રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/3

From Ekatra Wiki
Revision as of 23:16, 14 January 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. માળખું - કાવ્ય અને કવિ | }} {{Poem2Open}} રવીન્દ્રનાથની કાવ્યસૃષ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩. માળખું - કાવ્ય અને કવિ

રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિને તેમના બીજાં લખાણોથી છૂટી પાડીને તેની ઉત્કૃષ્ટતા માટે જવાબદાર પરિબળોનો અભ્યાસ અર્થપૂર્ણ થઈ પડશે. તેમની કવિતાના પ્રકાર અને વિષયમાં વિપુલ વૈવિધ્ય છે. એક લેખક તરીકે અને ખાસ કરીને કવિતાના સર્જક તરીકે રવીન્દ્રનાથ સર્વતોમુખી હતા - જેમ પિકાસો ચિત્રકાર તરીકે હતા તેમ. પિકાસોની જેમ જ તેમની પણ એકાધિક શૈલી હતી, સમયખંડ હતા, વિવિધ સામગ્રીનો ભંડાર હતો; તે તેમની કોઈ પણ નાની સરખી ધૂનને એક પ્રવાહની સહજતાથી અને સરળતાથી વ્યક્ત કરી શકતા હતા. જેમ પિકાસો એક જ ચિત્રની સરખી અને છતાંય જુદી, ઘણી આવૃત્તિઓ બનાવતા હતા તેમ જ રવીન્દ્રનાથ તેમના ગીતોનું કરતા. મેં કહ્યું તેમ તે દરેક અર્થમાં ગીતોના કવિ હતા પણ હવે તેમાં ફેરફાર કરવો પડશે. તેમનો મિજાજ ગીતમય છે અને જગતને જોવાનો વ્યક્તિગત અભિગમ છે; માટે જ એેમના નાટકોમાં કોઈ ખાસ લાક્ષણિકતા નથી અને એેમની પાછલી નવલકથાઓના પાત્રો એેમની પોતાની માફક જ બોલે છે. તદુપરાંત એેમના ઉત્તમ કાવ્યોમાંના મોટા ભાગના ગીતો છે કે પછી ટૂંકા કાવ્યો છે જે એેમની અસર માટે ગીતોના કવિ જેના ઉપર આધાર રાખે છે તેવા મંત્રોચ્ચાર જેવા તાલ, પ્રાસ કે ધ્રુવપદના પ્રયોગોથી સભર છે. મધુસુદનની ભવ્ય શૈલીને અવગણીને અને પોતાના પ્રયત્નોમાં યુરોપના રોમેન્ટિક અને ભારતના વૈષ્ણવ કવિઓના આદર્શને વણી લઈને રવીન્દ્રનાથે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૧૯મી સદીના મહાકાવ્યના યુગ પછી તરત જ આવીને રવીન્દ્રનાથે તેની દરેક લાક્ષણિકતાને અવગણીને એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો; સાહિત્યિક મહાકાવ્યની નાટકીય અસરોને અવગણીને એેમણે જીવંત જગત પર અને વિષય માટે પુરાણકથાના નાયકોના પરાક્રમોને બદલે પોતાના હૃદય અને સમજ પર આધાર રાખ્યો હતો. એેમણે પ્રાસ અને શ્લોકની જાદુઈ શક્તિ પર અને પુનરાવર્તિત પંક્તિ કે શબ્દસમૂહની મનમોહક અસરનો સંપૂર્ણ લાભ લીધો હતો. તેના મિશ્રિત શબ્દ-ભંડાર અને અગણિત સ્વરાંત શબ્દોને કારણે બંગાળી એક સહજ પ્રાસ-સમૃદ્ધ ભાષા છે એમ કહેવું આજે આપણે માટે સહજ અને સામાન્ય વાત છે પણ તેની શોધ અને પ્રથમ પ્રયોગો રવીન્દ્રનાથે કર્યા હતા. એેમના શાસ્ત્રીય કૌશલ્યની વાત કરતાં એક પુસ્તક લખાય તેમ છે - એેમના બેવડાતા અને ત્રેવડાતા પ્રાસ, બે શબ્દોના સમૂહ જે હુમલો કરવા છૂપાયેલા પ્રાણીની જેમ વાચક પર તૂટી પડે, ત્રિપદી ને ચતુષ્પદી જેમાં ત્રીજી પંક્તિ એક અર્ધ-પ્રાસના પડઘા પર છૂટી પડી ગઈ હોય ઇત્યાદિ. તેમની શ્લોકની ગોઠવણી, લાંબી અને ટૂંકી પંક્તિઓની વચ્ચે હેરફેર, બંગાળી છંદનું પુનર્સર્જન, એેમના પ્રવાહી અને અટકતા તાલ, સરળ અને આરોહ-અવરોહ જેવા, ઉદાસ અને આનંદ સભર, વર્તુળાકાર, વળાંક લેતા કે ધીરે ધીરે કે ઝડપથી આગળ વધતા તાલ ઇત્યાદિ માટે ઘણું કહી શકાય. એેમના પહેલાં એક હજાર વર્ષથી બંગાળી કવિતા અસ્તિત્વમાં હતી પણ ભાષાની સમગ્ર સમૃદ્ધિનો ઉપયોગ કરનારા તે સૌથી પહેલા હતા. કડીના વિવિધ પ્રકારોની શોધમાં રવીન્દ્રનાથનું એકલાનું પ્રદાન વધુ છે કે બધા જ અંગ્રેજ રોમેન્ટિક કવિઓનું, એ એક સંશોધનનો વિષય થઈ શકે! એેમના આંતરિક પ્રાસ, ધ્વનિ પર આધારિત પ્રાસ અને વર્ણાનુપ્રાસના ઉપયોગથી શબ્દો કે શ્લોકના એકબીજા સાથેના પડઘા ને પ્રતિક્રિયા પણ એક અભ્યાસનો વિષય જ છે. આ બધું એેમની ગીતોની પ્રેરણાનું પરિણામ હતું અને એેમણે પોતાના ચાળીસમા વર્ષ સુધીમાં સિદ્ધ કર્યું હતું જેનાથી બંગાળી કવિતામાં એક ક્રાંતિ આવી હતી. એેમના પુરોગામીઓનો સંપૂર્ણ વિલય થઈ ગયો હતો અને આધુનિક બંગાળી કવિ માટે રવીન્દ્રનાથ એક આદિકવિ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા કારણ કે એમણે દર્શાવ્યું હતું કે એક કવિતામાં કેટલું કાવ્ય સમાવી શકાય છે!

