સંચયન-૬૧

From Ekatra Wiki
Revision as of 00:43, 4 April 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan 61 Cover.png
સંચયન - ૬૧

અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક : ૩ માર્ચ, - ૨૦૨૪

  • સમ્પાદકીય
    • પંખીલોક ~ મણિલાલ હ. પટેલ
  • કવિતા
    • આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ
    • સૉનેટ માળા : પ સૉનેટ
      • ૧. ઘર ભણી
      • ૨. પ્રવેશ
      • ૩. સ્વજનોની સ્મૃતિ
      • ૪. પરિવર્તન
      • ૫. જીવનવિલય
    • એકલું ~ પ્રહ્‌લાદ પારેખ
    • બનાવટી ફૂલોને ~ પ્રહ્‌લાદ પારેખ
    • પરકમ્માવાસી ~ બાલમુકુન્દ દવે
    • મનમેળ ~ બાલમુકુન્દ દવે
    • આત્મદીપો ભવ ~ ભોગીલાલ ગાંધી
    • હવે આ હાથ ~ પ્રિયકાન્ત મણિયાર
  • નિબંધ/લેખ
    • મકાન એ જ ઘર? ~ રમણ સોની
    • ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ ~ ભારતી રાણે
    • ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો ~ ભારતી રાણે
    • સાવ પોતાનો અવસાદ ~ રમણીક સોમેશ્વર
    • વાટ જોતું ઊભું છે આકાશ ~ રમણીક સોમેશ્વર
    • નાટ્યલેખન (લેખ) ~ સતીશ વ્યાસ
  • વિવેચન
    • વિવેચન વિશે ~ પ્રમોદકુમાર પટેલ
  • નવલકથા - અનુવાદ
    • કન્નડ નવલકથા : ગોધૂલિ ~ એસ.એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે
  • કલા જગત
    • ચિત્રકલામાં શ્રમિકો ~ કનુ પટેલ


પ્રારંભિક

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ) : ૨૦૨૩
અંક - 3 : માર્ચ ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૪



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ (ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ર૦/૦૮/૨૦૨૩ (ઓગસ્ટ, ૨૦૨૩)

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.

અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક : ૩ માર્ચ, - ૨૦૨૪

  • સમ્પાદકીય
    • પંખીલોક ~ મણિલાલ હ. પટેલ
  • કવિતા
    • આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ
    • સૉનેટ માળા : પ સૉનેટ
      • ૧. ઘર ભણી
      • ૨. પ્રવેશ
      • ૩. સ્વજનોની સ્મૃતિ
      • ૪. પરિવર્તન
      • ૫. જીવનવિલય
    • એકલું ~ પ્રહ્‌લાદ પારેખ
    • બનાવટી ફૂલોને ~ પ્રહ્‌લાદ પારેખ
    • પરકમ્માવાસી ~ બાલમુકુન્દ દવે
    • મનમેળ ~ બાલમુકુન્દ દવે
    • આત્મદીપો ભવ ~ ભોગીલાલ ગાંધી
    • હવે આ હાથ ~ પ્રિયકાન્ત મણિયાર
  • નિબંધ/લેખ
    • મકાન એ જ ઘર? ~ રમણ સોની
    • ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ ~ ભારતી રાણે
    • ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો ~ ભારતી રાણે
    • સાવ પોતાનો અવસાદ ~ રમણીક સોમેશ્વર
    • વાટ જોતું ઊભું છે આકાશ ~ રમણીક સોમેશ્વર
    • નાટ્યલેખન (લેખ) ~ સતીશ વ્યાસ
  • વિવેચન
    • વિવેચન વિશે ~ પ્રમોદકુમાર પટેલ
  • નવલકથા - અનુવાદ
    • કન્નડ નવલકથા : ગોધૂલિ ~ એસ.એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે
  • કલા જગત
    • ચિત્રકલામાં શ્રમિકો ~ કનુ પટેલ

સમ્પાદકીય

Sanchayan 61 - 1.png

પંખીલોક
છે, પંખીઓ હજી ગામ છોડીને - સીમખેતરો છોડીને ગયાં નથી, જોકે એમનાં આશ્રયસ્થાનો ઓછાં થઈ જવાથી એમનાં ટોળાં નાનાં થયાં છે ને ઊડાઊડ કે અવરજવર પાંખી પડી છે ખરી. આ કબૂતરો જ જુઓને! નહીં તો ગામડાંમાં તો કબૂતરોનો પાર નહીં; એય હવે માંડ આઠદસના જૂથમાં જોવા મળે છે. ચબૂતરો તૂટવા સાથે એમનાં સહવાસ સ્થળો બદલાયાં છે, પેલાં દેશી નળિયાવાળાં બબ્બે પડાળિયાં મોટાં ઘર હવે ક્યાં રહ્યાં છે? શિયાળામાં આ ઘર-પડાળે ને વચલા મોભારે કબૂતરોનાં જૂથ મીઠો તડકો માણતાં-રસાણે ચઢેલાં -દેખાતાં. એમના એ સહચાર સાંજસવારોમાં તોફાનમસ્તીવાળા રહેતા હતા. ઘરના કરામાં અને એનાં પડાળ - ભીંતોના વચગાળામાં રહેતાં કબૂતરો હવે જૂનાં ઘર તૂટતાં બેઘર બન્યાં છે જાણે! ‘ધાબાવાળાં’ પાકાં મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી ત્યાં વસવાની તો વાત જ ક્યાં! ફળિયે જુવાર-બાજરીની ચણ નાખનારા દાદા, વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં પંખીઓથી હવે છલકાતાં નથી. અરે, એવાં ફળિયાં જ ક્યાં છે - જેની પડસાળોમાં પાણીની ઠીબો અને ચણનાં પાત્રો લટકતાં હોય! પડસાળો ગઈ ને ઠીબોય ગઈ. અરે, કૂવાય જૂના થયા ને પડ્યા કે પૂરાયા - કબૂતરો ક્યાં જઈને વસે? ત્યારે તો કૂવાની ભીતરી બખોલોની ઠંડકમાં એ નમણાં-નાજુક પારેવાં ઘૂઘૂ કરીને પ્રેમમંત્ર ઘૂંટ્યા કરતાં હતાં. હવે તો પાણી માટે ‘બોર’, ‘હેન્ડપંપ’ કે ‘સબમર્સીબલ પંપ’ આવી ગયા છે. ચકલીને ન્હાવાય પાણી ખોળવું પડે છે ને સંકોચશીલ હોલો-હોલી તો સૂનમૂન બેસી રહે છે. જ્યાંત્યાં પાણી અને મનગમતી ચણ હતી તે હવે નથી રહ્યાં. ‘મારા વાડામાં બોલે બુલબુલ’ ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે!

