સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયવંત દળવી/શોખ

          મરાઠીના આગલી હરોળના કવિ, નવલકથાકાર, નાટકકાર પુરુષોત્તમ શિ. રેગે વિશે એમના કવિ-મિત્રા શરદ મંત્રીએ એક રમૂજી માહિતી આપી છે કે રસ્તાઓ પર સાર્વજનિક મૂતરડીઓ બંધાવી લેવાનો રેગેને વિલક્ષણ શોખ હતો. એક વાર રસ્તે જતાં રેગેએ કહ્યું, “જો શરદ, સામે પેલી જાહેર મૂતરડી દેખાય છે ને, તે મેં બંધાવી દીધી છે.” એ સાંભળીને શરદ મંત્રી અચંબામાં પડી ગયા, એટલે રેગેએ કહ્યું, “મ્યુનિસિપલ અધિકારીઓ શું કરે છે? — જ્યાં લોકો ગંદકી કરવા ઊભા રહે ત્યાં પાટિયું મારી દે : અહીં ગંદકી કરવી નહીં! પણ માઈલ માઈલ સુધી ચાલ્યા જાવ તોય રસ્તા પર એક પણ મૂતરડી દેખાય નહીં, પછી લોકો બિચારાં શું કરે? જ્યાં જરાક આડશવાળી જગા જોઈ, ત્યાં લઘુશંકા કરી લે છે. એટલે મેં મ્યુનિસિપલ અધિકારીઓને પત્રા લખીને તથા મળીને સૂચવ્યું કે આવી જગ્યાઓ શોધીને ત્યાં જાહેર મૂતરડીઓ બાંધો. પંદરેક દિવસમાં એમના તરફથી કશી હિલચાલ થઈ નહીં કે તરત મારું ‘રિમાઇન્ડર’ જાય. એની નકલ સૌથી મોટા ઉપરી અધિકારી ઉપર. સતત એમની પાછળ હું લાગ્યો, અને એમ કરતાં કરતાં મુંબઈ મ્યુનિસિપાલિટી પાસે કેટલીય મૂતરડીઓ બંધાવી. એ દરેક મૂતરડી વિશે મારી પાસે એક એક જુદી ફાઈલ છે!” [‘ગ્રંથ’ માસિક]