બીજું બધું બાજુ પર મૂકીને એક જ દિશામાં આગળ વધવા માટે તે ઘણા મેધાવી, ઘણા સક્રિય અને ઘણા વિકાસશીલ હતા. એમણે દીર્ઘ કાવ્ય કે બોધદાયક અથવા વર્ણનાત્મક કાવ્યોનો પણ સંપૂર્ણ અસ્વીકાર કર્યો ન હતો. એેમણે વર્ણનાત્મક અને નાટકીય કાવ્યો, વ્યંગાત્મક અને નૈતિક સિદ્ધાંત પ્રસ્થાપિત કરતું પદ્ય, ઐતિહાસિક લોકગીતો તેમ જ પાઠ્યપુસ્તક માટેના આદર્શ કાવ્યો પણ લખ્યાં છે. એેમણે ભારતના ભૂતકાળને ખંખોળ્યો હતો અને એેમના અજ્ઞાનગ્રસ્ત સમકાલીનો માટેે તર્કનો પ્રકાશ પાથર્યો હતો. એમણે વક્તૃત્વપૂર્ણ શૈલીમાં ઉત્તેજક કાવ્યો લખ્યાં હતાં; આ ‘સૂક્ષ્મ ભેદમાં પારંગત મહાશય’થી વાક્પટુતા છોડી શકાતી ન હતી. એેમના એક પછી એક પ્રગટ થતાં પુસ્તકોમાં એેમના પ્રેમ અને પ્રકૃતિનાં, નરી કલ્પનાનાં કાવ્યો સાથે તે પ્રાસબદ્ધ મનોરંજક કે બોધક, ટૂચકો કે બોધકથા પ્રસ્તુત કરી દેતા. તમને અંગત રીતે સ્પર્શતા કાવ્યને એવું કાવ્ય પણ અનુસરી શકે જેનો પાઠ જાહેર સભામાં આવેશપૂર્વક કરી શકાય! આવું વિશાળ હતું એમનું ફલક અને ક્ષેત્ર અને એમના મિજાજના અનપેક્ષિત વિવિધ ભાવ. એેમના સર્જનોમાં આપણને ઘણી જાતજાતની કવિતાઓના ઉદાહરણો જોવા મળે છે; એેમને વધુ વાંચતા એક આખી શ્રેણીબદ્ધ વ્યવસ્થા વધુ સ્પષ્ટ થાય છે. પ્રકાર ગમે તે હોય, મોટે ભાગે તે સારું પદ્ય હોય છે, ક્યારેક કવિતા વિનાનું સારું પદ્ય પણ હોય પણ સામાન્યત: સારી કવિતા પણ તેમાં પ્રસ્તુત હોય. પણ કવિતાની ગુણવત્તા દરેક કાવ્યમાં બદલાતી રહે; સૌંદર્યશાસ્ત્રના કોઈ પણ એક જ સિદ્ધાંતને વળગી રહેવાને બદલે રવીન્દ્રનાથ આશ્ચર્યજનક ચપળતાથી કાવ્યની જુદી જુદી વિભાવના સાથે સુસંગત બની શકે છે. આપણે સાચા અર્થમાં એમનામાં એકમાં અનેક કવિ જોઈ શકીએ છીએ કારણ કે તે ક્યારેક પ્રતિષ્ઠિત કવિ પાસેથી ઓછામાં ઓછી અપેક્ષા રાખીએ તેવું ધરી શકે છે તો ક્યારેક આપણને વધુમાં વધુ સ્પર્શે તેવી કવિતા ધરે છે અને આ બે છેડાની વચ્ચે વિભાગો છે. હવે આપણે જોઈશું કે આવું કેવી રીતે થાય છે.

મેં કિશોરાવસ્થામાં વાંચેલા રવીન્દ્રનાથના ઘણા કાવ્યોમાંનું એક, જે મને ફરીથી વાંચવાનું ક્યારેય મન નથી થયું અને છતાંય મને યાદ છે, તેનો મને ક્યારેક વિચાર આવે છે. તેનું શીર્ષક છે: ‘પુરાતન ભૃત્ય’. તેમાં વાત છે એક અત્યંત વફાદાર પણ મૂરખ, પોતાના કામમાં આણઘડ અને મિત-પુરસ્કારિત ચાકરની જે પોતાના માલિકની શીતળાની માંદગી દરમિયાન સંપૂર્ણ નિષ્ઠાથી ચાકરી કરે છે અને માલિક સારા થતાં અંતે તેના ચેપનો ભોગ બની મૃત્યુ પામે છે. આ લાગણીપૂર્ણ ઘટના રવીન્દ્રનાથના ગદ્યમાં પણ લખાઈ હોત તો તે વાંચવાનું મન થાય તે અસંભવ લાગે છે. રવીન્દ્રનાથે આ વાત ગદ્યમાં લખી પણ ન હોત. પદ્યમાં પણ લખવાનું એક માત્ર કારણ એેમના કૌશલનો ઉપયોગ કરવાનો હોય એમ લાગે છે. અને મારે આ જ વાત પર ધ્યાન દોરવું છે. એેમણે જોમદાર છંદ પસંદ કરી, અંત્ય અને મધ્યપ્રાસનો ઉપયોગ કરી, થોડાક શ્લેષ અને વિનોદવૃત્તિનો છંટકાવ કરીને આ કાવ્યમાં પ્રાણ રેડ્યા છે; ટૂંકમાં એમણે આવી સામગ્રીમાંથી પણ ઉત્તમ પદ્યનું સર્જન કર્યું. આ ગદ્ય અને પદ્ય વચ્ચેનું સીમાંત દૃષ્ટાંત છે; તમે એમ કહી શકો કે એમાં અલ્પતમ કવિતા છે કે પછી છંદ અને પ્રાસ મિશ્રિત ગદ્ય છે; એમાંથી પ્રાસ અને છંદનું આગવું મૂલ્ય પ્રગટ થાય છે જેના વિના આ વાર્તા કોઈ જ કામની ન રહેત!

