સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આર્ટ બુકવોલ્ડ/ખરાબ લોકો : સારા લોકો

          થોડા દિવસ પર હું મારા દીકરાને સિનેમામાં લઈ ગયેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઓએ કેદ પકડેલા મિત્રારાજ્યોના ખલાસીઓની કંઈક વાત એ ફિલ્મમાં આવતી હતી. ઘેર પાછા ફરતી વખતે વાટમાં પુત્રો મને કહ્યું : “પેલા ખલાસીઓને આવી રીતે ત્રાસ આપતા હતા તે જાપાનીઓ બહુ ખરાબ લોકો હતા — નહીં?” “હા,” મેં કહ્યું, “પણ હવે એ લોકો ખરાબ નથી, કારણ કે હવે તે એવું કરતા નથી.” એકાદ મિનિટ તે વિશે વિચાર કરીને એ બોલ્યો, “એવું બધું નઠારું કામ એ લોકો શીદને કરતા હતા?” “કદાચ તે વખતે એમને ખબર નહીં હોય કે એ નઠારું કામ કરી રહ્યા હશે.” “તો કોઈએ એમને કીધું કેમ નહીં?” “આપણે કહેવાની કોશિશ તો કરી હતી,” હું બોલ્યો, “પણ એ સાંભળે જ નહીં.” “....જર્મનો બહુ ખરાબ છે — નહીં? પેલી કેદ-છાવણી વિશેની ફિલ્મ આપણે જોયેલી, તે યાદ છે ને!” “એ લોકો ખરાબ હતા,” મેં કહ્યું, “પણ હવે સારા છે.” “હવે એ જુદા જ લોકો થઈ ગયા છે?” એને જાણવું હતું. “ના, છે તો એના એ જ લોકો; મોટા ભાગના લોકો તો એના એ જ છે. લડાઈ પૂરી થઈ જાયને, પછી ખરાબ લોકોએ જે કર્યું હોય તે ભૂલી જવાનું; ન ભૂલીએ તો વળી પાછી નવી લડાઈ થાય.” શૂન્ય નજરે તે મારી સામે જોઈ રહ્યો. “લડાઈમાં તમે કોઈ રશિયનને મારેલો ખરો?” એને એ જાણવાની ઇચ્છા થઈ. “ના, કારણ કે લડાઈમાં તો તે આપણી પડખે હતા.” “પણ જો લડાઈ વખતે તે સારા લોકો હતા, ને ખરાબ લોકોને મારી નાખતા હતા, તો હવે એ લોકો ખરાબ કેમ થઈ ગયા છે?” “હવે એ લોકો ખરાબ થઈ ગયા નથી. મોટા ભાગના રશિયનો તો સારા જ છે. પણ એમના નેતાઓ જે કરે છે તેની સાથે આપણે સંમત થતા નથી, અને એ લોકો આપણી સાથે સંમત થતા નથી. એટલે જ આ બધી ભાંજગડ ઊભી થઈ છે. સમજ્યો?” એણે કહ્યું, “ના.” “થયું ત્યારે — ” હું બોલ્યો, “આટલા બધા મૂરખાઈ ભરેલા સવાલ પૂછનારો છોકરો તો મેં કોઈ દી જોયો નથી!” [‘મિલાપ’ માસિક : ૧૯૬૨]