રચનાવલી/૨૧૬

From Ekatra Wiki
Revision as of 09:43, 9 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨૧૬. યર્મા (લોર્કા) |}} {{Poem2Open}} વીસમી સદીના પાંચ ઉત્તમ કવિઓના નામ આપવાનું કોઈ કહે તો જર્મન કવિ રિલ્કે, ગ્રીક કવિ કેવેફી, ફ્રેન્ચ કવિ વાલેરી અને આંગ્લ કવિ એલિયટની સાથે સ્પેનિશ ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૧૬. યર્મા (લોર્કા)


વીસમી સદીના પાંચ ઉત્તમ કવિઓના નામ આપવાનું કોઈ કહે તો જર્મન કવિ રિલ્કે, ગ્રીક કવિ કેવેફી, ફ્રેન્ચ કવિ વાલેરી અને આંગ્લ કવિ એલિયટની સાથે સ્પેનિશ કવિ ફેધેરીકો ગાર્સિયા લોર્કાનું નામ અવશ્ય જરૂર લેવું પડે — એવું લોર્કાનું સાહિત્ય જગત છે. ૧૮૯૯માં જન્મી ૧૯૩૬માં અવસાન પામેલા લોર્કાએ સ્પેનની લોક પરંપરાની અને જિપ્સી જીવનની અઢળક સમૃદ્ધિને પોતાની પ્રતિભાના બળથી ખેંચી સ્પેનિશ કવિતાને આંતરરાષ્ટ્રીય સાહિત્યનો દરજ્જો અપાવ્યો છે. જેમ લોર્કાની કવિતાનું જગત નિરાળું છે, તેમ એની કેટલીક નાટ્યકૃતિઓનું જગત પણ નિરાળું છે. લોકજીવનની ધાક ઝીલતી અને નાટ્યાત્મકની સાથે કાવ્યાત્મક બનતી લોર્કાની નાટ્યકૃત્તિઓ વિશ્વનાટ્યનો અમૂલ્ય વારસો છે. લોર્કાની અત્યંત જાણીતી નાટ્યકૃતિ ‘યર્મા’ની તળપદતાને કેટલેક અંશે સમજી સંવેદીને ગુજરાતી ભાષામાં ‘રણને તરસ ગુલાબ’નીમાં રૂપાંતરિત કરી આપનાર મહેન્દ્ર અમીન છે. એમણે મૂળ સ્પેનિશ નાટ્યકૃતિનું અંગ્રેજીના અનુવાદ પરથી રૂપાન્તર કર્યું છે. અસાઇત સાહિત્ય સભાએ એનુ પ્રકાશન કરેલું છે. પરંતુ આ નાટ્યકૃતિના પ્રકાશન પહેલાં ‘કોરસ’ના ઉપક્રમે ગુજરાતી રંગભૂમિની સવા શતાબ્દીના ઊજવણી વર્ષ નિમિત્તે બાવીસેક વર્ષ પહેલાં દિગ્દર્શક નિમેશ દેસાઈએ એના અમદાવાદ, મુંબઈ, સુરત, મોરબી ખાતે લગભગ એકવીસ જેટલા શૉ કર્યા છે. એકવીસ પાત્રોના રસાલા સાથે લોર્કાની આ યશસ્વી કૃતિનું મંચન કરવા માટે દિગ્દર્શકની હિંમત અને એના બિનધંધાદારી નાટ્યસાહસ માટે દાદ દેવી પડે તેમ છે. રૂપાંતરકાર મહેન્દ્ર અમીને લોર્કાની ‘યમ’ નાટ્યકૃતિને પૂરા ગુજરાતી માહોલમાં રજૂ કરવાનો આશય રાખ્યો છે તેથી મૂળ નાટકનાં પાત્રોથી માંડીને બોલી સહિતનું બધું તળપદા સ્તરે ઉતાર્યું છે. ‘યર્મા’નું નાટ્યવસ્તુ એક નારીના માતૃત્વની તરસનું છે, અને રૂપાંતરમાં મુખ્ય નાયિકા તરીકે