બીજું કાવ્ય યાદ આવે છે વર્ષાનું. તમે જાણો છો કે વર્ષા એ રવીન્દ્રનાથનો અતિ પ્રિય વિષય હતો. પ્રથમ પંક્તિ છે: મોરની જેમ નાચે છે મારું હૃદય, નાચે છે મારું હૃદય, નાચે છે મારું હૃદય, નાચે છે મારું હૃદય. કાવ્યમાં આઠ શ્લોકોમાં વર્ષાના અગમનનું વર્ણન છે અને અંતિમ શ્લોકમાં પહેલાનું આંશિક પુનરાવર્તન છે. આ પ્રયોગ રવીન્દ્રનાથ તેમના ગીતોમાં વારંવાર કરતા અને તેનાથી છેલ્લા ભાગમાં આવતા પ્રથમ પ્રાસના પુનરાવર્તન જેવી અસર ઊભી થતી. એક પછી એક ચાર શ્લોકમાં ઋતુનું દર્શન અનુક્રમે કન્યાના સ્વરૂપમાં થાય છે અને તેને આપણે ચાર જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈએ છીએ - વાળ છૂટા મૂકીને એક મિનારામાં, નદી કિનારે વિચારોમાં મશગુલ, એકલી હીંચકા ખાતી અને કિનારા પર ગાતી, જ્યાં ફૂલ ખિલ્યાં છે અને નદીમાં એક હોડી પ્રતીક્ષા કરતી ઊભી છે. આ કાવ્યની ક્ષતિઓ તરત નજરે ચડે એવી છે: તેમાં જરાય ગતિ નથી; વરસાદના આગમનથી શરૂ થઈને ત્યાં જ તેનો અંત આવે છે; આ વરસાદ બીજા કશાય તરફ દોરી જતો નથી પણ તેનું વર્ણન વિસ્તૃત અલંકારોથી કરવામાં આવ્યું છે. અલંકાર પણ અસ્પષ્ટ છે: મિનારો, નદી અને હીંચકો એકબીજા સાથે કોઈ રીતે સંકળાતા નથી અને જુદા જ રહે છે અને નદીમાંની હોડીનું કોઈ જ પ્રયોજન નથી જણાતું. અને છતાંય આ કાવ્ય વધુ હોંશિયારીથી ઘડાયું છે અને તેમાં જૂનો ચાકર કરતાં વધુ સુંદર શબ્દોનું સંગીત છે. અહીં ગદ્યને છંદથી શણગારાયું નથી. અહીં જે છે તેની અભિવ્યક્તિ માત્ર પદ્યમાં જ થઈ શકે. રવીન્દ્રનાથના સામાન્ય કાવ્યનું આ ઉદાહરણ છે અને તેને કવિતા કહી શકાય. માત્ર વર્ણનાત્મક કાવ્યમાં હોવી જોઈએ તેટલી ગુણવત્તા પણ આ કાવ્યમાં ચોક્કસ છે.

‘વસુંધરા’ એક બીજા પ્રકારના કાવ્યનું ઉદાહરણ છે જે પણ રવીન્દ્રનાથમાં વારંવાર જોવા મળે છે. ધરતીમાતા માટેનો પ્રેમ તેમનો સતત સંભળાતો સૂર છે અને તેમના વિશ્વાસનો પાયો પણ છે; એને કારણે બસોબ્યાસી પંક્તિનું આ કાવ્ય જીવંત બને છે. અહીં ધરતીને તેના શાબ્દિક અર્થમાં પ્રસ્તુત કરાઈ છે અને કવિ તેમને જે કહેવું છે તે બધું જ કહેવાની ઉત્સુકતામાં જંગલ, રણ, પર્વત, ધ્રુવપ્રદેશ, તિબેટ, પર્શિયા, જાપાન (જાણે તે ભૂગોળનો નિબંધ ન લખતા હોય!) વર્ણવ્યા પછી ઊતરી જાય છે જીવન પર – ક્રૂર અને વિકરાળ પ્રાણીઓ, વૃક્ષ, પાંદડા, ઘાસ, પાણી અને સૂર્યનો પ્રકાશ - જાણે તેને આ બધાંમાં જીવવાની આકાંક્ષા હોય તેમ, આ બધાંનાં જીવનમાં સહભાગી થવું હોય તેમ, જાણે સમગ્ર ધરતીના અસ્તિત્વને પોતાનામાં સમાવવું હોય તેમ, કવિ આગળ વધતા જાય છે. વિભાવના ઉદાત્ત છે, કાવ્યમાં ગતિશીલતા છે, તેમાં એવા પણ વિભાગો છે જે લાગણીને ઉત્તેજિત કરે છે; પ્રકૃતિમાં વિશ્વાસના પ્રતિપાદન તરીકે આ કાવ્ય અસાધારણ અને ધ્યાન ખેંચે તેવું છે. પણ જેમ તે આગળ વધે છે તેમ તેની પ્રાસયુક્ત અર્ધપંક્તિ અધીરાઈથી જાણે હાંફતી હોય તેમ, એકબીજા પર ઠોકર ખાતી આગળ વધતી જાય છે તેમ આપણે તેની વિભાવના ભૂલતા જઈએ છીએ કારણ શબ્દોનો ધોધ આપણી અને કાવ્યની વચ્ચે પડતો જાય છે. સૂક્ષ્મતાપૂર્વક સમાજાવાતી વિગતોના અતિરેકથી અંજાઈને આપણે શું થઈ રહ્યું છે તે ભૂલતા જઈએ છીએ; ક્યારેક આપણી ઉત્તેજના એ જ શબ્દોથી સ્તબ્ધ થઈ જાય છે જે તેનાથી જ પ્રગટી છે! આ એક એવી પરિસ્થિતિ છે જેને આપણે શાબ્દિક પ્રેરણા કહી શકીએ, જ્યાં શબ્દોનો પોતાનો આવેગ એવો પ્રબળ થઈ જાય છે કે કવિ તેમાં વહી જાય છે, ખોવાઈ જાય છે.