ગામ તૂટ્યું ને વૃક્ષો કપાયાં. સીમમાં વૃક્ષોને નહેરનાં પાણી લાગ્યાં તે એય સૂકાયાં. ઝાડમાં ‘લાકડું’ જોનારા લોકો વધ્યા. ગામ ઉઘાડું પડી ગયું. લેલાંના ટોળાં તો ઘર-વાડાથી લઈને સીમ વગડો માથે લઈને હજીય કલકલાટ કરી મૂકતાં ઊઠે છે, પણ ચકલી-હોલા ઘટી ગયાં છે. અરે, ચિકચિકાટ કરી મૂકતી પીળી ચાંચવાળી કથ્થાઈ-કાળી કાબરોય ઓછી દેખાય છે.... ચોટલા કાબર પણ ઘટી છે. હા, કાગડા છે. પણ ચરાના વડ ઉપર એમની સભાઓ હવે ભરાતી નથી. એક સામટા ભેગા થયેલા કાગડા કદીક જ જોવા મળે... એવી સંખ્યામાં એ ક્રાક્રા કરતા ટોળે વળતા. જ્યારે કોઈ ‘કાગડાનું શબ’ - જોતા. અમે કહેતા ‘કાગડા લોકાચારે’ મળ્યા છે. હવે એકસામટા કાગડાઓને લોકાચારે જતા જોવાનું સરળ સહજ કે આંખવગું નથી રહ્યું. ફળિયાની કોર ઉપર ઊભેલી બકમલીમડી ઉપર સાંજે ચકલીઓ ચીંચીંચીંના કોહરામ સાથે ભેગી થતી; નદીકાંઠાનાં ખેતરોમાં ફરીને સૂડાઓ પાદરને લીમડે મુકામ કરતા. મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત ગાળવા મળતી. જાણે પંખીઓએ ઝાડવાં વહેંચી લીધાં હતાં! એ વૃક્ષો કપાઈ જતાં પંખીઓ નોંધારાં થઈને ઊડી ગયાં છે. ગામ પંખીઓના કલરવોથી સ્વાભાવિક લાગતું હતું. હવે વધુ સમય સૂનમૂન લાગે છે. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઊડી આવતા ને રાત ગાળતા મોર હવે ક્યાં જતા હશે? કણજીઓ તો લાકડાં થઈ ગઈ છે. ગામ ટહૂકાઓ વિના પણ મજામાં રહેતું હશે? કેમ કરીનેે? રામ જાણે! હા, ખેતરોમાં હજી ટીંટોડીઓ ‘વક્તીતી વક્તીતી’ રટતી જીવતરની આશા બંધાવે છે. પણ તળાવનાં પાણી સાથે કમળ તો ગયાં; સાથે પેલી જળકૂકડીઓય ખપી ખૂટી! ઘર પાસેની ટેકરીઓનાં તેતર છેક વાડા સુધી આવી જતાં. ને જરાક અવાજ થતાં ફરુક કરતાં ઊડીને અમને છળાવી દેતાં. બંદૂકમાં તુવરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા - એમ દાદા વાતો કરતા. હવે તો છેક ખેતરોમાં જાઉં છું ને ટેકરીઓ પાસેનાં વાડ-પાન ફંફોસું છું ત્યારે ભાળવા મળે છે એકાદબે ગભરુ તેતરો! ત્યારે તો સવારે સીમની ‘વાટે લોટો ઢોળવા’ નીકળતા અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા. મરઘીથી જરાક નાની એવી વનલાવરી - એના પીછાં પરનાં ટપકાંની ભાત - જોવાની તાલાવેલી રહેતી. વનલાવરી નવી પેઢીને તો કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એમ લાગે - સારસ હવે વિરલ થતાં જાય છે. ત્યારે તો અમારાં ખેતરોમાં અમે કામ કરતાં હોઈએ અને થોડેક દૂર આ સારસબેલડીઓ ચરતી હોય - ગમ્મત કરતી હોય. કેટકેટલાં યુગલો હતાં - ઊડે કે આકાશ ભરાઈ જતું! એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ... બે મોટી પાંખો - અમને તો એ ઊડતાં વિમાનો લાગતાં. એમના મધુર રણકાદાર અવાજો તો રાત્રિના પ્રહરેપ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા. હવે તો ચારે દિશાની સીમ ફરતાંય એકાદબે સારસબેલડી માંડ જોવા મળે છે. ક્યાં ગયાં એ મહાકાવ્ય યુગનાં ઋષિમુનિઓને પણ પ્રિય એવાં નિર્દોષ પ્રેમાળ પંખીઓ! ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડાં ઢેંક અને બગલા આવી બેસે છે. લણણી થયેલાં ખેતરોમાં દીવાળીઘોડાઓ પૂંછડી હલાવતા ઊડે છે. કાળિયોકોશી પણ ફળિયેથી ખેતર સુધી આંટાફેરો મારતો ઊડે છે. જાણે કશાકનું ‘સુપરવિઝન’ કરતો રહે છે એ. હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલ્લારા લે છે. ને ઊડતાંવેંત પીંછાંના અંદરના રંગોથી આભને – સીમને છાંટી દેતાં ચાસ વીજળીની તારલાઈનો ઉપર મૂંગાં મૂંગાં બેસી રહે છે. ક્યાંક કલકલિયો તારસ્વરે બોલે છે. શિશિર ઊતરતાં કંસારા બોલે છે પણ દેખાતા નથી. ત્યારે તો ધૂળિયા નેળિયામાં હુદહુદ ચણતાં રહેતાં... હવે તો એનાં દર્શન પણ દુર્લભ થયાં છે. હા, સવારમાં દરજીડા અને બુલબુલ સંભળાય છે; પણ દૈયડના ઝીણા ટહૂકા ભાગ્યે જ સંભળાય છે. ક્યાંકથી ઝીણુંતીણું ટહૂકતાં શક્કરખોર ફૂલો શોધતાં આવે છે. ક્યારેક ઝાડડાળે ચંચળ નાચણ જોવા મળી જાય છે. દૂધિયા લટોરા અને રંગબેરંગી શોબિંગો તો આખીસીમ ફરતાંય નથી જોવા મળતાં. થોડા કરકડિયા કુંભાર વાડ-ઝાડમાં લપાતા ફરે છે – કાચિંડાના શિકારનો અેમને શોખ છે. કહે છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરોમાં વાપરવા માંડ્યાં ને જીવજંતુ ઘટવા માંડ્યાં ત્યારથી પંખીઓનું પર્યાવરણ પણ જોખમાયું છે. સાચી વાત છે, જમીનને વણખેડ્યે પોચી રાખતાં પલાં જમીનખેડુ અળસિયાંય નથી બચ્યાં! ઝેરી દવાનો પટ તો અનાજનેય લાગ્યો છે ને હવાનેય! સીમે રહ્યાંસહ્યાં પંખીઓ ઉદાસ આંખે જોતાં જોતાં આપણને ખમૈયા ‘કરવાનું’ કહે છે! પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા નથી. ગીધ-સમડી-ઘૂવડ-ચીબરી પણ કોતરોની કણજીઓ પાંખી પડતાં મૂંઝાવાં લાગ્યાં છે. હોલો-ચકલી-કાગડો માળા માટે જગા શોધવા બાવરાં લાગે છે. થોડાં ઝાડ છે ને એમાં કાળે ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે – એના અવાજમાં વેદના પણ છે ને થોડી ચીમકી પણ! ક્યારેક જ જોવા મળતું લક્કખોદ હજી મારી લીલીછમ છાતીમાં ચાંચ મારતું કળાય છે... હું મને પૂછું છું – ‘ક્યાં છે મારો પંખીલોક?’
(મણિલાલ હ. પટેલ)

કવિતા

આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ

(સૉનેટમાળા : પ સૉનેટ)

૧. ઘર ભણી

ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,

વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્ર મહીં ઘન;

સ્વપન મધુરી નિદ્રાનું તે દૃગો મહીં અંજન

ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.

ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,

સ્મૃતિદુઃખ મન વ્યાપે તેવી બધે પ્રસરી રહી.

લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી

સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.

પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને 

કદિક અથવા તારો કોઈ ખરે, બસ એટલું

કળિત બનતું, ત્યાંયે ઊંડા મન કરણો સહુ

કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.

જનમ-સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું,

ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.

૨. પ્રવેશ

ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે

લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની,

ત્યહીં ધૂમસથી છાયેલા તે વિષણ્ણ ઉજેશની

ટશર ગગને લાગી; જાગી દિશા અનુુકંપને.

ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,

નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,

કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો, 

ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધા ચરણો મુજ.

મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,

અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;

ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં

ધસી રહી શી! કો’ પ્રેતે જાણે લહ્યું નિજ મોચન,

ઘર મહીં જતાં અંધારાએ ઘડી લીધ આવરી,

કિરણ-પરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.

૩. સ્વજનોની સ્મૃતિ

જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,

રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની

જીવનબળને દેતી કહેતા કથા રસની ભરી,

પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.

મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,

નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,

સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,

અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું!

અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી!

પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ.

અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ,

ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.

ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,

તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.

૪. પરિવર્તન

શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરુખા કને

ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં

ક્ષણક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં

ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.

તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને

પથ વિહરવા કાજે! જેની અપૂર્ણ કથાતણા

ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;

નિજ રચિત, આનંદે જોતાં દગો, ભવિતવ્યને.

હજીય ઝરુખો એનો એ, હું અને વળી પંથ આ,

પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.

બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,

વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વરવૃન્દમાં.

સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,

અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.

પ. જીવનવિલય

અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.

અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે,

તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે

ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.

