સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુલાબદાસ બ્રોકર/“ઊભા રહો, કૈંક સરસ વંચાવું!”

          “ઊભા રહો, કૈંક સરસ વંચાવું!” ‘સમરાંગણ’ સુંદર લખાયું છે એ તો વાંચતાં વેંત જ ખબર પડી હતી. પણ ભાઈ ઉમાશંકર મારફત જાણ્યું કે એ પુસ્તક પંદર દિવસની જ લખાવટનું ફળ છે, ત્યારે મારી મમતા એકદમ વધી પડી. હું જે પાછળ ગાંડો બન્યો છું અને જે આવે તેને વંચાવ્યે રાખું છું એ બે પ્રસંગોના વાચનથી મળેલા આનંદમાં તમને—લેખકને—પણ ભાગીદાર કરવા આ પત્ર લખ્યો છે. ઉમેદભાઈ [મણિયાર] આવ્યા હતા. મારા ટેબલ પર ‘સમરાંગણ’ પડ્યું હતું. તેમણે પૂછ્યું, “કેવું લાગ્યું.?” મેં પૂછ્યું, “તમે વાંચી ગયા.?” તેમણે ના કહી. મેં કહ્યું, “ઊભા રહો. એમાંથી કૈંક સરસ વંચાવું.” એ નાગડાવાળો પેસેજ અને પછી ‘પહેલા ટીખળ’માંનો નાગડાનો અને રાજુલના મેળાપવાળો પ્રસંગ હું વાંચી ગયો. એ પણ ખુશ થઈ ગયા. જેને જેને વંચાવ્યું એ બધાં ખુશ થઈ ગયાં. [ઝવેરચંદ મેઘાણી પરના પત્રમાં: ૧૯૩૮]