સંજુ વાળાનાં કાવ્યો/કૃતિ-પરિચય


કૃતિ-પરિચય

કવિ સંજુ વાળાની કલમ ગીત અને ગઝલ એમ બે કાવ્યસ્વરૂપોમાં વિશેષ ચાલી છે, ઠરી છે. એટલે સ્વાભાવિક રીતે જ આ સંપાદનમાં ગીત અને ગઝલનું પ્રમાણ વધારે અને લગભગ એકસરખું છે. ૨૭ ગીતો અને ૨૪ ગઝલો અહીં સમાવિષ્ટ થઈ છે. એ સિવાય એમના કાવ્યોમાંથી ૧ દોહા ગુચ્છ, ૨ અછાંદસ કાવ્યો અને ૧ દીર્ઘકાવ્ય એમ કુલ મળીને ૫૫ કાવ્યોમાં એમની સર્જનયાત્રાનો વિશેષ પામી શકાય એવો પ્રયત્ન થયો છે. પૃષ્ઠમર્યાદાને ધ્યાને લઈને કવિની પ્રતિનિધિ અને ઉત્તમ કૃતિઓ આવરી લેવાનો પ્રયત્ન કરાયો છે.

અહીં સંપાદિત કાવ્યોમાં આ કવિની લાક્ષણિકતાઓ, એમની રચનારીતિ વિષયબહુલતા વગેરેનો એક પરિચય થશે અને એ રીતે સંપાદનનો જે મુખ્ય હેતુ છે, કવિની પ્રતિભાનો મહિમા કરવાનો, એ સિદ્ધ થશે.

કાવ્યરસિકો, અભ્યાસુઓ સુજ્ઞ ભાવકોને આ સંપાદન દ્વારા કવિની પ્રતિભાનો ચિતાર મળશે અને એવી પ્રતીતિ પણ થશે કે આ કવિને આપણી ભાષા-કવિતાના એક ઊંચા શિખર પર બિરાજે છે. – મિલિન્દ ગઢવી