પણ રવીન્દ્રનાથ વણબોલ્યા શબ્દોનું મહત્વ બરાબર જાણતા હતા; એક સ્પષ્ટ રૂપરેખા અને શબ્દોના આકાર પર તેમની મજબૂત પકડ હતી. જે પુસ્તકમાં ‘વસુંધરા’ છે તેના પહેલા કાવ્યમાં આપણે એક જુદા જ રવીન્દ્રનાથને જોઈએ છીએ. તે કાવ્યનું અને પુસ્તકનું નામ છે ‘શોનાર તરી’ અને તેમાં આ મૂર્તિ દૃષ્ટિગોચર થાય છે. જે ‘વસુંધરા’માં નથી તે ‘શોનાર તરી’માં છે; એક સુશાંત સાદગીનો ભાવ અને આગવો મનમોહક શબ્દોનો પ્રયોગ. તેમાં સાત પંક્તિની છ કડી છે; દરેક પંક્તિની લંબાઈ જુદી જુદી છે પણ લાંબામાં લાંબી પંક્તિઓ પણ ટૂંકી કહી શકાય તેવી છે; છઠ્‌ઠી પંક્તિ અચાનક એકદમ ટૂંકી થઈ જાય છે. પ્રાસની ગોઠવણી પણ એકદમ ચૂસ્ત અને સાદી છે: અઅબબબઅઅ. આખા કાવ્યમાં માત્ર એક જ જોડાક્ષર છે.[1] આની અગત્યતા કે મહત્વ હું અહીં સમજાવી શકું તેમ નથી પણ મારે એ નોંધવું જ રહ્યું કે આ કાવ્યથી બંગાળી કાવ્યરચનાની કલામાં એક નવા જ તાલનો ઊમેરો થયો હતો. કાવ્યની વાર્તા સહેલાઈથી કહેવાય તેવી છે. ભારે વરસાદનો દિવસ છે અને વક્તા, જે એક ખેડુત હોય તેમ લાગે છે અને તેણે હાલમાં જ પાક્ની લણણી કરી છે, તેના નાનકડા ખેતરમાં પ્રતીક્ષા કરી રહ્યો છે - શેની તે આપણે નથી જાણતા. એક નાવ આવતી દેખાય છે; નાવિક એકસાથે નાવ ચલાવે છે અને ગાય છે અને ખેડૂતને લાગે છે કે તે તેને ઓળખે છે. પોતાનું ‘સોનેરી ધાન’ લઈ જવા તે નાવિકને બોલાવે છે. નાવિક કિનારે આવે છે અને ધાન નાવમાં ઠલવાય છે. એટલું બધું ધાન છે કે જ્યારે ખેડૂત પોતાને પણ નાવમાં લઈ લેવા કહે છે ત્યારે ખબર પડે છે કે નાવમાં જગા જ નથી. ધાન લઈને નાવ ચાલવા માંડે છે અને ખેડૂત એકલો નિર્જન નદીકિનારે રહી જાય છે અને આકાશમાં વાદળ ભેગા થતાં રહે છે.

હું આરોહી ક્રમને અનુસરી રહ્યો છું પણ જે કાવ્યની મેં વાત કરી તે બીજા ત્રણ કરતાં વધુ સારૂં છે એટલું જ નહીં પણ તેની કોઈ પણ લાક્ષણિકતા બીજા ત્રણ કાવ્યો સાથે મળતી આવતી નથી. તે કોઈ વર્ણનાત્મક કાવ્ય નથી કે નથી તેમાં કોઈ કથાત્મક લક્ષણ; તેમાં વર્ણવેલી ઘટના પણ એવી છે જે કવિની સંવેદનાને મૂર્તિમંત કરવા માટે જરૂરી હોય અને જેના વિના કાવ્ય એક અચાનક ઊઠેલા ઉદ્‌ગાર સમું કે પછી પરંપરાને પડકારતી યુક્તિ સમું બની જાય છે. પહેલી જ પંક્તિથી તે ઝડપથી આગળ વધતું જાય છે - ક્યાંય ફંટાયા વિના કે કોઈ પણ અલંકૃત રૂપકો વિના. કદાચ એકાદ બે પ્રાસ થોડા ગોઠવેલા કે ઠોકી બેસાડેલા લાગે પણ એકંદરે બધા જ શબ્દો અનિવાર્યતાની છાપ ઊભી કરે છે. આ કાવ્યની એકમાત્ર ક્ષતિ છે તેનો રૂપકાત્મક આકાર; કોઈ પણ કલ્પના જ્યારે તેનાથી અતીત પ્રતિ ધ્યાન દોરે ત્યારે તેની ધાર અને સંવેદના જગવવાની શક્તિ ક્ષીણ થઈ જતી હોય છે. જ્યારે આપણે એમ નક્કી કરીએ કે ખેડૂત કવિ છે, ધાન તેની રચનાઓ છે અને નાવિક તેની ભાવિ પેઢીઓ છે ત્યારે આપણે માટે કાવ્યનો કાવ્ય તરીકે અંત આવે છે જે રવીન્દ્રનાથના બીજા અનેક કાવ્યોમાં નથી આવતો. એક સરસ કાવ્ય આપણને શબ્દના અર્થના સરવાળા કરતાં ઘણું વધારે તો કહે જ છે પણ જે કાવ્ય આપણને સૌથી વધુ કહે છે તેમાં ઉપરછલ્લો અર્થ તો રસપૂર્ણ હોય જ છે તદુપરાંત અગણિત અર્થઘટનોમાંનો એક પણ અર્થ સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી હોતો. ‘શોનાર તરી’ આવું કાવ્ય તો નથી જ.

બંગાળમાં રવીન્દ્રનાથની કવિ તરીકેની પ્રસિદ્ધિ આવાં કાવ્યો પર આધાર રાખે છે. એમનો કાવ્યભંડાર વિદ્યાર્થીઓ ગાઈ શકે તેવાં, ભાટ-ચારણો લલકારી શકે તેવાં અને શિક્ષકો નૈતિક શિક્ષણ માટે વાપરી શકે તેવાં કાવ્યોથી ભારપૂર છે. જો તમે કાવ્યશાસ્ત્રના શિક્ષણનો પહેલો પાઠ શીખવવા માંગતા હો તો રવીન્દ્રનાથ તમને પૂરતી સામગ્રી પૂરી પાડી શકશે કારણ કે એેમની પાસે વાંચતા ન શીખેલા બાળકથી માંડીને બધાંને માટે કાંઈક ને કાંઈક તો છે જ. આવાં કાવ્યોમાં તેમના વર્ગમાં શ્રેષ્ઠ હોય તેવાં કાવ્યો છે તેમ જ ‘શોનાર તરી’ જેવાં જુદા જુદા સ્તરે જુદા જુદા વર્ગના વાંચકો માણી શકે તેવાં કાવ્યો પણ છે. રવીન્દ્રનાથનાં એવાં પણ કાવ્યો છે જે ગંભીર, ગહન કે નૂતન દૃષ્ટિકોણ કે અભિગમ પ્રગટ કરનારાં નથી પણ સુદૃઢ અને ઉલ્લાસ-સભર છે અને અર્ધસદીના શૈક્ષણિક વર્ગના વપરાશ પછી પણ હજી ફિક્કા નથી પડ્યાં! દાખલા તરીકે રવીન્દ્રનાથના ઐતિહાસિક કથાકાવ્યો - મારા નમ્ર મતાનુસાર સ્કોટ કરતાં ઘણાં વધારે ઉત્તમ - જેનું કલાચાતુર્ય કોઈ પણ નીર-ક્ષીર ભેદ જાણનાર વાચકને પ્રભાવિત કર્યા વિના ન રહે! કે પછી જુઓ કાવ્યનાટ્ય, ‘લક્ષ્મીર પરીક્ષા’ - કેવું હળવું, રમુજસભર, વિનોદવૃત્તિથી ઝળહળતું, પ્રાસ અને ઘરેલુ કહેવતોના ચાતુર્યપૂર્ણ પ્રયોગોથી ભરપૂર - એક વખત તો આપણે તેના ચવાઈ ગયેલા નૈતિક સંદેશ અને કાવ્યમય ન્યાયના અભાવને ભૂલી જવા તૈયાર થઈ જઈએ! વળી યાદ આવે પેલું અર્થહીન જોડકણાંનું પુસ્તક જેને એમણે ‘ખાપછાડા’ નામે પ્રગટ કર્યું હતું અને કાવ્ય જેટલાં જ સુંદર ચિત્રોથી શણગાર્યું હતું - માત્ર તરંગો અને વિવિધ ટીખળ, જેમાં એક પ્રખર ગુરૂનો દૃઢ હાથ સ્પષ્ટ દેખાતો હતો. અને વૃદ્ધાવસ્થામાં લખેલું બારાખડીનું પુસ્તક જેમાં બાળકો માટેના જોડકણાંમાં એવી સ્પષ્ટ લાક્ષણિકતા નજરે ચડે છે કે તેના વિના રવીન્દ્રનાથની કવિતાની વાત થઈ ન શકે! આ બધાંના કારણે અને એેમના ગીતોના કારણે રવીન્દ્રનાથ જનતાના તેમ જ બંગાળના જાહેર અને અંગત જીવનના પ્રતિષ્ઠાતા બની ગયા છે.

