સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કવિધર્મ

          પીડિતોનાં કાવ્યો કાં ગાળોનો કોશ બની જાય છે, કાં વેવલાઈની રુદનિકા બની જાય છે. નરી ચીડ અને પુણ્યપ્રકોપ વચ્ચે, ગુસ્સા અને જુસ્સા વચ્ચે વિવેક કરવાનો કવિધર્મ ગંભીર છે. પુણ્યપ્રકોપના વિશુદ્ધ પ્રાદુર્ભાવને ‘પુણ્ય’ની પહેલી અપેક્ષા છે. એ પુણ્યવત્તાને પામતાં પહેલાં હૃદયને કેટલા વિષઘૂંટડા પચાવી જવા પડે છે! [‘એકતારો’ કાવ્યસંગ્રહના પ્રવેશકમાં]