સંજુ વાળાનાં કાવ્યો/તું નહીં તો

તું નહીં તો

તું નહીં તો શું? તું નહીં તો શું?
એવા સવાલ સાંજ પડતાં સુધીમાં તો થઈ જાતા વૈશાખી લૂ.

માથા પર સણસણતા તોરભર્યા રઘવાટે
         નીકળું હું છાંયડાની શોધમાં.
પાનીમાં ખૂંપેલી રસ્તાની કાંકરીઓ
         કહેતી કે જીવતર અવરોધમાં.

સુક્કું કોઈ ઝાડ ખર્યાં પાંદડાંમાં ખખડીને પાછા વળવાનું મને કહેતું.
તું નહીં તો શું? તું નહીં તો શું?

છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને
         ભીંસે આ પહાડોનો ડૂમો.
સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાં જ
         સામટી સુક્કાઈ જતી બૂમો
આંગળી વઢાય એને ભૂલી શકાય પણ ભૂલ્યો ભુલાય નહીં તું