શબદ ઊપન્યો તેવો જો કે શમે, પણ એહના

અસીમિત જગે વ્યાપી રહે છે અનંત પ્રતિધ્વનિ.

નહિવત્ બની રહેતું માટી મહીં, પણ બીજની 

તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!

જીવનનું જરા આઘે રૈ ને કરું અહીં દર્શન,

ઉગમ નહિ વા ન્યાળું કોનાય તે વળી અંતને;

રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને,

નીરખું, નિજ આનંદે રહેતું ધરી પરિવર્તન.

ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,

અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન.

એકલું

પ્રહ્‌લાદ પારેખ

નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ-તરંગ,

ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;

શાને રે લાગે તોયે એકલું!

સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પાર,

પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનારઃ

તોયે રે લાગે આજે એકલું!

ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;

વાયુ રે નિત્યે વીંટી રહે મને, આખું વિશ્વ વિરાટ;

નાના રે હૈયાને લાગે એકલું!

કોઈ રે આવી કોઈ વહી ગયું મારે અંતરને દ્વાર;

કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર:

એવું રે લાગે આજે એકલું!

બનાવટી ફૂલોને

પ્રહ્‌લાદ પારેખ

તમારે રંગો છે,

અને આકારો છે,
કલાકારે દીધો, તમ સમીપ આનંદકણ છે,

અને બાગોમાંનાં કુસુમ થકી લાંબુ જીવન છે.
ઘરોની શોભામાં,

કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,

પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનું ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?

વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?
ન જાણો નિંદું છું,

પરંતુ પૂછું છું,
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતુંઃ

દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.

પરકમ્માવાસી

બાલમુકુન્દ દવે

આવી ચડ્યા અમે દૂરનાં વાસી,

પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;

મનખે મનખે ધામ ધણીનું - 

એ જ મથુરા ને એ જ રે કાશીઃ
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
સંત મળ્યા તેને સાંઈડું લીધું,

ને શઠ મળ્યા તેને ગઠડી દીધી;

અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું!

ખાલી ખભે ખેપ ખેડશું ખાસીઃ
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
વેમાનની અમે વાટ ના જોતાં,

વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં;

પેદલ ચાલતાં ચાલતાં મ્હાલતાં

ભમવા નીસર્યાં લખચોરાશીઃ
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
થીર મુકામમાં જંપ વળે ના,

વાટ ને ઘાટના જીવ આ પ્યાસી;

ધરતીના કણ કણમાં તીરથ - 

એનાં અમે પરકમ્માવાસીઃ
ભોમકાનાં ભમનાર પ્રવાસી.

મનમેળ

બાલમુકુન્દ દવે

કેવા રે મળેલા મનના મેળ?

હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?

ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,

જેવી માંડવે વીંટાય નાગરવેલઃ
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!

તુંબું ને જંતરની વાણી

કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળઃ

હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,

જેવાં બીજ રે ફણગાય ખાતરખેડઃ
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!

સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળઃ

હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,

જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેરઃ
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!

આત્મદીપો ભવ

ભોગીલાલ ગાંધી

તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા ! તું તારા.

રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા... તું તારા.

કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયાં,
નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા... તું તારા.

આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા,
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં... તું તારા.

હવે આ હાથ

પ્રિયકાન્ત મણિયાર

હવે આ હાથ રહે ના હેમ!

મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
હવે આ હાથ રહે ના હેમ!

બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,

સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;

જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ!
હવે આ હાથ રહે ના હેમ!

ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,

ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;

પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોયે નહીં વ્હેમ!
હવે આ હાથ રહે ના હેમ!