હવે આપણે જોઈએ અંત:સ્ફૂરિત રવીન્દ્રનાથ, જે વૈવિધ્યપૂર્ણ હોય કે ન હોય પણ જે કવિતાને બધી જ અ-કવિતામાંથી મુક્ત કરે છે, પોતાની બહુવિધ પ્રતિભાના બધાં જ પ્રલોભનો ટાળીને! એવા રહસ્યમય કાવ્યો, જે અર્ધપારદર્શક ને જટિલ હોય, જે અર્ધ-ગમગીનીમાં અને અર્ધ-પ્રકાશમાં ફેલાયા હોય અને જે દરેક વખતે વાંચતાં કાંઈક નવું કે વધુ આપતા જાય. ૧૮૯૦ અને ૧૯૧૦ વચ્ચે પ્રગટ થયેલા એમના દસેક પુસ્તકોમાંથી આપણે કેટલાંક કાવ્યો લઈ શકીએ. આપણા કવિની કારકીર્દિના સૌથી વધુ સમૃદ્ધ અને ઉત્કટ બે દસકામાં એક આવર્તન સંપૂર્ણ થાય છે; મને જે કાવ્યો યાદ આવે છે તેનાથી આપણે અનુભવી શકીએ છીએ કે તે એક મહાન કવિ હતા (મહાન માનવ હોવું એ એક બીજી જ વાત છે). એમણે ઘણાં એવાં કાવ્યો લખ્યાં છે કે જેમાં એક સાચા કવિનો અવાજ સંભળાય છે. જે અનુભુતિ આ કાવ્યોથી થાય છે તે બીજા કોઈ કવિનાં કાવ્યોથી નથી થતી. માત્ર આવાં કાવ્યોને ખાતર બંગાળી શીખવાનું કે નવા અનુવાદ કરવાનું કોઈને પણ માટે અર્થપૂર્ણ બની રહે છે. એનાથી વધારે કરવાનું મારે માટે અશક્ય હોઈ હું આવાં બે કાવ્યોનું વર્ણન કરીને સંતોષ માનીશ. આ બે કાવ્યોમાં એેમણે માણસનું ઊંડાણ માપ્યું છે અને તેની આ બ્રહ્માંડમાં કરૂણ પરિસ્થિતિને તે સ્પર્શ્યા છે. પહેલા કાવ્યનું શીર્ષક છે ‘સ્વપ્ન’. કવિ યાદ કરે છે કે એક વખત તેમણે દૂર, સુદૂર, સ્વપ્નલોકમાં એક પ્રવાસ કર્યો હતો, ઉજ્જૈની નગરી પ્રતિ. એેમને શોધ હતી એેમના પ્રથમ પ્રેમની - આગલા જન્મની પ્રિયતમાની. વસંતની અંધારી રાત હતી અને વાંકીચૂંકી ગલીઓમાંથી તે પ્રિયતમાના ઘરે પહોંચે છે. પ્રિયતમા બહાર આવીને પગથિયે ઊભી રહી - દેવની મૂર્તિની જેમ, સ્થિર! - તેમની આંખો મળી. તેણે પૂછ્‌યું, ‘મિત્ર, તમે મઝામાં છો?’ કવિએ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો પણ તેમની વાચા ન ખુલી - બંને બોલી ન શક્યા કારણ કે તેઓ ‘તે’ ભાષા ભૂલી ગયા હતા અને તેમને એકબીજાના નામ પણ યાદ ન હતાં! બે પ્રેમીઓ આમ થોડી વાર ઊભા રહ્યા - જાણે સદાને માટે! - યાદ કરવાનો, નીરખવાનો, વિચારવાનો વ્યર્થ પ્રયત્ન કરતા. આખરે સ્ત્રીનો ચહેરો તેના પ્રેમીની છાતી પર ઢળી પડ્યો અને એકબીજાના શ્વાસ ભળી ગયા. હવે તાલનો લય બદલાય છે - પછી ઉજ્જૈની ઓગળી જાય છે અંધકારમાં, દરવાજે પ્રગટેલો દીવો બૂઝાય છે પવનના સપાટે અને શિપ્રા નદીને કિનારે આવેલા મંદિરના ઘંટારવ શમી જાય છે.

કોલરિજનું સ્પષ્ટીકરણ ધ્યાનમાં લેતા આપણે તરત જ કહી શકીએ કે આ કોઈ ઊર્મિકાવ્ય નથી - દ લા મારના ‘ધ લિસનર્સ’ જેવું કે પછી રવીન્દ્રનાથના આગળ જોયેલા વર્ષાના કાવ્ય જેવું. પણ આ એક કલ્પનાનું કાવ્ય છે - ‘કુબ્લાખાન’ જેવું. સૌથી પહેલા આપણી નજરે ચડે છે કે આખા કાવ્યમાં એક સ્વપ્ન જેવી લાક્ષણિકતા છવાયેલી છે. આ સ્વપ્ન કામના અને અસ્પષ્ટ યાદોથી પ્રેરિત છે અને યાદો કાલિદાસની અવિસ્મરણીય પંક્તિ - આગલા જન્મોની મૈત્રી - જેવી છે. વાસ્તવિકતાથી તે ઘણી દૂર છે કારણ કે પહેલી જ પંક્તિમાં ‘ઉજ્જૈની’ ‘સ્વપ્નલોક’ની નજીક જ છે; બંને એક જ છે; કવિને એક વખત આ સ્વપ્ન આવ્યું હતું અને તે હવે તેને યાદ કરે છે. કાવ્ય અને વાસ્તવિકતા વચ્ચેનું આ અંતર કાવ્યને નબળું નથી બનાવતું પણ વધુ અસરકારક બનાવે છે. જાણે કોઈ લાંબી પરસાળમાં યાદો પ્રકાશથી વધારે પડછાયા પાથરતી હોય તેમ કાવ્યમાં રહસ્યના ભાવ, ગત સમયની મહેક અને આપણા પોતાના પ્રેમ અને ક્ષતિ ઉપસે છે; આનાથી કાવ્યને એક જાતની અતિવાસ્તવિકતા મળી રહે છે. આ સ્વપ્નમાંથી સંપૂર્ણપણે જાગવું શક્ય નથી; કવિનો પ્રવાસ ખોવાયેલા યૌવન અને સુખની શોધ બની રહે છે જે આપણે સૌ કોઈક ને કોઈક રીતે હંમેશા કરતા જ હોઈએ છીએ.

