સંજુ વાળાનાં કાવ્યો/મરણોન્મુખ

From Ekatra Wiki
Revision as of 01:27, 21 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મરણોન્મુખ

કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો
ઓલવાતાં અંગોને જાળવવા ઝૂઝે રે
ઝાકળના ખેતરે રખોપિયો...

ચોપનમા વરસે છેક ગોઠવાતા ઘરઘરણે
કુંડળીમાં પાડ્યું તેં વાંકડું
વાત-વાતે નડતાં કમૂરતાં ને પંચક તે
ગાડે ઘલાય નહીં લાકડું
કહ્યામાં રહ્યા નહીં એક્કે ઇશારા
‘ને હોઠ પર થીજી સિસોટિયો...
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...

મુઠ્ઠી તણખલાંની કાયાને ચરી જાય
વગડાઉં લ્હેરખીનું ટોળું,
આથમતી વેળાએ ઝાંખુ ઝબૂકે તું
ફૂટેલા ભાગ્યનું કચોળું.

અડધેરું વય વહ્યું પાણીને મૂલ
અને અડધાનું ગવડાવે જિયો.. જિયો..
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...