સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કૃષ્ણપ્રસાદ પટેલ/“તે કરતાં બસ શું ખોટી?”

Revision as of 05:12, 28 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અમદાવાદ રેલવે-સ્ટેશનની પ્રવેશ-પરસાળમાં અમે સૌ ઊભા હતા. નર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          અમદાવાદ રેલવે-સ્ટેશનની પ્રવેશ-પરસાળમાં અમે સૌ ઊભા હતા. નર્મદા યોજનાના વિસ્થાપિતોના પુનર્વસન અંગે મધ્ય પ્રદેશની સરકાર સાથે વાટાઘાટો માટે ગુજરાતના નર્મદા-વિકાસમંત્રી સાથે અમે કેટલાક અધિકારીઓ વગેરે ભોપાલ જવા નીકળવાના હતા અને મંત્રીશ્રી બાબુભાઈ પટેલની રાહ જોતા ઊભા હતા. ધ્વજ લહેરાવતી સરકારી ગાડીની પ્રતીક્ષા અમે કરી રહ્યા હતા. ટ્રેનનો સમય થવામાં હતો. અમે થોડા અધીરા થયા હતા. તેટલામાં અમારામાંના એક ભાઈ હાથ ઊચો કરીને બૂમ પાડી ઊઠ્યા: “ઓ આવે...” એમણે ચીંધેલી દિશામાં અમારી નજર ગઈ. સ્ટેશનના પ્રાંગણમાં એક મહાનુભાવ આવી રહ્યા હતા: ખાદીનાં ઝભ્ભો-ધોતિયું, હાથમાં કાળી થેલી... “અરે પણ, બાબુભાઈ! ગાડી ક્યાં? ચાલતા કેમ આવવું પડ્યું?” “મારે એકલાને જ આવવાનું હતું, પછી મને મૂકીને ગાડી સાવ ખાલી ગાંધીનગર પાછી જાય ને નકામું પેટ્રોલ બળે. તે કરતાં બસ શું ખોટી?” બાબુભાઈએ સ્મિત કરતાં કહ્યું.