રચનાવલી/૨૦૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૦૩. રોશફૂકો


આપણે ત્યાં પ્રાચીન સાહિત્યમાં સોંસરવા ઊતરી જાય એવાં દૃષ્ટાંતોથી પાણીદાર મોતી જેવાં સુભાષિતોનો તોટો નથી. સંસારનું ડહાપણ અને શાણપણ એમાં સઘન બનીને સ્ફટિકની જેમ ચમકતું હોય છે. સંસ્કૃતમાં તો કહેવાયું છે કે સુભાષિતથી ગીતથી અને યુવતીની લીલાથી જો મન ભેદાઈ ન જાય તો એ પશુ છે અથવા યોગી છે. મધ્યકાળમાં પણ તુલસી, કબીર, રહીમનની સાખીઓ અંધારામાં પડતા પ્રકાશ શેરડાની જેમ આપણી અંદર પ્રવેશી જાય છે, એવી વેધકતા ધરાવે છે. હજી ગઈકાલ સુધી આપણી ગુજરાતી કવિતામાં ચોટદાર મુક્તકો લખવાનો ચાલ ચાલુ હતો. આવાં જ સુભાષિતો, મુક્તકો કે સૂક્તિઓથી તત્કાલીન સમાજને આંચકા આપનાર ફ્રેન્ચ લેખક લા રોશફૂંકો પણ સંભારવા જેવો છે. ફરક એટલો જ છે કે રોશફૂકોની સૂક્તિઓમાં એક પ્રકારની અંગત કડવાશનો સ્વાદ ભરેલો છે. ૧૬૧૩માં પેરિસમાં જન્મેલા રોશફ્કોને બ્રુકનું બિરુદ મળેલું હતું. શરૂમાં એસૈન્યમાં હતો. યુવાવસ્થામાં હતો ત્યારે એના પરિવારે અને એણે પોતે રાજદરબારમાં સત્તા અને પ્રતિષ્ઠાનો ભરપૂર લાભ લીધો હતો પણ લૂઈ ચૌદમાના અમલમાં ધીમે ધીમે પરિવારની જાહોજલાલી ઓસરતી ગઈ. રાજાની મહેરબાની ઘટતી ગઈ. નિષ્ફળતા અને હારને કારણે રોશફૂકોની રાજકીય અને લશ્કરી કારકિર્દી જોખમમાં આવી પડી. એની કોઠીને જલાવી રાખ કરી દેવામાં આવી. એનો દીકરો લડાઈમાં માર્યો ગયો એને પોતાને પણ લડાઈમાં એવો ઘાવ થયો જેને કારણે એ લગભગ અંધાપામાં જીવ્યો, ગરીબાઈ અને અનેક પ્રેયસીઓની બેવફાઈને કારણે એના માટે જીવનની કોઈ પ્રસન્નતા રહી નહીં. બધી એનો સામાજિક પરિવેશ અને એની કારકિર્દીની કરુણતા જોઈએ છીએ ત્યારે એની સૂક્તિઓમાં રહેલા ડંખનો, એની બધે જ વાંકી ફરતી નજરનો, માણસો પ્રત્યેના એના દ્વેષનો ખુલાસો મળે છે. જાણીતા ફ્રેન્ચ વિવેચક સેન્ત બવ તો રોશફૂકોમાં કટાક્ષપૂર્ણ સ્મિત વેરતો એક માંજેલો માનવદ્વેષી જુએ છે. એ વાત સાચી છે કે રોશફૂકો વાંકી ડોકે, કાગડાની નજરે જુએ છે. ચાંચથી ગળફા ગૂંથે છે. પ્રેમ, પ્રતિષ્ઠા, મૈત્રીનું ઘોર પૃથક્કરણ કરે છે. પણ વાસ્તવમાં ઉપર ઉપરથી દેખાતા એના માનવદ્વેષની પાછળ એનો અઢળક માનવપ્રેમ પડેલો છે. જગતને એ સુધારવા નથી નીકળ્યો. એ પ્રચલિત અર્થમાં નીતિવાદી નથી, જે ‘મનુષ્ય પ્રકૃતિ આવી હોવી જોઈએ.’ કહીને આદેશો આપે કે નીતિવચનો ફટકારે. પરંતુ એ જુદા અર્થમાં નીતિવાદી છે. એ ખૂબ ગુંચવાયેલી પરિસ્થિતિઓ પર એકદમ સરલતાથી આંગળી મૂકી દર્શાવે છે કે ‘મનુષ્ય પ્રકૃતિ આવી છે.’ રોશકોએ સૂક્તિઓમાં નથી કોઈ નૈતિક બોધપાઠ મૂક્યો કે નથી કોઈ સીધી શીખામણો દીધી. એની સૂક્તિઓમાં જગતને ખૂબ નજીકથી જોયા પછીની અને સંસારને ખૂબ ઝીણી આંખે તપાસ્યા પછીની કોઈ એક સમજદારીનાં એનાં બુન્દ બંધાયેલાં છે, જે આપણને તત્કાળ આંજી નાંખે છે. જેમ કે, રોશફૂકો એમ કહે છે કે, ‘દંભ એ દુર્ગુણે સદ્ગુણને આપેલો ઉપહાર છે.’ ત્યારે દંભી બનીને સારા દેખાવાનો ડોળ કરતો માણસ આપણી સમક્ષ એકદમ પારદર્શક રીતે હાજર થઈ જાય છે. એ જ વાતને જરા જૂદી રીતે રજૂ કરતા રોશફૂંકો લખે છે : ‘આપણાં સુંદર કૃત્યો પરત્વે આપણને શરમાવાનું થાય જો એની પાછળના આશયોને જગત જાણી જાય’ જગતમાં સારાં દેખાઈને સારાં કૃત્યો કરનારાઓના આશયો ચોખ્ખા નથી હોતા એના પર રોશફૂકોનો અહીં આકરો પ્રહાર છે. દંભને લક્ષ્ય કરીને બીજી પણ એની એક સૂક્તિ છે : બીજાઓથી આપણી જાતને છૂપાવવાની આપણને એવી તો આદત પડી જાય છે કે અંતે આપણે આપણને આપણાથી છૂપાવીએ છીએ.’ આપણો આ દંભ આપણાં કૃત્યોને છાવરવા માટે ફિલસૂફીની જાળ રચે છે. અને એના તાર્કિક સમર્થનો શોધે છે. પરંતુ ત્યાં પણ રોશફૂકોએ ઘા કર્યો છે. કહે છે કે : ‘ભૂતકાળ અને ભવિષ્યનાં દુષ્કૃત્યો ૫૨ ફિલસૂફી સહેલાઈથી વિજય મેળવે છે, પણ વર્તમાનનાં દુષ્કૃત્યો ફિલસૂફી પર વિજય મેળવે છે.’ થઈ ગયેલાં અને થનારાં દુષ્કૃત્યો કરતાં થતાં આવતાં દુષ્કૃત્યો પર કાબૂ મેળવવો જરૂરી છે પણ એ જ મોટે ભાગે મનુષ્ય પ્રકૃતિની બહાર છે. મનુષ્યનો દોષ સાર્વત્રિક છે એનાથી કોઈ મુક્ત નથી. નહિ તો મનુષ્યજાત સદીઓથી લડતી આવી છે તો શાણપણ મેળવીને ક્યાંક અને ક્યારેક લડતા અટકી ગઈ હોત. પણ ના, ઝઘડા ચાલુ જ છે. રોશફૂકો કહે છે કે : બધા દોષો જો એકબાજુ હોય તો ઝઘડાઓ લાંબો સમય ચાલી શકે નહિ. રોશફૂકોએ પ્રેમ વિશે પણ કેટલાંક માર્મિક નિરીક્ષણો રજૂ કર્યાં છે, ‘કેટલાક લોકો એવા છે જેમણે પ્રેમ વિશે સાંભળ્યું ન હોત તો તેઓ પ્રેમમાં પડ્યા ન હોત.’ પ્રેમનો અનુભવ નર્યો પોતાનો છે. ઘણાઓ પરકાનો અનુભવ ઓઢીને ચાલે છે. એમને ક્યારે ય પ્રેમ થયો જ નથી હોતો, એની અહીં વેધક રજૂઆત છે. સાથે સાથે સાચો પ્રેમ કેટલી વિરલ વસ્તુ છે એની રોશોને બરાબર જાણ છે; અને તેથી એ પ્રેમ અને ભૂતને સાથે મૂકે છે કહે છે કે ‘સાચા પ્રેમનું ભૂત જેવું છે. બધા એને વિશે વાતો કરે છે પણ ભાગ્યે જ કોઈએ એને જોયો હોય છે. પ્રેમના દુષ્પરિણામોની પણ રોશફૂકોને ખબર છે. કહે છે : ‘બધા આવેગો આપણને ભૂલ કરવા તરફ દોરી જાય છે.’ પણ પ્રેમાવેગ તો સૌથી મોટી હાસ્યાસ્પદ ભૂલ તરફ લઈ જાય છે.’ પ્રેમના દુષ્પરિણામ પરની આથી પણ સચોટ એની બીજી સૂક્તિ છે : ‘જો પ્રેમને તમે એનાં પરિણામોથી તોળવા જશો તો મૈત્રી કરતાં શત્રુતા સાથે એની વધુ સમાનતા છે.’ રોશફૂકો ક્યારેક મનુષ્યને એના મૂળમાંથી એવો પકડે છે કે ક્ષણભર આપણે ડઘાઈ જઈએ. પ્રશંસા સંદર્ભે મનુષ્યને ઉઘાડો પાડતા એ ઉચ્ચારે છે : પ્રશંસાને નકારવી એનો અર્થ એ થયો કે બમણી પ્રશંસા સાંભળવી છે.’ ને છેલ્લે એના એક જબરા કટાક્ષને જોઈને આપણે રોશફ્કોની વાતનો અંત લાવીએ. રોશફ્કો કહે છે : ‘આપણને કંટાળો આપનારાને આપણે ઘણીવાર માફ કરી દઈએ છીએ. પણ આપણે જેને કંટાળો આપીએ છીએ એમને આપણે ક્યારેય માફ કરી શકતા નથી.’ રોશફૂકોની આ પ્રકારની સૂક્તિઓનો સંગ્રહ ‘મેક્સિમ્સ’ ૧૬૬૫માં છદ્મનામથી પ્રગટ થયો હતો. એના જીવનકાળમાં ૧૬૯૫, ૧૯૬૬, ૧૬૭૧, ૧૬૭૫, ૧૬૭૮ એમ એની પાંચ આવૃત્તિઓ થઈ. ૧૬૭૮માં એની સંવર્ધિત આવૃત્તિ બહાર આવી હતી. આવા દોષદેખા અને વાંકદેખા લેખકનો તો મનુષ્યજાતિને વધુમાં વધુ ખપ છે.