સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કલાપી/મારી કવિતા

          કવિતા! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. અને મારી કવિતા પણ તેવી જ છે. હું જે કાંઈ લખું તે મને જ આનંદ આપી શકે તેવુંયે થતું નથી. હું શૅલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઈ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું. [તા. ૧૪-૧-૧૮૯૮નો પત્ર: ‘કલાપીના ૧૪૪ પત્રો’ પુસ્તક]