આ કાવ્યમાં ઉજ્જૈનીની પ્રસ્તુતિ આકસ્મિક નથી. યુરોપની કવિતામાં ઍથેન્સનું જે સ્થાન છે તે જ સ્થાન ભારતીય કવિતામાં કાલિદાસના કાવ્યોથી પ્રસિદ્ધ થયેલા આ નગરનું છે. જે હવે સ્વપ્ન સમાન જ છે તે કાલિદાસના ઉજ્જૈનીને યાદ કરીને કવિ પોતાના સ્વપ્નને વધુ ઘનીભૂત કરે છે અને ભારતના અતીત સાથે અને પોતાના પુરોગામી, ભારતના શ્રેષ્ઠ કવિ સાથે સંપર્ક સાધે છે. વચ્ચે પસાર થઈ ગયેલી સદીઓ તેમની પંક્તિઓમાં એક ભૂગર્ભમાં વહેતા પ્રવાહના આભાસની જેમ વહેતી જણાય છે; આપણને એમ લાગે છે કે એક જ કવિનું અસ્તિત્વ સદાકાળ છે અને જાણે કાલિદાસ જ રવીન્દ્રનાથના સ્વરૂપે અવતર્યા છે. આને કારણે વારંવાર આવતા સ્વપ્નની જેમ કે પછી શાશ્વતના વિચારની જેમ કાવ્યનો આપણા પર જાણે એક દબાવ લાગે છે. કાલિદાસ સાથેનું આ સંધાન અહેતુક નથી કારણ કે લગભગ અડધું કાવ્ય - આખો જ વર્ણનાત્મક અંશ - ‘મેઘદૂતમ્‌’માંથી લીધેલો છે; સ્થળ, સ્ત્રીનું ઘર, તેના શણગાર અને પહેરવેશ, મોર, દરવાજા પરના મંગલ ચિહ્નો, સુગંધી કેશકલાપ, પુષ્પ અને ચંદનના પ્રસાધનો, શિવમંદિર ઇત્યાદિ બધું જ કાલિદાસમાં મળી આવે છે. ‘મિત્ર, તમે મઝામાં છો?’ એ સવાલ પણ યક્ષના ‘તમે કેમ છો?’ - જે વાદળે તેની વિરહિણી પ્રિયતમાને પહોંચાડવાનો હોય છે - તેનો પડઘો જ છે. સરખામણીનો અહીં અંત આવે છે. બંને સવાલો સરખા સંજોગોમાં પૂછાયેલા હોવા છતાં બંને જુદી જ સંવેદનામાંથી ઉદ્‌ભવ્યા છે. યક્ષનો સવાલ ઔપચારિક અને વહેવારિક છે. તે કહે છે, ‘મૃત્યુલોકના રહેવાસીઓ સદા સંકટથી ઘેરાયેલા હોય છે’ માટે સૌથી પહેલા તેને ખાતરી કરવી છે કે તેની પત્ની હયાત અને ક્ષેમકુશળ છે. તેના સવાલનો વ્યાપ આ ડહાપણથી પર્યાપ્ત છે. રવીન્દ્રનાથનો પ્રશ્ન પ્રેમની વ્યથાથી સભર છે. તેમાં એક ઈંગિત ભય છે કે પ્રેમિકાની હયાતી હોવા છતાં પ્રેમનો વિલય થયો હોય! આને માટે આપણું વ્યંગાત્મક જ્ઞાન જવાબદાર છે જે આપણને કહે છે કે પ્રેમ નહીં પણ તેને માટેની આપણી ઝંખના ટકી રહે છે, જીવતી રહે છે. માટે જ કાવ્યનો અંત અંધકારમાં છે; શબ્દો નીકળતા નથી, નામ યાદ આવતા નથી અને સ્વપ્નની અસ્પષ્ટ અને આકર્ષક સ્ત્રી તેના સુગંધી શરીર, ગુલાબી વસ્ત્રો અને અધખુલા સ્તન સાથે અંધકારમાં ભળી જાય છે અને તેની સાથે તેને ક્ષણિક અસ્તિત્વમાં લઈ આવતું સમગ્ર તંત્ર પણ લેતી જાય છે. ‘દેવની મૂર્તિની જેમ, સ્થિર’ - આ વાક્ય મને સૂચક લાગે છે. તે દેવની મૂર્તિ છે કારણ કે તે ક્ષણિક અને શાશ્વત બંને છે. અંતિમ પંક્તિની અસર ચલચિત્રના અંતે સભાગૃહની અનુભૂતિ કરાવે છે - ઝળહળતા આભાસો અદૃશ્ય થઈ ગયા છે પડદા પર અંધકાર છવાઈ ગયો છે પણ હજી વાસ્તવિક, વહેવારિક જગતમાં પ્રવેશ થયો નથી! અંધકાર માત્ર રાત્રિનો નથી, એ તો છે વિયોગનો, વિસ્મૃતિનો, સદાને માટે કાંઈક ખૂટવાનો, મૂર્તિમંત થતાંવેંત ઓસરી જતા પ્રેમનો, સદા અતૃપ્ત રહેતી તૃષ્ણાનો. સાંપ્રત અને શાશ્વત, સંભવિત અને અસંભવ વચ્ચે અનિર્ણિત રહેતું આ કાવ્ય અદ્‌ભુત કલાના વિજયનું સૂચક છે.

