સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કવિ-સપૂત

          ભારત, તું અનેક ઋષિઓની — કવિઓની વંદના પામ્યો છે. પણ તારી પડતી વેળાએ, વિશ્વચોકમાં તું અપમાનિત, ધૂલીધૂસરિત અવનત મસ્તકે પડેલો હતો ત્યારે, તારા અંતરતમ સત્ત્વને ઓળખી લઈ, પોતાની ભીતર તેને સર્વભાવે સાક્ષાત્કારી, પોતાના તપોજ્જ્વલ જીવનમાં તેને ચરિતાર્થ કરી, જગતના હૃદયસિંહાસન પર તેની સ્થાપના કરનાર કવિસપૂત રવીન્દ્રનાથ તને સાંપડ્યા. યુગે યુગે દુખેસુખે તને એવા કવિસપૂતની ખોટ ન હજો.