સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/આપણને ખાઈ જશે

Revision as of 08:33, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હું જ્યારે ‘નવજીવન’ ચલાવતો હતો ત્યારે એક વખત ગુજરાતના કે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હું જ્યારે ‘નવજીવન’ ચલાવતો હતો ત્યારે એક વખત ગુજરાતના કેટલાક આંકડાઓ મેં ભેગા કર્યા હતા અને એક લેખ લખ્યો હતો. એ લેખ તરફ ગુજરાતનું ફરી વાર ધ્યાન ખેંચવા માગું છું. એમાં મેં લખ્યું હતું કે — “ગુજરાતમાં જે લગભગ એક કરોડની વસ્તી છે તેમાંથી ઉજળિયાત કોમના લોકો અઢાર લાખ છે, અને જે લોકો શ્રમજીવી છે — જેમને આધારે આપણે બધા ખાઈએ છીએ, પીએ છીએ અને જીવીએ છીએ તે લોકો — એંસી લાખ છે. અત્યાર સુધીનું આપણું જેટલું જાહેર જીવન છે, જેટલી વિચારણા છે, જેટલો પુરુષાર્થ છે તે પેલા અઢાર લાખ લોકોનો. બાકીના જે એંસી લાખ લોકો રહ્યા તે પણ જાગૃત થયા છે. હવે એ અશિક્ષિત રહી શકવાના નથી અને બધું ચુપચાપ સહન કરી શકે એવી સહનશીલતા પણ એ રાખવાના નથી. એ એંસી લાખને ઉત્તમ કેળવણી આપવી, સંસ્કૃતિના બધા લાભો આપવા અને એમને હાથે હિંદુસ્તાનની ઉત્તમ સેવા થાય એ જાતની વ્યવસ્થા કરવી, એ કામ ખરી કેળવણીનું છે. અઢાર લાખ લોકોએ અંદર-અંદર ઘણું કામ કર્યું, સારું કામ કર્યું, તે માટે એ અભિનંદનને પાત્ર છે. પણ બાકીના જે એંસી લાખ લોકો છે તેમને જો આપણે ભૂલી ગયા (અને આપણે એ જ કર્યું છે), તો એ નથી ચાલવાનું. “આખું ‘મહાભારત’ વાંચી જાઓ. ‘મહાભારત’માં બ્રાહ્મણ અને ક્ષત્રિય, બેનાં જ નામ આપણને મળે છે. આવડું મોટું ‘મહાભારત’, આપણી સંસ્કૃતિનો સર્વોચ્ચ ગ્રંથ, એ ‘મહાભારત’માં મોટે ભાગે બ્રાહ્મણો અને ક્ષત્રાયોનો જ પુરુષાર્થ છે અને બાકી જેટલી પ્રજા છે એ જાણે જાનવર હોય એ રીતે આપણે વિચાર કર્યા. એ દોષ, એ મહાપાપ આજે આપણને નડવાનું છે. માટે હવે પછીની કેળવણી આ એંસી લાખ લોકોને માટે છે. એમને કેળવણી આપો તો પ્રજા જાગૃત થશે. નહીં તો એ લોકો આપણને ખાઈ જશે.”