સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અજિત શેઠ/સમર્થ સંગીતકારના પાયામાં

From Ekatra Wiki
Revision as of 11:22, 24 May 2021 by ArtiMudra (talk | contribs)
Jump to navigation Jump to search

          ભારતનો જનસમાજ સચિન દેવ બર્મનને ફિલ્મ જગતના સમર્થ સંગીતકાર તરીકે જ ઓળખતો. પણ હકીકતમાં એ જેટલા મહાન સિને સંગીતકાર હતા તેથીયે વિશેષ મહાન લોકસંગીતના અન્વેષક હતા. આ સદીના બીજા દસકમાં બંગાળી સમાજને પોતાના લોકસંગીતના સમૃદ્ધ વારસા તરફ સચેત કરવામાં સચિનદેવનો ફાળો ઘણો મોટો છે. બંગાળના ખૂણે ખૂણે રખડી રખડીને લોકગીતો ભેગાં કરી ભદ્રસમાજ પાસે ગાઈ ગાઈ પોતાના ભવ્ય વારસા માટે આદર પેદા કરાવવાનો જે જબરો પુરુષાર્થ ગણશિલ્પી સચિનદેવે કર્યો તેનો જોટો મળવો મુશ્કેલ છે. જે કામ મેઘાણીભાઈએ ગુજરાત માટે કર્યું કંઈક તેવું ધૂળધોયાનું કામ સચિન દેવે બંગાળ માટે કર્યું છે. બંગાળી લોકવાણીનાં કંઠસ્થ સેંકડો ગીતોને પ્રતિષ્ઠા અપાવવા એકધારા ત્રણ દસકા સુધી સચિન દેવ અણનમપણે ઝૂઝ્યા. બંગાળના નદીતીર પ્રાન્તે વૈષ્ણવ ફકીરો, વૈરાગીઓ, બાઉલ ભજનિકો અને ભટિયાળી ગાતા નાવિકોમાં ભળી, લુપ્ત થઈ જતી બંગાળની લોકગીત સંસ્કૃતિને સાચવી તેનો સારોદ્ધાર કરી તેમણે જનસમાજમાં પ્રિય કરી. પરંપરાગત લોકગીતો ભેગાં કરી તેના પર સંશોધન કરી, રેડિયો અને રંગમંચ દ્વારા લોકકર્ણે પ્રસાર કરીને છેવટે એ જ લોકસંગીતમાં સામર્થ્ય મેળવીને સચિન દેવ સર્જક બન્યા અને છેક બેતાલીસ વર્ષની પાકટવયે હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશવા છતાં પણ એકચક્રે ત્રીસ ત્રીસ વર્ષ રાજ કર્યું. આની પાછળ તેમની વર્ષોની લોકસંગીતની સાધના જબરું ભાથું બની રહી. સચિન દેવે એક હજારથી વધુ બંગાળી લોકગીતો સંગ્રહ કરી ગાયાં છે. એક જમાનો એવો હતો કે બંગાળમાં તેમની લોકગીતોની રેકોર્ડનું વેચાણ સૌથી વિશેષ હતું. સિને સંગીત-નિર્દેશક કરતાં બંગાળનાં લોકગીતોના ઉદ્ધારક અને ગાયક તરીકે ગઈ કાલની પેઢી સચિન દેવને વધારે જાણતી. લોકસંગીતની સાથે સાથે શાસ્ત્રીય સંગીતનો તેમનો અભ્યાસ પણ ઘણો ઊડો. આથી લોકગીતોને તેમણે શાસ્ત્રીય સંગીતના સ્પર્શથી ઘાટમાં લાવી પાણીદાર કર્યાં. તેમનું પ્રસિદ્ધ ગીત ‘રોંગિલા, રોંગિલા, રોંગિલા રે...’ તેમણે એક નાવિક પાસેથી મેળવેલું. સિલહટ શહેરની બહાર સુરમા નદીને કિનારે શાહ જલાલની દરગાહ પાસે એક ઝાડની છાયા તળે ઢળતી બપોરે સચિન દેવ બેઠા હતા ત્યારે હોડી હંકારતા એક નાવિકને કંઠે તેમણે આ ગીત સાંભળેલું. એ ગીત નખશિખ તે જ ઢબે અને ઢાળે ગાઈ તેમણે રેકર્ડ કરાવેલું, જે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું. સચિન દેવે બંગાળના વિખ્યાત કવિઓ પાસે લોકગીતોના ઢાળોમાં ગીતો લખાવ્યાં ને મન ભરી ભરીને ગાયાં. અજય ભટ્ટાચાર્ય, કાજી નઝરૂલ ઇસ્લામ અને બાંગલાદેશના જશીમુદ્દીન પાસે તેમણે તૈયાર કરાવેલાં ગીતો આજે પણ બંગાળને ઘેર ઘેર ગવાય છે. ‘નિશિતે જાઈઓ ફૂલબને, રે ભંવરા, નિશિતે જાઈઓ ફૂલબને રે’ (ધીરે સે જાના બગિયનમેં, રે ભંવરા) આ સચિન દેવનું સર્વપ્રથમ લોકગીત અને ‘તકધુન તકધુન બાજે, બાજે ભાંગા ઢોલ’ તેમનું અંતિમ લોકગીત છે.