કદી કોઈને કાજે નહીં મેં કટકોય એ કાપ્યું,

અન્યશું દેતાં થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;

રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ?
હવે આ હાથ રહે ના હેમ!

નિબંધ

Sanchayan 61 - 2.PNG.jpg

મકાન એ જ ઘર?
~ રમણ સોની

એક સમજદાર મકાનમાલિકે પોતાનું મકાન ભાડે આપતી વખતે ભાડુઆતને કહ્યુંઃ ‘જુઓ, આ મકાન મારું છે પણ તમે રહો ત્યાં સુધી એ તમારું ઘર છે એ રીતે એને સાચવજો. તો મકાનની રક્ષા થશે ને ઘરની શોભા વધશે.’ તો આ જ ફેર છે મકાન અને ઘરની વચ્ચે. મકાન એ ઈંટ-ચૂનાનો એક નિર્જીવ ઘાટ છે, બાંધકામ છે - એક સ્ટ્રક્ચર કે કન્સ્ટ્ક્શન છે. એ મકાન હોય ત્યાં સુધી તો માત્ર એમાં વપરાયેલી સામગ્રીનો - લાકડું કે લોખંડ કે માર્બલ કે ગ્રેનાઈટ કે રંગ વગેરેનો જ ઓછો-વત્તો મહિમા હોય છે. સ્થાપત્યવિદ્યાની ને વાસ્તુવિદ્યાની ચર્ચાનો એ વિષય છે. પણ એ ઘર બને છે ત્યારે એમાં સંચાર થાય છે - વાયુની લહેરખીનો ને પગરવનો. કલરવનો ને ભોજનની સુગંધનો. એટલે જ ગૃહપ્રવેશનો ને વાસ્તુપૂજનનો મહિમા હશે. યજ્ઞવેદીની ઉષ્ણતાથી મકાનની નિર્જીવતા સજીવતામાં પરિણમે છે. ખાલી મકાન એ સાચે જ ભૂતનો નિવાસ છે એટલે કે ખાલીપાનો નિવાસ છે; રહેનાર મનુષ્ય એમાં પ્રવેશે છે ત્યારે જ એ અવ-ગતિવાળા ભૂતનું ગતિશીલ વર્તમાનમાં પરિવર્તન થાય છે. સોનેરી ભવિષ્યનું સ્વપ્ન લઈને એ વર્તમાન વિસ્તરતો રહે છે - ઘરમાં, પછી પડોશમાં, એ પછી શેરીમાં ને સમગ્ર સોસાયટીમાં. પડોશી તરત ડોકાવાના - ‘કેમ છો? હાશ. તમે રહેવા આવ્યાં ત્યારે જીવમાં જીવ આવ્યો. ભૈસાબ, બહુ ભેંકાર લાગતું હતું. જંગલ ઊગી ગયેલું. માણસનું મોં જેવા મળે ને બે વાત થાય એની જ રાહ જોતાં હતાં અમે તો.’ એટલે મકાન આ રીતે પણ ઘર બને છે. માની લો કે સુંદર, મોટાં મકાનોવાળી કોઈ સોસાયટીમાં તમે એકલાં જ રહેતાં હોવ તો? ગગનચુંબી ફ્લેટસંકુલોમાં ઘણીવાર એવું બને છે કે એક માળ પરનાં ચાર મકાનોમાં ત્રણ ખાલી હોય ને પેલા એકમાત્ર મકાનમાં ઘર વસાવીને રહેતાં માણસો અહોનિશ પાડોશીની, કોઈ બીજા પરિવારના આવવાની કાગડોળે રાહ જોતાં હોય. ઘરનાં પણ કેટકેટલાં રૂપ છે? આપણું ઘર ને બીજાનું ઘર, સ્વજનનું ઘર ને મિત્રનું ઘર; પરિચિતનું ઘર ને વળી અપરિચિતનું ઘર. કોઈના ઘરમાં અધિકારથી પ્રવેશ કરીએ છીએ ને કોઈના ઘરમાં વિવેકપૂર્વક, કંઈક ઔપચારિક ભાવે પ્રવેશ કરીએ છીએ. અરે, કોઈકોઈના તો ઘરમાં તમે પૂરા પ્રવેશી પણ શકતા નથી. અરધુંક બારણું ખૂલે ને તમારે વરંડામાં, પ્રતીક્ષાખંડમાં બેસવાનું. થોડીક વાર અક્કડ વસ્ત્રો ને એવા જ અક્કડ ચહેરે એક માણસ બહાર આવીને તમને મળે છે. અરે, ‘મળે’ છે એમ પણ શી રીતે કહેવાય? એ મળતો નથી પણ મુલાકાત આપે છે. તમે મહેમાન નથી, મુલાકાતી છો; બોલાવેલા નથી, આવી ચઢેલા છો; અતિથિયે નથી, પણ આગંતુક છો. ‘કોઈક આવ્યું હતું’ - એમ જ કહેવાશે. એટલે કે તમે એમને માટે નાન્યેતર છો. ડોરબેલ પર તમારી આંગળી કેટલા વિશ્વાસથી કે કેવા ખચકાટથી દબે છે એના પરથી તમે કોને ઘરે પહોંચ્યા છો એનો ખ્યાલ આવી જાય. પરંતુ મિત્રનું ઘર હોય કે સ્વજનનું, તમારું પોતાનું ઘર એ એક જુદી જ બાબત છે. કવિ નિરંજન ભગતની એક સરસ કવિતા છે. - ‘ઘર તમે કોને કહો છો?’ એમ શરૂઆત કરીને પછી એ કહે છે કે, જ્યાં તમે ખીંટીએ ટોપી ભરાવીને, હળવા થઈને, હાશ કરીને નિરાંતે પગ લંબાવીને બેસો તે ઘર. એ ઘરની એકએક ઈંચ જગા તમારી છે એટલે કે એના અણુએ અણુ સાથે તમારો ગાઢ અનુબંધ છે. તમે એની સાથે ચપોચપ ગોઠવાઈ ગયેલા છો. એટલે બીજાના ઘરમાં વધુ સુખ-સગવડ કે સમૃદ્ધિ હોય ને તમારા ઘરમાં ઓછી સગવડો હોય તો પણ બીજાનું ઘર તમને પૂરેપૂરું આરામદાયક નીવડતું નથી; તમે ત્યાં સંપૂર્ણ કમ્ફર્ટેબલ નથી હોતા. ક્યાંક કશુંક અડવુંઅડવું લાગે છે. તમારી ટેવો પણ તમારું ઘર ઉદારભાવે ચલાવી લે છે. ઘરની અંદર નથી હોતી કુટેવો કે નથી હોતી સુ-ટેવો- હોય છે માત્ર ટેવો. એ આપણું અંગત િવશ્વ હોય છે. હા, ઘરની અંદર તમારી પોતાની એક દુનિયા હોય છે - યત્ર વિશ્વં ભવત્યેક નીડં - જ્યાં વિશ્વ એ એક માળો બની રહે છે, એ એક ઉત્તમ વાત છે, બહુ મોટી ભાવના છે પણ જ્યાં માળો એટલે કે ઘર પોતે જ આખુંય વિશ્વ હોય છે એ વાત બીજા કોઈને મોટી ભલે ન લાગે, આપણે માટે એ આત્મલક્ષી સર્વસ્વ છે. ઘરકૂકડૂ હોવું એ યોગ્ય ન કહેવાય એ બરાબર છે, તો એ પણ એટલું જ સાચું છે કે ઘરરખુ રહેવું, ગૃહસ્થ કે ગૃહિણી હોવું એ પણ એવું જ અગત્યનું છે, ખરું ને? બહારગામ ગયા હોઈએ, ફાઈવસ્ટાર હોટલમાં રહ્યા હોઈએ, પણ પછી ઘર સાંભરે જ. પેલું ઈંટ ચૂનાવાળું મકાન નહીં, પરિવારની ઉષ્માવાળું આકર્ષક ઘર, પરંતુ ઘર હોય ત્યારે મમતાની સાથે મમત્વ પણ આવે. ગૌતમની જેમ રૂંધામણ પણ થાય ને એ ઘરની બહાર નીકળી જાય, બુદ્ધત્વ માટે. કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે - ‘ઘરને ત્યજીને જનારને, મળતી વિશ્વતણી વિશાળતા.’ પણ સવારનો ભૂલો પડેલો સાંજે ઘરે આવી જાય છે ત્યારે એનો આનંદ ને એનો મહિમા પણ શું ઓછો હોય છે?


