો કેવળ માનવહત્યાઓ હશે અને પૃથુ પ્રજાની પીડા તરફ મન વાળે છે. દુકાળ અને ભૂખમરાથી રીબાતી પ્રજા માટે યજ્ઞો નિષ્ફળ ગયાં છે. મુનિઓ મંત્રોની અશક્તિને બદલે અનાર્યોની ભૂચંડિકા પૂજાનો પ્રભાવ આગળ ધરે છે; અને ભૂચંડિકાની પૂજા કરનારા દશ્યુઓને મારવા પૃથુને ઉશ્કેરે છે. મુનિઓની કૂટનીતિ વિજયી નીવડે છે. પણ ત્રીજા અંકમાં ભૂ-ચંડિકાને હણવા તત્પર પૃથુને ખબર પડે છે કે આર્યોની પૃથ્વી પરત્વેની ખરાબ નીતિને કારણે પૃથ્વીએ બધું પોતાના ગર્ભમાં ખેંચી લીધું છે અને તેથી બહાર બચ્યું છે કેવળ ક્ષુધાતુર અને ગરીબ પ્રજાનું કરુણ ક્રન્દન. આર્યોએ ખાડા ટેકરાવાળી ભૂમિને સમથળ કરવાના પ્રયત્નો કર્યા જ નહીં. અગ્નિથી જંગલો બાળ્યાં કર્યાં. એના પર પાક લઈ કસ જતો રહે એટલે બીજાં જંગલો શોધ્યાં કર્યાં છે. પૃથુને સમજાયું કે દુકાળનું કારણ પુરુષાર્થનો અભાવ છે. યુદ્ધપુરુષ નહીં પણ કર્મપુરુષ બનવાનું પૃથુને આહ્વાન મળે છે. પૃથુ અનાવૃષ્ટિ અને દુષ્કાળનો ચક્રવ્યૂહ ભેદવા તત્પર થાય છે. નદી પર બંધ બંધાતો આવે છે પણ મુનિઓના કાવાદાવાને કારણે કામદારોની સંખ્યા પૂરતી ન મળતાં ઓચિંતા પૂરને કારણે બંધ તૂટી પડે છે. પૃથુને થાય છે કે ‘હું આર્યોનો પહેલો રાજા. મારું આ જ સ્વરૂપ તો સદીઓ પછી યાદ કરવામાં આવશે પરંતુ આ મહોરાની નીચે મહેનતના પરસેવાથી ચમકતા ચહેરાને કોણ જાણશે? આ હાથોએ કોદાળી પકડી છે એ કોણ સમજશે?’ આમ પુરાણોએ આપેલી પૃથુની અવતારી પ્રતિમાની સામે આ નાટકમાં ‘ઉત્પાદન વધારનારા, પૃથ્વીને સમથળ કરી એના ભેજની વૃદ્ધિ કરનારા, કૃષિ સિંચાઈ અને ભૂ-વિભાજનના પ્રમુખ નેતા' તરીકેની પ્રતિમાની સ્થાપના થઈ છે. પ્રકૃતિ અને મનુષ્યો વચ્ચે જોખમાતી સંવાદની સમતુલાની સાથે સાથે રાજા, પ્રજા તેમજ વર્ગોના સંવાદની જોખમાતી સમતુલાને પણ નાટકકાર ધ્યાન પર લાવ્યા છે. આજની પર્યાવરણ અને વર્ગીય સંઘર્ષોની સમસ્યાઓને એમાં વાચા મળી છે. સૂત્રધાર અને નટીના વચ્ચે વચ્ચે આવતા સંવાદો કથાનો પૂર્વ ખ્યાલ આપે છે પણ પ્રસંગોને ક્યારેક સંબંધિત પણ કરે છે. નાટકકાર કહે છે તેમ એનું કાર્ય ગ્રીક નાટકમાં આવતા ‘કોરસ’ જેવું છે. ‘પહેલો રાજા’ પ્રાચીન કથાને આજની કથામાં પલટતું પ્રયોગશીલ નાટક છે. નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાએ કીર્તિકાન્ત શેઠના ગુજરાતી અનુવાદ રૂપે ૧૯૭૯માં એનું પ્રકાશન કર્યું છે.