સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કાંધલજી મેર

          ચારસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલી નગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી. રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતો. કાંઈક કારણથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુખાયેલું, તેથી પોતે જૂનાગઢના રા’ના દરબારમાં જઈને રિસામણે રહ્યા હતા. રા’ના ઘરમાં તે વખતે જેઠવા રાણાની કન્યા હતી. એ રાણીને એક કુંવર અવતર્યો. રા’એ તો હઠ લીધી કે જેઠવાની પાસેથી કુંવરપછેડામાં ઢાંક શહેર લેવું. જેઠવો વિચારમાં પડ્યો. પોતાની પુરાતન રાજધાની ઢાંક કેમ અપાય? જેને ભીંતડે ભીંતડે નાગાજણ બાપુએ શાલિવાહનની સતી રાણીના હાથની સોનાની ગાર કરાવેલી, એ દેવતાઈ નગરી ઢાંક કેમ દેવાય? જ્યાં પૂર્વજદેવે ભાટને માથાનું દાન દીધું, જ્યાં મસ્તક વિનાનું ધડ લડ્યું, મૂંગીપુરનો ધણી શાલિવાહન જ્યાંથી ભોંઠો પડીને ભાગ્યો, એ અમરભૂમિ ઢાંક કેમ અપાય? પાંચસો વરસની બંધાયેલી માયામમતા તોડવાનો વિચાર કરતાં જ જેઠવાની નસો તૂટવા લાગી. બીજી બાજુ જમાઈના રિસામણાનો ડર લાગ્યો, દીકરીના દુઃખની ચિંતા જાગી. રા’ના હુમલાની ફાળ પેઠી. આખરે જેઠવાને બારી સૂઝી. એને લાગ્યું કે કાંધલજી મારી આબરૂ રાખશે; રિસાયો છે તોય ઢાંકની બેઆબરૂ એ નહિ સાંખે. માતાની લાજ જાય ત્યારે દીકરો રિસાઈને બેઠો નહિ રહે. એણે રા’ને કહેવરાવ્યું : “અમારા કાંધલજીભાઈ ત્યાં છે. આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે.” રા’ને તો એટલું જ જોતું હતું. કાંધલજી તો આપણો આશ્રિત છે : એ બીજું બોલે નહિ. એવો વિચાર કરીને કચેરીમાં કાંધલજીભાઈને રાણાનો કાગળ વંચાવ્યો. વાંચીને ગર્વથી, પ્રેમથી, ભક્તિથી, કાંધલજીની છાતી એક વેંત પહોળી થઈ, અને એના અંગરખાની કસો કડડ કડડ તૂટવા લાગી. અંતર્યામી અંતરમાં બોલી ઊઠ્યો : “વાહ, મારા ધણી! તેં તો મને ગિરનારને આંગણે ઊજળો કરી બતાવ્યો.” “કેમ, કાંધલજીભાઈ!” રા’એ હસીને પૂછ્યું : “જોયાં તમારા જેઠવાનાં જોર?” ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી બોલ્યા : “બાપ! મારો ધણી તો ગાંડિયો છે. ઢાંક તો અમારી મા કહેવાય. એને જવાબ દેતાં ન આવડ્યું. દીકરીનાં માગાં હોય, પણ માનાં માગાં ક્યાંય દેખ્યાં છે?” એટલું બોલતાં તો એની આંખમાં અંગારા મેલાઈ ગયા. રા’નું રૂંવાડે રૂંવાડું ખેંચાઈને ઊભું થઈ ગયું. એણે કહ્યું : “કાંધલજી, જૂનાગઢના રોટલા બહુ દી ખાધા. હવે ભાગવા માંડ્ય. ત્રણ દિવસની મહેતલ આપું છું. ચોથે દિવસે તું જ્યાં હોઈશ ત્યાંથી ઝાલીને તારા પ્રાણ લઈશ.” કાંધલજી ઊભો થયો. ભેટમાં તરવાર હતી તે ખેંચી કાઢીને એની પીંછીથી ત્યાં ને ત્યાં ભોંય ઉપર ત્રણ લીટા કર્યા. અક્કેક લીટો કરતો ગયો અને રા’ની સામે જોઈ બોલતો ગયો : “આ એક દિવસ, આ બે દિવસ અને આ ત્રીજો દિવસ. જૂનાગઢના રા’! તારી મહેતલના ત્રણ દિવસ પૂરા થઈ ગયા. લે હવે, આવ પડમાં, કર ઘા. મેરને મરતાં કેવુંક આવડે છે તે જોઈ લે.” “હાં! હાં! હાં! કાંધલજી!” બોલતી આખી કચેરી ઊભી થઈ ગઈ. રા’એ કહ્યું : “તુંને એમ મારું તો તો જગત કહેશે કે આશ્રિતને ઘરમાં ઘાલીને માર્યો, માટે ભાગવા માંડ્ય.” ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યો. સાથે પોતાનો જુવાન ભાણેજ એરડો હતો. ચાલતાં ચાલતાં, ઘોડીઓ વણથળી ગામને પાદર નીકળી. તે દિવસે ગામમાં નવસેં નાઘોરી વરો પરણવા આવેલા. અત્યારે વરરાજા અને જાનૈયાઓ ગામ બહાર દિશા-દાતણ કરવા નીકળેલા છે. ઢોલ ધ્રબૂકે છે ને કેટલાક જાનૈયાઓ પટ્ટાબાજી ખેલે છે. ગામને ગોંદરે રમાતી આ વીર-રમતો સહુના કાળજામાં શૌર્યનાં સરણાં વહાવી રહી છે. માર્ગે નીકળેલા સેંકડો વટેમાર્ગુ એ રમતો નીરખવા થંભી ગયા છે. એવે ટાણે આ ચાર-પાંચ ઘોડેસવારો કાં ઝપાટાભેર ભાગ્યા જાય છે? ઘોડીઓનાં મોઢાંમાં ફીણ છૂટ્યાં છે, ઘોડીઓ પરસેવે નીતરી રહી છે, તોય કાં અસવાર એના ડેબામાં એડી મારતાં આવે છે? પાંચેય આદમીના હાથમાં ઉઘાડાં ખડગ કેમ છે? દોડી જઈને નવસો નાઘોરી વરરાજા આડા ફર્યા. ઘોડીની લગામો ઝાલી રાખી. ચમકીને કાંધલજી બોલ્યા : “તમે મને ઓળખો છો?” નાઘોરી કહે : “ઓળખીએ છીએ. તમે અમારા મહેમાન એ જ મોટામાં મોટી ઓળખાણ. ગામને પાદરથી આજ તો તમ જેવો મહેમાન કસુંબો લીધા વિના ન જઈ શકે.” કાંધલજીએ કહ્યું : “ભાઈ! તમે તમારી મેળે જ હમણાં ના પાડશો. મારી વાંસે જૂનાગઢની વહાર ચડી છે.” “ત્યારે તો, ભાઈ, હવે રામરામ કરો! હવે તો જઈ રહ્યા! જાવા દઈએ તો નાઘોરીની જનેતામાં કંઈક ફેર પડ્યો જાણજો.” “અરે બાપુ! તમારે ઘેર આજ વિવા છે. ગજબ થાય.” “વિવા છે માટે જ ફૂલદડે રમશું. કંકુના થાપા તો વાણિયા-બ્રાહ્મણના વિવાહમાંયે હોય છે. આપણને તો લોહીના થાપા જ શોભે.” નાઘોરીઓએ આખી વાત જાણી લીધી. કાંધલજીને કોઠાની અંદર પૂરી દીધા. અને નવસેં મીઢળબંધા નાઘોરીઓ ગામને પાદર તરવાર ખેંચીને ખડા થઈ ગયા. જૂનાગઢની ફોજ આવી પહોંચી. સંગ્રામ મચ્યો. સાંજ પડી ત્યાં નવસોયે મીઢળબંધા વરરાજાઓ લોહીની કંકુવરણી પથારી કરીને મીઠી નીંદરમાં પડ્યા. કોઈ કદીયે ન જગાડે એવી એ નીંદર, એવી નીંદર તો નાઘોરણોની સુંવાળી છાતી ઉપરેય ન આવત. કોઠા ઉપર બેઠાં બેઠાં કાંધલજીએ કસુંબલ ઘરચોળાવાળી જોબનવંતી નાઘોરણોને હીબકાં ભરતી ભાળી, મોડિયાનાં મોતી વીંખતી વીંખતી તરુણીઓનાં વેણ સાંભળ્યાં : “આપણા ધણીઓનો કાળ હજી આંહીં બેસી રહ્યો છે!” એ સાંભળીને કાંધલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું. તરવારની ગાળાચી કરી, પોતાનું માથું ઉતારીને નીચે મૂક્યું. બે ભુજામાં બે તરવારો લીધી : અને ધડ ધીંગાણામાં ઊતર્યું. લશ્કરને એક ગાઉ સુધી તગડ્યું. એ ધીંગાણા પછી નાઘોરીઓ અને મેરો બન્ને ‘લોહીભાઈઓ’ કહેવાય છે.


[‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ ૨ પુસ્તક : ૧૯૨૪]