૨૫-૩-૨૦૦૪

Sanchayan 61 - 3.jpg

ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ
~ ભારતી રાણે

તાશ્કંદની એ પહેલી સવાર. આંખ વહેલી ખૂલી ગઈ. સૂર્યોદય હજી થયો નહોતો. આખા દિવસ માટે ફરવા નીકળવાને હજી ઘણી વાર હતી. અમે ચાલવા નીકળી પડ્યાં. અમારી હોટેલની સામે જ એક નાનકડો બાગ હતો. અમે બાગ વટાવી એની આગળને રસ્તે ચાલવા લાગ્યાં. ચાલતાં ખ્યાલ આવ્યો કે, તાશ્કંદ એક સરસ રીતે પ્લાન કરેલું ભવ્ય શહેર છે. એના રસ્તા અત્યંત પહોળા તથા કાટખૂણે ગોઠવાયેલા હતા. ઠેરઠેર જોવા મળતાં મહાલયો એકદમ સૌંદર્યમય અને વિશાળ હતાં. સુરેખ મકાનો ફૂલછોડથી સુશોભિત હતાં અને ફૂટપાથો એકદમ પહોળી તથા સુઘડ હતી. વૃક્ષો અહીં મબલખ હતાં. અને એ તમામ ફળ-ફૂલથી લચી પડેલાં હતાં. એકાદ કિલોમિટર ચાલ્યાં હોઈશું, ત્યાં દૂર એક મોટું પ્રભાવક પૂતળું દેખાવા લાગ્યું. પોતાના માનીતા ઘોડા પર સવાર આમિર ટિમૂર અર્થાત્ તૈમૂરનું એ પૂતળું હતું. પૂતળું એટલું તો પ્રભાવશાળી હતું કે એને જોતાં જ એમ લાગે કે, હમણાં તૈમૂરની એડીના એક ઇશારે એ ઘોડો હણહણતો ફાળ ભરવા લાગશે. સ્મારકની ફરતે ઉગાડેલા સુંદર બાગમાં સ્પ્રિંકલર્સની બૌછારમાં નહાતાં પુષ્પો સૂરજના આગમનની આતુર નયને રાહ જોઈ રહ્યાં હતાં. મોટા એ વર્તુળની ફરતે વિશાળ રાજમાર્ગ હતો, અને એની ચારેકોર ગૌરવવંતાં સ્થાપત્યો હતાં. એમાં લાઇબ્રેરી, મ્યુઝિયમ, સરકારી કાર્યાલયો, પંચતારક હોટેલ વગેરેનાં ભવનો હશે તેવું લાગ્યું. એ સૌમાં સૌથી ધ્યાનાકર્ષક ભવન ઓપ્રાહાઉસનું હતું. સોનેરી સુશોભનોથી શોભતા એ ભવ્ય શ્વેત મકાનના ગુંબજ ઉપર દેવહુમા પંખીનું યુગલ નૃત્ય કરતું હોય તેવું શિલ્પ હતું. ત્યારે તો મને એ સારસ બેલડી હોય તેવું લાગેલું, પણ પછી ખબર પડી કે, અહીં ઉઝબેકિસ્તાનમાં ફિનિક્સપંખી અર્થાત્ દેવહુમાનું ખૂબ મહત્ત્વ છે. અહીંની લોકકથાઓમાં તથા પુરાણકથાઓમાં આ પંખીના પુરાકલ્પનનું અનોખું માહાત્મ્ય છે. દેશના સંસ્કારમાં વણાઈ ગયેલ એ પંખીયુગલ મનમાં કોરાઈ ગયું છે. આજે પણ એ દેશને યાદ કરું છું તો મનમાં દેવહુમાનું એ યુગલ થરકતું નૃત્ય કરવા લાગે છે! સ્થાનિક લોકો જેને આમિર ટિમૂરના નામથી સ્નેહઆદરપૂર્વક સ્મરતા જોવા મળ્યા, તે તૈમૂરનું પૂતળું અત્યંત પ્રભાવશાળી હતું. કલાના નમૂના તરીકે પણ તે ઉત્તમ હતું. એના પર તૈમૂરના તો ખરા જ, પણ ઘોડાના હાવભાવ પણ અદ્ભુત રીતે કંડારેલા હતા. વિશ્વવિજયના સ્વપ્ન સાથે નીકળેલા શૌર્યવાન માલિકના આદેશથી પૂરપાટ દોડ્યો જતો આજ્ઞાંકિત અશ્વ; એના જીન પર કોતરેલાં ધાર્મિક વાક્યો તથા પ્રતીકો, જીનની કોરે બાંધેલાં કલાત્મક લટકણિયાં, તૈમૂરની ઢાલ, એની તલવાર, તૈમૂરનાં વસ્ત્રો, એનાં પાદત્રાણ, બધું જ સુંદર કંડારેલું હતું. એનાથીય વધારે પ્રભાવક એના ઉપર લખેલું લખાણ હતું. પૂતળાની મુખ્ય તકતી પર ચાર ભાષામાં લખેલું હતું : ‘સ્ટ્રેન્થ-ઈન જાસ્ટિસ’ અર્થાત્ ‘ન્યાયશીલતાની શક્તિ’. દરેક વ્યક્તિની સફળતા પાછળ એનું મક્કમ મનોબળ અને એના પોતીકા દૃઢ આદર્શોનું પીઠબળ હોય છે. તૈમૂરના ન્યાયપ્રિયતાના આદર્શ વિશે પહેલી વાર જાણવા મળ્યું. હું એના િવશે વિચારતી હતી, ને ઓપ્રાહાઉસની પાછળથી સૂર્યોદય થયો; સાથે જ ચારેકોર વિખરાયેલો નિખર્યોનિખર્યો ઉજાસ ઊગતા સૂરજની સોનેરી આભામાં ઝબકોળાયો. અમે અનાયાસ જ્યાં પહોંચી ગયાં હતાં, અને અમને ખૂબ ગમી ગયેલો હતો તે વિશાળ ચોક ‘આમિર ટિમૂર સ્ક્વેર' હતો અને એ દમામદાર પૂતળું ‘આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ’ તરીકે ઓળખાતું હતું, તે તો પાછળથી અમારી ગાઇડ નિકી સાથે શહેર જોવા નીકળ્યાં ત્યારે ખબર પડી. મારા માટે અગત્યની વાત એ હતી કે, એ સ્થળ પર સવારનો જેટલો સમય ગાળ્યો તે દરમિયાન મનમાં સતત દ્વંદ્વ ચાલતું રહ્યું. તૈમૂરના પૂતળાને જોતાં હું વિચારતી હતી : આ પૂતળાના શખ્સની જાંબાઝ પ્રતિભાની તથા એની ન્યાયપ્રિયતાની કદર કરવી કે, પછી આપણા દેશ સાથેના એના કટુતાભર્યા અનુબંધના પૂર્વગ્રહને પોષતાં એની અવજ્ઞા કરવી? સાચું કહું તો મારાથી એની અવગણના ન થઈ શકી. મને લાગ્યું કે, ઇતિહાસ નફરતને પોષવા માટે નથી, એ તો માનવજાતિની મહાન જિજીવિષાને ને એના શૌર્ય તથા હિંમતને ઓળખવા માટે લખાતો હોય છે. એ નફરત પોષવાની ભૂલ કરવા માટે નહીં, માનવજાતે કરેલ ભૂલો પછી ભોગવેલી તબાહીને જાણીને ભવિષ્યમાં એ ભૂલોનું પુનરાવર્તન અટકાવવા માટે હોય છે. જે-તે દેશને પૂર્વગ્રહનાં ચશ્માં પહેર્યા વગર જોઈ શકાય તો જ એનો સાચો પરિચય કેળવાય. મારાથી એ વ્યક્તિ માટે આપણે ત્યાં પ્રચલિત છે તે, ‘તૈમૂરલંઘ’ જેવો અપમાનકારક શબ્દ વાપરી ન શકાયો. બધા જ પૂર્વાપર સંબંધો વિસરાઈ ગયા. કોઈ પણ જાતના પૂર્વગ્રહ ઉપર હું ઉઝબેક પ્રજાના ઉદ્ધારક આમિર ટિમૂરને અને એના પૂતળા પર અંકિત બહાદુરીને આદરપૂર્વક જોતી રહી.