બીજું કાવ્ય મને યાદ આવે છે ‘ખેયા’નું. તેના સમયને હું રવીન્દ્રનાથનો અંધારો સમય કહું છું - ‘ગીતાંજલિ’ પહેલાંનો સમય. એનું બંગાળી શીર્ષક છે ‘અનાવશ્યક’ - એનો અર્થ છે બિનજરૂરી કે વ્યર્થ. અંગ્રેજી ગીતાંજલિમાં તે ૬૪મું કાવ્ય છે પણ તેના બીજા થોડાક સાથીઓની જેમ તે પણ અનુવાદમાં તેની ગરિમા ખોઈ બેસે છે.[2] મૂળ કાવ્યમાં ૩૬ પંક્તિ છે અને તેનું વિભાજન ૩ કડીમાં થયેલું છે. દરેક કડીમાં ૬ઠ્‌ઠી પંક્તિ પછી એક પેટાવિભાગ આવે છે. રવીન્દ્રનાથ તેમની પ્રિય પ્રયુક્તિ - ધ્રુવપદ - નો અહીં છૂટથી ઉપયોગ કરે છે. દરેક પેટાવિભાગનો અંત એક જ દ્વિપદીથી આવે છે અને દરેક કડીનો અંત એક જ પંક્તિના વિવિધ સ્વરૂપમાં અને એક જ જાતના પ્રાસ વાળા શબ્દોમાં આવે છે. આખા કાવ્યમાં ક્રિયા તો એની એ જ રહે છે; એક કન્યા અને કવિ વચ્ચેના સંવાદો વિકાસશીલ નથી. પહેલી નજરે તે એક અલંકૃત કલ્પનોથી સભર કાવ્ય માત્ર લાગે પણ તેને ફરી ફરી વાંચતાં તમને ઊંડા પાણીમાં ખેંચાવાની શંકા થાય! પહેલી કડીમાં સંધ્યાનો સમય છે, બીજીમાં અંધકાર અને ત્રીજીમાં કાળી મધરાત. તમને થશે કે આ ઘેરી થતી જતી ગમગીની શાને માટે? પછી સમજાશે કે જેના ‘ઘરમાં હજી દીવો પ્રગટ્યો નથી’, તે અંધકારથી ઘેરાયેલી વ્યક્તિની આ પ્રકાશ માટેની પ્રાર્થના છે. જો તમે રવીન્દ્રનાથને બરાબર વાંચ્યા હોય તો તમે તરત જ આની સાથે તેમની ‘ગીતાંજલિ’ની પ્રકાશ માટેની પ્રાર્થના અને ‘રાજા’[3]ની પ્રથમ પંક્તિ યાદ આવે - ‘પ્રકાશ, ક્યાં છે પ્રકાશ? આ ખંડમાં શું ક્યારેય પ્રકાશ નહીં પ્રગટે?’ સમગ્ર કાવ્ય ઉદાસીન, ગમગીન છે; નદીનો કિનારો નિર્જન છે, કન્યા માર્ગમાં એકલી છે, રાત્રિ ચન્દ્ર વિનાની છે, કાશ ઘાસ અને આકાશપ્રદીપ - ‘શૂન્યાવકાશમાં બળતો દીવો’ - પરથી ખ્યાલ આવી જાય કે વાત શરદ ઋતુની છે, જે સમયે ઠંડકને કારણે ધુમ્મસ અને ગ્લાનિ થતા હોય છે. આવા અંધકારમાં એક માત્ર કન્યા પ્રકાશ સાથે ચાલી જતી હોય છે; તે તેના દીવાને ભરતીમાં વહેવડાવી દે છે, સ્તંભ ઉપર ખાલી આકાશમાં બળવા દે છે, જ્યાં અગણિત બીજા ઝળહળે છે ત્યાં બળવા દે છે પણ જેને તેની સૌથી વધુ જરૂર છે તેને નથી આપતી. તે આમ કેમ કરે છે?

કાવ્યનો મુખ્ય શબ્દ છે ‘અકારણે’. દરેક કડીની અંતિમ પંક્તિનો અંતિમ શબ્દ છે ‘અકારણે’. એનો અર્થ થાય વ્યર્થ, હેતુહીન, કારણ વિના. આ શબ્દ રવીન્દ્રનાથનાં કાવ્યોમાં વારંવાર મળી આવે છે અને ક્યારેક તેનો કાંઈ ખાસ હેતુ નથી હોતો પણ અહીં તેનું ખૂબ મહત્વ છે. કન્યાના ત્રણે નિર્ણય નકામા છે. તેના દીવાનું પ્રવાહને, આકાશને કે અગણિત દીવાઓને કાંઈ જ પ્રયોજન નથી, જરૂર નથી. તે કોઈ વિકૃત વ્યક્તિ લાગે છે જે પોતાની અમૂલ્ય મિલકતને સંવેદનાહીન પદાર્થો પર ન્યોછાવર કરી દે છે. મનને જે જોઈએ છે અને જેને માટે તે લાયકાત ધરાવે છે તે મળતું નથી અને પ્રકૃતિને જેની કોઈ જરૂર નથી તે મળે છે; કોઈને ફાયદો નથી થતો. અંતિમ કડીમાંની અસ્પષ્ટતાને કારણે કાવ્યનું બળ વધી જાય છે; અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથ દિપાલિને ‘પ્રકાશનો ઉત્સવ’ કહે છે; આનો સંદર્ભ દિવાળીનો ઉત્સવ પણ હોઈ શકે કારણ તે ઋતુ પ્રમાણે અને આગળ વાત કરી તે ‘શૂન્યાવકાશમાં બળતો દીવો’ની સાથે પણ બંધબેસતું આવે છે. પણ મને એમ લાગે છે કે જો આનો અર્થ ભારતમાં ચંદ્રવિહીન રાત્રિને પ્રકાશમય બનાવતા અગણિત તારા કરવામાં આવે તો ભાવ અદ્‌ભુત થઈ જાય. નાનકડો દીવો જે કન્યા પોતાની છાતીસરસો રાખે છે તે છે પ્રેમનો દીવો અને તે વ્યર્થ વેડફાય છે મૂળ તત્વો - પંચભૂત - પર, પાણી, હવા અને અંતે તારકોના ઉત્સવ પર - સાચા અર્થમાં ઉત્સવ નહીં, પણ એક અર્થહીન, જડ આશ્ચર્ય! એક તરફ સચેતન માણસની જરૂરિયાતને અવગણીને તેને દારિદ્ર્યમાં સબડવા દેવાય છે અને બીજી તરફ ભૌતિક પદાર્થો, જેને કોઈ જ જરૂરિયાત નથી તેને અર્પણ કરવામાં આવે છે. આપણે એમ ન કહી શકીએ કે કન્યા પ્રકૃતિનું પ્રતીક છે માટે માણસને અનાવશ્યક માને છે? આ કાવ્ય માનવ સ્વભાવની દ્વિધાનું નિરૂપણ છે જે પોતાની ઈચ્છા બ્રહ્માંડ પર લાદવા અથાગ પ્રયત્નો કરે છે પણ બ્રહ્માંડ તો બીજા જ નિયમોને અનુસરે છે જે અ-નૈતિક અને અ-માનવીય છે. પણ આ કાવ્યમાં કોઈ રૂપક નથી અને તે જ તેનું જમા પાસું છે. વધારે વિચારતાં જે સીધેસીધું કહેવાયું છે તે ખૂબ જ અસરકારક લાગે છે. એક જાતની વ્યર્થતાનો ભાવ, એકલતાનો ભાવ, વૈશ્વિક નિષ્ફળતાનો ભાવ ઉપસી આવે છે. રવીન્દ્રનાથની એક પરમ શ્રદ્ધાળુ અને આજન્મ આશાવાદીની પ્રચલિત છાપને આ બંને કાવ્યો પડકારે છે અને એમ કરવામાં બીજા ઘણાં કાવ્યો તેમનો સાથ આપે તેમ છે.