ગુજરાતી રૂપાન્તરમાં લીલી કેન્દ્રમાં છે. લીલીની સંતાનતરસ અને એની પીડાને ઉપસાવવા માટે પાત્રો અને દૃશ્યોનાં વિવિધ આયોજનો થયાં છે. નાટક કુલ ત્રણ અંકનું બનેલું છે અને દરેક અંકમાં બે દૃશ્યો મૂકાયેલાં છે. પહેલા અંકના પહેલા દશ્યમાંથી ખબર પડે છે કે એકબાજુ લીલીને સંતાનની તીવ્ર ઝંખના છે, તો બીજી બાજુ એનો પતિ જુગલ ‘આંઈ મોજથી રહેશું નિરાંતે આપણું ગાડું બરાબર હાલેસે, માથે છોકરાં-બોકરાંની કોઈ બબાલ કે ચંત્યા નથી." જેવો વિચાર ધરાવે છે. લીલીનો સંતાન માટેનો અજંપો તીવ્ર સ્તરે રજૂ થયો છે : ‘વરહાદ ઈની ઝીંકના જોરે જ ભલભલા બરછટ વ્હાણાને ય હુંવાળા કરી મેલે છે. ને વાવણી કે રોપણી વના ઓલ્યું ઘાસ રાતોરાત ફૂટાડી દીયે છે.’ લીલી અને જુગલની વાતો પરથી સ્પષ્ટ થાય છે કે જુગલ વંધ્ય તો છે જ પણ શંકાશીલ પણ છે. બધુ સુખ આપવા છતાં જુગલને ‘લીલી બહાર હાલી નેકળે’ તે ગમતું નથી. પહેલા દૃશ્યનો બીજો ભાગ મેના સામેનો છે. એક બાળકની માતા મેના તેના માતૃત્વનાં સંવેદનો રજૂ કરે છે અને લીલીની પીડાને વળ આપે છે. મેના કહે છે : ‘તે કોઈ દિ જીવતા પંખીડાને હાથમાં ઝાલીને દાબ્યું છે.... બસ તંઈ, ઠીક એવું જ થાય. આનો ફફડાટ માંહ્ય લોહીમાં ઝાઝો લાગે.’ લીલી માતૃત્વના અનુભવ માટે કોઈ પણ કષ્ટ વેઠવા તૈયાર છે. એને ખબર છે કે ‘છોકરું ખોળે ધરવું ઈ કાંઈ ગુલાબની છડી હાથમાં ઝાલવા જેવું થોડું છે.’ આ પછી આ દૃશ્યમાં વીરમનો પ્રવેશ છે જેમાં લીલીનો પૂર્વકાળનો વીરમ પ્રત્યેનો પક્ષપાત છે. પહેલા અંકના બીજા દૃશ્યમાં વૃદ્ધાઓ પાસે પહોંચેલી લીલી વૃદ્ધાઓએ રજૂ કરેલી માતૃત્વની સ્મૃતિઓ વચ્ચે મૂકાય છે. પોતાનો ખોળો ખાલી છે એની વસમી પીડા સાથે લીલી કહે છે : ‘ના, ના માડી તમારે મને કંઈ કહેવું પડશે, મારે શું કરવું? તમે જે કહેશો ઈ હંધુય હું કરીશ. મારી આંખ્યું માંય હોય ભોંકવાનું કહેશોને તો ઈ ય કરીશ.’ લીલી વૃદ્ધાઓ આગળ પોતાનો કોઈ વાંક નથી કહી. પતિના વંધ્યત્વનો સંકેત કરે છે : ‘આદમીમાં આદમી જ ગોતવાનો?’ પણ બીજી બાજુ એની શંકાને સીમા નથી. બહેનોને સંભળાવે છે : ‘આંય મારા ઘેર અમથા રોટલા તોડવા નથ તેડી લાવ્યો તમને, મારા રોટલા મારું જીવતર ખેતરમાં સે, પણ મારી ઇજ્જત આબરુ મારા ઘરમાં સે.’ જુગલ લીલી આગળ કબૂલ કરે છે : ‘મારા માંહ્ય ખોટ હશે હું ક્યાં ના કહું છું’ પણ એને લીલીનો ભરોસો જોઈએ છે. પણ પીડાના ઝાંખરાંમાં પડેલી લીલી કહે છે : ‘મારે પાણી પીવું છે ને પાણી નથ કે ગીલાસે ય નથી. મારે ડુંગરા ચઢવા છે ને ટાંટિયા નથ. મારે ચણિયા ગૂંથવા છે ને દોરા જડતા નથ.’ ફરીને મેનાનું પાત્ર દાખલ થાય અને લીલીને થાય છે કે ‘જે ખેડૂતની સ્ત્રી છોકરા જણી નો કે, ઈના મૂલ કોડીના’ લીલી મેના આગળ કબૂલ કરે છે કે ઘરવાળો અને એની બહેનો ત્રણે જણ એની સામે પડ્યાં છે. ફરી વીરમનો પ્રવેશ થાય છે પણ લીલી અને વીરમ વચ્ચે પૂરો સંયમ છે. ત્રીજા અંકના પહેલા દૃશ્યમાં વાંઝણી બાઇડિયું છોરા માટે બાધા લેવા વૃદ્ધાઓ પાસે જાય છે, તેમાં લીલી પણ પહોંચે છે. લીલીના મનમાં જુગલ માટે હેત નથી પણ જુગલ જ એનો બેલી છે એવો એનો સંસ્કાર છે પણ લીલી ઘરબહાર ગઈ છે એ વાત જુગલથી સહન થતી નથી. તો પણ બીજા અંકનું પહેલું દૃશ્ય પાંચ ધોબણો વચ્ચે અન્ય પાત્ર જુગલને સ્પષ્ટ કરે છે કે, ‘તારું ભૂંડું ગોઠવાયેલું છે અને એમના દ્વારા જાણ થાય છે કે દેખાય એવું કાંઈ કહેતા કંઈ કર્યું નથ તારી લીલી પર પહેરો રાખવા માટે જુગલે પોતાની બે બાયડીએ ત્રીજા અંકના બીજા એટલે કે છેલ્લા બહેનોને બોલાવી છે. તો બીજા દૃશ્યમાં જુગલે દૃશ્યમાં વૃદ્ધા જણાવે છે કે, ‘તારી ગોદ ખાલી એક બાજુ પોતાની જાતને વેઠમાં ડુબાડી દીધી રહી સે ઈનું કારણ તારો ઘરવાળો સે’ અને વૃદ્ધા પોતાના દીકરા સાથે લીલીને પરણાવવા પ્રસ્તાવ મૂકે છે. લીલી રોકડું પરખાવે છે : ‘આઈ હું કોઈ આદમીને ગોતવા આવી નથ, હમજ્યા ને?’ જુગલ છાનોમાનો આ વાત સાંભળી જાય છે અને જુગલ લીલીને છોકરાની આશા મેલી પોતાને પ્રેમ કરવા લીલીને નિમંત્રે છે. લીલી આવેશમાં જુગલનું ગળું દબાવી એને મારી નાંખે છે. નાટકની પરાકાષ્ઠા લીલીની ઉક્તિમાં આવે છે: મારી પાંહે ઢુંકતા જ નઈ, મેં મારા દીકરાને ગળે ટૂંપો દઈ દીધો છે. મેં જાતે થઈને મારા હાથે કરીને મારા દીકરાને મારી નાંખ્યો છે.’ બાળક ન દઈ શકનાર નપુંસક પતિની હત્યા દ્વારા લીલી જાણે ‘દીકરાને ટૂંપો દીધો હોય’ એવી તીવ્ર સંવેદનામાં પહોંચી જાય છે. હવે દીકરાની કોઈ શક્યતા વિશે વિચારવાનું જ એને માટે રહ્યું નહીં. નપુસંક પતિ છતાં અન્ય કોઈ પુરુષનો વિચાર ન કરનાર લીલી અંતે પોતાની પીડામાં પતિને જ ટૂંપો દઈ દે છે અને એ રીતે દીકરાની ઝંખનામાંથી છૂટે છે એ નાટકની કરુણ ક્ષણ છે.