Sanchayan 61 - 4.jpg

Sanchayan 61 - 4.png

ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો
~ ભારતી રાણે

કોઈ પણ પ્રજાની સંવેદનશીલતાનો પરિચય એણે સાચવેલાં સ્મારકો પરથી મળતો હોય છે. અહીં સન ૧૯૬૬માં ભયાનક ધરતીકંપ થયેલો. એ ધરતીકંપમાં જાનમાલની પુષ્કળ તબાહી થઈ. મહાવિનાશ પછીના નવસર્જનની ખુમારી - તે ‘મોન્યૂમેન્ટ ઑફ કરેજ’ અમે તાશ્કંદ જોયું. સ્મારક શરૂ થાય છે, જમીન પર પડેલી તિરાડથી. મૂળ તિરાડનો એક ટુકડો જેમનો તેમ રહેવા દેવાયો છે. જમીન પર પડેલી તિરાડ સાથે તૂટી પડેલી શિલાનાં બે ફડચાં પણ જેમનાં તેમ રખાયાં છે. એ શિલા પર એક બંધ પડી ગયેલી ઘડિયાળની રચના છે, જે ભૂકંપનો સમય તથા દિવસ બતાવે છે, રસ્તા પરથી લંબાતી એ તિરાડને છેડે એની બરાબર સામે કુદરતના કોપને રોકવા આડો હાથ યુગલનું શિલ્પ છે. પોતાના ખોળામાં બાળકને રક્ષતી માતા, અને પત્ની તથા બાળકને રક્ષતા પુરુષનું એ શિલ્પ હૃદયને સ્પર્શી જાય તેવું છે. યુગલ જાણે આર્તનાદ કરતું કુદરતી હોનારત સામે આડો હાથ ધરીને કહી રહ્યું છે કે, ‘અમારા બાળકોની રક્ષા ખાતર બસ, હવે એક પણ ડગલું આગળ વધવાનું નથી!’ એ પૂતળાની પાછળ ગુલાબી પથ્થરના પરિપ્રેક્ષ્યમાં ફ્રેઈમની જેમ મઢેલી લોખંડની સળંગ જાળી જેવી રચના છે, જેમાં વિવિધ વ્યવસાયના લોકો પુનઃસર્જિત થવા શ્રમ કરતા હોય, તેવાં દૃશ્યો સર્જેલાં જોવા મળે છે. આજે તો અહીં ઊભા રહી, એ સમયની તબાહીની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. નવસર્જિત તાશ્કંદ એની શહેરી દોડધામમાં મસ્ત સ્મારક ફરતે દોડી રહ્યું છે. અમે જોયું કે, દિશવિદેશના પ્રવાસીઓ વચ્ચે એક સ્થાનિક યુગલ આ સ્મારક પર ફોટા પડાવી રહ્યું હતું. સ્ત્રીએ સફેદ વૅડિંગ ગાઉન પહેરેલો હતો ને પુરુષે સરસ મજાનો સૂટ પહેરેલો હતો. અને સ્ત્રીના હાથમાં પુષ્પગુચ્છ હતો. લગ્નની વેશસજ્જામાં સજ્જ એ યુગલને આ તબાહીના સ્મારક પર ફોટા પડાવતું જોઈને નવાઈ લાગી. આખો દિવસ ફરતાં શહીદસ્મારક સહિત અનેક સ્થળોએ આવાં યુગલો જોવા મળ્યાં. નિકીએ અમને સમજાવ્યું કે, લગ્નના આગલા શનિ-રવિ કે અન્ય રજાને દિવસે યુગલો લગ્નનાં વસ્ત્રો સજીને આમ શહેરનાં વિવિધ નોંધપાત્ર સ્થળોએ ફોટા પડાવે, તેવો અહીંનો રિવાજ છે. તાશ્કંદનો ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર ભવ્ય છે. રશિયન દબદબાભરી કવાયતો અહીં થતી હશે, ત્યારે આ ભવ્યતા પર ચાર ચાંદ લાગી જતા હશે. અમે એના મુખ્ય પ્રવેશદ્વાર પરથી નહીં, એક તરફના ગૌણ પ્રવેશદ્વારથી પ્રવેશ્યાં હતાં. પરિસરની અંદર વિશાળ રાજમાર્ગ જેવા રસ્તાની બંને કોર આકર્ષક બાગ ઉગાડેલો હતો. ફૂલોનો તો કોઈ પાર જ નહીં. આ રસ્તો સીધો પાર્લામૅન્ટ હાઉસ તરફ લંબાતો હતો. રસ્તાની કોરે સજેલો બાગ અનેક વિભાગોમાં વહેંચાયેલો હતો, જેમાં વિવિધ ભાવનાઓને વ્યક્ત કરતાં શિલ્પ હતાં. વળી એમાં એક લાકડા પર કલાત્મક કોતરણી કરેલ સ્તંભોથી રચાયેલ પરસાળમાં અનેક રજિસ્ટરો એનું દરેક પાનું વાંચી શકાય, તે રીતે ફ્રેઈમ કરીને મૂકેલાં હતાં. વિશ્વયુદ્ધમાં દેશ માટે પ્રાણ ન્યોચ્છાવર કરનાર એકેએક સપૂતનું નામ એમાં લખીને જોવા માટે મૂકેલું છે કે જેથી પ્રજા આ સમર્પણને ભૂલી ન જાય! એની જરાક જ આગળ એક પૂતળું છે : ‘ધ સૅડ મધર’. બીજા વિશ્વયુદ્ધના નરસંહારમાં પોતાના પુત્રને ગુમાવીને શોકમગ્ન માતાનું પૂતળું. માતાના ચહેરા પણ અપાર કરુણા અંકાયેલી જોવા મળે છે. શોકમગ્ન માતાનું આ શિલ્પ યુદ્ધની નિરર્થકતા અને કરુણતા સૂચવે છે. એ પૂતળાની સામે તાજાં ફૂલો મૂકેલાં હતાં તથા અખંડ જ્યોત પ્રગટાવેલી હતી. જરાક આગળ જતાં આ જ સંકુલમાં એક બીજું શિલ્પ જોયું : ‘ધ હૅપી મધર’. સોવિયત યુનિયનથી છૂટા પડી સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવનાર નવા રાષ્ટ્રના જન્મની ખુશાલીમાં આનંદમગ્ન માતાનું શિલ્પ. એમાં સૌથી ઉપર પૃથ્વીના ગોળાની રચના પર નવજાત ઉઝબેક રાષ્ટ્રનો નકશો કોતરતો દેખાય છે, એની નીચે પથ્થરની તકતી પક ઉઝબેક રાષ્ટ્રચિહ્ન કોતરેલું દેખાય છે અને એનીય નીચે નવજાત શિશુને ખોળામાં લઈને બેઠેલી ખુશખુશાલ માતાનું શિલ્પ છે. આ શિલ્પની સમાંતર સંકુલનું મુખ્ય પ્રવેશદ્વાર હતું. ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેરના મુખ્ય પ્રવેશદ્વારને ‘આર્ચ ઑફ નોબલ એસ્પિરેશન્સ’ કહેવાય છે. પંદર ચોરસ કમાનોવાળા આ દ્વારની મધ્યસ્થ કમાન જરાક વધારે ઊંચી છે. એની ઉપર નૃત્ય કરતા હુમાપંખીના યુગલનું નમણું રૂપેરી શિલ્પ છે. રાખમાંથી નવસર્જિત થતા દેવહુમા(ફિનિક્સ) પંખીનું અહીં ખૂબ મહત્ત્વ છે. આપણી જેમ અહીં પણ એ હુમાપંખીનાં નામે ઓળખાય છે. અદૃશ્ય રહેતા એવા આ સ્વર્ગીય અમર પંખીની પરિકલ્પના અનેક સંસ્કૃતિઓનાં પુરાકલ્પનોમાં જોવા મળે છે. ગ્રીક પુરાણોમાં ને પ્રાચીન ઇજિપ્તમાં, ચીનમાં, તિબેટમાં, ને જાપાનમાં, ભારતમાં, ઈરાનમાં ને આખાય પર્શિયામાં, રશિયામાં ને ટર્કીમાં, અનેક દેશનાં પુરાણોમાં અલગઅલગ નામથી પોતાની રાખમાંથી પુનઃસર્જિત થતા અમરપંખીની પરિકલ્પના છે. આપણું દેવહુમા અને ઉઝબેકિસ્તાનનું હુમા બંને વચ્ચેનું સામ્ય આપણા આર્ય પૂર્વજોના અનુબંધ અણસાર હશે? કારણ જે હોય તે, પણ આવાં પ્રતીકોની સમાનતા બે સંસ્કૃતિઓ વચ્ચે પરિચિત હોવાનો અહેસાસ, પોતાપણાની અનુભૂતિ ચોક્કસ આપતી હોય છે.

સાવ પોતાનો અવસાદ
~ રમણીક સોમેશ્વર

વરસાદના પ્રાસમાં ટપકે છે અવસાદ ડેલીબંધ બેઠેલા હોઈએ. હથેળી જેમ ફેલાયેલું આંગણું આપણને ઝીલીને બેઠું હોય. માથે હોય આપણું પોતાનું આકાશ. એ આકાશમાંથી ક્યારેક વરસે વરસાદ - ક્યારેક અવસાદ. એકસરખું નીતરવાનું આપણે. બધું જ જ્યારે સંકેલાઈ જાય ત્યારે પણ આ ડેલીબંધ આકાશ આંખની દાબડીમાં અકબંધ રહેવાનું છે. સ્મૃતિબદ્ધ ક્ષણો સચવાયેલી રહેવાની છે એ આકાશમાં. અવસાદ ઝરમર ઝરમર વરસે છે. રેલા ઊતરે છે. ટપકતો ટપકતો અવસાદ ચામડી વીંધીને ભીતર વહેવા લાગે છે ત્યારે આકાશ મારે છે હળવી ફૂંક - પાંસળીના પાવામાં. બધું જ નિતારી લીધા પછી છેક તળિયે બેસી જાય તે ક્ષણો આપણી હોય છે. ચૂપચાપ ભીતર બેઠેલી એ ક્ષણો જ્યારે બધું જ ડહોળાઈ જાય ત્યારે હળવેક રહીને સ્પર્શી જાય છે આપણને. ચિત્તના ગભારામાં જલતી રહે છે એ ક્ષણો અને જ્યારે બધે જ ઘોર અંધારું ફેલાય ત્યારે ઝબકીને સાથ આપતી રહે છે મૂંગીમંતર. અવસાદ જ્યારે લૂમેઝૂમે છે ત્યારે એની ટોચ પર ઝળકે છે એ ક્ષણો. અવસાદ છેક ભીતર વહેનારી વસ છે અને તેથી એ હોય છે સાવ પોતાનો. ઇચ્છાઓનાં જળ પાઈને આપણે એને ઉછેર્યો હોય છે. વાસનાના તડકાથી એનો રંગ ઘેરો બન્યો હોય છે. અપેક્ષાઓના ખાતરથી એની વૃદ્ધિ થઈ હોય છે. ડેલીબંધ આકાશ તળે અવસાદ વીંટળાઈ વળે છે આપણને, અને એ જ સમયે, ઠીક એ જ સમયે અવસાદના છોડને ફૂલ ફૂટે છે. જીવી જવાનું હોય છે અવસાદને સાચવવા - એના પર ફૂટતા ફૂલને ચપટી આકાશ આપવા. સાવ પોતાનો અવસાદ તાકી રહે છે ફૂટતા ફૂલને અનિમેષ. ઝરમર રેલાતું રહે છે આકાશ.