તમને થશે કે રવીન્દ્રનાથ કેમ વધુ સુદૃઢ માપદંડ નહીં વાપરતા હોય? તે જો આવી ઊંચાઈ પર પહોંચી શકતા હતા તો પછી ઢાળ પર કેમ રોકાઈ જતા હશે? આનાં કારણો ઐતિહાસિક પરિસ્થિતિમાં મળે છે. અત્યંત મેધાવી હોઈને પણ તેમના જન્મ સમયે બંગાળી ભાષા અપરિપક્વ હોવાથી સમગ્ર બંગાળી ભાષાની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી. બીજા સાહિત્યમાં નાના ગજાના કવિઓ જે કામ કરતાં તે બધું જ તેમણે એકલે હાથે કરવાનું હતું. કાવ્યના પ્રકારો, છંદના આકારો અને સમગ્ર ભાષાનું સર્જન અને પુનર્સર્જન તેમણે કર્યું હતું. તેમના પહેલાંની બંગાળી કવિતાને જોતાં આપણને આશ્ચર્ય નથી થતું કે પોતાના ભાષા પરના પ્રભુત્વથી મંત્રમુગ્ધ થઈને ક્યારેક તે શબ્દોને પોતાના કાબૂમાં રાખવાને બદલે તેમના હાથમાં લગામ સોંપી દેતા. જે નાનું નાનું કામ તે સહજતાથી રમતા રમતા કરતા કે પછી બીજું કોઈ કરનાર હતું નહીં માટે કરતા તે બધું બંગાળી કવિતાના વિકાસના ભિન્ન ભિન્ન તબક્કા બની રહ્યા. તેમને માટે કાવ્ય લખવાનું કામ એટલે પરંપરા આત્મસાત કરવા જેવું હતું. વિદેશી રાજ્ય અને લુપ્ત સમૃદ્ધિને કારણે તેમના પર લદાયેલા ઉત્કટ રાષ્ટ્રવાદ સાથે પરંપરાનો સંબંધ ૧૯મી સદીના બંગાળી લેખકો માટે અત્યંત ગાઢ હતો. રવીન્દ્રનાથ પોતાના સમય સાથે તાલ મિલાવતા હોઈ તેમના સર્જનોમાં ઐતિહાસિક અને આદર્શ ભારતના પ્રાણ પૂરતા. તેમના ગદ્ય અને પદ્યનો વિચાર કરતાં એમ લાગે કે જાણે તે ગત સમય સાથે હિસાબ ચૂકતે કરતા હતા; તેમના પુસ્તકોમાં સમગ્ર ભારતના આરોહ અને અવરોહ સંભળાય છે; એક પછી એક ઊઠતા તરંગોમાં ઉપનિષદોનું ભારત, મહાભારત અને કાલિદાસ, વૈષ્ણવ અને બીજા મધ્યયુગી રહસ્યવાદી, પઠાણ, મોગલ, રાજપુત, મરાઠા; આ દરેક તબક્રા વિષે લખીને તે કેવી રીતે તેમાંથી બહાર નીકળતા તે એક આશ્ચર્યકારક ઘટના છે. તેમાં જેના આકાશ અને વાયુ તેમના હૃદયમાં બંસરી વગાડતા તે તેમનું પ્રિય સોનેરી બંગાળ પણ છે. અંતે તે તેમની માતૃભૂમિને અતિક્રમીને જગતમાં પહોંચે છે - તે મહાન, વિશાળ, સુદૂર પણ એમને માટે આવેગપૂર્ણ બંસરી વગાડે છે. જગતને પણ તે પોતાની કવિતામાં વ્યવસ્થિત રીતે ન્યાય આપીને આપણને ધરે છે. આપણે તેની સાથે મનપસંદ વહેવાર કરી શકીએ તે માટે! જો આપણને એમ લાગે કે એેમનાં આત્મવિજયનાં કાવ્યો ઘણાં ઓછાં છે તો આપણે યાદ રાખવું જોઈએ કે એેમની દરેક ઉમેરણીથી બંગાળ અને આધુનિક ભારતને લાભ થયો છે. રવીન્દ્રનાથમાં એક અસંગતિ છે; જો એેમણે ઉત્કૃષ્ટતા જ લક્ષ્યમાં રાખી હોત તો એેમણે દેશમાં ઓછી કીર્તિ પ્રાપ્ત કરી હોત પણ ભાવિ કવિઓમાં ઘણી વધારે! પુષ્કળ લખીને, કદાચ વધારે પડતું લખીને તે જરૂર એક મહામાનવ થઈ ગયા જેને માટે કાંઈ પણ સાચું હતું કારણ કે તે તેણે કર્યું હતું!

  1. બુદ્ધદેવ બસુ એક જ conjunct consonantની વાત કરે છે પણ કાવ્યમાં ક્ષ અને શ્ર બે જોડાક્ષરોનો ઉપયોગ થયો છે.
  2. ‘ધ ગાર્ડનર’નું ૬૨મું કાવ્ય ‘સ્વપ્ન’નો અનુવાદ છે એમ કહેવામાં આવ્યું છે. પણ વાચકની વિનંતી કે તેના અસ્તિત્વને અવગણે.
  3. ‘ધ કિંગ ઓફ થ ડાર્ક ચેમ્બર’નું બંગાળી શીર્ષક. મેં આ નાટક અંગ્રેજીમાં વાંચ્યું નથી. ૧૯૬૧માં ન્યુ યોર્કમાં તેને ભજવાતું જોયું હતું. તેનો પ્રથમ અંક જોઈને હું ડઘાઈ ગયો હતો. તેમાં રવીન્દ્રનાથ ન હતા માત્ર કોઈ અણઘડ તોફાન હતું.