સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/જીવનની ઉત્તમ ક્ષણો

          મનસુખલાલ ઝવેરી અનુવાદો ઉત્તમ કરી શકતા. એનું કારણ કે એમણે નાનપણથી બે મહાન ભાષાઓ, સંસ્કૃત અને અંગ્રેજી, એ સારી રીતે ખેડેલી. એમના જેટલી ચોકસાઈ અને રસાર્દ્રતા થોડા જ અનુવાદકોમાં દેખાશે. શેક્સપિયરના એમના અનુવાદો છે તે, અત્યાર સુધીના શેક્સપિયરના બધા અનુવાદોમાં ઉત્તમ છે એમ કહેતાં મને સંકોચ નથી. કેટલા માર્મિક અનુવાદ તેમના હાથે થતા! ‘ઓથેલો’ ને ‘કિંગ લિયર’ના અનુવાદ વિશે એ મને કહેતા કે, આ બે નાટકોના અનુવાદ કરવામાં મારા જીવનની ઉત્તમ ક્ષણો મેં ગાળી છે — એટલો બધો મને આ કામમાં આનંદ આનંદ થયો છે.