(દસમો દાયકો : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૪)
(‘કરચલિયાળું તળાવ’: માંથી)

વાટ જોતું ઊભું છે આકાશ
~ રમણીક સોમેશ્વર

એક નાનકડું પંખી આવી ગયું છે બારી વાટે મારા ઓરડામાં. નાનકડું. રૂપકડું. જાણે હવાનું બનેલું હોય એવું. અરે, આને તો પાસેના સરગવાના વૃક્ષ પર જોયેલું. મજાનો માળો બાંધીને અંદર બેઠેલું. નાનકડી ચાંચથી આકાશને ફોલતું. સરગવાની ડાળી પર ઝૂલતું. ફરરર દઈ આકાશમાં આંટો મારી આવતું. આ પંખી ભૂલું પડ્યું છે મારા ઓરડામાં. ઓરડામાં તો છે પુસ્તકોના ઢગલા. ભેજભરી દીવાલો. ઊડવા જાય છે ને દીવાલો પર અથડાય છે. હું ઊભો થઈ, હળવે રહી પંખો બંધ કરું છું. અહીંતહીં અથડાતું એ પંખાના પાંખડા પર બેસી જાય છે. ઊડવા મથે છે તો ઉપર આકાશને બદલે છત. પુસ્તકોને ઢાંકી બેઠેલા કબાટના કાચ સાથે ઘડીકમાં અથડાય. પાછું ફરરર કરતુંક બેસી જાય પંખાની પાંખે. ભયાવહ નજરે પંખીને તાકતો હું પંખી બની જાઉં છું. દીવાલો મને ઘેરી વળે છે. ક્યાં છે મારું સરગવાનું સુંગંધભીનું વૃક્ષ? ક્યાં છે માળો? ક્યાં છે મારી પાંખોમાં ભરાયેલું આકાશ, ઝાડ પરનાં મારાં સાથીઓ, પાંદડાંઓ વચ્ચે રમતો તડકો, મુક્ત હવા - ક્યાં છે? ક્યાં? ભૂલો પડ્યો છું દીવાલોના પ્રદેશમાં! માથે છત. ગૂંગળામણ. અથડામણ. પંખીના ખોળિયામાં હું ઝાઝું રહી શકતો નથી. ફરી આવી જાઉં છું ટેબલ પાસેની ખુરશી પર. ઓહ! મને કળ વળતી નથી. મૂંઝાયેલું - શ્વેતકંઠ, નાનીનાની ભયભીત આંખોથી તાક્યા કરે છે ચોમેર. હળવેકથી ઊભો થઈ બધી જ બારીઓ ખોલી નાખું છું. બારણું તો ખુલ્લું જ છે. મનોમન હું કહું છું. - ભાઈ પંખી, ચાલ્યું જા, ચાલ્યું જા તારા આકાશમાં. નીકળી જા બારીમાંથી બહાર, પણ એ ક્યાં સમજે છે મારી ભાષા! અને એની ભાષા તો મને આવડતી નથી. થોડી વાર પૂતળાની જેમ બેસી રહું છું. ખુરશી પર નિષ્પલક. થાય છે, મારો સંચાર કદાય એને ભયભીત કરતો હોય. મારું અહીં હોવું એને કનડતું હોય. પછી ચુપકીદીથી નીકળી જાઉં છું ઓરડાની બહાર. અને થોડી વારે આવીને જોઉં છું તો પંખીએ એનો માર્ગ શોધી લીધો છે. આવી ચડ્યો છું હુંય આ પંખીની જેમ કોઈ અજાણ્યા ઓરડામાં. આકાશમાં ફેલાઈ જવા પાંખ પ્રસારું છું ને છત સાથે અથડાઉં છું. અડખેપડખે પાર વિનાની ભીંતો. અરે, કોઈ તો બારી ખોલો. ના, તમારો બતાવ્યો માર્ગ મને નહીં ફાવે. શોધી લેવા દો મને એકલાને મારો માર્ગ. બહાર આકાશ મારી વાટ જોતું ઊભું છે.

(ઉદ્દેશ : ઑક્ટોબર, ૧૯૯૮)


Sanchayan 61 - 5 Satish Vyas.jpg

નાટ્યલેખન (લેખ)
~ સતીશ વ્યાસ

સામાન્યત: સર્જન અને સર્જનપ્રક્રિયા અંગે વાત કરીએ છીએ ત્યારે કાવ્ય, વાર્તા અને નવલકથા અંગે જ વિશેષ વિચારણા થાય છે. નાટ્યલેખન અંગે વાત થતી નથી એમ નહીં પણ અછડતી થાય છે. આ વિવિધ પ્રકારો દરમ્યાન તે પ્રકારના લેખકોએ પ્રકારવિશેષ અંગે સજ્જતા-સાવધાની રાખવાની જ હોય એ સમજી શકાય એવું છે. નિબંધ જેવા પ્રકાર વિશે તો એના આરંભકાળથી જ ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે, નિબંધ લખવો એ જેવી તેવી વાત નથી, પણ એ ઉચ્ચારનારે પણ નિબંધલેખન પ્રક્રિયા અંગે કોઈ ગંભીર વાત કરી નહીં. નાટ્યલેખન સંદર્ભે પણ કશી ઠોસ વિચારણા આપણે ત્યાં થઈ નહીં, થઈ શકી નહીં એનાં કારણોમાં આ સ્વરૂપ પરત્વેની આપણી ઉપરછલ્લી જાણકારી, કંઈક અંશે ઉપેક્ષાવૃત્તિ અને ઉદાસીનતા પણ કારણભૂત હશે. નાટ્યલેખન અંગે વાત કરીએ ત્યારે આ કળાપ્રકાર પ્રસ્તુતિ સાથે સંકળાયેલો છે એનું પ્રથમ ધ્યાન રાખવું પડે. આ પ્રસ્તુતિનાં એકાધિક અંગો અંગે નાટ્યલેખકે સભાન બનવું પડે. એની સામે, લખતી વખતે, નિરંતર એનો પ્રેક્ષક બેઠો હોય છે. લેખકને એના આ પ્રેક્ષકની ઉપેક્ષા પરવડી શકે નહીં. આ પ્રેક્ષક નાટક જોવા માટે એનું ધન, એનો સમયનો ભોગ આપીને આવ્યો છે. એના પ્રત્યેનો અનાદર નાટ્યલેખક નહીં રાખી શકે. એની અપેક્ષાઓ, એનું સ્તર, એની ય સામાજિક-સાંસ્કૃતિક ભૂમિકા, એની સંવેદના આદિનો લેખકના મનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ખ્યાલ રહેવાનો. નાટકના લેખકને માટે આ પ્રેક્ષક સમુદાય એનો આરાધ્ય છે. એની સાથેની છેડછાડ કે છેતરામણી એક પ્રકારનો અપરાધ જ બની રહે. એ સમુદાય બદલાતો રહે છે પણ નાટ્યલેખક માટે તો એ બદલાતો રહેતો સમુદાય વિશેષ કસોટીકારક છે. દરેક વખતે એની સામે એક નવી રમણી આવીને ઊભી હોય છે. એને લાડ પણ લડાવવા પડે, મધુર ઠપકો પણ આપવો પડે. પણ છે એ નિત્ય આરાધ્ય. એ રીતે જ નાટ્યલેખકે પ્રેક્ષકને રીઝવવાનો છે. ક્વચિત્ એની રુચિને ખીલવી એનું સંમાર્જન પણ કરવાનું છે. આ પ્રેક્ષક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. સામાજિક છે. નાટ્યલેખક સામે સીધો જ એનો સમાજ છે. અલબત્ત નાટક લખતાં લખતાં એ પણ ધ્યાન રાખવાનું જ છે કે કલાસિદ્ધિ અર્થે આ જ સામાજિકતામાંથી, આજ સમકાલીનતામાંથી આ જ પ્રેક્ષકને એના નાટ્યપ્રપંચ દ્વારા એણે ઉપર ઉઠાવી બહાર પણ કાઢવાનો છે તેથી એ પ્રેક્ષકને સમસામાજિકતાથી પાર રહેતું માનવ્ય પરખાય અને એ દ્વારા કળામાં પ્રગટ થતા માનવ્યની એ સમ્મુખ થાય. આમે ય નાટક અભિનેય કલાપ્રકાર છે. લેખકે ચતુર્વિધ અભિનયને અવકાશ મળે એમ નાટક લખવાનું હોય છે. આંગિક આહાર્ય સાત્વિકને જે-તે સ્થાને તક મળે એનું ધ્યાન રાખ્યા વિના મંચનું નાટક માત્ર શબ્દોથી ખખડ્યા કરે એ ન ચાલે. અહીં માત્ર કથા કહેવાની નથી. અહીં તો ‘કથવા’ કરતાં ‘કરવા’નો મહિમા છે. દલપતરામે નાટક માટે ‘કરી દેખાડવા’ જેવા શબ્દ-પ્રયોગો કર્યા છે એ સૂચક છે. અહીં સતત કંઈક કરવાનું છે. કાર્ય મહત્વનું છે. મંચ ઉપર નિરંતર ક્રિયાશીલતા રચાવી જોઈએ. એ મંદ કે ત્વરિત હોય એનો વાંધો નહીં, પણ કંઈક ચાલ્યા કરવું જોઈએ. સ્થગિતતાને અને નાટકને આડવેર છે. ભલે કહેવાયું હોય નિબંધ માટે, પણ નાટક માટે તો એ સવિશેષ સાચું છે કે નાટક લખવું એ જેવીતેવી વાત નથી. અનેક મર્યાદાઓ સાથે એ લખવું પડે છે. પ્રસ્તુતિ દરમ્યાન ભૂલેચૂકે ય ક્યાંક એવું લખાઈ જાય કે પ્રકાશ પાછળથી આવે છે અને અભિનેતા આગળ ઊભો છે તો એવે સમયે પ્રેક્ષકોને અભિનેતાનો ચહેરો દેખાશે જ નહીં ! મંચના પ્રત્યક્ષ અનુભવથી નાટક વિશેષ સફળ થઈ શકવાની સંભાવના છે. લેખક જાતે ભલે અભિનેતા ન હોય પણ એણે રિહર્સલ્સ જોવાં જોઈએ. પોતાની કૃતિનું પઠન કેવું થાય છે એ જોવું જોઈએ. રમતજગતની એક ઉપમા પ્રયોજીને કહેવું હોય તો એમ કહેવાય કે અન્ય સ્વરૂપોમાં દોડ સીધી છે જ્યારે નાટકમાં વિઘ્નદોડ છે. એ પાર કરતાં કરતાં લેખકે લક્ષ્યગામિતા સિદ્ધ કરવાની છે.

(પરબ, જૂન,૨૦૦૭ના અંકમાંથી ટૂંકાવીને )

Sanchayan 61 - 6.png

વિવેચન

30. pramodkumar Patel.jpg

વિવેચન વિશે
~ પ્રમોદકુમાર પટેલ

કૃતિના સર્જનમાં તન્મય બની ચૂકેલા કવિને કે લેખકને, તત્ક્ષણ પૂરતી તો, તેની આસપાસના વાતાવરણમાં ચર્ચાઈ રહેલા આ કે તે સિદ્ધાંત કે વિવેચનવિચાર સાથે ભાગ્યે જ કશી નિસબત સંભવે છે. કશુંક સ્વયંભૂતાનું તત્ત્વ તેમાં કામ કરી રહ્યું હોય એમ તેને લાગે છે. કવિતા હોય કે વાર્તા, તેનો સર્જક તો પોતાની સંવેદના કે અંતઃપ્રેરણાને જ સચ્ચાઈથી ઓળખવા અને આલેખવા પ્રવૃત્ત થતો હોય છે. કૃતિનો વિધાયક સિદ્ધાંત (Shaping Principle) તેને તેની સંવેદનભૂત વસ્તુમાંથી જ મળ્યો હોય છે. તાત્પર્ય કે, રચનાની ક્ષણોમાં ભાષાના માધ્યમ સાથે કામ પાડતા સર્જકને તત્કાલ પૂરતો, વિવેચના આ કે તે સિદ્ધાંત કે વાદ સાથે, ભાગ્યે જ કશો સંબંધ રહે છે. પણ, જરા થોભીએ. સર્જનની ઘટના વિશેનું આ જાતનું વિવરણ હકીકતમાં અતિ સરલીકૃત નીવડવા સંભવ છે. કૃતિના નિર્માણમાં પરોવાયેલી સર્જકચેતના જે રીતે ગતિ કરતી રહે છે તે કંઈ હેતુશૂન્ય, પ્ર-વૃત્તિ હોતી નથી. વિશ્વસાહિત્યની મોટા ગજાની કોઈપણ કૃતિના રૂપવિધાનનો ખ્યાલ કરી જુઓ : ફ્લૉબૅરની વાસ્તવાવાદી કથા ‘માદામ બોવરી’ લો, એલિયટની વિશિષ્ટ સંવિધાનવાળી કૃતિ ‘ધ વેસ્ટ લૅન્ડ’ લો, કાફકાની પ્રતીકાત્મક રીતિની ‘ધ કેસલ’, કે બેકેટની બેનમૂન ઍબ્સર્ડ નાટ્યકૃતિ ‘વેઈટિંગ ફોર ગોદો’ લો - એ દરેકને પ્રાપ્ત થયેલી વિશિષ્ટ આકૃતિ એ કંઈ આકસ્મિક નીપજ નથી. એ દરેક સર્જકને, આગવા રહસ્યબોધને અનુરૂપ, આગવી આકૃતિની અપેક્ષા હતી. સંપ્રજ્ઞ બુદ્ધિથી તેમણે આગવી રીતે એના આકારની માવજત કરી છે. પણ પોતાના રહસ્યાનુભવને સૌથી સારી રીતે વ્યક્ત કરી શકાય એટલા પૂરતો જ એ પ્રશ્ન નહોતો : કળાની જે પ્રવૃત્તિમાં પોતે રોકાયો છે તેનો પરમ આદર્શ શો હોઈ શકે. અથવા પોતાની વિશેષ સંવેદનાને રૂપબદ્ધ કરવામાં કઈ રચનારીતિ સાર્થક ઠરે, અથવા પોતાને અભિમત અર્થો અને મૂલ્યો ભાવકો સુધી શી રીતે સફળતાપૂર્વક સંક્રમિત થઈ શકે- એવા એવા પ્રશ્નો તેમને ઓછેવત્તે અંશે રોકી રહેતા હોય એમ પણ જોવા મળશે. જો કે દરેક સર્જક આવા પ્રશ્નો વિશે હંમેશાં સ્પષ્ટ હોય જ એવું પણ નથી. પણ આખાય યુગ પર છવાઈ જતી પ્રતિભાઓ પોતાની સર્જનપ્રવૃત્તિ નિમિત્તે ઘણી બાજુએથી ચિંતન કરતી હોય છે. ‘પેરિસ રિવ્યૂ’ એ પશ્ચિમના અનેક અગ્રણી લેખકોની જે ‘મુલાકાતો’ ‘The Writers a Work’ના પાંચ ગ્રંથોમાં બહાર પાડી છે, તેમાં દરેક સર્જકની પ્રખર બૌદ્ધિકતાનો સુખદ પરિચય થાય છે. માત્ર પોતાની કળાનિર્માણની પ્રક્રિયા વિશે જ નહિ, પોતાના સર્જનના પ્રેરણાસ્ત્રોતો, રચનારીતિના પ્રશ્નો, સાંસ્કૃતિક/દાર્શનિક પ્રશ્નોનો મુકાબલો, સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ - એમ અનેક દૃષ્ટિકોણથી તેઓ વિચારવિમર્શ કરી ચૂક્યા જણાશે. એ જ રીતે, ‘The Faith of An Artist’ (સં. જ્હોન વિલ્સન) ગ્રંથમાં પશ્ચિમના આ સદીના કેટલાક અગ્રણી લેખકો અને કળાકારોની જે અંગત કેફિયતો રજૂ થઈ છે, તે પણ આ દૃષ્ટિએ ઘણી દ્યોતક નીવડશે. કળા, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયોમાં તેમની મૂલ્યપ્રતીતિ અને માન્યતાઓ તેમાં રજૂ થઈ છે. વિવેચનની પ્રવૃત્તિઓ, મને લાગે છે કે, લેખકોનાં આ જાતનાં મનોવલણોને સંસ્કારવામાં કે તેને ઘાટ આપવામાં, પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રૂપેય, મોટો ફાળો આપે છે, આપી શકે છે. હકીકતમાં, જાગ્રત અને જવાબદાર વિવેચન સર્જાતા જતા સાહિત્યના પ્રાણપ્રશ્નોને સતત છણતું રહે છે. સાહિત્યના સિદ્ધાંતો કે વાદોની ચર્ચા કરે છે ત્યારે, કે કૃતિલક્ષી વિવેચનમાં રોકાય છે ત્યારે, કળાનાં ઉચ્ચતર મૂલ્યો સાથે તે પોતાની નિસબત પ્રગટ કરે છે, કરી શકે છે. તાત્પર્ય કે, સર્જાતા સાહિત્યને અનકૂળ બને તેવી Critical Climate ઊભી કરવા તે પ્રયત્નશીલ રહે છે.

- વિવેચનની ભૂમિકામાંથી